You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાત બાદ આ પાડોશી રાજ્યમાં પણ એક કેસ, સરકાર શું પગલાં લઈ રહી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે અને સાથે જ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ એક કેસ નોંધાયો છે.
દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેમાંથી આવેલી વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જિનોમ સિક્વન્સિંગ બાદ જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થઈ છે.
જામનગરના જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ આ અંગે ખરાઈ કરી છે. જામનગરના જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીએ પત્રકારપરિષદમાં કહ્યું કે જ્યારથી આ વ્યક્તિ આવી હતી, ત્યારથી જ તકેદારીના ભાગરૂપે તેમને ડૅન્ટલ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
સાથે જ તેમણે જણાવ્યું છે કે નવા વૅરિયન્ટથી સંક્રમિત થયેલી વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.
ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત દરદીની સ્થિતિ હાલ સ્થિર છે, તેમના વિસ્તારને કન્ટેનમૅન્ટ ઝોન બનાવવામાં આવશે અને તેમના ઘરની આસપાસ માઇક્રૉ-કન્ટેનમૅન્ટ ઝોન બનાવવામાં આવશે.
આ વ્યક્તિ શંકાસ્પદ હોવાથી તેમનો જિનોમ સિક્વન્સિંગનો ટેસ્ટ કરાવ્યો હતો. આ અગાઉ કર્ણાટકમાં ઓમિક્રૉન વૅરિયન્ટના બે કેસ નોંધાયા હતા.
દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા એક મુસાફર પણ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
મુંબઈના કલ્યાણ-ડોમ્બિવલીમાં રહેતા એક 33 વર્ષીય શખ્સ વિદેશથી પરત ફર્યા હતા, જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓમિક્રૉનથી સંક્રમિત વ્યક્તિ કોણ છે?
જિલ્લા કલેક્ટર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 28 નવેમ્બરે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર આ વ્યક્ત ઊતરી હતી અને તે જામનગર ગઈ હતી.
જામનગરના કોવિડ-19 નોડલ અધિકારી એસ. એસ. ચેટરજીના કહેવા પ્રમાણે ઝિમ્બાબ્વેથી ઓમિક્રૉનથી સંક્રમિત થયેલી વ્યક્તિ 71 વર્ષીય પુરુષ છે.
ચેટરજી કહે છે કે, "આ વ્યક્તિને શ્વસનસંબંધી બીમારીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, તેમણે શહેરની ખાનગી લૅબમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને પરિણામ પૉઝિટિવ આવ્યું હતું."
"તેમને તાત્કાલિક કોવિડ-19 હૉસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા."
ઓમિક્રૉનથી સંક્રમિત વ્યક્તિ ઝિમ્બાબ્વેની નાગરિક છે, જ્યારે તેમનાં પત્ની જામનગરના છે, જેમને મળવા માટે તેઓ આવ્યા હતા.
નવા વૅરિયન્ટ અંગે શું કરી રહી છે ગુજરાત સરકાર?
ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના પ્રથમ કેસ આવ્યા બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્યતંત્રની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વીડિયો કૉન્ફરન્સથી જોડાયા હતા.
ભારત સરકાર દ્વારા ઓમિક્રૉન વૅરિયન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇનનો રાજ્યમાં ચુસ્તપણે અમલ થાય એ માટે મુખ્ય મંત્રીએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
સાથે જ તેમણે ગુજરાતમાં ૩-ટી વ્યૂહરચના એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પૉઝિટિવ કેસમાં ટ્રીટમૅન્ટની સાથે આગળ વધવા સૂચનાઓ આપી છે.
મુખ્ય મંત્રીએ નવા વૅરિયન્ટ સંદર્ભે નાગરિકોને પણ સતર્ક અને સાવચેત રહેવા આગ્રહ કર્યો છે; સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તથા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો