You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : ઔવેસીએ શું કહ્યું?
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને સાંસદ અસદઉદ્દીન ઔવેસીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ ઇતિહાસનો એક કાળો દિવસ છે અને ગુનેગારોને ક્લિનચીટ આપવામાં આવી રહી છે.
એમની પત્રકારપરિષદની મુખ્ય વાતો
- આ અંતિમ નિર્ણય નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ હોય છે. કોર્ટના નિર્ણયથી અસહમત થવું અદાલતનો અનાદર નથી. આપે જ ચાર્જશીટમાં લખ્યું છે કે ઉમા ભારતીએ કહ્યું, 'એક ધક્કા ઔર દો', કલ્યાણ સિંહે કહ્યું, 'નિર્માણ પર રોક હૈ, તોડને પર નહીં.' આ ઇતિહાસનો કાળો દિવસ છે. આજે ગુનેગારોને ક્લિનચીટ અપાઈ રહી છે.
- સીબીઆઈ અપીલ કરશે કે કેમ એ જોવાનું છે. તેણે પોતાની સ્વતંત્રતા ચાલુ રાખવી હોય તો અપીલ કરવી જોઈએ. જો એ નહીં કરે તો અમે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડથી કહીશું કે તે આના વિરુદ્ધ અપીલ કરે. એ દિવસ જાદુ થયો હતો કે શું?આખરે આ કોણે કર્યું? જણાવો કે મારી મસ્જિદને કોણે શહીદ કરી?
- બાબરી મસ્જિદના વિધ્વંસના દોષિતોને દોષમુક્ત કરીને સંદેશ અપાયો છે કે કાશી-મથુરામાં પણ આવું જ કરતા ચાલો. રુલ ઑફ લૉની ચિંતા નથી. તેઓ કરતા જશે અને ક્લિનચીટ મળતી જશે.
- દલિતો અને મુસલમાનોના મામલે ન્યાય નથી થતો. આખી દુનિયા સામે ઘટી છ ડિસેમ્બર. કોઈ કહે છે કે ભૂલી જાઓ. આગળ વધો. કઈ રીતે ભૂલી જઈએ. શું સંદેશ આપી રહ્યા છે આ ચુકાદાથી?
લગભગ ત્રણ દાયકા બાદ ચુકાદો
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌમાં સીબીઆઈની વિશેષ કોર્ટ 30મી સપ્ટેમ્બરે ચુકાદો આપ્યો.
કોર્ટે આ મામલે ભાજપના માર્ગદર્શક મંડળના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે આ કૃત્ય પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ(AIMPLB)ના વકીલ ઝફરયાબ જિલાનીએ આ ચુકાદા બાદ જણાવ્યું કે કોર્ટે રજૂ કરાયેલા તમામ પુરાઓને અવગણ્યા હતા અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
તેમણે આ મામલે હાઈકોર્ટમાં જવાનું પણ જણાવ્યું છે.
નોંધનીય છે કે સોળમી સદીમાં મોઘલ બાદશાહ બાબરના સમયમાં બનેલી બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકોની એક ભીડે તોડી પાડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ સમગ્ર દેશમાં સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં, જેમાં કેટલાય લોકો માર્યા ગયા હતા. એ બાદ બાબરી મસ્જિદ વિધ્વંસના મામલે બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પ્રથમ એફઆઈઆર મસ્જિદને તોડી પાડનારા કારસેવકો વિરુદ્ધ, જ્યારે બીજીમાં ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસ સાથે સંકળાયેલા આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમના પર રામકથા પાર્કમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો