કોરોના વાઇરસ : મૃત્યુ અને માતમ વચ્ચે કામ કરતાં ડૉક્ટરો કરે છે તેમના અનુભવની વાત

    • લેેખક, વિકાસ પાંડેય
    • પદ, બીબીસી સંવાદદાતા

ડૉ. મિલિંદ બાલ્દી, 46 વર્ષની વયના એક પુરુષને શ્વાસ લેવાની તકલીફ સાથે વ્હીલચૅર પર લાવવામાં આવ્યા, ત્યારે કોવિડ-19 વૉર્ડમાં ડ્યૂટી પર હતા.

એ પુરુષ ઘણા ડરેલા હતા અને સતત એક જ સવાલ પૂછતા હતા કે "હું જીવતો બચીશ ને?" એ પુરુષ વિનંતી કરતા હતા કે "કૃપા કરીને મને બચાવી લો. હું મરવા ઇચ્છતો નથી."

ડૉ. બાલ્દીએ તેમને સધિયારો આપ્યો હતો કે તેમને બચાવવાના શક્ય હોય તે તમામ પ્રયાસ કરવામાં આવશે.એ સંવાદ બન્ને વચ્ચની છેલ્લી વાતચીત પુરવાર થયો હતો. એ પુરુષ દર્દીને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને બે દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું.

ઇંદોર હૉસ્પિટલમાં એ દર્દીને લાવવામાં આવ્યા એ પછીની ડરામણી 30 મિનિટોને યાદ કરતાં ડૉ. બાલ્દીએ કહ્યું હતું કે "દર્દીએ મારો હાથ પકડી રાખ્યો હતો. આંખોમાં ભય હતો અને પીડા પણ. તેનો ચહેરો હું ક્યારેય ભૂલી શકીશ નહીં."

એ દર્દીના મૃત્યુની ડૉ. બાલ્દી પર ગંભીર અસર થઈ છે. તેમણે કહ્યું હતું કે "એ દર્દીએ મારા આત્માને અંદરથી હચમચાવી નાખ્યો હતો અને હૃદયમાં એક શૂન્ય છોડીને ચાલ્યો ગયો હતો."

મિલિંદ બાલ્દી જેવા લોકો માટે ક્રિટિકલ કૅર વોર્ડમાં દર્દીઓને મરતા જોવા એ કોઈ નવી વાત નથી, પણ તેઓ જણાવે છે કે કોવિડ-19 વોર્ડમાં કામ કરવાની સરખામણી મનોવૈજ્ઞાનિક રીતે બીજા કોઈ સાથે કરી શકાય નહીં.

કોરોના વાઇરસના મોટા ભાગના દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ગંભીર રીતે બીમાર દર્દીઓ પાસે, તેમને અંતિમ સમયમાં માત્ર ડૉક્ટરો અને નર્સિસ જ હોય છે.

દક્ષિણ ભારતના એર્નાકુલમ મેડિકલ કૉલેજના ક્રિટિકલ કૅર વિભાગના વડા ડૉ. એ. ફતાહુદ્દીને કહ્યું હતું કે "કોઈ પણ ડૉક્ટરને આવી સ્થિતિમાં રહેવાનું ન ગમે."

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેઓ દર્દીઓના પરિવારજનો સાથે ભાવનાત્મક વાતો શૅર કરતાં હોય છે, પણ કોવિડ-19 તેમને આવી તક પણ આપતો નથી.

ડૉ. એ. ફતાહુદ્દીને જણાવ્યું હતું કે તેમની હૉસ્પિટલમાં કોવિડ-19ને લીધે મૃત્યુ પામેલા એક દર્દીની આંખમાં જે સૂનકાર હતો તેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

તેમણે કહ્યું હતું કે "એ દર્દી વાત કરી શકતો ન હતો, પણ તેની આંખોમાં પીડા અને ભય સ્પષ્ટ દેખાતાં હતાં."

એ દર્દીની આસપાસ ત્યારે તેનું પોતાનું કોઈ હાજર ન હતું. ડૉ. ફતાહુદ્દીન એ બાબતે લાચાર હતા, પણ તેમણે આશાનું એક કિરણ દેખાયું હતું. એ દર્દીનાં પત્નીને પણ કોરોના વાઇરસની સારવાર માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

ડૉ. ફતાહુદ્દીન એ સ્ત્રીને તેમના પતિના વોર્ડમાં લઈ આવ્યા હતા, જ્યાં પત્નીએ પતિને 'ગૂડબાય' કહ્યું હતું.

40 વર્ષ સુધી ચાલેલા તેમના લગ્નજીવનનો અંત અચાનક આવી રીતે આવશે એવું તેમણે ક્યારેય વિચાર્યું નહીં હોય.

ડૉ. ફતાહુદ્દીને જણાવ્યું હતું કે અનુભવી ડૉક્ટર હોવા છતાં એ ઘટનાથી તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા.

અલબત્ત, દર્દીનું મૃત્યુ તેમના પત્નીનો ચહેરો નિહાળ્યા બાદ થયું એ વાતનો ડૉ. ફતાહુદ્દીનને સંતોષ પણ છે.

તેમણે કહ્યું હતું કે "હંમેશાં આવું થતું નથી. કડવું સત્ય એ છે કે કેટલાક દર્દીઓ તેમના પ્રિયજનોને ગૂડબાય કહ્યા વિના મૃત્યુ પામે છે."

આ પરિસ્થિતિના પ્રભાવ બાબતે, શ્રીનગરની ગવર્નમેન્ટ ચેસ્ટ હૉસ્પિટલમાં કામ કરતા ડૉ. મીર શાહનવાઝે કહ્યું હતું: "અમે માત્ર લોકોની બીમારી સામે જ લડતા નથી.""ખુદના પરિવારને ફરી ક્યારે મળી શકીશું એ અમે જાણતા નથી. એ ઉપરાંત ચેપ લાગવાનું જોખમ દરેક પળે તોળાયેલું રહે છે.""આ પરિસ્થિતિમાં એટલું સમજાય છે કે આપણે કોઈ મોટા જોખમનો સામનો કરી રહ્યા છીએ."

આટલું જ નહીં, આ તણાવ સિવાય ડૉક્ટરોએ દર્દીઓના ભાવનાત્મક ગુસ્સાનો સામનો પણ કરવો પડે છે.

ડૉ. શાહનવાઝે કહ્યું હતું કે "દર્દીઓ બહુ ભયભીત હોય છે. અમારે તેમને શાંત રાખવાના હોય છે. અમારે ડૉક્ટરોની સાથે-સાથે તેમના દોસ્તની ભૂમિકા પણ ભજવવી પડે છે."

એ સિવાય ડૉક્ટરોએ દર્દીઓના પરિવારજનોને ફોન-કોલ કરવાના હોય છે અને પરિવારજનોની વ્યથા પણ સાંભળવાની હોય છે. ડૉ. શાહનવાઝના જણાવ્યા મુજબ, આ બધું ભાવનાત્મક રીતે થકવી નાખનારું હોય છે.

ડૉ. શાહનવાઝે ઉમેર્યું, "રાતે રૂમમાં પહોંચીએ ત્યારે આ બધી વાતો બહુ હેરાન કરે છે. અનિશ્ચિતતાને કારણે ભય પણ હોય છે, કારણ કે પરિસ્થિતિ કેટલી ખરાબ થશે એ આપણને ખબર નથી."

ડૉ. શાહનવાઝે ઉમેર્યું હતું કે "ડૉક્ટરોનું કામ દર્દીઓનું જીવન બચાવવાનું હોય છે. ભલે ગમે તે થાય, અમે એ કરતા રહીશું, પરંતુ સચ્ચાઈ એ છે કે અમે પણ માણસ છીએ. તેથી અમને પણ ડર લાગે છે."

તેમણે જણાવ્યું હતું કે તેમની હૉસ્પિટલમાં કોરોના વાઇરસને કારણે થયેલા પહેલા મૃત્યુએ તેમના સાથીઓની હિંમત તોડી નાખી હતી, કારણ કે કોવિડ-19ના દર્દી તેના પરિવારજનોની ઝલક અંતિમ સમયે પણ નિહાળી શકતો નથી એ ખબર ત્યારે પડી હતી.

ડૉ. શાહનવાઝે કહ્યું હતું કે "પરિવારજનો દર્દીની અંતિમ ક્ષણોને, શિથિલ થતા જતાં સ્મિત, થોડાક અંતિમ શબ્દો અને જે સમજી ન શકાયું હોય એવું બીજું બધું યાદ રાખવા ઇચ્છતા હોય છે, પરંતુ તેમને મૃતકને યોગ્ય રીતે અંતિમસંસ્કાર કરવાની તક સુધ્ધાં મળતી નથી."

ડૉ. ફતાહુદ્દીનના જણાવ્યા મુજબ, આ પ્રકારના મનોવૈજ્ઞાનિક દબાણને સમજવું જરૂરી છે. તેથી દરેક હૉસ્પિટલમાં દર્દીઓની સાથે-સાથે ડૉક્ટરો માટે પણ એક મનોચિકિત્સક હોવો જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે "મેં મારી હૉસ્પિટલમાં આવું કર્યું છે. એ જરૂરી છે, અન્યથા ભાવનાત્મક ઘા એટલા ઊંડા થઈ જશે કે તેને રૂઝવવાનું મુશ્કેલ થઈ જશે. ફ્ર્ન્ટલાઇન વર્કરોમાં પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર દેખાવા લાગ્યા છે."

હૉટસ્પૉટ વિસ્તારોમાં કામ કરતાં ડૉક્ટરો

આવું માત્ર કોવિડ-19 વોર્ડમાં કામ કરતા ડૉક્ટરો સાથે જ નથી થતું. જુદા-જુદા હૉટસ્પૉટ વિસ્તારોમાં કૉન્ટેક્ટ ટ્રૅસિંગ અને શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રિનિંગ કરવા માટે ઘરેઘરે જતા ડૉક્ટરોની મુશ્કેલી પણ ઓછી નથી.

જયપુરમાં કામ કરતાં ડૉ. વર્ષા સક્સેનાના જણાવ્યા મુજબ, તેમણે રોજ જોખમનો સામનો કરવો પડે છે.

કોરોનાનાં લક્ષણ ધરાવતા લોકોના સ્ક્રિનિંગનું કામ કરતાં ડૉ. વર્ષા સક્સેનાએ કહ્યું હતું, "બીજો કોઈ વિકલ્પ જ નથી.""આવા પડકારોનો સામનો અગાઉ ક્યારેય કર્યો નથી, પણ એ જોખમની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.""જેનું સ્ક્રિનિંગ કરીએ છીએ તે પૉઝિટિવ છે કે નહીં તેની ખબર ન હોવાથી જોખમ પણ ઘણું વધારે હોય છે."

ડૉ. વર્ષા સક્સેનાના જણાવ્યા મુજબ, તેમનાં જેવા ડૉક્ટરોને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ હંમેશાં મળતાં નથી.

ડૉ. સકસેના કહ્યું હતું કે "ચેપ લાગવાનું જોખમ હંમેશાં હોય છે અને તેનો સામનો દરેક પળે કરવો પડે છે. એ વાત દિમાગમાં સતત ચાલતી રહે છે અને નકારાત્મક વિચારોને દૂર રાખવાનું બહુ મુશ્કેલ હોય છે."

ડૉ. વર્ષા સક્સેનાના જણાવ્યા મુજબ, કોરોનાનાં લક્ષણો ન ધરાવતી હોય તેવી વ્યક્તિનો ચેપ ન લાગે એવી ચિંતા તેમને સૌથી વધારે હોય છે. તેમણે કહ્યું હતું કે "એવું થશે તો અમે બીજા લોકોને પણ અજાણપણે ચેપ લગાવતા રહીશું. તેથી ફિલ્ડમાં કામ કરતાં ડૉક્ટરો માટે પણ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જરૂરી છે."

ઘણી વાર આવું માનસિક દબાણ ઘર સુધી પહોંચી જતું હોય છે એમ જણાવતાં ડૉ. વર્ષા સક્સેનાએ કહ્યું હતું કે:

"એ બહુ ગૂંચવાડાભર્યું છે. મારા પતિ પણ ડૉક્ટર છે. ઘણી વાર તો રાતે જમવાનું રાંધવા જેટલી શક્તિ પણ બચતી નથી. તેથી રાતે અમે બ્રેડ ખાઈને ઊંઘી જઈએ છીએ."

ડૉ. વર્ષા સક્સેનાના સાથી કર્મચારી અને સનદી અધિકારી અકીલ ખાને જણાવ્યું હતું કે ફ્રન્ટલાઇન વર્કરો માટે મનોવૈજ્ઞાનિક દબાણનો સામનો કરવો એ એક કડવી વાસ્તવિકતા છે. એ લોકોની આજુબાજુમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેમના ભયનું પ્રમાણ ઘણું વધી જાય છે.

અકીલ ખાને કહ્યું હતું કે "મારા એક અંકલ અને દોસ્તનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. હું એમના વિશે સતત વિચારતો રહું છું. મને પણ ચેપ લાગશે તો એવું વિચારવાનું હું અટકાવી જ શકતો નથી."

અકીલ ખાન તેમના પરિવારથી દૂર રહે છે. આ વખતે પહેલી વાર એવું બન્યું હતું કે તેઓ તેમની દીકરીના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થઈ શક્યા ન હતા.

તેમણે કહ્યું હતું કે "ઘરે જવાનું અને દીકરીને દૂરથી જોવાનું મન તો બહુ થતું હતું, પણ મારા દિમાગે એવું કરવાની ના પાડી હતી.""તણાવભર્યો સંઘર્ષ સતત ચાલતો રહે છે, પણ કામ પર જવાનું આપણે છોડી શકતા નથી. આ બધામાંથી આપણે બચી જઈશું એવી આશા કામ પર જતી વખતે રાખીએ છીએ."

"જોખમ કાયમ હોય છે."

જે ડૉક્ટરો અને નર્સિસ કોરોના વાઇરસ સાથે સીધા સંઘર્ષમાં નથી તેમને પણ આરામ મળતો નથી. બીજા દર્દીઓનો હૉસ્પિટલમાં આવવાનો સિલસિલો ચાલુ જ છે. કોરોના વાઇરસનાં લક્ષણોની ફરિયાદ સાથે હૉસ્પિટલે આવતા દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ છે.

કાશ્મીરની જીએમસી હૉસ્પિટલના ડૉ. મોહસીન બિન મુસ્તાકે કહ્યું હતું કે "કોરોના વાઇરસે આપણું જીવન હંમેશ માટે બદલી નાખ્યું છે."

તેમણે કહ્યું હતું કે "અમે બીજા દર્દીઓને રોજ તપાસીએ છીએ, પણ એ પૈકીના કોઈનો ચેપ લાગવાનું જોખમ હંમેશાં તોળાયેલું રહે છે."

ડૉ. મોહસીન બિન મુસ્તાકે એવું પણ જણાવ્યું હતું કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેર્યાં હોય તેવા ડૉક્ટરોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો અને તેમના મૃત્યુના સમાચાર વાંચવાથી તેમની ચિંતા વધી જાય છે. ભારતમાં પણ ઘણા ડૉક્ટરો કોરોના પૉઝિટિવ હોવાના અને તેના કારણે મૃત્યુ પામતાં હોવાના સમાચાર આવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે "આ બાબતે અમે કશું કરી શકતા નથી. આપણે માનસિક રીતે મજબૂત થવાની અને પોતાનું કામ કરવાની જરૂર છે."

ડૉ. મેહનાઝ ભટ્ટ અને ડૉ. સરતાજ ભટ્ટ પણ કાશ્મીરની જીએમસી હૉસ્પિટલમાં કામ કરે છે. તેમના જણાવ્યા મુજબ, દર્દીઓ વધારે ભયભીત જોવા મળી રહ્યા છે.

ડૉ. સરતાજે જણાવ્યું હતું કે શરદી થાય તો પણ લોકોને કોરોનાનો ડર લાગવા માંડે છે અને તેઓ હૉસ્પિટલે પહોંચી જાય છે.

તેમણે કહ્યું હતું કે "એવા દર્દીઓનો ઇલાજ કરવાની સાથે તેમના ડરને પણ અમારે દૂર કરવો પડે છે."

તેમણે તાજેતરમાં કોવિડ-19નાં લક્ષણ ધરાવતા એક દર્દીને તપાસીને તેને ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, પણ દર્દીના પરિવારજનોએ ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો અને દર્દીને પોતાની સાથે લઈ ગયા હતા.

ડૉ. સરતાજે પોલીસને ફોન કર્યો ત્યારે દર્દીને પાછો લાવી શકાયો હતો. ડૉ. સરતાજે જણાવ્યું હતું કે મારે આવું પણ કરવું પડશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ હવે આમ કરવું એ સામાન્ય વાત છે.

કેટલાક ડૉક્ટરોની દર્દી પ્રત્યેની દૃષ્ટિ પણ બદલાઈ ગઈ છે.

ડૉ. મેહનાઝ ભટ્ટે કહ્યું હતું કે "અમારે દર્દીઓ સાથે ઓછામાં ઓછી વાત કરવાની હોય છે. અમને તેની તાલીમ આપવામાં આવી નથી, પણ અમે ઝડપથી બદલાઈ રહ્યા છીએ, જે તણાવભર્યું છે."

સમગ્ર દેશમાં ડૉક્ટરો તથા નર્સિસ પરના હુમલાના સમાચારથી પણ આ લોકો ચિંતિત છે. ડૉ. મેહનાઝના જણાવ્યા મુજબ, ડૉક્ટરો પર શા માટે હુમલા કરવામાં આવે છે એ સમજવું મુશ્કેલ છે.

તેમણે કહ્યું હતું કે "અમે તો રોજ અમારો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવીએ છીએ. અમને ભયની નહીં, પ્રેમની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો