કોરોના લૉકડાઉન : 'અમદાવાદમાં તોફાનો સમયે પણ આવી સ્થિતિ ન હતી'

કોટ વિસ્તારની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોટ વિસ્તારમાં ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે.
    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

“અમદાવાદમાં તોફાન થતાં ત્યારે ધંધા પર આવી અસર પડી નથી. એકપણ વખત દુકાનનું તાળું પણ તૂટ્યું નથી. કર્ફ્યૂમાં આંશિક રીતે જ્યારે છૂટછાટ અપાતી, ત્યારે અમે દુકાન ખોલતાં અને લોકો ખરીદી કરવા આવતા.”

આ શબ્દો છે અમદાવાદના કોટ વિસ્તારમાં દુકાન ધરાવતા હેમંતભાઈ શાહના, જેમની દુકાન 140 વર્ષ જૂની છે.

“જ્યારે આજે કોરોનાના ભયના કારણે બધુ બંધ છે. બજાર શરૂ થશે પછી પણ લોકો ખરીદી કરવા નહીં આવે.”

ત્રણ દરવાજા પાસેના ઢાલગરવાડમાં જેમની 70થી 80 વર્ષ જૂની દુકાન છે તેવા હફીઝભાઈ ડહેલાવાલા ઉપરોક્ત વાત સાથે સહમત થતા કહે છે:

“2002માં પણ પબ્લિકની અવર-જવર રહેતી હતી. તોફાનો પૂર્ણ થયા પછી લોકો ખરીદી કરવા આવતા. બજાર ખુલશે તો પણ કોરોનાના ડરના કારણે લોકો નહીં આવે.”

અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 2300ને પાર પહોંચી છે, જેમાંથી મોટા પ્રમાણમાં કેસ કોટ વિસ્તારમાં નોંધાયેલાં છે.

અમદાવાદના તમામ મોટા બજારો અને હૉલસેલના વેપારીઓની દુકાન કોટ વિસ્તારમાં છે, પરંતુ હાલ ત્યાં લૉકડાઉન છે.

દિવાળી અને રમઝાન જેવા તહેવારોમાં પુષ્કળ લોકો અહીં ખરીદી કરવા આવે છે.

'રમઝાન-દિવાળીમાં છ મહિનાની કમાણી'

પેશન્ટના નમુના લઈ રહેલ સરકારી કર્મચારીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ત્રણ દરવાજા વેપારી મહાજનના એક સભ્ય તરીકે હેમંતભાઈ કહે છે, “અમારે ધંધામાં બે દિવાળી હોય છે. એક દિવાળી અને બીજો રમઝાનનો તહેવાર.”

“આ દરમિયાન વેપારીઓ ઘણી મોટી કમાણી કરે છે. પરંતુ આ વખતે રમઝાનની સિઝન સાવ ખાલી ગઈ છે.”

રેડિમેડ ગાર્મેન્ટ્સના હોલસેલ અને રિટેલ વેપારી ઉવેશ મનસુરી કહે છે, “અમારે તહેવારમાં ક્યારેક છ મહિનાની કમાણી થઈ જાય છે.”

ત્રણ દરવાજાને ભૌગોલિક રીતે જોઈએ તો એક તરફ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, કાંકરિયા અને બીજી તરફ શાહપુર, દરિયાપુર, કાલુપુર, ખાનપુર વગેરે મિશ્ર વસતિ ધરાવતા બહુલ વિસ્તારો છે.

ત્રણ દરવાજાનું બજાર નજીક હોવાથી લોકો અહીંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. આમાંથી મોટાભાગના વિસ્તારોને કોરોનાના હૉટસ્પોટ જાહેર કરાયા છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

ઢાલગરવાડ કાપડ મહાજનના પ્રમુખ ફઝલભાઈ કહે છે કે અમારા કપડાંના ધંધામાં વૈશાખ મહિનો, રમઝાન મહિનો અને દિવાળી મહત્ત્વની હોય છે. વૈશાખ મહિનામાં ગામડાંના લોકો ખરીદી કરવા આવે, પરંતુ આ વખતે લૉકડાઉનમાં એ ન આવ્યા, રમઝાનની સિઝન ગઈ હવે માત્ર દિવાળી પર જ આધાર છે.

ફઝલભાઈ વધુમાં કહે છે કે લોકો રમઝાનમાં પાછળના દિવસોમાં ખરીદી કરે, પરંતુ પાછળના દિવસોમાં પણ કોરોના વાઇરસના કારણે લોકો આવશે કે નહીં એ મોટો પ્રશ્ન છે.

ઉવેશ મનસુરી કહે છે, “દિવાળી પછી અમે તરત રમઝાનની તૈયારી કરીએ. લોકો તહેવારના બે મહિના પહેલાં આગળ ઓછી ખરીદી કરે અથવા કરે જ નહીં. બજાર બંધ હોવાથી વેચાણ થયું જ નહીં. માલ પડી રહ્યો છે.”

'દુકાળમાં અધિક માસની સ્થિતિ, શટર ડાઉન થવાની પણ શક્યતા'

ત્રણ દરવાજા વેપારી મહાજનના પ્રમુખ સાજિદભાઈ મનસુરી કહે છે, ''દુકાળમાં અધિક માસની સ્થિતિ ઊભી થઈ છે. કોરોના પહેલાં મંદી હતી અને હવે કોરોનાના કારણે સાવ સ્થિતિ ખરાબ થઈ છે.”

હેમંતભાઈ કહે છે, “ભવિષ્યમાં કેટલીક દુકાનોના શટર ડાઉન થવાની શક્યતા છે, કારણ કે પહેલાં પણ દિવસના બે પાંચ હજાર લાવવાના અઘરા પડી રહ્યા હતા, હવે સ્થિતિ વધારે બગડશે.”

સાજિદ ભાઈને પોતાની લગેજ અને ટ્રાવેલિંગ બૅગની દુકાન છે. તેઓ કહે છે, "લોકો ટ્રાવેલિંગ જ કરતા નથી તો ક્યાંથી બૅગ કે બીજો કોઈ સામાન વેચાશે."

"મારી દુકાનમાં આઠ માણસ કામ કરે છે, મારે માણસાઈ ખાતર પણ હાલ તેમને પગાર આપવો પડે. દસ-બાર હજાર રૂપિયા પગાર હોય. ઘણી આકરી અસર થાય છે."

કપડાંની ખરીદી કરી રહેલી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રમુખ તરીકે બધાની સ્થિતિ વર્ણવતા સાજિદભાઈ કહે છે, "બજારમાં હાલ કોઈની પાસે બાકી લેણાં કે ઉધાર માગી શકાતું નથી. તમામની સ્થિતિ એક જેવી જ છે. ધંધો ઉધારીમાં ચાલતો હોવાથી તમામના રૂપિયા ફસાઈ ગયાં છે"

ઉવેશભાઈ કહે છે કે, લૉકડાઉનના કારણે ઉઘરાણીના પૈસા અટકી ગયા છે. કપડાંનો ધંધો ઉધારી પર ચાલે છે. લોકોના પૅમેન્ટ ફસાઈ ગયા છે. અમારે તો લોકોને પગાર ચૂકવવો જ પડે છે. હાલ અમારી બચતમાંથી ચૂકવી રહ્યા છીએ.

સાજિદભાઈ અને ઉવેશભાઈ બંને કહે છે કે, આ તકલીફના સમયમાં કોઈનો પણ પગાર રોકી ન શકાય.

હેમંતભાઈ કહે છે કે હાલ તો અમે બે મહીનાના પગાર અને કેટલાંકને વધારાની રકમ કમાણી વિના આપી. મેનો પગાર પણ એમ જ આપવો પડશે.

'2020માં કમાણી ભૂલી જવાની'

ઉવેશભાઈ કહે છે કે, જે પ્રકારે બજાર પર અસર પડી રહી છે તે જોતાં લાગે છે કે 2020માં કમાણી ભૂલી જવાની છે.

તેઓ કહે છે, “ધંધો ચાલુ થયા પછી પણ પૈસા આવશે કે નહીં તે મોટા પ્રશ્ન છે, કારણ કે માર્કેટ ઉધારી પર ચાલે છે. મટીરિયલ, પ્રોસેસિંગ, મૅન્યુફૅક્ચરર, ડિલર, હું અને મારી નીચે નાના વેપારી એમ એક લાંબી ચેઇન હોય છે. "

“જ્યારે આ બધા સરખી રીતે ઍક્ટિવ થાય ત્યારે જ ધંધો સરખી રીતે થઈ શકે છે. આ સેટ થતાં બે મહિના નીકળી જશે."

“તેઓ કહે છે, “દિવાળીની સિઝન સારી રીતે નીકળી જાય તો સારું.”

'... નહીં તો માલ ફેંકવો પડશે'

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

દુકાન ખોલવા અંગે ઢાલગરવાડ કાપડ મહાજનના પ્રમુખ ફઝલભાઈ કહે છે, “દુકાનો બે ત્રણ દિવસ માટે ખોલવી પડશે કારણ કે કાપડ પર ચોંટેલી ધૂળને સાફ ન કરીએ તો એના ધાબાં પડે અને માલ ફેંકી દેવો પડે.

અમે બે-ત્રણ દિવસ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરીને ખોલીશું. સાફ સફાઈ કરીશું. જો ગ્રાહકો આવશે તો ચાલુ રાખીશું બાકી બંધ કરી દઈશું.

તેઓ કહે છે કે, બજાર ખોલવી એ સરકારની આગામી નીતિને આધારિત છે.

જ્યારે દુકાન ખોલવા અંગે ત્રણ દરવાજા વેપારી મહાજનનો વિચાર અલગ છે.

ત્રણ દરવાજા વેપારી મહાજનના પ્રમુખ સાજિદ ભાઈ કહે છે, “સરકાર દુકાનો ખોલવાની મંજૂરી આપશે તો પણ માર્કેટમાં લોકો પહેલાં દસેક દિવસ ખરીદી કરવાનું ટાળશે માટે અમે પણ દુકાનો ન ખોલવાનું વિચારી રહ્યા છીએ.”

line

હિંદુઓ મુસ્લિમ પાસેથી શું માલ ખરીદશે?

માસ્કધારી વ્યક્તિની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હિંદુઓ મુસ્લિમો પાસેથી માલ ન ખરીદે તે અંગે જે મૅસેજ ચાલી રહ્યા છે. તે અંગે હેમંતભાઈ કહે છે કે આ વાત અઘરી છે કપડાંના ધંધામાં મોટા ભાગનો કારીગર વર્ગ મુસ્લિમ છે. તેમણે બનાવેલ માલ લેવો જ પડે છે.

તેઓ વધુ કહે છે કે, આતો હાલ માહોલ એવો છે માટે લોકો ખાલી માત્ર મૅસેજ ફોર્વર્ડ કરે છે.

આ વાતને મુસ્લિમ વેપારીઓ પણ નકારે છે અને કહે છે, “અમને પણ કોઈ હિંદુ વેપારી માલ આપવાની ના પાડતું નથી.”

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો