સેન્ટ્રલ વિસ્ટા પ્રૉજેક્ટ : નરેન્દ્ર મોદી સરકારની નવા સંસદભવનની યોજના શું છે?

સુપ્રીમ કોર્ટે વિવાદિત નવા સંસદભવન સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી.

અગાઉ નિર્માણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે હાલમાં માત્ર આધારશિલા રાખવાની મંજૂરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે દેશના નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો હતો.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો કે આ સંબંધિત અરજીઓ પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી સરકાર કોઈ પણ પ્રકારનું નિર્માણ કે તોડફોડનું કામ નહીં કરે.

ભારત આઝાદ થયું પછી પહેલીવાર સંસદભવનની નવી ઇમારત બનવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદભવનના નવા ઇમારતનો શીલાન્યાસ કર્યો હતો.

સેન્ટ્રલ વિસ્ટા પ્રૉજેક્ટ શું છે?

રાજધાની દિલ્હીમાં સંસદ ભવનની સાથે સાથે રાષ્ટ્રપતિભવનથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ સુધીના પ્રોજેક્ટના નવીનીકરણનું કામ કરવા જઈ રહી છે. જે આખા પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આપવામાં આવ્યું છે. નવું સંસદ ભવન પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે.

ભારત સરકારના જે મંત્રાલય છુટાછવાયા આવેલાં છે તે મંત્રાલયોને રાજપથની આસપાસ બનાવવાની કામગીરી થવાની છે. જેમાં દેશના તમામ મંત્રાલયોને એક સ્થળે લાવવાની વાત છે. આમ મંત્રાલયો માટે દસ ઇમારત આ વિસ્તારમાં બનવાની છે.

મંત્રાલયની જે દસ ઇમારત બનવાની છે. તેમાં તમામ ઇમારતની ઉંચાઈ રાષ્ટ્રપતિભવનથી વધારે નહીં હોય. આ ઉપરાંત સૂચિત પ્લાન પ્રમાણે તેની ઉંચાઈ ઇન્ડિયા ગેટથી પણ વધારે નહીં હોય. હાલ જ્યાં નેશનલ મ્યુઝિયમ છે તેને સાઉથ બ્લૉક અને નોર્થ બ્લૉક ખાતે ખસેડવામાં આવશે.

વડા પ્રધાનનું ઘર 7 લોક કલ્યાણ માર્ગ ખાતે આવેલું છે તેને બદલીને રાષ્ટ્રપતિભવન પાસે લાવવામાં આવશે. ઉપરાંત ઉપરાષ્ટ્રપતિનું ઘર પણ વડા પ્રધાનના મકાનની પાસે બનશે.

વડા પ્રધાનની ઑફિસ પણ નવી બનવા જઈ રહી છે. આ ઉપરાંત બીજી અનેક ઇમારત આ વિસ્તારમાં બનશે. સંસદ સભ્યો માટે પણ નવી ઑફિસ બનવા જઈ રહી છે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 20 હજાર કરોડ રૂપિયા છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કોણ કરી રહ્યું છે?

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઈન ગુજરાતના આર્કિટેક્ચર બિમલ પટેલે કરી છે. આ અગાઉ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમનું મુખ્ય મંત્રી કાર્યાલય, અમદાવાદ રીવરફ્રન્ટ વગેરે ડિઝાઈન કર્યા છે.

તેમની કંપની એચસીપીએ ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયનું સવર્ણિમ સંકુલ પણ તૈયાર કર્યું છે.

નવું સંસદભવન કેવું હશે?

સંસદ ભવનની નવી ઇમારત ત્રિકોણાકાર હશે. જે હાલના સંસદભવન સાથે જોડાયેલી હશે.

નવું સંસદભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું હશે. જે જૂના સંસદભવન કરતાં 17,000 વર્ગ મીટર મોટું હશે.

નવા સંસદભવનમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહ હશે. લોકસભામાં હાલ 543 સભ્યો બેસે છે. જ્યારે નવી લોકસભામાં 888 સભ્યો બેસી શકશે. રાજ્યસભામાં 245 સભ્યો બેસી શકે છે, હવે 384 સભ્યો બેસી શકશે.

લોકસભાની બેઠક વ્યવસ્થામાં સુધારો કરીને જ્યારે સંયુક્ત સત્ર હશે ત્યારે તેની ક્ષમતા 1272 કરી શકાશે. આ સંસદભવન 2022 સુધીમાં બનીને તૈયાર થવાનો અંદાજ છે.

નવા સંસદભવનની ડિઝાઇનનું કામ ગુજરાતના આર્કિટેક્ચર બિમલ પટેલની કંપની એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ અને મૅનેજમૅન્ટ પ્રાવઇવેટ લિમિટેડે કર્યું છે. જ્યારે ઇમારતના નિર્માણનું કામ ટાટ પ્રૉજેક્ટ્સ લિમિટેડ પાસે છે.

નવું સંસદભવન કેમ બનાવવામાં આવી રહ્યું છે?

નવું સંસદ ભવન બનાવવાને લઈને સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારના સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે હાલની સંસદની ઇમારત 100 વર્ષ જૂની છે. આના પર વધારે ભાર છે.

હાલનું સંસદભવન અંગ્રેજોએ આઝાદી પહેલાં 1927માં બનાવ્યું હતું.

સર એડવર્ડ લુટિયન્સે બનાવેલી જૂની ગોળાકાર સંસદ તેના 144 મોટા પત્થરોના સેન્ડસ્ટોનને લઈને વિશિષ્ટ લાગે છે.

સરકારે કહ્યું હતું કે હાલની ઇમારતમાં સુરક્ષાને લઈને સમસ્યાઓ છે. આ ઇમારત ભૂકંપવિરોધી નથી અને આમાં જો આગ લાગે છે તો બચવા માટે સુરક્ષાનો અભાવ જોવા મળે છે.

નવા સંસદભવન બનાવવાને લઈને એક તર્ક એવો પણ આપવામાં આવે છે કે વર્ષો વર્ષથી સંસદની કામગીરીમાં ઘણો વધારો થયો છે જેને લઈને કેટલાંક સાંસદોની માગ હતી કે સંસદને આધુનિક અને હાઇટેક બનાવવામાં આવે.

હાઇટેક બનાવવા માટે આજના સંસદભવનમાં સુધારા કરવા સરળ નથી.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે નવી સંસદ બનવાથી વાર્ષિક 1 હજાર કરોડ રૂપિયાની બચત થશે.

ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ઇમારતોને બનાવવાની યોજના પહેલાં યોગ્ય ચર્ચાવિચારણા કરવામાં આવી છે અને તેના માટે વ્યવહારુ પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. ઉપરાંત મંત્રાલયની વચ્ચે સમન્વયમાં સુધારો આવશે કારણ કે આ ઇમારતો મેટ્રો દ્વારા જોડાયેલી હશે. જેનાથી 1 હજાર કરોડ રૂપિયાની બચત થવાનો અંદાજો છે.

સંસદભવનની ઇમારતનું શું થશે?

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સંસદ ભવનની નવી ઇમારત બનાવતી વખતે હાલના સંસદભવનની એક પણ ઇંટને કાઢવામાં નહીં આવે.

હાલના સંસદ ભવન અંગે પહેલા એવી વાત કરવામાં આવી હતી કે તેમાં આધનિક ભારતના ઇતિહાસને લઈને મ્યુઝિયમ બનાવવામાં આવશે.

જોકે ડિઝાઇનમાં થોડો ફેરફાર થતાં હાલના સંસદભવનને મોટા કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાની વાત કરવામાં આવી છે.

નવા સંસદભવનને લઈને વિવાદ કેમ થઈ રહ્યો છે?

નવા સંસદભવનને બનાવવા અને સેન્ટ્રલ વિસ્ટા પ્રૉજેક્ટની સામે સુપ્રીમ કોર્ટમાં 10 પિટિશન કરવામાં આવી છે.

બીબીસી માટે સુપ્રીમ કોર્ટને કવર કરનાર વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતી કહે છે કે પિટિશન કરનારની દલીલ છે કે સંસદ ભવનવાળા વિસ્તારમાં નવી ઇમારત બનાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જે દસ પિટિશન કરવામાં આવી છે તેમાંથી એક મહત્ત્વની પિટિશન વકીલ રાજીવ સૂરીએ કરી છે. જેમણે આખા પ્રૉજેક્ટના નિર્માણ અને જમીનના ઉપયોગને લઈને વાંધો ઉઠાવ્યો છે.

સેન્ટ્રલ વિસ્ટા કમિટીએ જે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ(એનઓસી) આપવામાં આવ્યું છે તેના પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તે વિસ્તારમાં અનેક ઝાડ ઉપરાંત પર્યાવરણના સવાલોને મંજૂરી આપવા સામે પણ વાંધા ઉઠાવવામાં આવ્યા છે.

એક પિટિશનર શ્યામ દિવાને કહ્યું છે કે સરકારી પૈસાનો ખર્ચ કરીને આ પ્રકારના નિર્માણને યોગ્ય સાહિત કરવાને લઈને કોઈ અધ્યયન થયું નથી. હાલના સંસદભવનમાં કોઈ સમસ્યા છે જેથી તેને ઉપયોગમાં ન લઈ શકાય તેને કોઈ પ્રકારે સાબિત કર્યું નથી.

તેઓ વધુમાં કહે છે કે સરકારે આ પ્રકારના નિર્ણય લેતા પહેલાં યોગ્ય ચર્ચા વિચારણા કરવી જોઈએ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો મત લેવો જોઈએ.

આ ઉપરાંત અનેક ઇતિહાસકારો અને સ્થપતિઓનો દાવો છે કે સંસદભવનના નિર્માણ પહેલાં કોઈ પ્રકારના હેરિટેજનો અભ્યાસ કરવામાં નથી આવ્યો કે લોકોની સાથે પરામર્શ પણ કરવામાં નથી આવ્યો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો