કોરોના વાઇરસ : લૉકડાઉન તમારી ઇમ્યુન સિસ્ટમ પર શું અસર કરે છે?

    • લેેખક, લિંડા ગેડિજ
    • પદ, બીબીસી ફ્યૂચર

છેલ્લા અંદાજે અઢી મહિનાથી દુનિયાની કુલ વસતીનો એક મોટો ભાગ ઘરોમાં કેદ છે.

લૉકડાઉનને કારણે લોકો માત્ર જરૂરી સામાન ખરીદવા માટે જ ક્યારેક ઘરની બહાર નીકળે છે.

કોવિડ-19 મહામારીને ફેલાતા રોકી શકાય એટલા માટે આવું કરવામાં આવે છે.

પરંતુ ઘરમાં રહેવાના કેટલાક દુષ્પ્રભાવ પણ છે, જે આપણને કોરોના વાઇરસ સામે કમજોર બનાવે છે.

માણસનો વિકાસ દિવસ અને રાતના 24 કલાકના હિસાબે થયો છે.

બૅક્ટેરિયા અને વાઇરસ

આપણા શરીરમાં મોજૂદ સિર્કેડિયન ક્લૉક કે શરીરની જૈવિક ઘડિયાળ સૂર્યપ્રકાશ અને રાતના અંધારા સાથે તાલ મિલાવીને ચાલે છે.

સૂરજનાં કિરણોથી આપણને વિટામિન-ડી મળે છે. આ વિટામિન આપણા દાંત અને હાકડાંને મજબૂત બનાવે છે.

વિટામિન-ડી આપણાં ફેફસાંની રોગ સામે લડવાની ક્ષમતાને પણ મજબૂત કરે છે.

કોઈ ચેપ લાગતાં ફેફસાંની અંદર ઉપરના ભાગે પેપ્ટાઇડ નીકળે છે, જે બૅક્ટેરિયા અને વાઇરસને ખતમ કરે છે.

આ પેસ્ટાઇડને કૈથેલિસિડિન કહે છે, જે આપણી બી અને ટી ઇમ્યુન સેલને પણ મજબૂત બનાવે છે.

જે લોકોમાં વિટામિન-ડીની ઊણપ હોય છે, તેમને શ્વાસનળીમાં વાઇરસના ઇન્ફેક્શનની શક્યતા વધુ રહે છે.

વિટામિન-ડીની ઊણપ

વૈજ્ઞાનિકો એ બાબતને શોધી રહ્યા છે કે શું વિટામિન-ડીની સપ્લિમેન્ટ લેવાથી કોવિડ-19 સામે લડવામાં મદદ મળે છે?

ડલ્બિનની ટ્રિનિટી કૉલેજનાં રિસર્ચર રોઝ કેનીના રિસર્ચ અનુસાર, ઇટાલી અને સ્પેનમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલાં લોકોમાં વિટામિન-ડીની ભારે કમી જોવા મળી છે.

આ જગ્યાએ લોકો ઘરમાં રહે છે. બહાર નીકળતાં સનસ્ક્રીનનો પ્રયોગ કરે છે. તેના કારણે તેમનામાં વિટામિન-ડીની ઊણપ હોય છે.

વિટામિન-ડીની સપ્લિમેન્ટ લેવા કરતાં સારું એ છે કે સૂરજના પ્રકાશથી તેને પ્રાપ્ત કરવામાં આવે.

તેનાથી અન્ય વાઇરલ ઇન્ફેક્શન સામે પણ લડવામાં મદદ મળે છે, જેમ કે ઇન્ફ્લુએન્ઝા કે સામાન્ય શરદી-ખાંસી.

રોગપ્રતિકારક શક્તિ

લૉકડાઉનને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળતા નથી એટલે કસરત કરવામાં પણ ઘટાડો થયો છે. જોકે કસરત કરવાથી તણાવ ઓછો કરવામાં ઘણી મદદ મળે છે.

તણાવ ઓછો થાય તો આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ કામ કરે છે.

જો તમે પાર્ક, બગીચા કે ભીડવાળા વિસ્તારમાં કસરત કરો છો તો કુદરતની નજીક હોવાથી પણ તમે બ્લડપ્રેશર અને હૃદયની બીમારીથી બચી શકો છો.

તેનાથી ડાયાબિટીસથી પણ બચવામાં મદદ મળે છે. બહાર ઘૂમવાથી એકલતા પણ દૂર થાય છે. આપણે અન્ય લોકોના સંપર્કમાં આવીએ છીએ.

તેનાથી આપણા મગજને આરામ કરવામાં અને રિકવર થવામાં પણ મદદ મળે છે.

કૅન્સરની કોશિકાઓ

કેટલાંક રિસર્ચમાં જોવા મળ્યું છે કે વૃક્ષો આપણી ઇમ્યુન સિસ્ટમ પર સીધી અસર કરે છે.

વૃક્ષોની આસપાસ વધુ સમય રહેવાથી આપણા શરીરની રોગપ્રતિકારક કોશિકાઓ વધુ સક્રિય થાય છે.

આ કોશિકાઓ વાઇરસ અને કૅન્સરની કોશિકાઓની ભાળ મેળવીને તેને ખતમ કરી નાખે છે.

જાપાનમાં થયેલા એક અધ્યયન અનુસાર, વૃક્ષોની આસપાસ રહેવાથી આપણે શ્વાસની સાથે ફાઇટોનસાઇડ્સ નામનું તત્ત્વ પોતાની અંદર લઈએ છીએ.

તેનું આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મોટું યોગદાન હોય છે.

શરીરની ઘડિયાળનો લય તૂટ્યો

બહાર હરવાફરવાથી આપણી ઊંઘ પર પણ અસર પડે છે. લૉકડાઉન દરમિયાન ઘરમાં બંધ રહેવાને કારણે આપણા શરીરના ચક્રનો લય બગડી ગયો છે.

તેની ઊંઘ પર પણ ખરાબ અસર પડી છે. સવારે મોડા સુધી ઊંઘી રહેવું અને રાત મોડે સુધી જાગવાનો સિલસિલો આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી.

જો કોઈ લાંબા સમય સુધી ઘરની બહાર નથી નીકળતા તેમના શરીરના જૈવિક ચક્રનો લય બગડી જાય છે.

જે લોકો સવારનો સમય ખુલ્લી હવા અને પ્રકાશમાં વીતાવે છે તેમને ઊંઘ સારી આવે છે. તેમની ઊંઘમાં ખલેલ પણ ઓછી પડે છે.

જે લોકો બંધ ઘરમાં વીજળીના પ્રકાશમાં રહે છે, તેમને ઊંઘ પરેશાન કરે છે. પ્રકાશનો આપણી ઇમ્યુન સિસ્ટમ સાથે ભલે કોઈ સીધો સંબંધ ન હોય, પરંતુ તે ઊંઘ સાથે સીધી રીતે જોડાયેલી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ

સવારે વહેલા ઊઠવાથી રાતે ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ આપણને તણાવ અને ડિપ્રેશનથી બચાવે છે અને તેનાથી દૂર રહેવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે છે.

ઘરથી બહાર નીકળવાના આ ફાયદાના લાભ ઉઠાવવા માટે કેટલા સમય સુધી બહાર રહેવું જરૂરી છે?

આ સવાલનો કોઈ ઠોસ જવાબ હાલ તો વૈજ્ઞાનિકો પાસે નથી.

પરંતુ સવારે પ્રકાશમાં ટહેલવાથી અને સૂરજનાં કિરણોથી વિટામિન-ડી મેળવવાથી આપણી રોગ સામે લડવાની શક્તિ મજબૂત થાય છે.

જો લૉકડાઉન આગળ પણ ચાલુ રહે તો તમારી કોશિશ એ હોવી જોઈએ કે દિવસમાં કમસે કમ એક વાર ચોક્કસ ઘરની બહાર નીકળો.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અને જાતને સૂરજના તાપથી બચાવીને તમે કુદરતની નજીક હોવાનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરો.

સૂર્યપ્રકાશ અને કુદરતનો સંગ જખમો પર મલમનું કામ કરે છે, મજાની વાત એ છે કે આ મફતમાં મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો