You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરઝાન નાગવાસવાલા : ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનનાર વલસાડના આ પારસી ક્રિકેટર કોણ છે?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
થોડાં વર્ષ અગાઉ મુંબઈના પૃથ્વી શૉએ સ્કૂલ ક્રિકેટમાં 546 રનની વિશાળ ઇનિંગ્સ રમી હતી અને તેમની પ્રતિભા વિશે સમગ્ર દેશના ક્રિકેટપંડિતો ચર્ચા કરી રહ્યા હતા.
એ જ અરસામાં વડોદરામાં જે.વાય. લેલે અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ, જેમાં પૃથ્વી શૉ બીજા જ બૉલે આઉટ થઈ ગયા. આમ તેઓ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા અને તેમને આઉટ કરનારા બૉલર હતા વલસાડ નજીકના નારગોલ ગામના વતની અરઝાન નાગવાસવાલા.
આ લૅફ્ટ આર્મ પેસરે એ દિવસે તો 34 રનમાં પાંચ વિકેટ લીધી પરંતુ ચર્ચા રહી પૃથ્વી શૉની, કેમ કે તેઓ શૂન્ય પર આઉટ થયા હતા.
જોકે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશને નાગવાસાવાલાના પ્રદર્શનની નોંધ જરૂર લીધી અને વડોદરાની એ મૅચમાં બે વર્ષ બાદ આ બૉલર ગુજરાત માટે ચેન્નાઈમાં વિજય હઝારે ટ્રૉફીમાં રમી રહ્યા હતા.
એ વખતે તો તેમણે ખાસ નોંધપાત્ર દેખાવ કર્યો નહીં પરંતુ હંમેશાં પ્રતિભાની શોધ માટે તત્પર રહેતા ગુજરાતની ટીમના તત્કાલીન કૅપ્ટન પાર્થિવ પટેલ, ચીફ કોચ વિજય પટેલ અને કોચ હિતેશ મજુમદારની નજરમાં તેઓ વસી ગયા.
આ ત્રણેય ધુરંધરોએ અરઝાનને 2018માં ગુજરાતની રણજી ટ્રૉફી ટીમમાં તક આપી અને એક પ્રતિભાશાળી બૉલરની સફરનો પ્રારંભ થયો.
ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે સ્ટેન્ડ બાય તરીકે પસંદગી
આજે અરઝાન નાગવાસવાલા અચાનક લાઇમલાઇટમાં આવ્યા છે.
બે દિવસ અગાઉ ભારતીય પસંદગીકારોએ ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે અને એ અગાઉ જૂન મહિનામાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી, તેમાં સ્ટેન્ડ બાય તરીકે જે ચાર નામ પસંદ કર્યાં તેમાં નાગવાસવાલાનો પણ સમાવેશ થતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરઝાન પણ કહે છે કે, છેલ્લાં પાંચેક વર્ષમાં તેણે જે આકરી મહેનત કરી છે તેનું આ પરિણામ છે અને તેઓ આ પસંદગીથી ખુશ છે.
1997ની 17મી ઑક્ટોબરે સુરતમાં પારસી પરિવારમાં અરઝાનનો જન્મ થયો પણ તેઓ મૂળ વલસાડ નજીકના નારગોલના વતની.
વલસાડમાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટર જયેશ મકલાનો કૅમ્પ ચાલે અને એ મેદાન પર એકસાથે ત્રણથી ચાર મૅચો રમાતી હોય.
એવામાં કોઈએ જયેશ મકલાનું ધ્યાન દોર્યું કે આ નાનકડો છોકરો અદભુત બૉલિંગ કરે છે. એ વખતે અરઝાનની ઉંમર માંડ 11 વર્ષની હતી.
જયેશે તેમને બૉલિંગ કરતો જોયા. ખુદ જયેશ ગુજરાત માટે રણજી ટ્રૉફીમાં મુકુન્દ પરમાર અને પાર્થિવ પટેલ જેવા દિગ્ગજો સાથે રમી ચૂકેલા પણ તેઓ ઑફ સ્પિનર હતા અને અરઝાન તો ઝડપી બૉલર હતો.
વલસાડના સુપરસ્ટાર
જોકે જયેશનું કહેવું છે કે મને એ વખતે આ બૉલરમાં પ્રતિભાનાં દર્શન થયાં હતાં પરંતુ પ્રામાણિકપણે કહું તો તે ભવિષ્યમાં મેજર ટુર્નામેન્ટમાં રમશે કે એક દિવસ ભારતીય ટીમના સ્ટેન્ડ બાય તરીકે તેની પસંદગી થશે તેવું તેમને એ વખતે લાગ્યું ન હતું.
આમ છતાં અરઝાન નાગવાસવાલા બૉલિંગમાં તરખાટ મચાવતા રહેતા હતા અને વલસાડના સ્થાનિક ક્રિકેટવર્તુળમાં તો તેઓ ક્યારનાય સુપરસ્ટાર બની ગયા હતા.
જેમણે વલસાડના ક્રિકેટને નજીકથી જોયું હશે તેમને ખ્યાલ હશે કે અહીંથી કોઈ ખેલાડી રણજી ટ્રૉફીમાં રમે તેમને ટેસ્ટ સ્ટારથી ઓછો દરજોજ મળતો નથી.
અગાઉ અશરફ મકડા, જયેશ મકલા કે તેમના જેવા ઘણા ખેલાડીઓ ગુજરાત માટે રમીને વલસાડના સ્ટાર બની ગયા હતા. પણ અરઝાનની મંઝિલ કંઈક અલગ જ હતી.
જ્યારે અરઝાને મુંબઈ સામે તરખાટ મચાવ્યો
ગુજરાતની ટીમમાં કાયમી સ્થાન બનાવવા માટે તેમને નવેમ્બર 2018માં વાનખેડે સ્ટેડિયમ ખાતે તક મળી ગઈ.
ગુજરાતની ટીમ મુંબઈને હરાવે તેવું ઇતિહાસમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલી વાર જ બન્યું હશે અને તેમાંય કોઈ બૉલર કમાલ કરી જાય તે ભાગ્યે જ બને, કેમ કે બેટિંગ એ મુંબઈની સૌથી મોટી તાકાત રહેલી છે.
તેવામાં અરઝાને એ દિવસે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈની બેટિંગને ઘમરોળી નાખી.
આદિત્ય તરે, સૂર્યકુમાર યાદવ, સિદ્ધેશ લાડ અને અરમાન જાફર સહિતના પાંચ ખેલાડીઓને તેમણે 78 રનમાં આઉટ કર્યા. અંતે ગુજરાતે નવ વિકેટે મૅચ જીતી લીધી.
હવે અરઝાનની ખરી સફર શરૂ થઈ. ગુજરાત માટે 2019-20ની સિઝન સફળ રહી હતી, જેમાં આ પારસી બૉલરનું યોગદાન અમૂલ્ય હતું.
ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી અને સૌરાષ્ટ્ર સામે રાજકોટમાં રમી રહી હતી. આ વખતે અરઝાને ફરી એક વાર કમાલ કરી હતી.
રાજકોટની સેમિફાઇનલ શરૂ થઈ તે અગાઉની એક વાત પહેલાં કરી લઈએ.
અરઝાન આમ તો ગુજરાત માટે નિયમિત રમતા હતા અને તેમના પરિવારજનો પણ ઘણી વાર મૅચ નિહાળવા પહોંચી જતા હતા, પરંતુ રાજકોટની મૅચ લાઇવ ટેલિકાસ્ટ હતી, જેનાથી અરઝાન રોમાંચિત થઈ ઊઠ્યા હતા.
હકીકતમાં તેમણે ટીવી પર મૅચ નિહાળી રહેલા દર્શકો ઉપરાંત ભારતીય ક્રિકેટ સાથે સંકળાયેલા વિવેચકો સામે પોતાની કાબેલિયત પુરવાર કરવી હતી. અને, આ મોકો તેમણે ગુમાવ્યો નહીં.
પહેલા દાવમાં તેમણે સૌરાષ્ટ્રની પાંચ વિકેટ ખેરવી દીધી અને તેને કારણે જ મૅચ રોમાંચક બની હતી. એ વાત અલગ છે કે અંતે ગુજરાતે મૅચ ગુમાવવી પડી અને સૌરાષ્ટ્ર તો એ મૅચ અને ત્યારબાદની ફાઇનલ જીતીને ચૅમ્પિયન પણ બની ગયું.
આવી જ રીતે વલસાડની પિચ પર તો તેઓ સ્વાભાવિકપણે જ સફળ રહે. વલસાડમાં અરઝાન નાગવાસવાલા પોતાના પ્રેક્ષકો અને પ્રશંસકો સામે રમતા હોય ત્યારે હરીફ ટીમ માટે વધારે મુસીબત સર્જી શકે છે.
સૌપ્રથમ તો તેઓ 2018માં વલસાડમાં છત્તીસગઢ સામે રમ્યા, જેમાં તેમણે ચાર વિકેટ ઝડપીને ગુજરાતને સફળતા અપાવી પણ 2020ના જાન્યુઆરીમાં તો તેઓ પૂરેપૂરા લયમાં આવી ગયા હતા.
આ વખતે હરીફ ટીમ પંજાબની હતી, જેમાં મનદીપ સિંઘ, અભિષેક શર્મા અને ગુરકિરાટસિંઘ જેવા સફળ બૅટ્સમૅન હતા. ગુજરાત પાસે પણ ચિંતન ગજા, પીયૂષ ચાવલા અને સિદ્ધાર્થ દેસાઈ જેવા બૉલર હતા. પણ મેદાન મારી ગયા લોકલ બૉય અરઝાન નાગવાસવાલા.
તેમણે મૅચના બંને દાવમાં પાંચ-પાંચ સહિત મૅચમાં દસ વિકેટ ઝડપી. કહેવાની જરૂર નથી કે ગુજરાતે એ મૅચ 110 રનથી જીતી હતી અને કદાચ આ જ મૅચને કારણે ગુજરાતે નૉકઆઉટમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી લીધો હતો.
ભારતનું ભાવિ અરઝાન નાગવાસવાલા
એ સિઝન અરઝાન માટે સૌથી સફળ રહી, કેમ કે તેમણે આઠ મૅચમાં 18.36ની એવરેજથી 41 વિકેટ ઝડપી હતી. અગાઉની સિઝનની 21 વિકેટ ઉમેરીએ તો અરઝાન રણજી ટ્રૉફીમાં 16 મેચમાં 22.53ની સરેરાશથી 61 વિકેટ ઝડપી ચૂક્યા છે.
અરઝાનની પ્રતિભા જોઈને જ પાર્થિવ પટેલે તેમના નામની મુંબઈ ઇન્ડિયન્સને ભલામણ કરી અને તાજેતરમાં અધૂરી પડતી મુકાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સિઝનમાં અરઝાન મુંબઈ ઇન્ડિયન્સમાં નેટ બૉલર તરીકે રમતા હતા.
તેમને મુંબઈએ સમગ્ર લીગ દરમિયાન પોતાની સાથે રાખ્યા હતા. મુંબઈની ટીમમાં અરઝાનના ગુજરાતના સાથી જસપ્રિત બુમરાહ અને ન્યૂઝીલૅન્ડના વર્લ્ડ ક્લાસ બૉલર ટ્રેન્ટ બૉલ્ટ પણ રમ્યા હતા.
આ બંને સાથે રહીને ગુજરાતના આ છોકરાએ કેટલી ક્ષમતા કેળવી હશે તે તો આગામી સમય જ પુરવાર કરશે.
અરઝાન નાગવાસવાલા હાલ તો ભારતનું ભાવિ છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારતને ઘણા પ્રતિભાવંત બૉલર સાંપડ્યા છે અને તે કડીમાં નવું નામ ઉમેરાઈ શકે છે.
રહી વાત ભારતીય ક્રિકેટના ભૂતકાળની તો ભારતે ઘણા પારસી ક્રિકેટર આપ્યા છે પણ 1975 પછી એકેય નહીં, છેલ્લે ફારુખ એન્જિનિયર 1975માં ભારત માટે રમ્યા ત્યારબાદ કોઈ પારસી ક્રિકેટર ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી શક્યા નથી.
ભારતીય ક્રિકેટના ઇતિહાસ પર એક નજર કરીએ તો ફિરોઝ પાલિયા, સોરાબજી કોલાહ, રૂસ્તમજી જમશેદજી, ખેરશાદ મેહરહોમજી, રૂસી મોદી, જમશેદ ઇરાની, કેકી તારાપોર (અમ્પાયર શાવિર તારાપોરના પિતા), પોલી ઉમરીગર, નરી કોન્ટ્રાક્ટર, રૂસી સુરતી અને મહિલા ક્રિકેટરમાં ડાયના એડલજી તથા તેમની બહેન બેહરોઝ એડલજી ભારત માટે રમી ચૂક્યા છે. હવે તેમાં અરઝાનનું નામ આવે તેવી પૂરી શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો