નરેન્દ્ર મોદી સંબોધન : લૉકડાઉન અંગે રાજ્યોની સરકારોને શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંક્રમણની સ્થિતિ સંદર્ભે રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે. તેમને સંબોધનની શરૂઆતમાં ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.

સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું, "કોરોના વિરુદ્ધ આજે આખો દેશ લડાઈ લડી રહ્યો છે. કેટલાંક અઠવાડિયાંમાં સ્થિતિ કાબૂમાં હતી અને પછી આ કોરોનાનો બીજો વેવ તોફાન બનીને આવ્યો."

"જે પીડા તમે સહન કરી છે, જે પીડા તમે સહન કરી રહ્યા છો, એનો મને અંદાજ છે."

"જે લોકોએ પાછલા દિવસોમાં સ્વજનો ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું."

"પરિવારના એક સભ્ય તરીકે હું તમારી પીડામાં સામેલ છું, પડકાર મોટો છે પણ આપણે સાથે મળીને સંકલ્પ, હામ અને તૈયારી સાથે આને પાર પાડવાનો છે."

લૉકડાઉન સંદર્ભે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે "હું રાજ્યોની સરકારને પણ કહેવા માગું છું કે લૉકડાઉનને તેઓ કોરોના સામેની લડાઈના અંતિમ વિકલ્પ તરીકે જુએ."

ઓક્સિજનની અછત વિશે નરેન્દ્ર મોદી શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ઓક્સિજનની સમસ્યા અંગે પણ વાત કરી હતી.

ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અને ઓક્સિજનવાળા પલંગની અછત સર્જાઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું "આ વખતે કોરોનાના સંકટમાં દેશના અનેક ભાગોમાં ઓક્સિજનની માગ ઘણી વધી છે. આ અંગે પૂરતી ઝડપથી અને સંવેદનશીલતા સાથે કામ કરાઈ રહ્યું છે."

"કેન્દ્ર સરકાર, રાજ્યની સરકારો, પ્રાઇવેટ સૅક્ટર, તમામના પૂરતા પ્રયાસ છે કે દરેક જરૂરિયાતમંદને ઓક્સિજન મળી રહે."

તેમણે કહ્યું "ઓક્સિજનનાં ઉત્પાદન અને સપ્લાય વધારવા માટે અનેક સ્તર પર ઉપાય કરવામાં આવી રહ્યા છે."

"રાજ્યોમાં નવા ઓક્સિજન પ્લાન્ટની વાત હોય, એક લાખ સિલિન્ડર પહોંચાળવાની વાત હોય, ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજનને મેડિકલ ઉપયોગ માટે આપવાની વાત હોય, ઓક્સિજન રેલવેની વાત હોય, સરકાર તમામ પ્રયાસ કરી રહી છે."

દિલ્હીમાં છ દિવસનું લૉકડાઉન

આ અગાઉ સોમવારે દિલ્હીમાં છ દિવસના લૉકડાઉનની જાહેરાત મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરાઈ હતી.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સાડા 30 હજાર કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે "દિલ્હીની હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ્સની અછત સર્જાઈ રહી છે. દરરોજ 25-25 હજાર દર્દીઓ નવા ઉમેરાય, તો કોઈ પણ વ્યવસ્થા ધ્વસ્ત થઈ શકે."

"બેડ્સની તો અછત છે અને આઇસીયુ બેડ્સ લગભગ ખતમ થઈ ગયા છે. આજે સવારની સ્થિતિ પ્રમાણે દિલ્હીમાં માંડ 100 ICU બેડ્સ બચ્યા છે."

આ સાથે જ તેમણે કહ્યું કે "ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ છે, એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં મધરાત્રે ત્રણ વાગ્યે દુર્ઘટના ઘટતી રહી ગઈ, ત્યાં ઓક્સિજનનો બધો જ જથ્થો ખતમ થઈ જવા આવ્યો હતો. એમને મહામહનેતે ક્યાંકથી વ્યવસ્થા કરી અને દુર્ઘટના ટળી ગઈ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો