You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન સંકટ : ગુજરાતનો એ નાનો પક્ષ જે નક્કી કરે છે ભાજપ-કૉંગ્રેસની જીત
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય સંકટ દરમિયાન ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) એ વિધાનસભાના ફ્લોર ટેસ્ટ યોજાય તો ભાજપ કે કૉંગ્રેસ, સચીન પાઇલટ કે અશોક ગેહલોત એમ કોઈને પણ મત નહીં આપવાનો આદેશ પોતાના ધારાસભ્યોને આપ્યો છે.
પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ રાજસ્થાનમાં પોતાના બન્ને ધારાસભ્યોને સંબંધિત વ્હિપ આપીને અનાદર કરનાર સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
બીટીપીના બન્ને ધારાસભ્યોએ ગેહલોત સરકારને સમર્થન આપેલું છે.
રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય ઘમસાણને પગલે ભાજપના આઈટી સેલના ઇન્ચાર્જ અમિત માલવિયે અશોક ગેહલોત સમક્ષ ફ્લૉર ટેસ્ટ યોજવાની માગ કરી છે.
આ પહેલાં ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે પણ બીટીપીએ મતદાન વખતે ગેરહાજર રહીને ભાજપ કે કૉંગ્રેસ બન્નેમાંથી કોઈને મત નહોતો આપ્યો.
એ વખતે બીટીપીના બન્ને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાનથી અગળા રહ્યા હતા.
છોટુ વસાવાએ એ ત્યારે ભાજપ અને કૉંગ્રેસ પર આદિવાસીઓનાં કામ ન કરવાનો આરોપ લગાવી મતદાનથી અગળા રહેવાનું જણાવ્યું હતું.
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી એ ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર જીત્યા હતા. જ્યારે કૉંગ્રેસના ફાળે એક બેઠક આવી હતી. ગુજરાતમાં યોજાયેલી હાલની રાજ્યસભાની ચૂંટણી અને રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય સંકટે ફરી એક વખત ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) અને એના નેતા છોટુ વસાવાને ચર્ચામાં લાવી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટ્રાઇબ પાર્ટી અને છોટુ વસાવા
ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના 2017માં છોટુ ભાઈ વસાવાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં કરી હતી, દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં તેઓ ત્રણ દાયકા કરતાં વધારે સમયથી વર્ચસ્વ ધરાવે છે.
બીટીપીની સ્થાપના થઈ એ પહેલાં તેઓ જનતા દળ (યુનાઇટેડ)માં હતા અને છ વખત તેઓ જેડીયુમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
જોકે પક્ષના વ્હિપની વિરુદ્ધ જઈને અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા બદલ તેમને હાકી કાઢવામાં આવ્યા હતા.
એ પછી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા સહિત બીટીપીના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડ્યા, જેમાંથી બે બેઠકો પર વિજય થયો.
એ વખતે છોટુ વસાવાને હરાવવા માટે જનતા દળ (યુનાઇટેડ) દ્વારા ભળતા નામના ઉમેદવારને ઉતારવામાં આવ્યા હતા, છતાં છોટુ વસાવા ઝઘડિયાથી જીતી આવ્યા હતા.
BTPના બે મત
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
હાલની સ્થિતિ પ્રમાણે ભાજપ પાસે 103 અને કૉંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે.
આ ઉપરાંત બીટીપી, એનસીપી તથા અપક્ષ ધારાસભ્યોના મતો પણ છે.
બીટીપી પાસે ગુજરાતમાં બે ધારાસભ્યો છે, એક છોટુ વસાવા પોતે અને બીજા મહેશ વસાવા.
મતદાન શરૂ થયા બાદ ભાજપ તથા કૉંગ્રેસ બંને પક્ષોએ દાવા કર્યા હતા કે બીટીપીના બંને મત તેમને જ મળશે.
અગાઉ પણ છોટુ વસાવા 'ગેમચેન્જર'
2017ની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવાનો કારસો ઘડાયો હતો અને એ વખતે છોટુ વસાવાનો મત નિર્ણાયક સાબિત થયો હતો.
અગાઉ કૉંગ્રેસના નીશિત વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમને ખબર હતી કે અમારામાંથી બે વોટનું ક્રૉસ વોટિંગ થવાનું છે અને એનસીપીના બેમાંથી એક વોટ ભાજપમાં જવાનો છે."
એ વખતે છોટુ વસાવા જનતા દળ (યુનાઇટેડ)માંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા.
"જેડી(યુ)ના એકમાત્ર ધારાસભ્ય છોટુ વસાવાને ભાજપના દબાણથી વ્હિપ મળ્યો છે અને ફરજિયાત ભાજપને વોટ આપવાના છે."
"અમે અમારા સંપર્કો લગાવ્યા અને છોટુ વસાવાને કૉંગ્રેસ તરફી વોટ કરવા માટે મનાવી લીધા, કારણ કે એ કૉંગ્રેસમાં નહીં હોવા છતાં ભાજપથી નારાજ હતા."
"એ વખતે ભોળા ગોહિલ અને રાઘવજીએ ક્રૉસ વોટિંગ કર્યું. પણ ભાજપની ગાડીમાં આવેલા છોટુ વસાવાના વોટને કારણે કૉંગ્રેસની જીત પાક્કી થઈ ગઈ હતી."
ગુજરાત બહાર પણ સરકારમાં ટેકો
2018માં છોટુ વસાવાનો પક્ષ બીટીપી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠક પર ચૂંટણી લડ્યો હતો, જેમાંથી બે બેઠક પર જીત મળી હતી.
ગુજરાત અને રાજસ્થાનની સીમાએ આવેલા ડુંગરપુર જીલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાજકુમાર રાઉતે ચોરાસી બેઠક પરથી ભાજપના ઉમેદવારને 12,934 મતોથી હરાવ્યા હતા.
અન્ય એક બેઠક સગવારાથી બીટીપીના રામપ્રસાદે ભાજપના શંકરલાલને 4,582 વોટથી હરાવ્યા હતા.
એ વખતે બીટીપીએ કૉંગ્રેસને સરકાર બનાવવા માટે ટેકો આપ્યો હતો.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો