રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

રાજ્યસભાના ચોમાસુ સત્રની કાર્યવાહી સમય પહેલાં જ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

આ બધાની વચ્ચે વિપક્ષે રાજ્યસભા અને લોકસભામાં રજૂ કરાયેલા કૃષિ વિધેયકના વિરોધમાં પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

બુધવારે પાંચ વાગે કૉંગ્રેસના સંસદ સભ્ય અને રાજ્યસભાના વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે

સંસદની બહાર વિપક્ષે ધરણા કર્યા હતા. જોકે આ દરમિયાન રાજ્યસભામાં ત્રણ લેબર કોડ બિલને રજૂ કરવામાં આવ્યા હતા. તેમને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસ પાર્ટી અને બીજા અનેક મજૂર સંગઠનોએ આનો વિરોધ કરી રહ્યા છે.

PM મોદીએ 2015થી 2019 સુધી 58 દેશોનો પ્રવાસ કર્યો, 500 કરોડથી વધુનો ખર્ચ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2015થી નવેમ્બર 2019 વચ્ચે કુલ 58 દેશોની યાત્રા કરી અને આ વિદેશપ્રવાસો ઉપર કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

એનડીટીવી ઇન્ડિયા વેબસાઈટની ખબર અનુસાર રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને એમ પણ જણાવ્યું કે " વડા પ્રધાનના આ પ્રવાસોથી દ્વિપક્ષી, ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દૃષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજ વધી અને સંબંધોમાં મજબૂતી આવી છે."

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી )નાં ફૌજીયા ખાનના આ વિશેના સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આ જાણકારી આપી.

મુરલીધરને કહ્યું કે ભારત હવે જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય અપરાધ અને આતંકવાદ, સાઇબર સુરક્ષા અને પરમાણુ અપ્રસાર સહિત બહુપક્ષીય સ્તરે વૈશ્વિક ઍજન્ડાને સાકાર કરવામાં આગળ વધીને યોગદાન આપી રહ્યું છે.

તેમણે કહ્યું કે સંબંધોમાં આવેલી આ મજબૂતીએ આપણા આર્થિક વિકાસને વધારવામાં અને

આપણા નાગરિકોની ભલાઈ માટે રાષ્ટ્રીય વિકાસ ઍજન્ડામાં યોગદાન આપ્યું છે.

ભારત અને ચીન સરહદ પર વધુ સૈનિકો ન મોકલવા માટે સહમત થયા

ભારત અને ચીન શ્રેણીબદ્ધ પગલાં વડે સરહદ પર તણાવ વધુ ન વધારવા અને વધુ સૈનિકો સીમા પર ન મોકલવા વિશે સંમત થયા છે.

ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અખબારના અહેવાલ પ્રમાણે સોમવારે બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની ચાલેલી લાંબી બેઠકમાં સરહદ પર હાલની તણાવની સ્થિતિમાં ઘટાડવા બાબતે કોઈ નિર્ણય પર પહોંચી ન શકાયું.

સોમવારે બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે 14 કલાક લાંબી બેઠક ચાલી હતી પરંતુ તેમ છતાં સરહદ પર પાંચ મહિનાથી ચાલી રહેલા સૈન્ય ઘર્ષણમાં ઘટાડા બાબતે કોઈ નિર્ણય ન લઈ શકાયો.

મંગળવારે જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં એમ પણ કહેવાયું કે બંને દેશોના સૈન્ય એક તરફી રીતે જમીની પરિસ્થિતિમાં બદલાવ કરવાથી દૂર રહેશે અને એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી પરિસ્થિતિ વધુ જટીલ બને.

સાથે જ બંને પક્ષો સ્થાનિક કમાન્ડર સ્તરે એકબીજા સાથેના સંપર્કને વધુ મજબૂત બનાવશે જેથી ગેરસમજ અને પરિસ્થિતિના ખોટા આકલનને ટાળી શકાય.

સુરત પોલીસે હોટલમાંથી ઝડપ્યો એક કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો

સુરત પોલીસે તેના ડ્રગ્સવિરોધી અભિયાન હેઠળ શહેરના ડુમસ રોડ પર આવેલી એક હોટલમાંથી એક કરોડ રૂપિયાની કિંમતના પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો.

ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અખબારના અહેવાલ પ્રમાણે પોલીસે આ કાર્યવાહીમાં સલમાન નામના એક કુરિયર યુવકને પણ ઝડપી પાડયો.

બાતમીના આધારે સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓએ ડુમસ રોડ હોટેલ પર છાપો માર્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કુરિયર યુવક સુરતમાં ડ્રગ્સની ડિલીવરી માટે આવ્યો હોવાનું ખૂલ્યું.

સુરત પોલીસે મંગળવારની સવારથી શહેરમાં ડ્રગ્સવિરોધી અભિયાન હેઠળ અનેક જગ્યાએ છાપા મારી કરી હતી. સુરતના પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું "આરોપીને પકડી પાડયા પછી હવે સુરત પોલીસ ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલું સમગ્ર નેટવર્ક ખુલ્લું પાડવા માગે છે."

કૉલેજ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય 1 નવેમ્બરથી શરૂ કરી શકાય - UGC

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)એ મંગળવારે 2020-21ના શૈક્ષણિક સત્ર માટે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટેના શિક્ષણકાર્યની સુધારેલી ગાઇડલાઇન્સ જાહેર કરી.

ડેક્કન હેરાલ્ડ અખબારના અહેવાલ પ્રમાણે આ સુધારેલી ગાઈડલાઈન અનુસાર પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની પ્રક્રિયા 31 ઑક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જવી જોઈએ અને 1લી નવેમ્બરથી પહેલા સેમેસ્ટરના વર્ગોની શરૂઆત થઈ જવી જોઈએ.

મહામારીને કારણે બગડેલા શૈક્ષણિક સમયગાળાને સરભર કરવા માટે UGCએ કૉલેજોને અઠવાડિયામાં છ દિવસ શિક્ષણકાર્ય ચલાવવા કહ્યું છે અને સાથે જ આ વર્ષની શિયાળુ રજાઓ અને આવતા વર્ષની ઉનાળાની રજાઓના સમયગાળાને ટૂંકાવવા જણાવ્યું છે. અહેવાલ પ્રમાણે જો કે UGCનું આ સૂચન કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી પર આધારિત છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો