છ વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીને પડકાર આપવો મુશ્કેલ કેમ?

    • લેેખક, શેખર ઐય્યર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બી. બી. સી. ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજી કાર્યકાળનું પ્રથમ વર્ષ 30 મેના રોજ પૂર્ણ થયું છે. છ વર્ષ સુધી વડા પ્રધાનના પદે રહ્યા બાદ નરેન્દ્ર મોદીને આજે પણ વિશ્વાસ છે કે તેઓ અજેય છે. વિપક્ષ હજુ પણ તેમની સામે ગૌણ છે.

વિપક્ષના કોઈ પણ નેતાને તે દરજ્જો નથી મળી શક્યો. જો કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં કૉંગ્રેસ મહારાષ્ટ્ર અને ઝારખંડની સત્તા સુધી પહોંચી.

આ બંને રાજ્યોમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી નથી, પરંતુ ભાજપને સત્તા પર આવતો અટકાવવામાં તેઓ સફળ રહ્યા.

રાહુલ ગાંધીને આશા

રાહુલ ગાંધીને આશા છે કે તેઓ વડા પ્રધાન મોદીને સખત પડકાર આપી શકશે, કારણ કે તેમને લાગે છે કે ભાજપ સરકાર ઘણી સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગઈ છે.

પરંતુ મોદી સરકાર રાજકીય મોરચે સમસ્યાઓથી ઝઝૂમી નથી રહી, તેથી રાહુલ ગાંધી કે કૉંગ્રેસના કોઈ નેતા માટે તેમનો સામનો કરવો સરળ નથી.

મોદી સરકાર આર્થિક મોરચે સમસ્યાઓથી ઘેરાયેલી છે અને આ સમસ્યાઓ ખૂબ જ જટિલ છે.

એવું કહેવાય છે કે આર્થિક મોરચે આ સમસ્યાઓ એટલી મોટી છે કે વડા પ્રધાન મોદી ઇચ્છે તો પણ કોઈ સમાધાન શોધી ન શકે.

વડા પ્રધાન સામે જે નવા પડકારો અને પરિબળો છે તે તેમની વ્યક્તિગત મર્યાદાઓ અને મજબૂરીઓને કારણે નથી.

'અચ્છે દિન'થી લઈને 'આત્મનિર્ભર' સુધી

નરેન્દ્ર મોદી જાણે છે કે તેઓ 2014માં 'અચ્છે દિન'નું વચન આપી સત્તા પર આવ્યા હતા અને 2020માં હવે 'આત્મનિર્ભરતાનું' સૂત્ર આપી રહ્યા છે.

મોદીને હજુ પણ એક મજબૂત અને લોકપ્રિય નેતા માનવામાં આવે છે. તેમની એવી છબિ ઘડવામાં આવી છે કે તેઓ કડક નિર્ણયો લેવામાં પણ અચકાતા નથી અને નવો ચીલો ચીતરવાનો પ્રયાસ પણ કરે છે.

મોદી એ વાતથી પણ બેફિકર રહે છે કે જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ક્યાં લઈ જશે અને શું પરિણામ આવશે.

તેમના બીજા કાર્યકાળનાં બાકીનાં વર્ષોમાં, વડા પ્રધાન મોદી આ ઇમેજ સાથે આગળ વધતા જોવા મળશે, જેની ઝાંખી પ્રથમ વર્ષમાં જ જોવા મળી ગઈ હતી.

કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને સરકારે આ રીતે જ રદ્દ કર્યો.

ભાજપનું આગળનું મહત્ત્વપૂર્ણ પગલું

એક માસ્ટરસ્ટ્રોકથી કાશ્મીર કાયદા અને વહીવટી સ્તરે સમગ્ર દેશમાં સમાઈ ગયું.

અનુચ્છેદ 370 રદ કરવાની સાથે દરેક જગ્યાએ ન તો ચૂંટણીમાં વિજય મળ્યો, ન તો ઇસ્લામિક ચરમપંથી હુમલા સમાપ્ત થયા.

આ સાથે, મોદી સરકારે ટ્રિપલ તલાક મુદ્દે પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી.

ટ્રિપલ તલાકની સમાપ્તિથી મુસ્લિમ મહિલાઓને રાહત મળી, કારણ કે પુરુષો લગ્ન તોડવામાં મનસ્વી રીતે વર્તન કરતા હતા.

ટ્રિપલ તલાક બિલમાં બિનભાજપ પક્ષોનો એ ચહેરો પણ દેખાયો, જેમણે લૈંગિક સમાનતા કરતાં વોટબૅન્કને વધુ મહત્ત્વ આપ્યું.

ભાજપે સંકેત પણ આપ્યો છે કે તેનું આગળનું પગલું 'યુનિફોર્મ સિવિલ કોડ' છે.

મોદીની પ્રતિબદ્ધતા

આ સાથે, મોદી સરકારે આતંકવાદવિરોધી કાયદાને ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રિવેન્શન) કાયદામાં સુધારો કરી મજબૂત બનાવ્યો.

જે હેઠળ હવે કોઈપણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાય છે, આવું ઘણા દેશોમાં પહેલાંથી જ કરવામાં આવે છે.

2019ના અંત સુધીમાં, સુપ્રીમ કોર્ટે પણ રામમંદિર અંગે ચુકાદો આપી દીધો. અયોધ્યામાં જ્યાં મસ્જિદ હતી, ત્યાં હવે રામમંદિર બનાવવામાં આવશે.

1992માં લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના ભાજપના અભિયાનમાં મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.

ભાજપને લાગે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બાબરી ધ્વંસ કેસમાં તેઓ નિર્દોષ થઈ ગયા છે અને મુસ્લિમોના બહોળા વર્ગે કોર્ટના ચુકાદાને સ્વીકારી લીધો છે.

નાગરિકતા સંશોધન કાયદો

નાગરિકતા સુધારો કાયદો એટલે કે CAAને લઈને મોદી સરકારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

CAAએ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિનમુસ્લિમ લઘુમતીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

CAAને લઈને ભારતના મુસ્લિમોના મનમાં અનેક શંકાઓ હતી અને તેને લીધે ઘણા સ્થળોએ દેખાવો પણ થયા હતા.

દિલ્હીનું શાહીન બાગ CAAના વિરોધપ્રદર્શનનું પ્રતીક બની ગયું.

ત્યારબાદ, NPR એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર અને NRC એટલે કે નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝનનો મુદ્દો સામે આવ્યો.

આસામમાં મોટી સંખ્યામાં લોકો NRCના લીધે હેરાન થયાં. CAAને લીધે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી લઈને દિલ્હીના જામિયા સુધી હિંસાઓ થઈ હતી.

દિલ્હીમાં કોમી રમખાણો

આ હિંસા દિલ્હીના કોમી રમખાણોમાં ફેરવાઈ. તેમાં 50થી વધુ હિન્દુ અને મુસ્લિમ માર્યા ગયા.

આ હુલ્લડો મોદી સરકાર માટે એક કાળા બટ્ટા જેવા હતું, કેમ કે આ સરકાર અત્યાર સુધી કોઈ પણ સાંપ્રદાયિક હુલ્લડો ન થયા હોવાનો દાવો કરતી હતી.

જો કે, આ પહેલાં, ઘણા લિન્ચિંગના મામલા સામે આવ્યા હતા. આ સિવાય ઝારખંડ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હાર જોવી પડી.

મહારાષ્ટ્રમાં, 30 વર્ષ જૂના સાથી શિવસેનાએ ભાજપથી અલગ થઈ ગઈ અને કૉંગ્રેસની સાથે હાથ મેળવી સરકાર બનાવી.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું રાજકીય નાટક લાંબા સમય સુધી ચાલ્યું અને તે કેન્દ્ર સરકારની એવી છબિ સાથે સમાપ્ત થયું કે જેમાં સત્તા મેળવવા માટે રાજ્યપાલને પણ પ્યાદું બનાવી દેવામાં આવ્યા.

આર્થિક નિર્ણયો

આ સમય દરમિયાન, સૌથી સાહસિક આર્થિક પગલું એ હતું કે 10 સરકારી બૅન્કોનો મોટી બૅન્કમાં વિલય થયો. આનાથી વર્કફૉર્સનો યોગ્ય ઉપયોગ થયો અને ખર્ચમાં પણ ઘટાડો થયો.

પરંતુ સરકારનાં આ તમામ પગલાંઓ બાદ પણ વૈશ્વિક આર્થિક સંકટને લીધે ભારતીય અર્થવ્યવસ્થામાં મુશ્કેલીઓ વધી.

વર્ષ 2020ની શરૂઆત અને મોદી સરકારના સામાન્ય બજેટમાંથી એવા કોઈ સંકેત ન મળ્યા જેનાથી લાગે છે કે અર્થવ્યવસ્થામાં કોઈ ક્રાંતિકારી સુધારો થશે .

સરકારની નીતિઓ અંગે મધ્યમ વર્ગમાં નિરાશા જોવા મળી હતી. મોદી સરકાર માટે આર્થિક પડકારો સતત વિશાળ થતા જાય છે.

વૈશ્વિક મહામારી, કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનથી અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ.

કોરોના સંકટ

કોરાના વાઇરસના ટેસ્ટિંગમાં વધારો કરવાથી સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે, પરંતુ આ મહામારીનો વૃદ્ધિદર હવે ઘટી રહ્યો હોય તેમ લાગે છે.

સારી વાત છે કે, વડા પ્રધાન મોદીએ સમયસર દેશભરમાં કડક પ્રતિબંધો લાદ્યા અને હૉસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓને સજ્જ કરવામાં આવી.

ભારતમાં કોરોના વાઇરસને લીધે મૃત્યુ પામેલા લોકોની ટકાવારી માત્ર 2.87 છે. મોદી આ મામલે ક્રૅડિટ મેળવવાનો દાવો કરી શકે છે, પરંતુ કેટલાંક રાજ્યોએ પણ સારું કામ કર્યું છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના પરપ્રાંતીય મજૂરોની સમસ્યાએ કોરોના વાઇરસ સામેની લડત સાથે લૉકડાઉનને લીધે આ સરકારને અસ્વસ્થ બનાવી દીધી છે.

કામદારોની લાચારી

પોતાના ગામ પહોંચવા ટળવળતા મજૂરો સેંકડો કિલોમિટર દૂર ભૂખ્યા અને તરસ્યા પગપાળા અને સાઇકલ ચલાવતા જોવા મળ્યા.

મોદી સરકાર આ કામદારોની લાચારીને લીધે ઘેરાયી કેમ કે તેમણે લૉકડાઉન માટેની કોઈ તૈયારી નહોતી કરી.

આ બધા પ્રશ્નો અને મુશ્કેલીઓ વચ્ચે મોદી સરકારે રૂપિયા 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચ દિવસ સુધી દરરોજ પૅકેજની રકમ ફાળવવાની વિગત જાહેર કરતી પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

હવે સરકાર સમક્ષ પડકાર એ છે કે જે પૅકેજ ફાળવણીની વાત કરવામાં આવે છે તે ગ્રાઉન્ડ લેવલ પર સાચી સાબિત થવી જોઈએ.

મોદી સરકાર હજી પણ મોટા સુધારા, માળખાકીય ફેરફારો અને વેપારમાં સરળતા લાવવામાં વિશ્વાસ ધરાવે છે.

ભાજપે 2019ના ઘોષણાપત્રમાં, 2022માં, ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થાય તેના ઉપલક્ષમાં 75 માઇલસ્ટોન હાંસલ કરવાની જાહેરાત કરી હતી.

જો મોદી સરકાર ખરેખર 75 માઇલસ્ટોન હાંસલ કરવામાં સફળ થાય તો ભારતની પ્રગતિની વાર્તા કોરોના વાઇરસની મહામારી કરતાં મહત્ત્વની બની રહેશે.

(શેખર ઐય્યર 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના સિનિયર ઍસોસિયેટ ઍડિટર હતાં અને 'ડેક્કન હેરાલ્ડ'ના પોલિટિકલ ઍડિટર છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો