જ્યારે 'ખુલ્લમ ખુલ્લા પ્યાર'ની જેમ ઋષિ કપૂરે જાહેર કરી દીધાં બધાં રહસ્યો

    • લેેખક, પંકજ પ્રિયદર્શી
    • પદ, બીબીસી સંવાદદાતા

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ ચર્ચિત કપૂર ખાનદાનમાં કદાચ ઋષિ કપૂર એક માત્ર એવા કલાકાર હતા જેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી.

ઋષિ કપૂરના અભિનયની ખાસિયત સિવાય તેમની નિડર પ્રતિભા પણ લોકોને બહુ ગમતી. તેમણે કયારેય એ વાતની ના નથી પાડી કે તેઓ દારૂ બહુ પીતા હતા. દીકરા રણબીર કપૂર સાથે જનરેશન ગૅપની વાતને પણ કોઈ દિવસ નકારી નથી.

પ્રામાણિક અભિપ્રાય આપવાને લીધે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રૉલ પણ થતા હતા. કેટલીક વખત તેમના મોડી રાતના ટ્વીટ રમૂજી રહેતા તો કેટલીક વખત તેમને મુશ્કેલીમાં મૂકી દેતા.

વર્ષ 2017માં તેમનું પુસ્તક આવ્યું 'ખુલ્લમ ખુલ્લા.' તેમના પુસ્તકની ચર્ચા એટલા માટે પણ થઈ હતી કેમ કે તેમણે તેમાં ઘણી વાતો કોઈ પણ સંકોચ વગર લખી હતી. આવો જોઈએ ઋષિ કપૂરના પુસ્તક 'ખુલ્લમ ખુલ્લા'ની કેટલીક વાતો જેનો લોકોને અંદાજો તો હતો પણ કપૂર ખાનદાનના કોઈ સભ્યએ નિડર થઈને એ વાતો કહી નહોતી.

રાજ કપૂરના લગ્નેત્તર સંબંધોની વાત

ઋષિ કપૂરે પોતાના પુસ્તકમાં સ્વીકાર્યું છે કે લગ્નગ્રંથિમાં બંધાયેલા હોવા છતાં તેમના પિતા રાજ કપૂરના ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા.

તેમણે આ પુસ્તકમાં રાજ કપૂરના નરગિસ અને વૈયજંતિ માલા સાથેના અફૅરની પણ ચર્ચા કરી હતી.

ઋષિ કપૂરે લખ્યું છે કે આ સમય દરમિયાન કેવી રીતે તેમનાં માતા પહેલાં એક હોટલ અને પછી ચિત્રકુટમાં એક ઍપાર્ટમૅન્ટમાં શિફ્ટ થઈ ગયાં હતાં.

તેમના પ્રમાણે તેમનાં માતા કૃષ્ણા કપૂરે હાર નહોતી માની અને જયારે રાજ કપૂર આ બધા સંબંધોમાંથી બહાર નીકળી ગયા ત્યારે તેઓ તેમની પાસે પરત ગયાં. ઋષિ ત્યારે બહુ નાના હતા.

પણ એમણે લખ્યું હતું કે કેવી રીતે તેમના પિતા રાજ કપૂર તેમનાં માતાને મનાવવા પ્રયત્નો કરતા હતા.

નીતુ સિંહ પહેલાંનો પ્રેમ

ઋષિ કપૂર અને નીતુ સિંહનાં લગ્ન બોલીવૂડનાં ચર્ચિત લગ્નોમાં પૈકી એક હતાં. તેમ છતાં તેમણે સ્વીકાર્યું છે કે તેઓ એક પારસી છોકરીના પ્રેમમાં પાગલ હતા.

તેઓ લખે છે કે એ પારસી છોકરીનું નામ યાસ્મીન મહેતા હતું. આ વાત તેમની પ્રથમ ફિલ્મ 'બૉબી' આવી એ પહેલાની છે. જોકે, 'બૉબી' રિલીઝ થઈ ત્યારે કેટલાંય છાપાંમાં ઋષિ અને ડિમ્પલ કાપડિયાના સંબંધો પર મસાલેદાર ગૉસિપ છપાઈ હતી.

એ સમયના ચર્ચિત સામાયિક 'સ્ટારડસ્ટ'એ પણ તેમના પર સ્ટોરી કરી હતી. જોકે તે સમયે ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાનાં લગ્ન થઈ ગયાં હતાં.

ઋષિએ સ્વીકાર કર્યો છે કે તેને લીધે તેમના સંબંધો પર અસર પડી અને આ જ ગૉસિપને લીધે તેમના અને યાસ્મીનના સંબંધોમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું. તેમણે યાસ્મીનને મનાવવાના બહુ પ્રયત્નો કર્યા હતા પણ તેઓ સફળ નહોતા થયા.

જ્યારે રાજેશ ખન્ના થયા નારાજ

યાસ્મીન મહેતા અને ડિમપ્લ કાપડિયા સાથે જોડાયેલો એક બીજો કિસ્સો પણ ઋષિ કપૂરે તેમના પુસ્તકમાં લખ્યો છે. તેઓ જણાવે છે. જયારે તેઓ અને યાસ્મીન ડૅટ કરી રહ્યાં હતાં ત્યારે યાસ્મીને તેમને એક રિંગ ગિફ્ટ કરી હતી.

બૉબીના શૂટીંગ દરમિયાન ડિમ્પલે એ રિંગ પોતાના હાથમાં પહેરી લીધી હતી અને પછી તેને પોતાની પાસે જ રાખી લીધી.

જયારે રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને પ્રપોઝ કર્યું હતું ત્યારે તેમણે ડિમ્પલની આંગળીમાં એ રિંગ જોઈ અને જૂહુના તેમના ઘરની નજીકના દરિયામાં તેને ફેંકી દીધી હતી.

આ જ ક્રમમાં તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ક્યારેય ડિમ્પલના પ્રેમમાં નહોતા પડ્યા અને ન તો કયારેય તેમના પ્રત્યે આકર્ષિત થયા હતા.

અમિતાભે ન આપી કૅડ્રિટ

અમિતાભ બચ્ચન સાથે કપૂર ખાનદાનનો સંબંધ પહેલાંથી જ છે. ઋષિ કપૂરે અમિતાભ માટે પોતાનો અભિપ્રાય જાહેરમાં જણાવ્યો હતો.

તેમણે નોંધ્યુ હતું કે મલ્ટીસ્ટારર ઍક્શન ફિલ્મોમાં કામ કરવાનું એક સેકન્ડ લીડ માટે કેટલું મુશ્કેલ હોય છે. એ દિવસોમાં ઍક્શન ફિલ્મો મોટા ભાગે મલ્ટીસ્ટારર જ બનતી હતી.

આવી ફિલ્મો સફળ થતાં લીડ સ્ટારને જ ક્રૅડિટ મળતી હતી. તેમણે લખ્યું હતું કે આ સમસ્યા માત્ર તેમની એકલાની જ નહોતી. શશી કપૂર, વિનોદ ખન્ના અને શત્રુધ્ન સિંહા પણ આ યાદીમાં સામેલ હતા.

ઋષિ કપૂરે લખ્યું છે, "અમે નાના સ્ટાર હતા પણ કલાકારીમાં કોઈ ઉણપ નહોતી, પણ એ વાતનો અમિતાભ બચ્ચને કયારેય સ્વીકાર ન કર્યો. ન કોઈ ઇન્ટરવ્યૂમાં ન કોઈ પુસ્તકમાં. અમિતાભે પોતાની સાથે કામ કરનારા સાથી કલાકારોને કોઈ દિવસ ક્રૅડિટ નહોતી આપી."

નીતુ સિંહ પર ગુસ્સો

ઋષિ કપૂરે સ્ટારડમ જોયું તો તેની સાથે નિષ્ફળતા પણ જોઈ હતી. બૉબી બમ્પર હિટ થઈ ને તેઓ સ્ટાર બની ગયા. ત્યારબાદ તેમની પાસે ઘણી ફિલ્મો આવી.

તેમની ફિલ્મોથી લોકોને ભારે આશા હતી પણ તે બૉક્સ-ઓફિસ પર ન ચાલી, આ સમયે તેમનાં અને નીતુ સિંહનાં લગ્ન થઈ ગયાં હતાં.

ઋષિ કપૂરના જણાવ્યા પ્રમાણે એ સમય તેમના માટે હતાશા અને નિરાશાથી ભરપૂર હતો. એ હતાશામાં જ તેમણે પોતાની નિષ્ફળતા માટે નીતુ સિંહને જવાબદાર ઠેરવવાનાં શરૂ કરી દીધાં.

એ સમયે નીતુ સિંહ ગર્ભવતી હતાં. તેમ છતાં તેઓ ઋષિ કપૂરની હતાશાનો ભોગ બન્યાં. તેઓ માને છે કે પરિવારજનો અને મિત્રોના સહયોગથી તેઓ એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યાં.

પરંતુ ઋષિ કપૂરને એ વાતનો અહેસાસ હતો કે નીતુ સિંહે એ સમયનો સામનો કેવી રીતે કર્યો હતો.

પોતાને માટે વૉર્ડની ખરીદી

ઋષિ કપૂર પોતાના અને અમિતાભ બચ્ચનના સંબંધો પર લખતાં જણાવે છે કે કદાચ બૉબી માટે અભિનેતાનો ઍવૉર્ડ મળવાને લીધે અમિતાભ તેમનાથી ચિડાતા હતા.

તેમના પ્રમાણે અમિતાભ બચ્ચનને આશા હતી કે જંજીર માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળશે પરતું ઋષિને એ ઍવૉર્ડ બૉબી માટે મળી ગયો.

ઋષિ કપૂરે લખ્યું હતું. "હું એ જણાવતાં શરમ અનુભવું છુ કે ઍવૉર્ડ મેં ખરીદ્યો હતો. એક પીઆરે તેમને કહ્યું હતું કે સર 30 હજાર આપી દો હું આ ઍવૉર્ડ તમને અપાવીશ."

જાવેદ અખ્તરને ટોણો

ઋષિ કપૂર કયારેય સલીમ-જાવેદની જોડીથી પ્રભાવિત નહોતા થયા. તેઓ પુસ્તકમાં લખે છે કે કેવી રીતે તેઓ અને તેમના મિત્ર 'ઈમાન ધરમ'ફિલ્મ ફલોપ થઈ ગયા બાદ જાવેદ અખ્તરને ચિડવવા તેમના ઍપાર્ટમૅન્ટ સુધી જતા હતા.

જાવેદ અખ્તરે પણ કહી દીધું હતું કે તેમનો આગામી પ્રોજેકટ બૉબીથી પણ વધારે હિટ સાબિત થશે.

જોકે બાદમાં સલીમ-જાવેદની જોડી સાથે તેમણે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું પણ તેમાંથી કોઈ યાદગાર ફિલ્મ નથી.

તેમણે પુસ્તકમાં એ પણ લખ્યું છે કે તેઓ જાવેદ અખ્તરને એ ટીવી ઇન્ટરવ્યૂ માટે કયારેય માફ નહી કરી શકે જેમાં અખ્તરે કહ્યું હતું કે ગીતકાર શૈલેન્દ્રના કસમયના મૃત્યુ માટે રાજ કપૂર જવાબદાર હતા.

રણબીર કપૂર સાથેના સંબંધો

ઋષિ કપૂરે પોતાના પુસ્તકમાં એ પણ સ્વીકાર્યું છે કે પુત્ર રણબીર સાથે તેમનો સંબંધ બહુ નિખાલસ નહોતો. રણબીર વધુ વાત તેની માતા સાથે કરતો હતો.

તેમણે કયારેય રણબીરની કારકિર્દીમાં દખલ નહોતી કરી.

જોકે તેમને રણવીરની શરૂઆતની કેટલીક ફિલ્મોને લઈને ચોક્કસથી વાંધો હતો. તેઓ એવું પણ માનતા હતા કે 'બરફી' ફિલ્મ બાદ રણબીરનું કામ સુધર્યું હતું.

રણબીર સાથે પોતાના બૉન્ડિંગની વાત કરતાં ઋષિ કપૂરે લખ્યું છે કે "હું નથી જાણતો કે આગળ શું થશે. હું નથી જાણતો કે મારાં બાળકો શું કરશે. હું નથી જાણતો મારા અને ડબ્બુ(રણધીર કપૂર)નાં બાળકો ભવિષ્યમાં અમારી સાથે કેવો વ્યવહાર કરશે. આર.કે. બૅનરને જીવંત રાખશે, તેમના વારસનાને આગળ કઈ રીતે આગળ વધારશે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો