You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની રસી બનાવીને દવાકંપનીઓ બમ્પર નફો રળી લેવાની ફિરાકમાં છે?
- લેેખક, લૂસી હૂકર, ડેનિયલ પાલુમ્બો
- પદ, બીબીસી બિઝનેસ
કોરોના વાઇરસની મહામારીના શરૂઆતના દિવસોમાં આપણને એ ચેતવણી આપવામાં આવી હતી કે કોઈ પણ બીમારીની વૅક્સિન બનાવવામાં અનેક વર્ષો લાગી જાય છે. એટલા માટે રસીને લઈને ખૂબ આશાઓ ન રાખવી.
પરંતુ હવે દસ મહિના વીતી ચૂક્યા છે અને કોરોના મહામારીની રસી આપવામાં આવી રહી છે અને આ રસીની શોધ કરવામાં જે કંપનીઓ આગળ છે, તેમાંથી અનેકની પાછળ ઘરેલુ કંપનીઓ છે.
પરિણામે, રોકાણકારોનું અનુમાન છે કે આમાંથી ઓછામાં ઓછી બે કંપની (અમેરિકાની બાયૉટેક કંપની મૉડર્ના અને જર્મનીની બાયો-ઍન-ટેક) પોતાની ભાગીદાર કંપની, અમેરિકાની ફાઇઝરની સાથે મળીને આગામી વર્ષે અબજો ડૉલરનો વેપાર કરશે.
પરંતુ એ સ્પષ્ટ નથી કે ખરેખર વૅક્સિન બનાવવાવાળા આના સિવાય કેટલા રૂપિયાનો વેપાર કરવાના છે.
જે પ્રકારે આ રસીને બનાવવા માટે ફંડ એકઠું કરવામાં આવ્યું છે અને જે પ્રકારે મોટી સંખ્યામાં કંપની વૅક્સિન બનાવવા માટે સામે આવી છે, તેનાથી એમ જ લાગે છે કે મોટો નફો કરવાની તક લાંબા સમય સુધી નહીં રહે.
કોણે લગાવ્યા છે રૂપિયા?
મહામારી દરમિયાન વૅક્સિનની જરૂરિયાતને ધ્યાને લઈને સરકાર અને ફંડ આપનારાઓએ વૅક્સિન બનાવવાની યોજના અને પરીક્ષણ માટે અબજો પાઉન્ડની રકમ આપી.
ગેટ્સ ફાઉન્ડેશન જેવાં સંગઠનોએ ખુલ્લા દિલે આ યોજનાનું સમર્થન કર્યું. આ સિવાય અનેક લોકોએ પોતે પણ આવીને આ યોજનાઓનું સમર્થન કર્યું.
અલીબાબાના ફાઉન્ડર જેક મા અને મ્યુઝિક સ્ટાર ડોલી પાર્ટને પણ આગળ આવીને યોજનાઓને ફંડ આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાયન્સ ડેટા ઍનાલિટિક્સ કંપની ઍરફિનિટી અનુસાર, કોરોના વાઇરસની રસી બનાવવા અને પરીક્ષણ માટે સરકાર તરફથી 6.5 બિલિયન પાઉન્ડ આપવામાં આવ્યા છે.
નોન પ્રોફિટ સંસ્થાઓ તરફથી 1.5 બિલિયન પાઉન્ડ આપવામાં આવ્યા.
કંપનીઓના પોતાના રોકાણથી માત્ર 2.6 બિલિયન પાઉન્ડ આવ્યા છે. તેમાંથી અનેક કંપનીઓ બહારના ફંડિંગ પર ખૂબ વધારે ભરોસો રાખે છે.
આ એક બહુ મોટું કારણ રહ્યું છે કે મોટી કંપનીઓએ વૅક્સિનની યોજનાઓને ફંડ આપવામાં ઘણી ઉતાવળ નથી દેખાડી.
ભૂતકાળમાં આ પ્રકારે ઇમરજન્સીમાં રસીનું નિર્માણ કરવું ખૂબ વધારે લાભદાયક સાબિત થયું નથી.
વૅક્સિન શોધવાની પ્રક્રિયામાં સમય લાગે છે. ગરીબ દેશોને વૅક્સિનની ઘણા મોટા પ્રમાણમાં જરૂર પડે છે. પરંતુ ઊંચી કિંમતના કારણે તેઓ લઈ શકતા નથી. ધનિક દેશોમાં દરરોજ લેવાવાળી દવાઓથી વધારે નફો કમાઈ શકાય છે.
ઝીકા અને સાર્સ જેવી બીમારીઓ માટે રસી બનાવનારી કંપનીઓને ભારે નુકસાન થયું છે. જ્યારે બીજી તરફ ફ્લૂ જેવી બીમારીઓ માટે બનેલી વૅક્સિનનું બજાર અબજોનું છે.
એવામાં જો કોરોના વાઇરસ ફ્લૂની જેમ યથાવત્ રહ્યો અને તેના માટે વાર્ષિક રીતે રસી લગાવવાની જરૂરિયાત પડી તો આ વૅક્સિન બનાવવાવાળી કંપની માટે લાભદાયક બની શકે છે. પરંતુ એ કંપનીઓ માટે જેઓ સૌથી વધારે અસરદાર રહેશે, સાથે જ બજેટમાં હશે.
કેટલી કિંમત લગાવી રહ્યા છે?
બહારથી આટલું બધુ ફંડિંગ મેળવ્યા પછી કેટલીક કંપનીઓ વૈશ્વિક સંકટના આ સમયમાં નફો બનાવતી હોય તેવું દેખાડવા નથી માગતી.
અમેરિકાની સૌથી મોટી દવા બનાવતી કંપની જેમ કે જૉનસન ઍન્ડ જૉનસન અને બ્રિટનની એસ્ટ્રાઝેનેકા ઑક્સફર્ડ યુનિવર્સિટીની બાયૉટેક કંપનીની સાથે મળીને કામ કર રહી છે.
તેમણે પોતે એવો દાવો કર્યો છે કે પોતાની વૅક્સિનની કિંમત એટલી રાખશે જેનાથી તેમનો ખર્ચ નીકળી જાય. હાલની વાત કરીએ તો એસ્ટ્રાઝેનેકાના સંદર્ભમાં માનવામાં આવી રહ્યું છે કે આની રસી સૌથી સસ્તા એટલે (4 ડૉલર એટલે અંદાજે 300 રૂપિયા પ્રતિ ડોઝ)માં મળશે.
મૉડર્ના એક નાની બાયૉટેક કંપની છે, જોકે વર્ષોથી RNA વૅક્સિનની પાછળની ટેકનિક પર કામ કરી રહી છે. તેને પ્રત્યેક ડોઝની કિંમત અંદાજે 37 ડૉલર એટલે બે હજાર સાત રૂપિયાથી થોડી વધારે છે. તેમનો ઉદ્દેશ્ય કંપનીના શેરધારકો માટે લાભ કમાવવાનો છે.
જોકે આનો એ મતલબ નથી કે આ કિંમત નક્કી કરવામાં આવી છે.
સામાન્ય રીતે દવા કંપની અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની કિંમત રાખે છે. આ સરકાર પર આધાર રાખે છે. એસ્ટ્રાઝેનેકાએ માત્ર મહામારી સુધી જ આ કિંમત રાખવાનો વાયદો કર્યો છે.
બની શકે છે કે તે આગામી વર્ષે આની કિંમત તુલનાત્મક રીતે આનાથી વધારે વસૂલે. આ સંપૂર્ણ રીતે મહામારીના સ્વરૂપ પર આધાર રાખે છે.
બાર્કલેઝમાં યુરોપિયન ફાર્માસ્યુટિકલના પ્રમુખ ઍમિલી ફિલ્ડ કહે છે, "હાલ અમીર દેશોની સરકાર વધારે કિંમત આપશે. તે વૅક્સિનના ડોઝને લઈને એટલા
અઘીરા છે કે માત્ર આ મહામારીનો કોઈ પણ રીતે અંત લાવવા માગે છે."
તેઓ આગળ કહે છે, "સંભવ છે કે આગામી વર્ષે જેમ-જેમ બજારમાં વધારે વૅક્સિન આવવા લાગશે, પ્રતિસ્પર્ધાને કારણે બની શકે કે વૅક્સિનના ભાવ પણ ઘટી જાય."
ઍરફિનિટીના ચીફ ઍક્ઝિક્યુટિવ રાસમસ બૅક હૅનસેન કહે છે, "આ બધા વચ્ચે, આપણે ખાનગી કંપનીઓ પાસે પણ આશા રાખવી ન જોઈએ. ખાસ કરીને એવી કંપની જે નાની છે અને જે કોઈ બીજા ઉત્પાદનનું વેચાણ કરતી નથી. એવામાં તેમનાથી એ આશા ન રાખવી જોઈએ કે નફાનું વિચાર્યા વિના વૅક્સિન વેચશે."
તેઓ કહે છે, "આ વાતને મગજમાં રાખવી જોઈશે કે આ કંપનીઓએ એક મોટું જોખમ ઉઠાવ્યું છે અને તે ખરેખર ઝડપથી આગળ વધી રહી છે."
તેઓ આગળ કહે છે, "અને જો તમે ઇચ્છો છો કે આ નાની કંપનીઓ ભવિષ્યમાં પણ કામયાબ હોય તો તેમણે આ રીતે પુરસ્કૃત કરવાની જરૂરિયાત છે."
પરંતુ કેટલાક માનવતાવાદી સંકટની સ્થિતિ અને સાર્વજનિક નાણાકીય પોષણને લઈને ભિન્ન મત મૂકવા માગે છે. એમના માટે, આ હંમેશાંની જેમ વેપારનો સમય નથી.
તેમની ટેકનૉલૉજી શૅર કરવી જોઈએ?
હાલ જ્યારે આટલું બધું દાવ પર લાગ્યું છે ત્યારે આ પ્રકારની માગ થઈ રહી છે કે આ વૅક્સિનની પાછળની આખી ટેકનિક અને જાણકારીને શૅર કરે જેથી બીજા દેશ, ઉદાહરણ તરીકે જે કંપની ભારત અને દક્ષિણ આફ્રિકામાં છે, તે વૅક્સિનના ડોઝને પોતાના બજારમાં બનાવી શકે.
મેડિસીન્સ લૉ ઍન્ડ પૉલિસીના ઍલેન ટી હોએન કહે છે, "પબ્લિક ફંડિંગ મેળવવા માટે આ એક શરત હોવી જોઈએ."
તેઓ કહે છે, "જ્યારે મહામારીની શરૂઆત થઈ હતી ત્યારે મોટી ફાર્મા કંપનીઓ વૅક્સિનને લઈને ખૂબ જ ઉત્સાહ દેખાડતી ન હતી. પરંતુ જ્યારે સરકાર અને એજન્સીઓ ફંડની સાથે આગળ આવ્યા તો તેમણે આના પર કામ કરવું પડ્યું."
હોએન કહે છે, "તેમને નથી સમજાતું કે કેમ તેમની પાસે પરિણામમાંથી લાભ મેળવવાનો વિશેષાધિકાર હોય."
તેઓ કહે છે, "આ નવી શોધ આગળ ચાલીને આ વેપારી સંગઠનોની વ્યક્તિગત સંપત્તિ બની જાય છે."
જોકે બૌદ્ધિક સ્તરે લોકો એકબીજાની સાથે કેટલીક વસ્તુઓ શૅર કરી રહ્યા છે, પરંતુ આ કોઈપણ સ્થિતિમાં પર્યાપ્ત નથી.
ફાર્મા કંપનીઓ બમ્પર નફો કમાશે?
સરકાર અને બહુપક્ષીય સંગઠનોએ પહેલાં જ નિર્ધારિત કિંમતે અબજો ડોઝ ખરીદવાનો સંકલ્પ કર્યો છે. એવામાં આગામી કેટલાક મહિનાઓ સુધી તે કંપનીઓ તે ઑડરોને જેટલા વહેલા થઈ શકે તેટલા જલદી પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશે.
જે લોકો વૅક્સિનના ડોઝ અમીર દેશોમાં વેચી રહ્યા છે તેઓ પોતાના રોકાણ પર રીટર્નની આશા કરવા લાગ્યા છે. જોકે એસ્ટ્રાઝેનેકાએ સૌથી વધારે ડોઝ આપવા છતાં તેના ખર્ચને પૂર્ણ કરવા પર ધ્યાન લગાવશે.
પહેલાં માગ પૂર્ણ થયા પછી એ અનુમાન કરવું થોડું મુશ્કેલ છે કે વૅક્સિનને લઈને આગળની સ્થિતિ શું હશે. કારણ કે આ અનેક વસ્તુઓ પર આધાર રાખે છે.
જેમને વૅક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે તેમની કોરોના સામેની રોગપ્રતિકારક ક્ષમતા ક્યાં સુધી રહેશે. કેટલી વૅક્સિન સફળ થઈ શકે છે અને વૅક્સિનનું નિર્માણ અને વિતરણ કેટલું સારી રીતે થઈ શકે છે.
બાર્કલેઝનાં ઍમિલી ફિલ્ડ કહે છે, "નફો કરવાની તક 'ઘણી અસ્થાયી' હશે."
ભલે જે લોકો હાલ વૅક્સિન બનાવવાની રેસમાં આગળ છે અને પોતાની બૌદ્ધિક સંપત્તિને બીજા સાથે શૅર કરી રહ્યા નથી પરંતુ દુનિયાભરમાં 50 એવી વૅક્સિન બનાવવામાં આવી રહી છે જે ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં છે.
ઍમિલિ ફિલ્ડના જણાવ્યા પ્રમાણે, "આવાનારાં બે વર્ષોમાં બની શકે છે કે બજારમાં 20 વૅક્સિન હોય. એવામાં વૅક્સિન માટે ઘણી વધારે કિંમત વસૂલવી મુશ્કેલ બનતી જઈ રહી છે."
તેઓ માને છે કે લાંબાગાળે આની અસર કંપનીની શાખ પર પડી શકે છે. જો કોઈ વૅક્સિન સફળ થઈ જાય છે તો તે કોરોના વાઇરસના ઉપચાર અથવા આની સાથે જોડાયેલાં અન્ય ઉત્પાદનોના વેચાણના દરવાજા ખોલવામાં મદદ કરી શકે છે.
ઍરફિનિટીના હૅનસેન કહે છે કે જો એવું થાય છે તો આ મહામારીના આકરા સમયમાંથી નીકળીને એક રાહત આપનારી વાત હોઈ શકે છે.
તેઓ સરકાર પાસેથી આશા રાખે છે કે સરકારે મહામારીના સંદર્ભમાં રણનીતિ બનાવવામાં રોકાણ કરવું જોઈએ. એ જ પ્રકારે જેમ આજે તેઓ સંરક્ષણ અને બચાવ માટે કરી રહ્યા છે.
આ બધામાં સૌથી વધારે ધ્યાન આપવાની અને પ્રભાવિત કરનારી વાત તો એ છે કે છેવટે બાયૉ-એન-ટેક અને મૉડર્નાની બજાર કિંમત અચાનક ઉપર પહોંચી ગઈ છે. એવું એટલા માટે કારણ કે તેમની રસી તેમની RNA ટેકનૉલૉજી અવધારણાનું પ્રમાણ આપે છે.
કોરોના વાઇરસ પહેલાં સુધી બાયૉ-ઍન-ટેક ચામડીના કૅન્સર માટે એક રસી પર કામ કરી રહી હતી અને મૉડર્ના ઑવેરિયન કૅન્સર માટે RNA આધારિત વૅક્સિન પર. જો આમાં કોઈ પણ સફળ થાય છે તો તેમના માટે મોટી ઉપલબ્ધિ હશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો