You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : સરકાર 2જી ઑક્ટોબર સુધી કાયદા પાછા લે - રાકેશ ટિકૈતનું અલ્ટિમેટમ
ખેડૂતોના દેશભરમાં 'ચક્કા જામ' પછી રાકેશ ટિકૈતે ખુલ્લા મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું છે કે અમે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ દબાણમાં આવીને કોઈ વાતચીત નહીં થાય, પરંતુ બરાબરીમાં આવીને વાતચીત થશે.'
તેમણે કહ્યું, "અમે સરકારને કાયદા રદ્દ કરવા માટે 2 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. તેના પછી અમે આગળની યોજના બનાવીશું."
તેમણે કહ્યું કે 'અમારો મંચ પણ ત્યાં રહશે અને પંચ પણ ત્યાં હશે તે ખિલ્લા ઉગાડશે અમે પાક વાવીશું.'
તેમણે કહ્યું કે એમએસપી પર કાયદો બનાવ્યા વિના અમે ઘરે પરત જવાના નથી. આ કોઈ એ ભૂલમાં ન રહે ત્રણ કાયદાઓને પરત લઈ લઈશું અને આંદોલન પૂર્ણ થઈ જશે. એમએસપી પર ગેરન્ટી આપવાને લઈને કાયદો બનાવવો પડશે.
રાકેશ ટિકૈતે કહ્યું કે જે લોકો અહીં ટ્રેક્ટર લઈને આવ્યા છે તેમને આ નોટિસ મોકલવામાં આવી રહી છે. હું પુછું છું કે ક્યા કાયદામાં લખ્યું છે કે ટ્રૅક્ટરને રસ્તા પર ન ચલાવી શકાય.
દેશવ્યાપી ચક્કાજામ, રાજધાની દિલ્હીમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત
ખેડૂત સંગઠનો દ્વારા શનિવારે સમગ્ર દેશમાં 'ચક્કાજામ'નું એલાન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં આ કાર્યક્રમના પડઘા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. દિલ્હીથી સેંકડો કિલોમિટર દૂરનાં સ્થળોએ પણ ખેડૂત સંગઠનો અને નાગરિકોએ આ આહ્વાનને વધાવી લીધો છે.
નોંધનીય છે કે ખેડૂત સંગઠનો દ્વારા સમગ્ર દેશમાં કરાયેલ 'ચક્કાજામ'ના આ કાર્યક્રમમાંથી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને બાકાત રાખવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસે યોજાયેલી ટ્રૅક્ટર પરેડમાં થયેલી હિંસા જેવી ઘટના ફરીથી ન થાય તે માટે આવું કરવામાં આવ્યું છે.
બીજી તરફ વિવાદિત કૃષિકાયદાઓ પરત ખેંચી લેવાની માગ સાથે કરાયેલ આ આહ્વાનને રાજકીય દળો અને વિવિધ રાજ્યોનાં ખેડૂત સંગઠનોને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે ખેડૂતો દ્વારા 12 વાગ્યાથી માંડીને બપોરના ત્રણ વાગ્યા સુધી એમ ત્રણ કલાક સુધી સમગ્ર દેશમાં ચક્કાજામનું આહ્વાન કરવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી ANI અનુસાર કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંઘે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, "કૃષિ કાયદાઓનો વિરોધ કરતા લોકોને હું અપીલ કરું છું કે તેઓ 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ધરણાંમાં જોડાય."
ખેડૂતો દ્વારા કરાયેલા 'ચક્કાજામ'ના આહ્વાનના ભાગરૂપે હરિયાણાના પલવલ પાસે અતોહન ચોક વિસ્તારમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
સમાચાર સંસ્થા ANI પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં પણ ખેડૂતોના 'ચક્કાજામ'ના આહ્વાનની અસર જોવા મળી હતી. સ્થાનિક ખેડૂત સંગઠન દ્વારા જમ્મુ-પઠાણકોટ હાઇવે પર દેશવ્યાપી 'ચક્કાજામ'ના આહ્વાનના ભાગરૂપે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
એક પ્રદર્શનકારીએ ANIને જણાવ્યું કે, "અમે સરકારને આ કાયદા પાછા ખેંચી લેવાની અપીલ કરીએ છીએ. અમે દિલ્હી બૉર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરીએ છીએ."
ખેડૂતોના 'ચક્કાજામ'ના આહ્વાન પગલે કરાયેલી તૈયારીઓ વિશે વાત કરતાં UPના લૉ ઍન્ડ ઑર્ડર ADG પ્રશાંત કુમારે ANIને જણાવ્યું હતું કે, "રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર સિનિયર અધિકારીઓ સાથે 144 UP-PAC, છ પેરામિલિટરી કંપની તહેનાત કરી દેવામાં આવી છે. વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. તેમજ ડ્રોન વડે વીડિયો રેકૉર્ડિંગ પણ ચાલુ છે."
દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોના 'ચક્કાજામ'ના આહ્વાનને પગલે ભારે સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
સમાચાર સંસ્થા ANIના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ખેડૂતોના દેશવ્યાપી 'ચક્કાજામ'ના કાર્યક્રમને પગલે યોજાયેલ પ્રદર્શનમાં પોલીસે દિલ્હીના શહીદી પાર્ક ખાતે પ્રદર્શન કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓને ડિટેઇન કર્યા હતા.
પ્રદર્શનકારીઓ માટે જારી કરાયાં દિશા-નિર્દેશ
ત્રણ રાજ્યો સિવાય આખા દેશમાં "શાંતિપૂર્ણ અને અહિંસક આંદોલન" માટે સંયુક્ત કિસાન મોરચાએ દિશાનિર્દેશ બહાર પાડ્યા છે. જેમાં, કોઈ પણ સરકારી અધિકારી અને સામાન્ય જનતા સાથે કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં નહીં ઊતરવાની અપીલ કરવામાં આવી છે.
સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે કહ્યું હતું કે, "દિલ્હીની અંદર ચક્કાજામ નહીં થાય કારણ કે અહીં તમામ પ્રદર્શનસ્થળો પહેલાંથી જ જામ મોડમાં છે. દિલ્હીમાં જામ નહીં થાય. અહીં વિરોધપ્રદર્શનના સ્થળો સિવાય તમામ માર્ગો ખુલ્લા રહેશે."
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત ઉત્તર પ્રદેશમાં આંદોલનનું નેતૃત્વ કરે છે અને તરાઈ કિસાન સંગઠન જેમાં મોટી સંખ્યામાં ઉત્તરાખંડના ખેડૂતો સામેલ છે તેમણે બે રાજ્યોમાં ચક્કાજામનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
અગાઉ સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ચક્કાજામ કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ખેડૂતો દેશના હાઈવે અને રસ્તાઓ પર ચક્કાજામ કરશે.
26 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચા દ્વારા યોજાયલ ટ્રૅક્ટર પરેડ બાદ ખેડૂતોનો આ બીજો મોટો કાર્યક્રમ છે. પ્રજાસત્તાક દિવસે યોજાયલ પરેડમાં દિલ્હીમાં હિંસા થઈ હતી. પરેડમાં સામેલ ખેડૂતોએ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલ બૅરીકેડ ક્રોસ કરવાની કોશિશ કરી હતી.
આ ખેડૂતોનો કાર્યક્રમ છે : ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતએ શુક્રવારે જણાવ્યું કે ચક્કાજામ દિલ્હીની બહારના વિસ્તારોમાં કરવામાં આવશે. દિલ્હીમાં ચક્કાજામ કરવામાં આવશે નહીં.તેમણે કહ્યું કે, દિલ્હીમાં તો રાજાએ પહેલાથી કિલ્લાબંધી કરી નાખી છે એટલા માટે ચક્કાજામ દિલ્હીની સરહદમાં કરવામાં આવશે.
જે ગાડીઓ આવશે અને અટકશે તેમને લંગરનું ભોજન, પાણી અને બીજી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ચક્કાજામને ખેડૂતોના આંદોલનને વૈચારિક ક્રાંતિ ગણાવતા ટિકૈતે કહ્યું કે તેનું સમગ્ર આયોજન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.
કેવી છે પોલીસ વ્યવસ્થા ચક્કાજાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સરદહની ફરતે સુરક્ષા વધુ મજબૂત કરી નાખી છે. ગાઝીપુર બોર્ડર પર વાહનોની અવર-જવર અટકાવવા માટે પોલીસે વિવિધ બૅરીકેડ ઊભા કર્યા છે અને કાંટાળા તાર મૂકવામાં આવ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર (ઉત્તર રેન્જ) એસ.એસ. યાદવએ સિંઘુ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કરી હતી.જો કે, સંવેદનશીલ હોવાનું જણાવી તેમણે તહેનાત કરવામાં આવેલ સુરક્ષા કર્મચારીઓની સંખ્યા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે સુરક્ષા માટે જે પણ જરૂરી વ્યવસ્થા થઈ શકે છે તે કરવામાં આવી રહી છે.સિંઘુ બોર્ડર પર પોલીસ પ્રશાસન દ્વારા બૅરીકેડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હીથી સિંઘુ બોર્ડર તરફ જતી વખતે સિંઘુ બોર્ડરથી બે કિલોમીટર દૂર બૅરીકેડિંગ કરવામાં આવ્યું છે.
સરહદ નજીક રસ્તાને સંપૂર્ણ રીતે ખોદી નાખવામાં આવ્યો છે.માત્ર નક્કી થયેલ વાહનોને બૅરીકેડિંગથી આગળ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ મીડિયાના વાહનોને જવાની પરવાનગી નથી. ટિકરી બોર્ડર પર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
શામલીમાં ખેડૂતોની મહાપંચાયતમાં સરકારને ચેતવણી
શુક્રવારે ઉત્તર પ્રદેશના શામલીમાં ભૈંસવાલ ખાતે ખેડૂતોની મહાપંચાયત બોલવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સામેલ થયાં હતા. આરએલડી નેતા અજય હુડ્ડા અને રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી આ મહાપંચાચતમાં સામેલ થયા હતા.
સભાને સંબોધતા અજય હુડ્ડાએ જણાવ્યું કે ત્રણેય કૃષિ કાયદો ખેડૂત વિરોધી છે અને તેમને પાછા લેવાં જોઈએ.
જયંત ચૌધરી પણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો.મહાપંચાયતમાં ખેડૂતોએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો ત્રણેય કાયદા પરત નહીં લેવામાં આવે તો તેઓ સરકાર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો