EPF, LPG, GST અને બૅન્કમાં આ ફેરફાર, તમારી જિંદગીને શું ફરક પડશે?

દેશમાં આજથી બૅન્ક અને જીએસટી સંબંધી કેટલાક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. એક પ્રમુખ બૅન્કે બચત ખાતામાં વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરી હતી.

ત્યારે કેટલીક બૅન્કો ચેક ક્લિયરન્સના નિયમોમાં પણ ફેરફાર કરશે. કેટલીક બૅન્કો આ ફેરફારોને પહેલાંથી જ લાગુ કરી ચૂકી છે.

નવા મહિનાની શરૂઆતમાં રાંધણ ગૅસના ભાવમાં ફેરફારો આવવાની સંભાવના પણ કેટલાક નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

એક સપ્ટેમ્બરથી અમલમાં આવનાર આ ફેરફારોની અસર તમારા ખિસ્સાં પર પણ પડી શકે છે.

પીએનબીના વ્યાજદરમાં ઘટાડો

દેશની બીજી સૌથી મોટી બૅન્ક પીએનબી બુધવારથી બચતખાતાના વ્યાજદરમાં પરિવર્તન કરવા જઈ રહી છે.

પંજાબ નેશનલ બૅન્ક પોતાના સેવિંગ એકાઉન્ટ ગ્રાહકોને એક સપ્ટેમ્બરથી ઓછું વ્યાજ આપશે. એક સપ્ટેમ્બરથી સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર ઘટીને 2.9 ટકા થઈ જશે. અત્યારે સેવિંગ એકાઉન્ટમાં ત્રણ ટકા વ્યાજ મળશે.

નવા વ્યાજદર નવા અને જૂના ખાતા બંને પર લાગુ થશે. બૅન્કે પોતાની વેબસાઇટ પર આની માહિતી આપી છે.

આ ઉપરાંત કેટલીક બૅન્ક ચેક ક્લિયર કરવા માટે નવા નિયમો લાગુ કરશે.

રિઝર્વ બૅન્કે બૅન્કોને કહ્યું છે કે તેઓ સપ્ટેમ્બર સુધી દરેક શાખામાં ઇમેજ આધારિત ચેક ટ્રાંન્જેશન સિસ્ટમ લાગુ કરશે. આનાથી ચેક ક્લિયર કરવામાં ઓછો સમય લાગશે.

ઈપીએફ ખાતાધારકો માટે મહત્ત્વપૂર્ણ

એક સપ્ટેમ્બરની તારીખ એ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે જેમની પાસે ઈપીએફ (કર્મચારી ભવિષ્ય નિધિ) ખાતું છે.

પીએફ ખાતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએનને આધારથી જોડવાની છેલ્લી તારીખ એક સપ્ટેમ્બર જ છે.

આની પહેલાં આ માટે છેલ્લી તારીખ એક જૂન રાખવામાં આવી હતી જેને ત્રણ મહિના સુધી લંબવવામાં આવી હતી.

આ પરિવર્તનથી કર્મચારીના ખાતામાં રકમ નાખવામાં મુશ્કેલી થશે ત્યારે ખાતાધારકોને પણ પૈસા કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જીએસટીમાં પરિવર્તન

જીએસટી નેટવર્કે એક સપ્ટેમ્બરથી થનારા પરિવર્તન વિશે માહિતી આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ જે વેપારીઓએ જીએસટીઆર-3બી રિટર્ન દાખલ નથી કર્યું તેઓ એક સપ્ટેમ્બર બુધવારથી જીએસટીઆર-1 ફૉર્મ નહીં ભરી શકે.

પીટીઆઈએ જીએસટી નેટવર્ક મારફતે જણાવ્યું છે કે એક સપ્ટેમ્બરથી સેન્ટ્રલ જીએસટીના નિયમ 59(6) લાગુ થઈ જશે. આની હેઠળ જ જીએસટીઆર-1 પર રોક લગાવવામાં આવશે.

વેપારીઓએ કોઈ પણ એક મહિનાનું જીએસટીઆર-1 તેના આગલે મહિનાના 11માં દિવસ સુધી ભરવાનું હોય છે . જીએસટીઆર-3બી મારફતે વેપારીઓ ટૅક્સ ભરે છે. આને આગલા મહિને 20થી 24 દિવસ સુધી દાખલ કરવાનું હોય છે.

રાંધણ ગૅસના ભાવમાં પરિવર્તન

આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોની નજર રાંધણ ગૅસના ભાવ ઉપર પણ છે. દરેક મહિનાની પ્રથમ તારીખે રાંધણ ગૅસના ભાવ નક્કી થતા હોય છે.

જૂનમાં સમીક્ષા દરમિયાન રાંધણ ગૅસના ભાવ નહોતા વધ્યા પરંતુ જુલાઈ અને ઑગસ્ટમાં ભાવ વધ્યા હતા. ઘરેલુ અને વ્યવસાયિક બંને સિલિંડરોના ભાવ વધ્યા હતા.

રાંધણ ગૅસના ભાવની સીધી અસર લોકોના ખિસ્સાં પર પડે છે. બંને મહિનાઓમાં પ્રતિ સિલિંડર ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે.

રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા 14 કિલોગ્રામના સિલિંડરનો ભાવ 859.50 રૂપિયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો