ગુજરાતણ લાડી અને ચાઇનીઝ વરની આ લવસ્ટોરીમાં વર્તમાન સમય બન્યો છે વિલન

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"ચીનમાં કોરોનાને કારણે મૃત્યુ થવાં માંડ્યાં એટલે હું ભારતમાં રહેતી મારી પત્ની પલ્લવી પાસે અમદાવાદમાં આવી ગયો, પણ અહીં આવીને એવો ફસાયો છું કે ચીન પરત ક્યારે જઈશ એની મને ખબર નથી. હું દારૂ પીતો નથી, પણ હું ચીન પાછો જઈશ ત્યારે ચોક્કસ હું જાતે ચાઇનીઝ વાઇન બનાવીને પાર્ટી કરીશ."

આ શબ્દો છે ગુજરાતી છોકરીને પરણેલા ચાઇનીઝ એન્જિનિયર મા હાઈકોના.

મા હાઈકો ચીનના સુચાન પ્રોવિન્સ શહેરમાં રહે છે. ચીનના વુહાનમાં કોરોનાથી હાહાકાર મચી ગયો ત્યારે ચીનમાં ગભરાટનો માહોલ હતો.

એ સમયે જાન્યુઆરીમાં કોરોના ફેલાતો જતો હતો. મા હાઈકો ચીનથી ભારત આવ્યા ત્યારે એમની ગણતરી એવી હતી કે એમનાં પત્નીના કાયમી વિઝાનું કામ પણ થઈ જશે અને એ એમની પત્ની અને દીકરી આંચીને લઈ પોતાનાં માતાપિતા પાસે ફરી ચીન જશે.

પણ એ પછી ચીનની ફલાઇટ બંધ થઈ અને મા હાઈકો ભારતમાં ફસાઈ ગયા.

'હવે ઘરની બહાર નીકળતા નથી'

અમદાવાદમાં રહેતા મા હાઈકોને હવે ડર છે કે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર અને ભારત-ચીન વચ્ચેના તણાવને કારણે એ લાંબો સમય સુધી ભારતમાં રહી શકશે કે કેમ?

શરૂઆતમાં એ ઘરની બહાર નીકળતા, પણ હવે એ ઘરની બહાર પણ નીકળતા નથી.

એમને ચિંતા છે કે ચાઇનીઝ માલનો જે રીતે ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે એ પ્રમાણે એમની અને એમની દીકરી અને પત્ની સાથે કોઈ અઘટિત ઘટના ના બને. જોકે, એમનાં પત્ની પલ્લવી ગૌતમ ગભરાતા નથી.

બીબીસી સાથેની વાતચીતમાં પલ્લવીએ કહ્યું કે, મા હાઈકોને માત્ર ચાઇનીઝ ભાષા આવડે છે. એમને અંગ્રેજી કે બીજી કોઈ ભાષા આવડતી નથી. આમ છતાં એ ઘરનું શાકભાજી બજારમાંથી જાતે શાકભાજી લઈ આવતો.

"અમારી સોસાયટીમાં કોઈને તકલીફ નથી, પણ હવે ભારત અને ચીનની સીમા પર તણાવ વધતા એ ઘરની બહાર જતા નથી. પણ મને એ વાતનો આનંદ છે કે અમે લગ્નનાં ચાર વર્ષ પછી લાંબો સમય એકબીજા સાથે કાઢી રહ્યા છીએ. અને હું મારા પતિ અને મારી દીકરી સાથે રહીએ છીએ."

'ક્યારે પ્રેમ થયો એ ખબર જ ન પડી'

પલ્લવીએ મા હાઈકો સાથેના પ્રેમની વાત કરતા કહ્યું કે "હું બૌદ્ધ ધર્મ પાળું છું. મને ચીન અને ચાઇનીઝ લોકો વિષે વાંચવું વધારે ગમતું. મેં ચાઇનીઝ ભાષા શીખવાનું શરૂ કર્યું અને હું બિહારમાં જઈને ચાઇનીઝ ભાષા શીખી."

"આ અરસામાં ભારત અને ચીનના વ્યાપારિક સંબંધો ઘણા સારા થઈ ગયા હતા એટલે મને ચાઇનીઝ ઇન્ટરપ્રિટર તરીકેનું કામ મળવા લાગ્યું. દેશના અલગઅલગ ખૂણે ચાઇનીઝ વેપારીઓ આવે ત્યારે હું એમની ઇન્ટરપ્રિટર તરીકે કામ કરવા જતી, કારણ કે ચાઇનીઝ લોકોને અંગ્રેજી કે હિન્દી ફાવે નહીં અને મને કામ મળવા લાગ્યું."

તેઓ વધુમાં જણાવે છે, "આ અરસામાં આંધ્રમાં રાઇઝિંગ સ્ટાર નામની કંપનીમાં હું ઇન્ટરપ્રિટર તરીકે કામ કરતી હતી. અને મા હાઈકો ત્યાં ચીનથી ક્વૉલિટી એન્જિનિયર તરીકે ભારત આવ્યા હતા. સામાન્ય રીતે ચાઇનીઝ બિઝનેસમૅન હોય તો ખપ પૂરતી વાત થતી હોય અને ઉંમરમા ફર્ક હોય એટલે ખાસ ઇન્ટરએક્શન થતું ના હોય, પણ મા હાઈકો નાની ઉંમરના હતા અને એમને ભારતમાં કોઈ દોસ્ત નહોતો."

પલ્લવી કહે છે, "બપોરે લંચ વખતે કૅન્ટીનમાં સાથે સમય કાઢતાં હતાં. મારા માટે પણ કોઈ કંપની નહોતી. અમે એકબીજાના શોખની વાત કરતા પસંદ-નાપસંદની વાત કરતાં હતાં. એક દિવસ મા હાઈકોએ મને પૂછ્યું કે મને કેવો છોકરો જોઈએ?"

"મને પહેલા કંઈ સમજણ ન પડી. મેં કહ્યું કે મને સમજી શકે એવો હોવો જોઈએ. અને ચાઇનીઝ ક્લચરને જાણતો હોવો જોઈએ. મા હાઈકોએ કહ્યું કે મને પણ ઇન્ડિયન ક્લચર ગમે છે. ઇન્ડિયન છોકરી હોય અને બૌદ્ધ ધર્મને જાણતી હોય એની સાથે લગ્ન કરવા છે."

પ્રેમ અંગે વાત કરતાં પલ્લવીએ કહ્યું કે "આ દરમિયાન એકબીજા સાથેના સંપર્કમાં અમે બંને ક્યારે પ્રેમમાં પડ્યાં એની અમને ખબર ના પડી, કારણ કે મા હાઈકોએ એના ફેમિલી ગ્રૂપમાં મને જોઇન કરી હતી. એનાં મમ્મી-પપ્પા સાથે સંબંધો વધતા હતા. મને ફેમિલી ગમવા લાગ્યું."

"મેં મારા પિતાને વાત કરી અને એમને લગ્ન સામે વાંધો નહોતો. શી જિંનપિંગ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે અમારી સગાઈ નક્કી થઈ અને એ વર્ષે અમે પરણી ગયાં.

'હવે ક્યારે ચીન જઈશ એ ખબર નથી'

મા હાઈકોએ વચ્ચેથી વાતમાં જોડાતા બીબીસીને કહ્યું કે "મારી પત્નીની ઇચ્છા ભારતીય પરંપરાથી લગ્ન કરવાની હતી એટલે અમે અમદાવાદમાં લગ્ન કર્યાં. ભારત અને ચીનમાં હનીમૂન કર્યું, ભગવાનની દયાથી અમારાં લગ્નના પહેલા વર્ષે અમારા ઘરે દીકરીનો જન્મ થયો. એનું નામ અમે ચાઇનીઝ રાખ્યું છે, આંછી એટલે કે શાંતિ."

"મારે પાછું ચીન જવું પડ્યું. નોકરી માટે અલગઅલગ દેશમાં જવું પડતું હતું એટલે પલ્લવી ભારતમાં રહી અને એ પ્રેગનન્ટ હતી અને એની ઇચ્છા ઇન્ડિયામાં બાળકને જન્મ આપવાની હતી એટલે આંછીનો જન્મ થયો ત્યાં સુધી એ ઇન્ડિયામાં રહી."

મા હાઈકોએ કહે છે, "ચાઇનીઝ ન્યૂ યરમાં એ અને એનું ફેમિલી ચીન આવ્યું હતું. એમને અહીં સારો સમય કાઢ્યો. પલ્લવીની ઇચ્છા અમારી દીકરીને નાનપણમાં ભારતીય સંસ્કાર મળે એવી હતી એટલે એ ભારતમાં રહી. હું ઇન્ડિયા આવતો અને પલ્લવી ચીન આવતી અને અમારું લગ્નજીવન પણ સરસ ચાલતું."

તેઓ કહે છે, "આ સમયમાં ચીનમાં કોરોના આવ્યો એના થોડા સમય પહેલાં પલ્લવી ચીનથી ભારત આવી હતી. મારે વીડિયો કૉલિંગ ચાલુ હતું. પલ્લવીના ઘરના લોકો અમારી બહુ જ ચિંતા કરતા હતા. મને પણ ચીનમાં ઘણી ચિંતા હતી."

"કોરોનાને કારણે અહીં ડરનો માહોલ હતો. પલ્લવીના ઘરના લોકોને પૂછ્યું તો કહ્યું કે ભારતમાં કોરોના નથી. મારી પાસે ભારતનો વિઝા હતો એટલે જાન્યુઆરીના અંતમાં હું ભારત આવ્યો."

મા હાઈકો કહે છે, "મારાં માતાપિતાને ભારત લાવવાની કામગીરી કરતા હતા ત્યાં ભારતમાં કોરોનાને કારણે ચીનથી આવતી ફ્લાઇટ બંધ કરી દેવાઈ. ભારતમાં ચીનથી કોઈ આવતું નહોતું અને અહીંથી કોઈ ચીન જઈ શકતું નહોતું. હું અહીં ભારતમાં રોકાઈ ગયો અને પહેલી વાર મારી દીકરી સાથે આટલો લાંબો વખત રહી રહ્યો છું. પણ મને ચિંતા એ વાતની છે કે હું ચીન પાછો ક્યારે જઈ શકીશ."

વિઝાની કામગીરી અટકી પડી

પલ્લવીએ બીબીસી સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું કે મારા ચીનના વિઝાની કામગીરી ચાલતી હતી હવે એ અટકી પડી છે. ભારત-ચીનની સીમા પર શાંતિ થાય ત્યારે અમે ચીન જઈ શકીશું.

તેઓ કહે છે, "હમણાં ભારત સરકારે ચીની ઍપ પર પ્રતિબંધ મૂક્યો છે એટલે મા હાઈકોનાં માતાપિતા સાથે પણ અમારો સંપર્ક તૂટી ગયો છે, નહીંતર દિવસમાં ચાર વાર અમે એકબીજા સાથે વાત કરતાં હતાં."

ભારતમાં કોરોનાને કારણે માંસ મળવામાં મુશ્કેલી છે અને મા હાઈકો નૉન-વેજિટેરિયન છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "હું અહીં રહીને લગભગ શાકાહારી થઈ જઈશ, કારણ કે નૉન-વેજ મળતું નથી. ઈંડાંથી ચલાવી લઉં છું. ગુજરાતી ફૂડની આદત નથી એટલે હું ખાવાનું જાતે જ બનાવું છું."

મા હાઈકોની ચાઇનીઝ વાતને ટ્રાન્સલેટ કરતાં પલ્લવીએ બીબીસીને હસતાં-હસતાં કહ્યું કે "આમેય ચાઇનીઝ છોકરા સાથે લગ્ન કરીને એક વાતની મને પહેલેથી શાંતિ હતી કે ચાઇનાના પુરુષો રસોઈ જાતે જ બનાવે છે. મહિલાઓને ઓછી તકલીફ ઓછી આપે છે. આમેય મારા ભાગમાં કપડાં ધોવાં સિવાય કોઈ ખાસ કામ આવતું નથી."

"હાં, ચાઇનાના લોકોની ફૂડ હેબિટ તમને ખબર છે. હું નૉન-વેજ ખાઉં છું, પણ ચાઇનીઝ લોકો ખાય એવું નથી ખાઈ શકતી એટલે ચીનમાં હોઉં ત્યારે હું ભાટ ફ્રૂટ અને શાકભાજી પર વધારે ચલાવું છું."

પલ્લવી કહે છે, "હવે જરૂર પડે ત્યારે મારી પસંદનું નૉન-વેજ ખાઉં છું, પણ અત્યારે અમે ચીનથી અહીં આવ્યા છીએ અને ફસાઈ ગયાં છીએ ત્યારે મને ગુજરાતી કહેવત યાદ આવે છે કે 'ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ.' કોરોનાથી બચવા અમે ભારત આવ્યાં અને ચીનમાં કોરોનાનો કેર ઘટી ગયો અને ભારતમાં વધી ગયો છે. આથી અમે પતિ-પત્ની અને દીકરી ફસાઈ ગયાં છીએ. ઉપરથી ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારના આંદોલનથી અમે બહાર નીકળવાનું ટાળીએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો