You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમાલ ખાશોગીની હત્યાનો રિપોર્ટ જાહેર કરશે અમેરિકા, જો બાઇડને કિંગ સલમાન સાથે વાત કરી - Top News
અમેરિકાએ નિર્ણય કર્યો છે કે તે સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના તપાસ અહેવાલને સાર્વજનિક કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાશોગીની નિર્મમ હત્યા માટે સાઉદી અરબના શક્તિશાળી યુવરાજ મોહમ્મદ બિન સલમાનને જવાબદાર ગણી શકાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ અહેવાલને વાંચ્યો છે અને તેમણે સાઉદી અરબના બાદશાહ શાહ સલમાન સાથે વાતચીત કરી હતી.
બાઇડન સાઉદી અરબ સાથેના અમેરિકાના સંબંધોને નવા છેડેથી જોવા માગે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમયમાં અમેરિકા અને સાઉદી ખૂબ જ નજીક હતા.
પત્રકાર ખાશોગીની હત્યા ઑક્ટોબર 2018માં તુર્કીમાં સાઉદીના વાણિજ્ય દૂતાવાસની અંદર કરી દેવામાં આવી હતી.
જોકે સાઉદી ક્રાઉન પ્રિન્સ આ કેસમાં સામેલ થવાને લઈને તમામ આરોપોને નકારે છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પર કૉર્પોરેટરોને 'લલચાવવા'નો આરોપ મૂક્યો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત લે તેના પહેલાં આપે ભાજપ પર આરોપ મૂક્યો હતો કે તેમની પાર્ટીના કૉર્પોરેરેટરોને ભાજપ લલચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટ જીતી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ મનોજ સોરઠિયાએ કહ્યું, "અમારા ચૂંટાયેલા કાઉન્સિલરને ભાજપના નેતા દ્વારા બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આવીને અમને મળો પરંતુ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ તેમની ટ્રેપમાં ન આવ્યા."
તેમણે વધુમાં કહ્યું કે અમારા ઉમેદવારો લોકો અને પાર્ટીને સમર્પિત છે. જો ભાજપ આવી તરકીબો અપનાવશે તો અમે તેમને સ્ટિંગ ઑપરેશન કરી તેને ખુલ્લો પાડીશું.
ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાન્ઝમેરાએ કહ્યું, "સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પર નિયંત્રણ રાખવા માટે ભાજપ પાસે 93 કૉર્પોરેટર છે. અમે શું કામ આપના કાઉન્સિલર તરફ જઈએ. આરોપો પાયાવિહોણા છે. આપના નેતાઓએ કેમ કોઈ પુરાવા મીડિયાને ન આપ્યા. આ દેખાડે છે કે તેઓ દિલ્હી જેવું ન્યૂસન્સ કરે છે."
આપના નેશનલ કન્વિનર અરવિંદ કેજરીવાલ આજે સુરત આવી રહ્યા છે તે સુરતના વરાછામાં રેલી પણ યોજવાના છે.
375 મિલિયન બાળકોનું આરોગ્ય ખરાબ, શિક્ષણનો અભાવ - સીએસઈનો અહેવાલ
ધ હિંદુના અહેવાલ અનુસાર દેશના 375 મિલિયન બાળકો પર કોરોના વાઇરસની મહામારીની લાંબાગાળાની અસર પડી છે.
સેન્ટર ફૉર સાયન્સ અને એન્વાયરમૅન્ટે હાલમાં જ સ્ટેટ ઑફ એન્વાયરમૅન્ટલ રિપોર્ટ, 2021 પ્રકાશિત કર્યો છે. જે પ્રમાણે નવજાતથી લઈને 14 વર્ષ સુધીનાં બાળકો ઓછા વજનના, ઠીંગણાં થયાં છે અને બાળ મૃત્યુદરમાં પણ વધારો થયો છે.
આ ઉપરાંત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેમણે શિક્ષણ ગુમાવ્યું છે અને તેમના કામની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાયો છે.
મહામારીના કારણે 500 મિલિયન બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્કૂલો છોડવી પડી તેમાં અડધાથી વધારે ભારતમાં છે.
સીએસઈના નેશનલ ડિરેક્ટર જનરલ સુનિતા નારાયણે કહ્યું, "કોરોના વાઇરસે દુનિયાના ગરીબને વધારે ગરીબ બનાવ્યો છે."
"115 મિલિયન બીજા લોકો મહામારીના કારણે ખૂબ જ ગરીબીમાં ધકેલાઈ શકે છે. જેમાંથી મોટા ભાગનાં દક્ષિણ એશિયામાં વસે છે."
પુતિનના વિરોધી નેતા એલેક્સી નવેલનીને મૉસ્કોની જેલમાંથી અજ્ઞાત જગ્યાએ લઈ જવાયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિરોધી અને ભ્રષ્ટાચાર વિરોધી વિપક્ષના નેતા એલેક્સી નવેલનીને મૉસ્કોની જેલમાંથી કાઢીને એક અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.
નવેલનીના સહયોગીઓનું કહેવું છે કે તેમને આની કોઈ જાણકારી આપવામાં આવી નથી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે અને તેમના કહેવા પ્રમાણે તેમને કોઈ જેલના કૅમ્પમાં લઈ જવામાં આવ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં નવેલનીને ભ્રષ્ટાચારના કેસમાં જેલ મોકલ્યા હતા, જોકે 2014માં તેમની સજાને સ્થગિત કરવાના આદેશ આપ્યા હતા.
જ્યારે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા તેને તેમણે રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું હતું.
નવેલની પુતિનના આકરા ટીકાકાર છે. ગતવર્ષે તેમને સાઇબેરિયામાં ઝેર આપવામાં આવ્યું હતું અને એક સ્વતંત્ર તપાસમાં બહાર આવ્યું હતું કે રશિયાના સુરક્ષા એજન્ટોએ નવેલનીની હત્યાનો પ્રયાસ કર્યો. જોકે, સરકાર આ આરોપ નકારે છે.
વાપીની છોકરી સીએસની પરીક્ષામાં આખા દેશમાં પ્રથમ ક્રમે આવી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વલસાડ જિલ્લાના વાપીની 23 વર્ષીય તાન્યા ગ્રોવર કંપની સેક્રેટરી(સીએસ)ની ફાઇનલ પરીક્ષામાં આખા દેશમાં પહેલા ક્રમે આવી છે.
તાન્યા ગ્રોવરે 900માંથી 545 માર્ક મેળવ્યાં હતાં. જે તમામ વિદ્યાર્થીઓમાં સૌથી વધારે હતા.
લૉકડાઉન દરમિયાન ઑનલાઇન અભ્યાસ અને પરીક્ષા મોડી થઈ હોવા છતાં તાનિયાએ ઘરમાંથી જ અભ્યાસ કરીને પહેલી ટ્રાયલમાં પરીક્ષા પાસ કરી.
તેઓ ઇન્ટર્નશિપ કરીને કોઈ મોટી કૉર્પોરેટ કંપનીમાં જોબ કરવા માગે છે.
તાન્યા ગ્રોવરે કહ્યું, "માર્ચ સુધીમાં મેં આખો સિલેબસ પૂર્ણ કરી દીધો હતો પરંતુ મારે તેને ડિસેમ્બર સુધી રિવાઇસ કરવો પડ્યો."
FATF : પાકિસ્તાન જૂન સુધી ગ્રે લિસ્ટમાં રહેશે
મની લૉન્ડરિંગ અને ટેરર ફંડિગને રોકવા માટે બનેલાં આંતરરાષ્ટ્રીય સંગઠન એફએટીએફે પાકિસ્તાનની હાલ સુધીની કાર્યવાહીઓનું નિરીક્ષણ કરીને પાકિસ્તાનને આ વર્ષના જૂન સુધી ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો છે.
એફએટીએફની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને કુલ 27 બાબતોમાં કામ કરવાનું હતું અને તેમણે 24 ભલામણો પર કામ કર્યું છે પરંતુ તેમણે ત્રણ ભલામણો પર કામ કરવાની હજુ જરૂર છે.
જૂન 2021માં એક વખત આ વાતની ફરી સમીક્ષા કરવામાં આવશે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે કે તેને બહાર નીકાળવામાં આવે અથવા તેને બ્લૅક લિસ્ટ ન કરી દેવાય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો