You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદુ-મુસ્લિમનાં લગ્ન રોકવા એ મધ્ય પ્રદેશ સરકારની પ્રાથમિકતા કેમ છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ડિસ્ક્લેમર : ભારતના 'હાલના કાયદામાં 'લવ જેહાદ' શબ્દને વ્યાખ્યાયિત કરાયો નથી. કોઈ પણ કેન્દ્રીય એજન્સી દ્વારા 'લવ જેહાદ'નો કોઈ મામલો નોંધાયો હોવાની જાણકારી નથી.'
રિપોર્ટની શરૂઆતમાં આ પ્રકારના ડિસ્ક્લેમરનો ખાસ સંદર્ભ છે. ઉપર લખેલું વાક્ય કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી તરફથી 4 ફેબ્રુઆરી, 2020ના રોજ લોકસભામાં અપાયેલ એક તારાંકિત પ્રશ્નના જવાબનો અંશ છે.
સામાન્ય રીતે કોઈ પણ રિપોર્ટમાં આ પ્રકારનું ડિસ્ક્લેમર અંતે જોવા મળે છે. પરંતુ આ રિપોર્ટમાં આ શબ્દનો પ્રયોગ જાતે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કર્યો છે. આ કારણે જ્યાંજ્યાં આ શબ્દનો ઉપયોગ કરાયો છે તેને આ સંદર્ભમાં જ સમજશો.
બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન રોકવા માટે મધ્ય પ્રદેશ સરકાર 'ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2020' લાવવાની તૈયારીમાં છે.
આ સાથે જ મધ્ય પ્રદેશ એ ભાજપશાસિત રાજ્યોની સૂચિમાં સામેલ થઈ ગયું છે જેમણે પાછલા અમુક મહિનાઓમાં આ પ્રકારનું બિલ લાવવાની તૈયારી દર્શાવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને આસામ પણ સરકાર આવાં બિલ લાવવાની તૈયારીમાં છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ બિલની જોગવાઈઓ અને તેની જરૂરિયાત અંગે બીબીસી સાથે વાતચીત કરી છે.
આગામી બિલની જોગવાઈઓ અંગે ચર્ચા કરતાં તેમણે બીબીસીને કહ્યું, "જો કોઈ વ્યક્તિ ભોળવીને, ફોસલાવીને, દબાણવશ લગ્ન કરે છે કે ધર્મપરિવર્તન કરે છે અથવા 'લવ'ની આડશમાં 'જેહાદ' તરફ લઈ જાય છેતો તેને પાંચ વર્ષની કઠોર કેદની સજા કરવામાં આવશે."
"આ અપરાધ બિનજામીનપાત્ર હશે. સાથે જ આ અપરાધમાં સહયોગ કરનાર, ભલે પછી તે પરિવારજન હોય કે મિત્રો, તે તમામને પણ એ જ શ્રેણીના ગુનેગાર ગણવામાં આવશે જે શ્રેણીનો અપરાધી ધર્મપરિવર્તન કરનારને માનવામાં આવશે."
"બધા અપરાધીઓને એકસમાન જ સજા કરવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે 'લવ જેહાદ'?
સ્પષ્ટ છે કે નરોત્તમ મિશ્રા શરૂઆતમાં 'લવ જેહાદ' શબ્દનો ઉલ્લેખ કરવાથી બચી રહ્યા હતા. આ જ કારણે તેમણે શરૂઆતમાં આ બંને શબ્દોનો અલગ-અલગ તોડીને ઉપયોગ કર્યો.
પરંતુ આખરે તેઓ આ બંને શબ્દોનો ઉપયોગ અલગઅલગ કેમ કરી રહ્યા હતા? અથવા તેને એકસાથે ઉચ્ચારવાથી કેમ બચી રહ્યા હતા?
જ્યારે આ સીધોસટ પ્રશ્ન તેમને કરાયો ત્યારે તેમણે પોતાના જવાબમાં કહ્યું કે, "હું બોલી રહ્યો છું, આ કાયદામાં 'લવ જેહાદ' પણ સામેલ છે. હું ક્યાં એ ઉચ્ચારવાથી બચી રહ્યો છું."
અહીં એ જાણવું જરૂરી છે કે "ભારતના હાલના કાયદામાં 'લવ જેહાદ' પણ સામેલ છે. હું ક્યાં બચી રહ્યો છું."
અહીં એ જાણવું પણ જરૂરી છે કે, "ભારતના હાલના કાયદામાં 'લવ જેહાદ' શબ્દને પરિભાષિત નથી કરાયો. કોઈ પણ કેન્દ્રીય એજન્સી દ્વારા 'લવ જેહાદ'નો કોઈ પણ મામલો સૂચિત નથી કરાયો."
ઉપરોક્ત વાક્ય કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડી તરફથી ચાર ફેબ્રુઆરી, 2020ના રોજ લોકસભામાં અપાયેલા એક તારાંકિત પ્રશ્નના જવાબનો અંશ છે.
જે શબ્દને કેન્દ્રીય ગૃહમંત્રાલય સ્વીકાર નથી કરતું, આખરે એક રાજ્યના ગૃહમંત્રી એ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરી શકે? તેમની સમજ પ્રમાણે 'લવ જેહાદ'ની વ્યાખ્યા શું છે?
આ પ્રશ્નના જવાબમાં નરોત્તમ મિશ્રા જણાવે છે કે, "ધર્મપરિવર્તન કરવુ, લાલચ આપવી, પ્રલોભન આપવું અને લગ્ન કરવાં અને લગ્ન બાદ અમારી દીકરીઓ જે રીતે પરેશાન થાય છે, એવા બધા લોકો આમાં સામેલ છે, જેને મીડિયાએ 'લવ જેહાદ'નું નામ આપ્યું છે."
મધ્ય પ્રદેશ વિધાનસભાના આગામી સત્રમાં રાજ્ય સરકાર આ બિને લાવવાની તૈયારીમાં છે.
નરોત્તમ મિશ્રાનું કહેવું છે કે અત્યાર સુધી જે મામલા મધ્ય પ્રદેશમાં સામે આવ્યા છે તે એક ખાસ ધર્મ સાથે જોડાયેલા હોઈ શકે છે. પરંતુ રાજ્યમાં જે કાયદો આવશે. તે તમામ ધર્મપરિવર્તન પર સમાનપણે લાગુ થશે.
આખરે કેટલા મામલા?
આવા મામલાઓનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે હરિયાણામાં આવા બે મામલા સામે આવી ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશમાં ત્રણ મામલા થઈ ચૂક્યા છે અને મધ્ય પ્રદેશમાં પણ આવા મામલા સામે આવ્યા છે. બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન જ નહીં, હત્યા પણ થઈ રહી છે.
મધ્ય પ્રદેશમાં બળજબરીથી ધર્મપરિવર્તનના આવા કેટલા મામલા એક વર્ષમાં આવ્યા છે, તેના આંકડા ગૃહમંત્રી પાસેથી માગવામાં આવ્યા.
તેમનું કહેવું હતું કે હાલ તેમની પાસે આવા કોઈ આંકડા હાજર નથી. જોકે, તેમણે એટલું જરૂર કહ્યું કે બે-ત્રણ વર્ષમાં આવા મામલાની સંખ્યા સેંકડોમાં હશે, હજારોમાં નહીં.
એટલે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી અનુસાર 'ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2020' જે અપરાધ માટે લાવવામાં આવી રહ્યો છે, તેવા અપરાધોની સંખ્યા બહુ મોટી નથી.
મધ્ય પ્રદેશમાં પહેલાંથી છે ધર્મપરિવર્તન માટેનો કાયદો
આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે મધ્ય પ્રદેશમાં પહેલાંથી જ ધર્મપરિવર્તન કાયદો છે જ.
વર્ષ 2013માં મધ્ય પ્રદેશમાં ધર્મપરિવર્તન કાયદામાં સંશોધન કરીને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવા પર દંડની રકમ દસ ગણી વધારી દેવાઈ હતી અને સજાની જોગવાઈ એક વર્ષથી વધારીને ચાર વર્ષ કરી દેવાઈ હતી.
આટલું જ નહીં, ધર્મપરિવર્તન પહેલાં જિલ્લા મૅજિસ્ટ્રેટની અનુમતિ પણ જરૂરી બનાવી દેવાઈ હતી.
ત્યારે પણ રાજ્યના ખ્રિસ્તી સમુદાયે સરકારના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે ભાજપ સરકારે વર્ષ 2006માં પણ ફરી એક વાર ધર્માંતરણ વિરોધી બિલમાં સંશોધન કરાયું હતું, પરંતુ રાષ્ટ્રપતિએ તેને મંજૂરી નહોતી આપી.
આવી પરિસ્થિતિમાં એ પ્રશ્ન ઊઠે છે કે આખરે નવા કાયદાની શી જરૂર છે? આ અંગે રાજ્યના ગૃહમંત્રીનું કહેવું છે કે જૂના બીલમાં સંશોધન કરીને નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.
સ્પેશિયલ મૅરેજ ઍક્ટ
આ સિવાય સ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954 પણ છે, ભારતમાં મોટા ભાગનાં લગ્ન અલગ-અલગ ધર્મોના કાયદા અને 'પર્સનલ લૉ' અંતર્ગત થાય છે. આ માટે પુરુષ અને સ્ત્રીઓ બંનેનો ધર્મ એક જ હોવો જરૂરી છે.
એટલે કે અલગ-અલગ ધર્મના લોકોએ એકબીજા સાથે લગ્ન કરવા હોય તો તેઓ પૈકી એકે ધર્મ બદલવો પડશે પરંતુ દરેક વ્યક્તિ લગ્ન માટે પોતાનો ધર્મ બદલવા માગે તે જરૂરી નથી.
આ સમસ્યાના નિવારણ માટે જ સંસદે 'સ્પેશિયલ મૅરેજ ઍક્ટ' ઘડ્યો હતો.
જે અંતર્ગત અલગ-અલગ ધર્મનાં પુરુષ અને સ્ત્રી ધર્મપરિવર્તન વગર કાયદેસર રીતે લગ્ન કરી શકે છે. આ કાયદો હિંદુ મૅરેજ ઍક્ટ અંતર્ગત થનાર કોર્ટ મૅરેજ કરતાં અલગ છે.
સંવિધાન મારફતે મળ્યો અધિકાર
ભારતના સંવિધાનમાં દરેક વ્યક્તિને એ વાતની આઝાદી આપવામાં આવી છે કે તે પોતાની મરજીથી પોતાનો ધર્મ અને વયસ્ક થયા બાદ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે.
આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારનો કાયદો આ જોગવાઈનો અમલ કઈ રીતે સુનિશ્ચિત કરશે કે છોકરીની મરજીથી ધર્મપરિવર્તન થઈ રહ્યું છે કે કેમ?
આ પ્રશ્નના જવાબમાં નરોત્તમ મિશ્રા જણાવે છે કે, "આ કાયદામાં જોગવાઈ છે કે છોકરી-છોકરાએ પોતાની મરજીથી લગ્ન કરવા માટે જિલ્લા મૅજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. ત્યાર બાદ જિલ્લા મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તપાસ કરીને મંજૂરી આપશે કે અરજી નકારશે."
"બંને પરિસ્થિતિમાં છોકરા-છોકરી બંનેને માહિતગાર કરાશે. જો કોઈ પણ ખોટું ધ્યાનમાં આવશે તો આવી રીતે કરાયેલાં લગ્ન રદબાતલ ગણવામાં આવશે."
"લગ્ન બાદ પણ જો છોકરીના પરિવાર તરફથી એવી કોઈ ફરિયાદ કરવામાં આવે છે કે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાયું છે, તો આવી પરિસ્થિતિમાં પણ કાર્યવાહી કરી શકાશે. ધર્મપરિવર્તન કાયદામાં આ અંગે પણ ઉલ્લેખ હશે."
તેઓ આગળ જણાવે છે કે, "સંવિધાન અંતર્ગત ધર્મ અને લગ્નની જે સ્વતંત્રતાના જે અધિકારો નાગરિકોને અપાયા છે. આ કાયદો તેને પડકારતો નથી."
"પરંતુ લગ્ન કે ધર્મપરિવર્તન સ્વેચ્છાએ કરાઈ રહ્યું છે કે દબાણ કે લાલચમાં આવીને કરાઈ રહ્યું છે, તેની તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી જો આવા 100 મામલા સામે આવ્યા છે, તો તે પૈકી 90 મામલામાં વિસંગતિ જોવા મળી છે. જેમાં અમારી દીકરીઓ પરેશાન અને દુ:ખી છે."
વિપક્ષના આરોપ
એક ઉદાહરણ આપતાં નરોત્તમ મિશ્રાએ પ્રશ્ન કર્યો કે આવાં લગ્નોમાં 'અનવર' 'અનિલ' (કાલ્પનિક નામ)નું નામ રાખીને લગ્ન કેમ કરી રહ્યો છે? શું આ વાત આપત્તિજનક નથી?
ખરેખર આ જ ઉદાહરણ સમગ્ર વિવાદનું અસલ કારણ છે.
ગૃહમંત્રીના ઉદાહરણથી એવું લાગે છે કે કથિત 'લવ જેહાદ'ના મામલામાં મુસ્લિમ છોકરા, હિંદુ છોકરાનું નામ રાખીને છોકરીઓને ફોસલાવે છે, લગ્ન કરે છે અને પછી બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવે છે.
20 નવેમ્બરે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતે કથિત 'લવ જેહાદ'ના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીની મંશા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
તેમણે ગત શુક્રવારે આ મુદ્દે ત્રણ ટ્વિટ કર્યાં.
તેમણે લખ્યું કે "દેશને વિભાજિત કરવા અને સાંપ્રદાયિક સદ્ભાવની પરિસ્થિતિ બગાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ 'લવ જેહાદ' જેવા શબ્દનું નિર્માણ કર્યું છે."
અશોક ગહલોત અનુસાર, "વિવાહ વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે. તેના પર અંકુશ લાવવા માટે એક કાયદો લઈ આવવો, સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને આ કાયદો કોઈ પણ કોર્ટમાં ટકી નહીં શકે. પ્રેમમાં જેહાદને કોઈ સ્થાન નથી હોતું."
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે ભાજપ નેતાઓને નિશાન પર લેતાં કહ્યું કે ભાજપના નેતાઓનાં પરિવારજનોએ પણ અન્ય ધર્મમાં લગ્ન કર્યાં છે, શું એ બધાં લગ્ન પણ 'લવ જેહાદ'ની મર્યાદામાં આવશે?
કૉંગ્રેસની આપત્તિઓ અંગે નરોત્તમ મિશ્રા જણાવે છે કે, "આ માત્ર કૉંગ્રેસના મુખ્ય મંત્રી કહે છે, આ લોકો અપ્રત્યક્ષપણે આતંકવાદનું સમર્થન કરે છે. રાહુલ ગાંધી એવા લોકોને મળવા જાય છે જે ભારતને તોડવાની વાતો કરે છે."
છોકરી મુસ્લિમ અને છોકરો હિંદુ, તો શું?
આ પ્રશ્ન પૂછવા પર કે જો છોકરી મુસ્લિમ હોય અને છોકરો હિંદુ હોય અને બંને લગ્ન કરે, છોકરી ધર્મપરિવર્તન કરે, તો શું આ પરિસ્થિતિ 'લવ જેહાદ' માનવામાં આવશે?
નરોત્તમ મિશ્રા કહે છે કે, "જો આ મામલે તેમના પરિવાર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવશે, તો કાર્યવાહી જરૂર થશે. જે કોઈ 'લવ જેહાદ' તરફ દોરશે, તે ગુનેગાર હશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો