ઍમ્બુલન્સ ડ્રાઇવર : દરદીઓને સમયસર હૉસ્પિટલ પહોંચાડનારને જ ખરા વખતે ઍમ્બુલન્સ ન મળી, કોરોનાથી મૃત્યુ

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

રોહિતભાઈ છેલ્લાં 20 વર્ષથી સાણંદ નગરપાલિકામાં ઍમ્બુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. અત્યાર સુધી તેમણે અનેક લોકોના જીવ બચાવ્યા હતા, પણ તેમના પરિવારે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે ભવિષ્યમાં તેમને ઍમ્બુલન્સની જરૂર પડશે અને તેમને જ સમયસર ઍમ્બુલન્સ નહીં મળે.

દેશ સહિત ગુજરાતમાં હાલમાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો છે અને અનેક જગ્યાએ હૉસ્પિટલોમાં બેડની કમી, ઓક્સિજનની કમી, સ્મશાનમાં વેઇટિંગ વગેરેના સમાચાર મીડિયામાં આવી રહ્યા છે.

ઘણા લોકોને ઓક્સિજન મળતો ન હોવાથી કોરોનાના દર્દીઓ જાતે ઓક્સિજનનો બાટલો લઈને હૉસ્પિટલે જતા હોવાની તસવીરો પણ જોવા મળે છે.

અમદાવાદના સાણંદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે નગરપાલિકામાં ઍમ્બુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતી વ્યક્તિને બચાવી શકાઈ નહોતી.

કલાકો સુધી 108 ઍમ્બુલન્સની રાહ જોઈ

રોહિતભાઈ પટેલના પુત્ર હર્ષ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

હર્ષે જણાવ્યું કે 20 એપ્રિલના રોજ પપ્પાને શરદી થવાના કારણે અમે રેપિડ કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. પણ અશક્તિ જણાતાં પ્રાથમિક સારવાર લીધી હતી.

હર્ષ જણાવે કે તેમના પપ્પાને બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાના કારણે ડૉક્ટરના કહેવા મુજબ સિટી સ્કેન કરાવ્યો. સિટી સ્કેનમાં જાણ થઈ કે કોરાનાના કારણે ઇન્ફેક્શન થઈ રહ્યું છે.

હર્ષ વધુમાં કહે છે, "ત્યારપછી પપ્પાના મિત્રો અને અમે સારવાર માટે ઓક્સિજનની વ્યવસ્થા હોય તેવી હૉસ્પિટલની શોધ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમે 108ને પણ કૉલ કર્યો, કૉલ કર્યાના ઘણા કલાકો રાહ જોયા પછી પણ કોઈ વ્યવસ્થા થઈ નહીં, છેવટે 108 આવી."

"તેમણે શરીરની તપાસ કરતા કહ્યું કે હૉસ્પિટલમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે."

રોહિતભાઈના પુત્ર હર્ષ વધુમાં કહે છે, "સારવાર ક્યારે શરૂ થશે તે કહેવું અઘરું હતું. 108ની ટીમના કહેવા પ્રમાણે અમને ગામમાં જ વૅન્ટિલેટર મળી રહે તો સારું. સાણંદની જે.કે. હૉસ્પિટલમાં વૅન્ટિલેટર સુવિધાવાળો બેડ મળતાં ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. પણ તેમની તબિયત સતત લથડી રહી હતી."

"ડૉક્ટરની સલાહ મુજબ કોરોના સામે રક્ષણ મેળવવા જરૂરી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં લાગ્યા. ઇન્જેક્શનની વ્યવસ્થા થતાં પપ્પાને ડોઝ આપવામાં આવ્યા."

"આ પછી પણ તેમની તબિયતમાં ફેરફાર થતો નહોતો. સતત ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હતું. તમામ પ્રયાસો પછી પણ અમે પપ્પાને બચાવી શક્યા નહીં."

'અડધી રાતે એક રિંગે ફોન ઉપાડતા'

રોહિતભાઈના સહકર્મી રાજુભાઈ પટેલે બીબીસીને જણાવ્યું કે રોહિતભાઈ એવા સરકારી કર્મચારી હતા જેમણે સરકારી વાહનની પોતાના વાહનની જેમ તકેદારી રાખી હતી.

"ઍમ્બુલન્સની સાફસફાઈથી લઈને મેન્ટેનન્સ જાતે કરતા. 20 વર્ષમાં ક્યારેય ઍમ્બુલન્સને લઈ એક પણ ફરિયાદ અમને મળી નથી."

"રાતના બે વાગ્યે પણ તેમનો ફોન પહેલી રિંગ પર રિસીવ થાય."

તેઓ વધુમાં કહે છે, "તેમની ફરજમાં સાણંદ શહેર વિસ્તાર આવે પરંતુ કેટલીય વખત સાણંદના નળકાંઠાના અંતરિયાળ ગામમાંથી પણ દર્દીને લઈ અમદાવાદ હૉસ્પિટલ સુધી પહોંચાડ્યા હોય."

"અમે ક્યારેય વિચાર્યુ નહોતું કે જેણે આટલા લોકોના જીવ બચાવ્યા છે તેમને જ ઍમ્બુલન્સની જરૂરિયાત હશે ત્યારે ફક્ત નિરાશા મળશે."

'રોહિતભાઈ ઍમ્બુલન્સવાળા'

રોહિતભાઈને આખું ગામ રોહિતભાઈ ઍમ્બુલન્સવાળા તરીકે ઓળખતું હતું.

રોહિતભાઈના પુત્ર હર્ષ જણાવે છે, "અમે સ્વપ્નમાં પણ વિચાર કર્યો નહોતો કે પપ્પાએ આટલાં વર્ષોમાં ઘણા બધા લોકોને સારવાર માટે સમયસર હૉસ્પિટલ સુધી પહોચાડ્યા છે અને તેમનો જીવ બચાવવા મદદ કરી છે, પણ તેમને પોતે જ આ પરિસ્થિતનો સામનો કરવો પડશે અને આ મહામારીનો ભોગ થવું પડશે."

હર્ષ નિરાશા સાથે કહે છે કે "અમારા જેવા કેટલાય લોકો છે જેમને ઓક્સિજન, ઍમ્બુલન્સ, ઇન્જેક્શન બધું જ સમયસર મળી રહે તો જીવ બચી શકે એમ છે, જોકે હાલમાં એવું નથી."

અમદાવાદ અને સાણંદની સ્થિતિ શું છે?

અમદાવાદને અડીને આવેલા સાણંદમાં કોવિડની પરિસ્થિતિની વાત કરીએ તો સાણંદમાં વૅન્ટિલેટરની સુવિધા ધરાવતી પાંચ ખાનગી હૉસ્પિટલ છે.

ઉપરાંત તાલુકા સ્વાસ્થ્ય સેન્ટર છે જ્યાં આઇસોલેશનની સુવિધા છે. પરંતુ સમગ્ર રાજ્યમાં જે હાલત હૉસ્પિટલની છે એવી જ હાલત સાણંદમાં છે.

તમામ હૉસ્પિટલમાં એક પણ બેડ હાલ ખાલી નથી. અમદાવાદમાં સારવાર ન મળતાં ઇમર્જન્સીના કારણે લોકો સાણંદ સુધી પહોંચે છે. પરંતુ અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂરનો તાલુકા વિસ્તાર હોવા છતાં અદ્યતન સુવિધાવાળી કોઈ હૉસ્પિટલ સાણંદમાં નથી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા અને શહેરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલ સહિત અનેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સારવાર માટે વલખાં મારી રહ્યાં છે.

અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ની હદમાં આવતી તમામ સરકારી અને કૉર્પોરેશને ડેઝિગ્નેટ કરેલી હૉસ્પિટલોમાં 108 સેવા મારફતે જ કોવિડ દરદીઓને દાખલ કરવામાં આવતા હતા, પણ તેના સ્થાને હવે દરદી કોઈ પણ વાહન દ્વારા પહોંચશે તો તેને દાખલ કરવામાં આવશે.

એટલે કે હવે કોઈ પણ દરદી ખાનગી વાહનમાં પણ કોવિડ હૉસ્પિટલ પહોંચી શકશે.

પહેલાં કોરોના વાઇરસના દરદીઓને દાખલ કરવા માટે આધારકાર્ડની જરૂર હતી, હવે નિર્ણય કરાયો છે કે કોવિડના દર્દીઓને સારવાર માટે અમદાવાદના આધારકાર્ડની જરૂર નહીં પડે.

કોરોના વાઇરસની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ક્વોટામાં 108 સેવા કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત હતી તે પણ હઠાવી દેવાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો