You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં નવા કેસ 1900ને પાર, 7 મોત, સીએમ રૂપાણીએ કેમ કહ્યું, 'અઠવાડિયાં સુધી કેસ હજુ વધશે'?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,961 નવા કેસ સામે આવ્યા છે ત્યારે 1,405 લોકો સાજા થયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસને કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,94,130 કેસ છે જેમાંથી 9,372 ઍક્ટિવ કેસ છે.
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ કૉરપોરેશનના આંકડા જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે તે મુજબ અમદાવાદમાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 551 છે ત્યારે સુરત કૉરપોરેશનમાં 501 નવા કેસ નોંધાયા છે.
વડોદરા અને રાજકોટમાં લગભગ દોઢ સો કેસ આવ્યા હતા. સુરત જિલ્લામાં 127 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા કૉર્પોરેશનમાં 164 નવા કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઇસને કારણે સાત લોકોનું મૃત્યુ થયું છે જેમાં સુરત કૉર્પોરેશનમાં સૌથી વધારે ચાર મૃત્યુ થયા છે.
ગુજરાતમાં હવે તમામ સરકારી કર્મચારીઓને પણ ફ્રન્ટલાઇન વર્કરની જેમ કોરોનાની રસી મળશે
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં દરરોજ ત્રણ લાખ લોકોને કોરોનાની રસી અપાશે.
ઉપરાંત ગુજરાત સરકારે જણાવ્યું છે કે રાજ્યના બધા સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માનવામાં આવશે અને તેમને કોઈ વયસીમા વગર કોરોનાની રસી મૂકવામાં આવશે.
મીડિયા સાથે વાત કરતા વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માનવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના રસીકરણ કાર્યક્રમ હેઠળ પ્રતિદિન 2.25 લાખથી વધારીને ત્રણ લાખ લોકોને રસી આપવામાં આવશે.
રાજ્ય સરકારે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ એમ 3ટી સ્ટ્રેટેજી પર કામ કરવાનું જણાવ્યું છે.
વિજય રૂપાણીએ કહ્યું , "કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે રણનીતિ બનાવી છે "
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સૌથી વધારે કેસ હોવાને કારણે ગુજરાત સરકારે ચાર મહાનગરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવાયું છે.
રૂપાણીએ કહ્યું કે અપેક્ષિત સાઇકલ પ્રમાણે રાજ્યમાં કેસ વધી રહ્યા છે પણ રાજ્યમાં મૃત્યુનો દર ઘણો ઓછો છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણના કેસને નિયંથણમાં લેવા માટે પગલાં લઈ રહી છે, અને આંકડા એક અઠવાડિયા સુધી વધવાની શક્યતા છે.
" આખા દેશમાં સંક્રમણનો દર વધ્યો છે જેમાં ગુજરાતનો સમાવેશ પણ થાય છે. ગભરાવવાની કોઈ જરૂર નથી. સંક્રમણનો દર વધારે છે પણ આ લહેરમાં મૃત્યુનો દર ઓછો છે."
હોળી અને શબ-એ-બારાત પર સાવધાનીની સલાહ
કોરોના સંક્રમણની બીજી લહેરમાં રાજસ્થાનમાં કોવિડ19 ના કેસ વધતાં રાજ્યની સરકારે હોળી પર કોઈ સમારોહના આયોજન ન કરવાનો નિર્દેશ બહાર પાડ્યો છે. રાજસ્થાન સરકારે હોળી અને શબ-એ-બારાત પર જાહેર સ્થળોએ 28 અને 29 માર્ચે સમારોહ ન કરવાનું કહ્યું છે.
ત્યારે ગુજરાત સરકારે પણ હોળી અને શબ-એ-બારાતને લઈને નિર્દેશ બહાર પાડ્યા હતા.
ગુજરાત સરકારે નિર્દેશ કર્યા છે કે 28 માર્ચે શબ-એ-બારાતને જોતાં લોકો મસ્જિદોમાં એકઠા ન થાય અને કોરોના ગાઇડલાઇન્સનું ચુસ્તપણ પાલન કરે.
આની પહેલા 29 માર્ચે હોળીકા દહન અને ધૂળેટીને લઈને પણ રાજ્ય સરકારે નિર્દેશ બહાર પાડ્યા હતા. રાજ્ય સરકારના નિર્દેશ મુદબ હોળીકા દહન માટે સોસાયટી, શેરી, નાકા કે જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય. મર્યાદિત સંખ્યામાં લોકો હોળીકા દહન માટે ભેગા થાય પરંતુ કોરોના અંગેની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે ધૂળેતીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી અપાશે નહીં.
ભારતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ શું છે?
છ નવેમ્બર 2020 પછી પ્રથમ વખત ભારતમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોનો આંકડો 50 હજારને પાર થયો છે. ગુરુવારે ભારતમાં કોરોના સંક્રમણના 53,476 નવા કેસ આવ્યા છે અને 251 મૃત્યુ થયા છે.
દેશમાં કોરોના સંક્રમણના ત્રણ લાખ 95 હજારથી વધારે સક્રિય કેસ છે. ભારતમાં પાંચ કરોડ 31 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર, પંજાબ સહિત અન્ય રાજ્યોને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે.
મહારાષ્ટ્રમાં 31 હજારથી વધુ નવા કેસ ગુરુવારે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસના અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35, 952 કેસ નોંધાયા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબાર મુજબ કોરોના સંક્રમણ વધતા કચ્છ યુનિવર્સિટીને શુક્રવારથી ત્રણ દિવાસ માટે બંધ કરાઈ છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે એક યાદી બહાર પાડી હતી જેમાં દસ શહેરોનો ઉલ્લેખ હતો કે જ્યાં કોરોના સંક્રમણને લઈને ચિંતા સૌથી વધારે છે. આ દસ શહેરોમાંથી નવ શહેરો મહારાષ્ટ્રના છે અને એક કર્ણાટકનું શહેર છે.
પુણે, નાસિક, મુંબઈ, થાને, ઔરંગાબાદ, બેંગ્લુરુ અર્બન , નાંદેડ, જળગાંવ, અકોલા સામેલ છે.
મુંબઈમાં કોવિડ 19ના દૈનિક કેસની સંખ્યા દસ હજાર સુધી પહોંચવાની આશંકાને જોતાં મુંબઈમાં બીએમસીએ આવતા બે અઠવાડિયામાં હૉસ્પિટલોમાં બૅડ વધારવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા દોઢ મહિનામાં મુંબઈમાં કોરોના સંક્રમણથી 200 મૃત્યુ થયાં છે અને 56,220 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.
રસીના નિકાસ પર ભારતે રોક લગાવી?
આની પહેલાં ભારતે કોરોનાની રસીના નિકાસ પર રોક લગાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે હાલ ભારતે થોડા સમય માટે ઑક્સફૉર્ડ- એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કોરોના રસીના નિકાસ પર રોક લગાવી છે.
મંત્રાલય અનુસાર ભારતમાં કોરોનાના વધતા કેસને કારણે આવતા અઠવાડિયામાં વૅક્સીનની માગમાં વધારો થયો છે અને અહીં રસીની જરૂર પડશે.
જોકે અધિકારીઓએ આ અસ્થાયી નિર્ણય કહ્યો છે પરંતુ આનાથી એપ્રિલના અંત સુધી રસીના નિકાસ પર અસર પડશે.
કોવેક્સ યોજના હેઠળ આવતા 190 દેશો પર આ નિર્ણયની અરસ થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠના નેતૃત્વમાં ચાલી રહેલી કોવેક્સ યોજનાનો હેતુ બધા દેશોને કોરોનાની રસી મળી રહે એ સુનિશ્ચિત કરવું છે.
ભારતે અત્યાર સુધી 76 દેશોને કોરોનાની રસીના લગભઘ છ કરોડ ડોઝ મોકલ્યા છે. ભારતે એક એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના બધા લોકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે. એટલે રસીની માગ વધવી સ્વાભાવિક છે. ભારતીય વિદેશ મંત્રાલયમાં એક સૂત્રે બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસને કહ્યું, નિર્યાત પર માત્ર થોડા સમય માટે રોક લગાવી છે અને ઘરેલૂ માગને પ્રાથમિકતા આપવી પડશે."
સમાચાર સંસ્થા રૉયટર્સે પણ વિદેશ મંત્રાલયના સૂત્રને ટાંકતા લખ્યું છે કે ગુરુવારથી રસીની નિકાસ બંધ રહેશે, આ રોક ત્યાર સુધી રહેશે જ્યાર સુધી ભારતની પરિસ્થિતિ સ્થિર નથી થઈ જતી.
જોકે આ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિસ્ટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી કોઈ ટિપ્પણી નથી આવી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો