ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 1,03,006, મૃતાંક 3000થી વધુ

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ એજન્સી PTI અનુસાર આરોગ્યવિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં શનિવારે કોરોનાના 1311 નવા કેસો નોંધાતાં કુલ કેસોનો આંકડો 1,03,006 સુધી પહોંચી ગયો હતો.
શનિવારે કોરોનાને કારણે 16 દર્દીઓનાં મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 3094 થઈ ગયો છે.

કોરોના અપડેટ : 12 સપ્ટેમ્બરથી 40 જોડ ટ્રેન ચાલશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેલવે બોર્ડના ચૅરમૅન વિનોદકુમાર યાદવે કહ્યું છે કે 12 સપ્ટેમ્બરથી 40 જોડ વિશેષ ટ્રેન ચલાવાશે.
તેમના મતે આ ટ્રેનોમાં સફર માટે સામાન્ય લોકો 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન કરાવી શકશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતમાં 24 કલાકમાં કોરોનાથી 86 હજારથી વધુ કેસ, 1089 મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19ના 86,432 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
પાછલા ત્રણ દિવસોથી સતત 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.
સ્વાસ્થ્યમંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 40 લાખ 23 હજાર 179 પહોંચી છે, જેમાંથી આઠ લાખ 46 હજાર 395 ઍક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓની સંખ્યા 31 લાખ 07 હજાર 223 છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 69,561 લોકોનાં મૃત્યુ થયાં છે. પાછલા 24 કલાકમાં 1089 મૃત્યુ નોંધાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમેરિકામાં મૃતકાંક બમણો થવાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્વાસ્થ્ય સંસ્થામા પૂર્વાનુમાન અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસને લીધે થઈ રહેલાં મોત વર્ષના અંત સુધીમાં ચાર લાખને પાર પહોંચી શકે છે.
આ આંક અમેરિકાના હાલના મૃતકાંક કરતાં બમણો છે.
આ અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં દેશમાં દરરોજ ત્રણ હજારથી વધારે મોત થઈ શકે છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે જો માસ્ક પહેરવાના નિયમને લોકો ગંભીરતાથી લે તો મૃતકોની સંખ્યાને 30 ટકા જેટલી ઘટાડી શકાય.
જોકે અમેરિકામાં એક મોટો વર્ગ માસ્ક પહેરવાનો વિરોધ કરી રહ્યો છે.
દરરોજ અમેરિકામાં સરેરાશ 850 લોકોનાં મૃત્યુ કોરોના વાઇરસને લીધે થઈ રહ્યાં છે.

ગુજરાતમાં કુલ કેસ એક લાખને પાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 1320 કેસ નોંધાયા છે, જ્યારે 14 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,01,695એ પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધી 3078 દરદીનાં મૃત્યુ થયાં છે.
24 કલાક દરમિયાન જે નવા કેસ નોંધાયા એમાંથી સુરત જિલ્લામાં 271, અમદાવાદમાં 171, રાજકોટમાં 162 કેસ, વડોદરામાં 125 કેસ અને જામનગરમાં સામે આવેલા 111 કેસ સામેલ છે.
આ દરમિયાન અમદાવાદમાં કોરોના વાઇસના કારણે 4, સુરતમાં 3, રાજકોટમાં બે મૃત્યુ થયાં છે.

ભારતમાં રોજ કેટલા લોકોનું પરીક્ષણ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 39 લાખ 36 હજારથી વધુ થઈ ચૂકી છે.
જોકે, ચેપગ્રસ્તોની આ સંખ્યા માટે અત્યાર સુધી ભારતમાં કેટલા લોકોનું પરીક્ષણ કરાયું છે?
'ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ'ના મતે ભારતમાં ત્રણ સપ્ટેમ્બરે કુલ ચાર કરોડ 66 લાખ 79 હજાર 145 લોકોનાં પરીક્ષણ થયાં.
આ હિસાબે આકલન કરવામાં આવે તો ભારતમાં જે લોકોનું પરીક્ષણ કરાયું એમાં દર 12માંથી એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
દેશ આખામાં હાલ રોજ 11 લાખથી વધુ લોકોનું પરીક્ષણ થઈ રહ્યું છે.
ત્રણ સપ્ટેમ્બરે 11 લાખ 69 હજાર 765 લોકોનું પરીક્ષણ કરાયું હતું.

ભારતમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 39 લાખને પાર, નવા 83 હજાર કેસ

ઇમેજ સ્રોત, Reuters

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમા કોરોનાના નવા 83 હજાર કેસની સાથે ભારતમાં હવે કુલ કેસની સંખ્યા 39 લાખથી વધારે થઈ ગઈ છે.
સતત બીજો એવો દિવસ છે જ્યારે ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 83 હજારથી વધુ કેસ આવ્યા હોય. તેની સાથે ભારતમાં કોરોનાના કુલ 39,36,748 કેસ થઈ ગયા છે.
ભારતના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ વિભાગની માહિતી પ્રમાણે દેશમાં કોરોનાના 83,341 નવા કેસ આવ્યા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1,096 લોકોનાં મોત થયાં છે.
એક હજારથી વધુ મોતની સાથે દેશમાં કોરોનાથી થયેલાં મોતનો આંકડો 68,472 પર પહોંચી ગયો છે.
દેશમાં લૉકડાઉન ખુલ્યા બાદ સતત કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે.
બુધવારના રોજ ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાઇરસનો આંકડો એક લાખને પાર કરી ગયો હતો.
વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યાની દૃષ્ટિએ ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરે છે.

કોરોનાની રસી ઑક્ટોબર સુધીમાં આવવી મુશ્કેલ છે, અશક્ય નથી : ફાઉચી

ઇમેજ સ્રોત, EPA
અમેરિકાના વરિષ્ઠ કોરોના નિષ્ણાત અને વ્હાઇટ હાઉસ કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર એન્થની ફાઉચીએ કોરોના વાઇરસની રસી મામલે ગુરુવારે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
તેમણે કહ્યું કે એ વાતની સંભાવના ખૂબ ઓછી છે કે કોરોના વાઇરસની રસી ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જાય પરંતુ આ અશક્ય નથી.
સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફાઉચીએ કહ્યું, "મને લાગે છે કે મોટા ભાગના લોકો માને છે કે નવેમ્બર-ડિસેમ્બર સુધી રસી આવી જશે."
ફાઉચીને જ્યારે પૂછવામાં આવ્યું કે તો કેટલી જલદી કોરોના વાઇરસની રસી વિશ્વને મળી શકે છે, તેના જવાબમાં તેમણે કહ્યું કે એવું અનુમાન કરવામાં આવે છે કે ઑક્ટોબર સુધીમાં રસી આવી જશે પરંતુ મને નથી લાગતું કે એવું થઈ શકશે.

ગુજરાત : કોરોનાના કુલ દરદીઓની સંખ્યા એક લાખને પાર, ત્રણ હજારથી વધુ મૃત્યુ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP VIA GETTY IMAGES

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,00,375 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃતકાંક 3064 થઈ ગયો છે.
રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી જણાવે છે કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 1325 કેસ નોંધાયા છે. જ્યારે 16 દરદીનાં મૃત્યુ થયાં છે.
આ દરમિયાન સૌથી વધારે કેસ સુરત જિલ્લામાં 272 નોંધાયા છે જ્યારે અમદાવાદ જિલ્લામાં 166 અને વડોદરામાં 123 નવા કેસ નોંધાયા છે.

BAPSના 28 સાધુ-સંતો અને કર્મચારી ચેપગ્રસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરના 150 જેટલા સાધુ-સંતો તેમજ કર્મચારીઓનું કોરોના વાઇરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 28નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે દિવસથી કોરોના વાઇરસના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી હતી.
આ તમામ લોકોને મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને તેમને કોવિડ કૅર સેન્ટર અને કોવિડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભારતમાં ઑગસ્ટમાં પણ સર્વિસ સૅક્ટરમાં સુધારો નહીં, જઈ રહી છે લોકોની નોકરીઓ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસ મહામારીને લઈને દેશમાં આર્થિક સંકટ વધું ઊંડુ બનતું જાય છે. વેપારમાં ઘટાડાની સાથે સાથે માગ પણ ઘટી રહી છે અને તેના કારણે ભારતના સેવા ક્ષેત્ર(સર્વિસ સૅક્ટર)માં સતત છઠ્ઠા મહિને ઘટાડો જોવા મળ્યો છે.
સમાચાર એજન્સી રૉયટર્સે ઇન્ડસ્ટ્રી સર્વેના હવાલાથી એક અહેવાલ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વ્યાપારી ગતિવિધિઓ પ્રભાવિત થવાને કારણે ઑગસ્ટમાં પણ નોકરીઓ જવાનો સિલસિલો ચાલુ છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા એપ્રિલથી લઈને જૂન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા બાદ તેમાં સુધારો આવતા હજી લાંબો સમય લાગશે.
આઈએચએસ માર્કેટમાં અર્થશાસ્ત્રી શ્રેયા પટેલે ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું, "ભારતના સર્વિસ સૅક્ટરમાં ઑગસ્ટમાં પણ કારોબારના સંચાલનની સ્થિતિઓ પડકારજનક બનેલી છે. ઘરેલુ અને વિદેશી બજારોમાં લૉકડાઉનના પ્રતિબંધોની ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે."
અર્થવ્યવસ્થાને વધારે નુકસાનથી બચાવવા માટે સરકારે કોરોના વાઇરસના વધતા કેસો વચ્ચે પણ અંડરગ્રાઉન્ડ ટ્રેન નેટવર્ક્સ ખોલવા, રમતગમત અને ધાર્મિક આયોજનની ચોક્કસ મર્યાદા સાથે મંજૂરી પણ આપી છે.
જોકે, માનવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધોમાં ઢીલ આપવા છતાં આર્થિક ગતિવિધિઓ ફરીથી સામાન્ય થવામાં ઘણો સમય લાગી શકે છે. કારણ કે લોકો ખુદ જ ઘરથી બહાર ઓછા નીકળે છે અને મૉલ, રેસ્ટોરાં, સિનેમા હૉલ, રેસ્ટોરાં અને હોટલમાં પણ ઓછા જઈ રહ્યા છે.
ઘરેલુ અને વિદેશી બંને સ્તર પર માગ ઓછી હોવાથી ઉત્પાદન ઓછું રહ્યું છે અને આ કારણે હવે લોકોની નોકરીઓ જઈ રહી છે.

દેશમાં કોરોનાનો સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં 83 હજાર કેસ

ઇમેજ સ્રોત, EPA
ભારતમાં ગુરુવારે સવારે આવેલા કોરોના વાઇરસ સંક્રમિતોના આંકડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 83,883 કોરોના વાઇરસના કેસ આવ્યા છે. જે 24 કલાકમાં અત્યાર સુધીમાં આવેલા સૌથી વધારે કેસ છે.
આ સાથે જ કુલ કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 38,53,407 થઈ ગઈ છે.
ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાઇરસના કેસોની સંખ્યા દરરોજ નવો રેકૉર્ડ બનાવે છે.
સતત વધી રહેલા કેસોની વચ્ચે હવે કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 8,15,538 થઈ ગઈ છે. પહેલાં તે 8 લાખથી નીચે હતી.
ઉપરાંત અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી દેશમાં 67,376 લોકોનાં મોત થયાં છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,70,000થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 2.59 કરોડથી વધારે છે, જ્યારે 8.61 લાખ લોકોએ આ વાઇરસને કારણે જીવ ગુમાવ્યો છે.
ભારત હાલ વિશ્વમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા નંબરે છે.

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા 51 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી વધુ

ઇમેજ સ્રોત, Getty Images

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસમાંથી 54 ટકા કેસ 18 થી 44 વર્ષના લોકોના જોવા મળ્યા છે. જ્યારે મૃતકોમાં 51 ટકા દર્દીઓ 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના છે.
આરોગ્ય મંત્રાલયે કોરોનાના કેસનો એક ગ્રાફ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
મંત્રાલયના અહેવાલ અનુસાર 17 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કુલ કેસના આઠ ટકા કોરોનાના કેસ અને એક ટકા જેટલાં મૃત્યુ જોવા મળ્યાં છે.
જ્યારે કુલ કેસના 14 ટકા કોરોનાના કેસ 18થી 25 વર્ષની ઉંમરના યુવાનોમાં મળ્યા છે અને એક ટકાનું મૃત્યુ થયું છે.
કુલ કેસના 26 ટકા લોકોની ઉંમર 26થી 44 વર્ષની છે અને 11 ટકાનાં મૃત્યુ થયાં છે.
આ પ્રકારે 45થી 60 વર્ષની ઉંમરના કુલ કેસમાંથી 36 ટકાનાં મૃત્યુ થયાં છે. જ્યારે દેશના કુલ કેસના 26 ટકા કેસ આ ઉંમરના છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 78,357 કેસ સામે આવ્યા છે અને 1,045 લોકોનાં મૃત્યુ થયાં છે.
આની સાથે દેશમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા 37,69,524એ પહોંચી ગઈ છે. આમાં 8,01,282 ઍક્ટિવ કેસ છે.

સાડા પાંચ લાખ કરતાં વધુ લોકો ક્વોરૅન્ટીન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસનાના 78,070 પરીક્ષણો કરાયાં છે. અને દર દસ લાખ લોકો દીઠ 1201.07 પરીક્ષણો થયાં છે.
આ દરમિયાન વધુ 1131 દરદીઓ સારવાર બાદ સાજા પણ થયા છે. અત્યાર સુધી કોરોનાને લીધે 78913 દરદીઓ સાજા થયા છે.
આ દરમિયાન રાજ્યમાં 5,54,685 લોકોને ક્વોરૅન્ટીન પણ કરાયા છે.

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

વિશ્વમાં શું સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં કોરોના વાઇરસના મામલા સતત વધી રહ્યા છે અને અત્યાર સુધી 2 કરોડ 55 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ દરમિયાન આઠ લાખ 52 હજારથી વધુ લોકોનાં મૃત્યુ પણ થયાં છે.
અમેરિકા સંક્રમણના સૌથી વધુ કેસ સાથે ટોચ પર છે. એ બાદ બ્રાઝિલ અને ભારતનો ક્રમ છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસરા દેશમાં કોરોના સંક્રમણનો રિકવરી રેટ 77 ટકા છે.
રશિયામાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. દસ લાખ મામલાઓ સાથે રશિયા વિશ્વમાં ચોથા ક્રમે પ્રભાવિત દેશ છે.
બ્રિટનના આરોગ્યમંત્રી મૅટ હૅનકૉકે કહ્યું છે કે કોરોનાની રસી આ વર્ષના આખર સુધીમાં મળી શકે એમ છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1310 નવા કેસ, 14 મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 1310 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં સૌથી વધારે સુરત જિલ્લામાં 289, અમદાવાદમાં 159, વડોદરામાં 121, જામનગરમાં 113 અને રાજકોટમાં 125 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 97,745 એ પહોંચી છે. જ્યારે મૃત્યુ પામેલા દર્દીની સંખ્યા 3,036 છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાં છ અને અમદાવાદમાં ચાર દરદીઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં કુલ મૃતકાંક 3,036 છે અને કુલ 78,913 દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 69,921 કેસ, 819 મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણના કુલ 69,921 કેસ નોંધાયા અને 519 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા.
આ સાથે દેશમાં કોરોનાના અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 36 લાખ 91 હજાર 167 થઈ ગઈ છે, જેમાંથી 7 લાખ 85 હજાર 996 ઍક્ટિવ કેસ છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર કોવિડ-19ને કારણે દેશમાં અત્યાર સુધી 65,288 લોકોના મૃત્યુ થયા છે.
આંકડા અનુસાર 28 લાખ 39 હજાર 883 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોનાના સંક્રમણ બાદ સ્વસ્થ થયા છે.
છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં કોરોનાના દૈનિક 70 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા હતા.
સંક્રમણના કેસોની સંખ્યાની રીતે ઑગસ્ટ મહિનો ભારત માટે સૌથી ખરાબ રહ્યો છે.

કોરોના વાઇરસની રસીની મંજૂરી અંગે WHOએ ચેતવણી આપી

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કહ્યું છે કે કોરોના વાઇરસની વૅક્સિનને મંજૂરી આપવાની પ્રક્રિયાને ગંભીરતાથી લેવાની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને પત્રકારોને કહ્યું કે તમામ દેશ ટ્રાયલ પૂર્ણ કર્યા વિના દવાઓને મંજૂરી આપવાનો અધિકાર રાખે છે, પરંતુ આ કોઈ 'હળવાશથી લેવાતું કામ નથી'.
WHOનું કહેવું છે કે આ સમયે 33 વૅક્સિનની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે જ્યારે કે 143 રસીઓ હાલ પ્રિ ક્લિનિકલ ઇવેલ્યુએશનના તબક્કામાં છે.
આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠને પૂરતી વ્યવસ્થા વિના લૉકડાઉન હઠાવી રહેલા દેશોને ચેતવણી આપી છે.
WHOએ કહ્યું છે કે જે દેશોમાં હજી પણ સારી એવી સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે જો તેઓ લોકોને એકઠા થવાની મંજૂરી આપે છે તો એ વિનાશને આમંત્રણ આપવા જેવું હશે.

ભારતમાં કોરોના વાઇરસની વૅક્સિનની ટ્રાયલના બીજા તબક્કાની તૈયારી શરૂ

ઇમેજ સ્રોત, PHOTONEWS/GETTY IMAGES

સોમવાર, 31 ઑગસ્ટ, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં કોરોના વાઇરસની વૅક્સિન કોવૅક્સિનના માનવીય પરીક્ષણના બીજા તબક્કાની તૈયાર શરૂ થઈ ગઈ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ(આઈએમએસ) અને એસયૂએમ હૉસ્પિટલના ટ્રાયલના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડૉ. ઈ. વેંકટ રાવે આ અંગે જાણકારી આપી છે.
ડૉ. રાવે કહ્યું, "ટ્રાયલનો પહેલો તબક્કો હાલ ચાલી રહ્યો છે. અમે જલદી જ બીજા તબક્કાને શરૂ કરવાની યોજનામાં છીએ."
ડૉક્ટરે જાણકારી આપી છે કે વૅક્સિનવાળા વૉલન્ટિયર્સનાં બ્લડસૅમ્પલ્સ લઈ લેવાયાં છે, જેથી ખબર પડે કે ઍન્ટિ-બૉડીના સંદર્ભમાં વૅક્સિન કેટલી પ્રભાવશાળી છે.
તેમણે એમ પણ કહ્યું કે ટ્રાયલના પહેલા તબક્કામાં વૅક્સિનની કોઈ આડઅસર નથી જોવા મળી.
આઈએમએસ અને એસયૂએમ હૉસ્પિટલ દેશના એ 12 મેડિકલ સેન્ટરમાં સામેલ છે, જેમની આઈસીએમઆર દ્વારા વૅક્સિનના માનવીય પરીક્ષણ માટે પસંદગી કરાઈ છે.
આ વૅક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટૅકે તૈયાર કરી રહી છે.
ડૉ. રાવ કહે છે, "રસીકરણના ત્રણથી સાત દિવસ પહેલાં ચાલેલી સ્ક્રિનિંગ પ્રક્રિયામાં પસંદ થયેલા દરેક વૉલન્ટિયર્સને વૅક્સિનના બે ડૉઝ આપવામાં આવ્યા છે. પહેલો ડોઝ ઝીરો પર આપવામાં આવ્યો હતો અને બ્લડસૅમ્પલ લેવામાં આવ્યાં હતાં."
"બીજો ડોઝ 14 દિવસ પછી આપવામાં આવ્યો હતો અને બ્લડસૅમ્પલ લેવામાં આવ્યાં હતાં."
આમાં અલગ-અલગ દિવસોમાં પણ બ્લડ-સૅમ્પલ લેવામાં આવે છે, જેથી વાઇરસથી સુરક્ષાના સમયગાળાનો પણ અંદાજ લગાવી શકાય.

ભારતે આંતરરાષ્ટ્રીય વિમાન પરનો પ્રતિબંધ લંબાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ડિરેક્ટર જનરલ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.
નવા આદેશ પ્રમાણે ભારતથી જનારાં અને ભારત આવનારાં આંતરરાષ્ટ્રીય વિમાનો પર લાગેલા પ્રતિબંધની સમયમર્યાદાને વધારીને હવે 30 સપ્ટેમ્બર, 2020 કરવામાં આવી છે.
જોકે ડીજીસીએ દ્વારા સ્વીકારાયેલી ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ઑલ-કાર્ગો ફ્લાઇટ્સ પર આ પ્રતિબંધ નહીં રહે.
કોરોના વાઇરસના કારણે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જોકે, સરકારે કેટલાક દેશોની સાથે ઍર-બબલ રૂટ હેઠળ ફ્લાઇટ્સ શરૂ કરી છે.
અંદાજે બે મહિના સુધી ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ રદ રાખ્યા પછી તેમણે 25મી મેએ ફરીથી શરૂ કરી હતી.

ભારતમાં કોરોનાનું વિક્રમજનક સંક્રમણ

ઇમેજ સ્રોત, EPA
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના રેકૉર્ડ 78,512 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોના વાઇરસને કારણે 971 લોકોનાં મોત થઈ ગયાં છે.
ભારતમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા 64,469 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલ્યના જણાવ્યા અનુસાર દેશમાં હવે કોરોના વાઇરસના કુલ 36,21,246 મામલા છે. જેમાં 7,81,975 ઍક્ટિવ છે. સારવાર બાદ કુલ 27,74,802 લોકો સાજા થઈ ગયાં છે.
છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં દરરોજ કોરોના વાઇરસના 70 હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. જોકે, આ પ્રથમ વખત બન્યું છે કે માત્ર એક જ દિવસમાં 78 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા હોય.

અમેરિકામાં કોરોનાના વાઇરસના કેસ 60 લાખને પાર, કૉલેજોમાં ફેલાયું સંક્રમણ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના મામલાઓ 60 લાખના આંકડાને પાર કરી ગયા છે. તેના અનેક રાજ્યોમાં સતત કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
આયોવા, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા અને મિનિસોટામાં એક દિવસમાં આવતા કેસોમાં વિક્રમજનક વધારો થયો છે.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર, આયોવામાં ઘણી એવી કાઉન્ટીઝમાં નવા મામલાઓ આવ્યા છે, જ્યાં યુનિવર્સિટીઝ અને કૉલેજોમાં ક્લાસ શરૂ થયા હતા. વિદ્યાર્થીઓ માટે કૉલેજ ખોલ્યા બાદ સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થયો છે. એવામાં ઘણાં કૅમ્પસોમાં ફરીથી ઑનલાઇન લર્નિંગ શરૂ કરી દેવાયું છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ મામલા અઢી કરોડના આંકડાને પાર કરી ગયા છે અને આઠ લાખથી વધારે લોકોનાં મોત થયાં છે.
જ્હોન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 2,51,32,320 થઈ ગઈ છે.
બીજી તરફ, કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 8,45,054 થઈ ગઈ છે.
સંક્રમણના હિસાબે વિશ્વમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ ધરાવતા પાંચ દેશો.
અમેરિકા : 5,99,4,855
બ્રાઝીલ : 3,86,2,311
ભારત : 36,21,246
રશિયા : 9,87,470
પેરુ : 6,39,435

ગુજરાત કોરોના અપડેટ : 95 હજાર કરતાં વધુ કેસ, મૃતાંક 3 હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 1,272 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 17 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ સંબંધિત માહિતી આપી છે.
આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 95,155 થઈ છે, જ્યારે કુલ મૃતાંક 3,008 થઈ ગયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારતનો 'વિશ્વરેકૉર્ડ', 24 કલાકમાં 78 હજાર કેસ

ઇમેજ સ્રોત, EPA
ભારતમાં કોરોના વાઇરસનો આંકડો 35 લાખને પાર કરી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 78,761 કેસ નોંધાયા છે.
એક દિવસમાં નોંધાયેલા આ કેસ અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ માનવામાં આવે છે.
એટલે કે અત્યાર સુધીમાં અન્ય કોઈ દેશમાં એક દિવસમાં આટલા કેસ નોંધાયા નથી.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 948 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. તેમજ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 63,498 દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આ સાથે જ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 35,42,734 પહોંચી ગઈ છે, જેમાં 7,65,302 સક્રિય કેસ છે અને 27,13,934 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થઈ ગયા છે.
કોરોના વાઇરસથી સંક્રમણના કેસમાં ભારત અમેરિકા અને બ્રાઝિલ પછી ત્રીજા સ્થાને છે.
તો કોવિડ-19થી થતા મૃત્યુ મામલે ભારત અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો પછી ચોથા સ્થાને છે.
અમેરિકામાં અંદાજે 1 લાખ 83 હજાર, બ્રાઝિલમાં 1 લાખ 20 હજારથી વધુ અને મેક્સિકોમાં અંદાજે 64 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
અનુમાન કરાઈ રહ્યું છે કે ભારત ઝડપથી મૃત્યુ મામલે મેક્સિકોને પાછળ છોડી દેશે.

JEE અને NEET માટે લૉકડાઉન, શટડાઉન હઠાવાયાં

ઇમેજ સ્રોત, Getty Images
JEE, NEET માટે હઠાવાયું લૉકડાઉન, શટડાઉન
સુબ્રત કુમાર પતિ
ભુવનેશ્વરથી બીબીસી માટે
ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર કાર્યાલર દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર અનુસાર રાજ્યમાં JEE અને NEET પરીક્ષાઓ યોજવા માટે લૉકડાઉન અને શટડાઉન હઠાવાયાં છે.
બે ભાગમાં 12 દિવસ માટે રાજ્યભરમાંથી પ્રતિબંધ હઠાવાઈ રહ્યા છે. 30 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર અને 12થી 14 સપ્ટેમ્બર સુધી પ્રદેશમાં કોઈ પણ ઠેકાણે લૉકડાઉન કે શટડાઉન નહીં રહે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સરકારનું કહેવું છે કે પરીક્ષાર્થી, તેમના વાલીઓ, પરીક્ષા યોજનાર કર્મચારી અને અન્ય સર્વિસ પ્રોવાઇડરોને આવવા-જવામાં તકલીફ ન થાય, એવી વ્યવસ્થા કરાઈ છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો, જાહેરમાં થૂંકવું નહીં, જેવાં કોવિડ-19 સંલગ્ન દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

રવિવાર, 30 ઑગસ્ટ, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.
કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

અમિત શાહ કોરોનાથી સાજા થયા

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા છે.
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સે) દ્વારા એક નિવેદન જાહેર કરીને આ જાણકારી અપાઈ છે.
નિવેદનમાં કહેવાયું છે, "ગૃહમંત્રી અમિત શાહ પોસ્ટ કોવિડ કૅર (કોરોના બાદ જરૂરી સારવાર) માટે એઇમ્સમાં દાખલ છે. તેઓ સાજા થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે."
શાહને 18 ઑગસ્ટ દિલ્હીસ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
(29 ઑગસ્ટ અને એ પહેલાંના અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












