પ્લાઝ્મા થૅરપીના ઉપયોગને લઈને અલગઅલગ મત કેમ?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન, રેમડેસિવિરની સાથેસાથે પ્લાઝ્માની પણ સૌથી વધુ માગ છે. સોશિયલ મીડિયામાં પણ લોકો પ્લાઝ્મા માટે એસઓએસ મૅસેજ શૅર કરે છે.

પણ સોમવારે ઇન્ડિયન કાઉન્સિંલ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે કોવિડ-19ની સારવાર માટે જાહેર કરેલી ગાઇડલાઇનમાં પ્લાઝ્મા થૅરપીને હઠાવી દીધી છે.

એ કારણ આપવામાં આવ્યું કે પ્લાઝ્મા થૅરપીથી દર્દીને ફાયદો નથી થતો, પણ મંગળવારે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિંગ એસોસિઓશન (આઈએમએ)ના નાણાકીય સચિવે કહ્યું કે જો કોઈ ડૉક્ટર પ્લાઝ્મા થૅરપીનો ઉપયોગ કરવા માગે તો ચોક્કસ તે દર્દીની મરજી પ્રમાણે કરી શકે છે.

આ નિવેદન સાથે એ સવાલ પેદા થયો છે કે ડૉક્ટરોના એક એસોસિઓશનનો મત શું દેશની સૌથી મોટી મેડિકલ રિસર્ચ કાઉન્સિંગથી અલગ છે?

પ્લાઝ્મા થૅરપી પર આઈએમએનું શું કહેવું છે?

આ સવાલનો જવાબ જાણવા માટે બીબીસીએ આઈએમએના રાષ્ટ્રીય સચિવ ડી. જયાલાલ સાથે વાત કરી.

જયાલાલે જણાવ્યું કે "આઈએમએ, આઈસીએમઆરની ગાઇડનલાઇન અને પ્લાઝ્માના ઉપયોગને લિસ્ટમાંથી દૂર કરવાના સંપૂર્ણ પક્ષમાં છે. પણ અમે એ ઇચ્છીએ છીએ કે એક વર્ષથી થૅરપીનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને જો કોઈ ડૉક્ટરને લાગે કે તેણે થૅરપીનો સહારો લેવો જોઈએ તો એ એવું કરી શકે છે."

"જુઓ પ્લાઝ્મા થૅરપીનો હેતુ એ છે કે કોઈ એવો શખ્સ, જેમાં ઍન્ટિબૉડી પેદા થયેલા છે, તેનામાંથી ઍન્ટીબૉડી દર્દીના શરીરમાં પહોંચાડવી. તેને ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાય છે અને એ ન કહી શકાય કે પ્લાઝ્મા થૅરપીથી કોઈ ફાયદો જ થયો નથી."

"આઈએમએ લોકોને કહે છે કે તેઓ આઈસીએમઆરની ગાઇડનલાઇન અનુસાર સારવાર કરે."

"પણ દર્દી અને પરિવારની લેખિત મંજૂરી સાથે ડૉક્ટરોને લાગે કે થૅરપી મદદ કરી શકે તો તેમાં કોઈ પરેશાની નથી."

કોઈ પણ ડૉક્ટર કે સ્વાસ્થ્યકર્મી આઈસીએમઆરના પ્રોટોકૉલને માનવા માટે કાયદાકીય રીતે બંધાયેલા નથી હોતા, પણ એવું માનવામાં આવે છે કે દેશના મેડિકલ સ્ટાફના લોકો આ પ્રોટોકૉલ હેઠળ સારવાર કરે.

જ્યારે ક્લિનિકલ ટ્રાયલમાં પ્લાઝ્મા થૅરપીને વારંવાર એ આધાર પર ફગાવી દીધી છે કે તેના કારગત હોવાના પ્રમાણ ઓછા છે, તો શા માટે ડૉક્ટરોએ તેના ઉપયોગ અંગે વિચારવું જોઈએ?

આ સવાલના જવાબમાં જયાલાલ કહે છે, "એવી દવાઓ પણ છે, જેમ કે આઇવરમૅક્ટિન અને ક્લોરોક્વિન, વિટામિન સી, જેને લઈને 50 ટકા સુધી પણ પ્રમાણ નથી કે આ દવાઓથી દર્દીઓને આરામ મળે છે કે સારવારમાં આ દવાઓ કારગત છે, પણ ભારત જેવા દેશમાં જ્યાં ગ્રામીણ વિસ્તારો સુધી સંક્રમણ ફેલાઈ ગયું છે, ત્યાં એવા કેસ પણ સામે આવ્યા છે કે આઇવરમૅક્ટિનની મદદથી કેટલીક હદ સુધી આરામ મળ્યો છે."

"પ્લાઝ્માને લઈને જે રીતની ચર્ચા થઈ રહી છે એને જોતા પણ આઈસીએમઆરે એ સ્પષ્ટ કરતાં તેને હઠાવ્યું છે કે વ્યાપક સ્તરે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે, તેને લઈને કોઈ ચોક્કસ પ્રમાણ નથી."

પ્લાઝ્મા થૅરપી શું છે?

પ્લાઝ્મા લોહી એક તરલ હિસ્સો છે. કોરોના સંક્રમણથી જે લોકો સાજા થઈ ગયા છે તેમના શરીરના લોહીમાંથી પ્લાઝ્મા લેવામાં આવે છે, જેમાં વાઇરસના એન્ટિબૉડી બનેલા હોય છે.

સંક્રમણથી સાજા થયેલી વ્યક્તિના એન્ટિબૉડી સંક્રમિત વ્યક્તિના શરીરમાં નાખવામાં આવે છે.

કોરોનાના કેસમાં આ થૅરપીનો ઉપયોગ પહેલી લહેરથી કરાઈ રહ્યો છે.

તેના માટે પ્લાઝ્મા ડોનરને છેલ્લા 28 દિવસમાં કોરોનાનાં કોઈ પણ લક્ષણ ન હોવાં જોઈએ.

આ થૅરપીને લઈને શરૂઆતથી વિવાદ કેમ?

આઈસીએમઆરે પ્લાઝ્મા થૅરપીને લઈને ગત વર્ષે એક સ્ટડી કર્યો હતો, જેનો હેતુ થૅરપીથી કોવિડ સંક્રમિત દર્દીઓ પરની અસરને સમજવાનો હતો.

તેને પ્લૅસિડ ટ્રાયલના નામથી ઓળખવામાં આવે છે.

સપ્ટેમ્બર, 2020માં સામે આવેલા આ રિપોર્ટમાં મેડિકલ કાઉન્સિંગે જાણ્યું કે પ્લાઝ્મા થૅરપી કોરોનાને કેસ ગંભીર થતા રોકવામાં અને લોકોનાં મૃત્યુને રોકવામાં કારગત છે.

આ ટ્રાયલ 22 એપ્રિલથી 14 જુલાઈ, 2020 દરમિયાન 464 લોકો પર કરવામાં આવી હતી.

બાદમાં આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે તેઓ પ્લાઝ્મા થૅરપીને કોવિડની સારવારની નેશનલ ગાઇડલાઇનમાંથી દૂર કરવા પર વિચારી રહ્યા છે.

14 મેના રોજ સાયન્સ જનરલ લૅંસટનો રિપોર્ટ સામે આવ્યો હતો અને તેમાં પણ કહેવાયું હતું કે ગંભીર રીતે સંક્રમિત કોરોના દર્દીઓ પર પ્લાઝ્મા થૅરપીની 'કોઈ અસર' સામે આવી નથી.

જે દર્દીઓને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને આ થૅરપી દેવાથી પણ કોઈ ફાયદો થયો નહોતો.

ડૉક્ટરોના મત અલગઅલગ કેમ?

આઈએમએનું કહેવું છે કે દેશભરમાં ડૉક્ટરોએ આઈસીએમઆરની કોવિડ ગાઇડલાઇનનું પાલન તો કરવું જોઈએ, પણ જો દર્દી અને પરિવારની હોય તો ડૉક્ટર પ્લાઝ્મા થૅરપી આપી શકે છે.

પ્લાઝ્મા થૅરપીના ઉપયોગના વિરોધાભાસ અને મૂંઝવણ પર સર ગંગારામ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના વાઇરસ ચૅરમૅન અતુલ કક્કડ કહે છે, "અમે આ થૅરપીનો ઉપયોગ કર્યો છે, તેની લોકો પર અલગઅલગ અસર થઈ છે."

"પણ અમે આ થૅરપીની નકારાત્મક અસર પણ જોઈ છે, જેમ કે ઍલર્જિક ઇન્ફેક્શન, વાઇરલ ઇન્ફેક્શન અને એ સિવાય અમે સાયટોમેગ્લો વાઇરસના કેસ પણ જોયા છે, જેમાં જ્યારે વ્યક્તિની ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે તો શરીરમાં પહેલેથી મોજૂદ વાઇરસ સક્રિય થઈ જાય છે અને નુકસાન પહોંચાડવા લાગે છે."

"તેમજ આઈસીએમઆરે એક ખાસ જરૂરી વાત કહી છે કે જ્યારે એક શરીરમાં એન્ટિબૉડી નાખવામાં આવે તો વાઇરસ ખુદને બચાવવાની કોશિશ કરે છે અને એ એન્ટિબૉડીની અસરને રોકવા માટે શરીરની અંદર મ્યૂટેટ કરવા લાગે છે."

"જે લોકો આ થૅરપી લે છે, તેમનામાં વાઇરસના મ્યુટેશનની શક્યતા વધી જાય છે."

હકીકતમાં યુકે અને અમેરિકાના એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે પ્લાઝ્મા થૅરપી કોરોના વાઇરસના મ્યુટેશનનું એક મોટું કારણ હોઈ શકે છે.

આઈસીએમઆરના પ્રમુખ ડૉક્ટર બલરામ ભાર્ગવે પણ આ સ્ટડી પર સહમતી દર્શાવતા કહ્યું હતું કે પ્લાઝ્મા જેવી અપ્રમાણિત થૅરપીના રેન્ડમ ઉપયોગથી વાઇરસનું ઇમ્યુન સિસ્ટમ પર દબાણ વધી શકે છે અને એ મ્યૂટેટ કરી શકે છે.

આઈસીએમઆર ગાઇડલાઇન એ સ્પષ્ટ કરે છે કે પ્લાઝ્માનો ઉપયોગ કોવિડની સારવારમાં ન થવો જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો