બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત-અમેરિકા સંબંધો કેટલા ઉષ્માપૂર્ણ રહેશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને તેઓ સત્તાવાર રીતે 20મી જાન્યુઆરીથી પદગ્રહણ કરશે.

જોકે ટ્રમ્પ હજુ હાર માનવા તૈયાર નથી અને ચૂંટણી પરિણામોમાં ગોટાળો થયો છે તેનું રટણ કર્યા કરે છે.

તેમના સમર્થકો પણ હથિયારો લઈ રસ્તે ઊતરી આવ્યા છે. બાઇડનની જીતથી દુનિયાની નજર અમેરિકાની રાજનીતિમાં થનારા બદલાવ પર છે. ઈરાને આશા વ્યક્ત કરી છે કે બાઇડનના આવવાથી નવેસરથી વાટાઘાટોના દ્વાર ખૂલશે.

એ જ રીતે બાઇડનના આવવાથી વિશ્વની રાજનીતિ તેમજ વ્યાપાર નીતિ અને પર્યાવરણ સમજૂતીઓ તેમજ અન્ય સમજૂતીઓ ઉપર બાઇડનનો નિર્ણય અસર કરશે.

દુનિયાના બીજા દેશોએ બાઇડનને અભિનંદન આપ્યાં છે. જ્યારે ચીન, રશિયા અને મેક્સિકોએ અભિનંદન આપ્યાં નથી.

વળી રશિયાના ઇલેક્શન ચીફ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જે રીતે લોકોએ મોટા પાયે મેઇલ થકી મતદાન કર્યું છે, તેમાં ગોટાળાની આશંકા છે.

હવે ભારત સંબંધે બાઇડનનું વલણ અત્યાર સુધી કેવું રહેવા પામ્યું છે અને તેમના રાષ્ટ્રપતિ બનવાથી ભારતને શું અસર થશે તેની ચર્ચા આજે કરીશું.

અત્યાર સુધી બાઇડનની નીતિ ભારત તરફ કેવી રહી?

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના સમય ગાળામાં એશિયા-પૅસિફિક પર એક વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર થયું હતું, જે આ ક્ષેત્રે ચીન સામેના પડકારનો સામનો કરવા માટે હતું.

જોકે પછી 2015માં ભારત અને અમેરિકાએ એશિયાઈ પ્રશાંત અને હિન્દ મહાસાગર ક્ષેત્ર માટે સંયુક્ત રણનીતિ તૈયાર કરી હતી જેનો ઉદ્દેશ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન પર અમેરિકાનું દબાણ રાખવાનો હતો.

જોકે હવે બાઇડન આ સંદર્ભે આખી નીતિને બદલી હોઈ ચીન સામે મધ્યમવર્તી ઉકેલ લાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

બાઇડન જ્યારે બન્ને સેનેટની વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ અને ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે બાઇડને અમેરિકા-ભારત સબંધોના ભવિષ્ય માટે પોતાનો વિચાર જાહેર કર્યો હતો.

એક વખતે સેનેટર ઓબામા જ્યારે ભારત-અમેરિકા પરમાણુ સમજૂતીના સમર્થનમાં ખચકાટ અનુભવતા હતા.

તે સમયે બાઇડને તેનું નેતૃત્વ લીધું અને 2008માં અમેરિકાની કૉંગ્રેસમાં પરમાણુ સમજૂતીને મંજૂરી આપવા માટે ડેમૉક્રેટ અને રિપબ્લિકન બંનેને સાથે લઈને મંજૂરી અપાવી હતી, જેમાં બાઇડનને મુખ્ય ભાગ ભજવ્યો હતો.

જો બાઇડન અમેરિકાના ઉપપ્રમુખ હતા ત્યારે અમેરિકાએ સત્તાવાર રીતે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સદસ્યતા માટે સમર્થન આપ્યું હતું.

ઓબામા-બાઇડને ભારતને એક સમયે મોટું સંરક્ષણ પાર્ટનર દેશ ગણાવ્યું હતું.

બરાક ઓબામા સરકાર તેઓ વખતે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે વેપારથી માંડી વિદેશનીતિમાં પણ તેમનું વલણ ભારતતરફી રહ્યું હતું.

બાઇડનના રાષ્ટ્રપતિ બનવા સાથે ભારતની અપેક્ષાઓ

બાઇડન અમેરિકા-ભારત વચ્ચે થયેલી સુરક્ષા સમજૂતીને મજબૂત કરશે.

બાઇડને કહ્યું હતું કે ઇલેકટરલ કૅમ્પેન દરમિયાન દક્ષિણ એશિયામાં આતંકવાદ માટે કોઈ ઉદારતા ન દાખવી શકાય. કમલા હેરિસ માનવ-અધિકાર માટે કામ કરવા માટે જાણીતાં છે.

ભારતે કાશ્મીરમાં આર્ટિકલ 370 હઠાવવાનો નિર્ણય લીધો, જેનું ટ્રમ્પ સરકારે તો સમર્થન કર્યું હતું પરંતુ બાઇડન અને કમલા હેરિસ શું કરશે તે તો સમય જ બતાવશે.

ભારત સરકારના વલણ અને તેણે લીધેલાં કેટલાંક પગલાંઓથી નારાજ થઈ ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં પોતાની ઑફિસો બંધ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આની વિપરીત અસર પડી શકે.

ડેમૉક્રેટ સહેજ ડાબેરી ઝોકવાળી અને માનવ-અધિકારને સમર્થન આપનાર પાર્ટી છે. તે જોતાં આ મુદ્દો બંને દેશો વચ્ચેના સંબંધોમાં ક્યારેક દૂધપાકના તપેલામાં લીંબુ નિચોવવાનું કામ કરે તો નવાઈ પામવા જેવુ નહીં હોય.

જે લોકો ગ્રીનકાર્ડ કે એચ-વનબી વિઝા માટે રાહ જોઈ રહ્યા છે, તેવા ભારતીયો માટે અમેરિકા સ્થળાંતર કરવા અથવા વસવાટ કરવા માટેના નિયમો હળવા કરાય એવું શક્ય છે.

આઉટ સોર્સિંગના નિયમો હળવા કરાશે. ડેમૉક્રેટિક પ્રૅસિડેન્ટ આરોગ્યસેવાઓ પરનો ખર્ચ વધારશે, જે ભારતીય ફાર્મા સેક્ટર માટે વધુ અનુકૂળ પુરવાર થઈ શકે છે.

ભારત-અમેરિકાના વેપાર સંબંધોની વાત કરીએ તો એ અંગેની વિગતો પર નજર નાખતાં 2019ના વર્ષમાં અમેરિકાએ 58.6 અબજ ડૉલર જેટલી કિંમતની ગુડ્ઝ અને સર્વિસીસ ભારતમાં નિકાસ કરી તે સામે 87.4 અબજ ડૉલર જેટલી આયાત કરી હતી.

આમ અમેરિકા-ભારત વચ્ચેના આયાત-નિકાસ વેપારમાં 28.8 અબજ જેટલી વેપારપુરાંત ભારતના હિસાબે આવે છે તે વધુ સુદ્રઢ બનશે.

આ બાબતે વુડરો વિલ્સન સેન્ટરના સિનિયર ઍસોસિયેટ માઇકલ કુલગેલમૅને કહ્યું છે. બાઇડન લાંબા સમયથી મિત્ર રહ્યા છે, તેથી ભારત માટે સારા સમાચાર છે.

છેલ્લાં 20 વર્ષમાં અમેરિકાના જે-જે રાષ્ટ્રપતિ આવ્યા, તેમનું વલણ ભારત પ્રત્યે સારું રહ્યું છે. બાઇડન પણ આ પરંપરા જાળવી રાખશે.

ભારતના અમેરિકા સાથેના અગાઉના સંબંધોમાં વ્યક્તિગત રીતે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખભે ઊંચકીને ચાલવાની જે નીતિ હતી તે રસ્તે સડસડાટ દોડતી પોતાની ગાડીને ભારત કેટલી કુશળતાથી યુ-ટર્ન કરાવી શકે છે, તેના પર બંને દેશના વડાઓના સ્તરે સંબંધોની મધુરતા કેવી રહેશે તેનો આધાર છે.

વિદેશમંત્રી જયશંકર માટે આ કામને અંજામ આપવો સરળ નહીં હોય.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો