કોરોના વાઇરસ : ગુજરાત સરકારનું 'ઑપરેશન હૉટસ્પૉટ' કેટલું અસરકારક?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદના કોટ વિસ્તાર ઉપરાતં રાજ્યભરમાં ગુજરાત સરકારે અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન કર્યા છે, જેનો સીધો અર્થ એ છે કે આ વિસ્તારના લોકો એક હદ પછી બહાર ન જઈ શકે અને આ વિસ્તારમાં બહારના કોઈ વ્યક્તિ અંદર ન આવી શકે.

ગુજરાતમાં હાલમાં લગભગ 1,45,000થી વધુ લોકો આ પ્રકારે વિવિધ ક્લસ્ટર ક્વોરૅન્ટીનમાં રહે છે, આ વિસ્તારો પૈકી મોટા ભાગના મુસ્લિમ આબાદીવાળા વિસ્તારો છે.

અમદાવાદનો કોટ વિસ્તાર હોય કે સુરતનો રાંદેર ટાઉન વિસ્તાર કે પછી બેગમબજારનો વિસ્તાર, મુસ્લિમોની બહુમતીવાળા આવા ઘણા વિસ્તારો છે, જ્યાં કડક કાર્યવાહી કરીને લોકોના બ્લડ-સૅમ્પલ લેવામાં આવી રહ્યા છે અને અવરજવર પર રોક લાગાવી દેવાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આ સ્ટ્રેટેજીથી સીધો ફાયદો થયો છે, કારણ કે અમદાવાદના કોટ વિસ્તારમાંથી 50 જેટલા પૉઝિટિવ કેસો મળ્યા છે.

નિઝામુદ્દીન મરકઝની ઘટના બાદ અનેક મુસ્લિમ વિસ્તારોમાં પૉઝિટિવ કેસોની સંખ્યા વધી ગઈ છે, તેવું આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ પત્રકારો સાથેની વાત દરમિયાન કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું, "ગુજરાતભરમાં 15 જેટલા વિસ્તારોને હૉટસ્પૉટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ વિસ્તારોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે."

"કારણ કે જે કોઈ સ્થળે હવે પૉઝિટિવ કેસ મળે તો તે વિસ્તારને હૉટસ્પૉટ તરીકે જ ગણવામાં આવે છે. જેમાં સિદ્ધપુર અને છોટા ઉદેપુર જેવા વિસ્તારો સામેલ છે, જ્યાં એક એક-એક કેસ નોંધાયા છે, તેનો પણ સમાવેશ થાય છે."

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર સહિત 14 જેટલા વિસ્તારોને હૉટસ્પૉટ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં દરિયાપુર, કાલુપુર, જમાલપુરના 6 અલગ-અલગ વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોડકદેવ, જુહાપુરા, દાણીલીમડા, બાપુનગર અને જશોદાનગર જેવા વિસ્તારોમાં પણ અનેક સ્થળોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ક્લસ્ટર ક્વોરૅન્ટીનમાં કેવી છે જિંદગી?

ક્લસ્ટર ક્વોરૅન્ટીનમાં રહેતા લોકો સાથે બીબીસીએ વાત કરવાનો પ્રયાસ કર્યો. મોટા ભાગના લોકો આ પગલાને યોગ્ય માને છે, પરંતુ ઘણા લોકો ભયભીત છે.

દરિયાપુર વિસ્તારની મસ્જિદ ગલીમાં રહેતા નોમન મનસૂરી એક ફેકટરીમાં કામ કરે છે. તેમના વિસ્તારના લોકો ક્લસ્ટર ક્વોરૅન્ટીનના વિરોધમાં હતા, પરંતુ મ્યુનિસિપલ અધિકારીઓની ટીમની સમજાટ બાદ હવે તેમના વિસ્તારને છેલ્લા ત્રણ દિવસથી ક્લસ્ટર ક્વોરૅન્ટીન જાહેર કરવામાં આવ્યો છે.

હાલમાં આ મસ્જિદ ગલીની પોળની બહાર પતરાં લગાવીને બહાર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિશે બીબીસી ગુજરાતી સાથે ફોન પર વાત કરતાં નોમલ મનસૂરીએ જણાવ્યું કે સંપૂર્ણ લૉકડાઉન વચ્ચે લોકોમાં ભય વધી ગયો છે.

તેઓ કહે છે, "અમને ખબર નથી કે હવે શું થશે અને આ બધુ ક્યાં સુધી ચાલશે. ગરીબ પરિવારોની હાલત તો સાવ ખરાબ થઈ ગઈ છે, જો મ્યુનિસિપાલિટી તેમને રૅશનની કિટ નહીં આપે તો લોકો નિરાધાર થઈ જશે."

મ્યુનિસિપાલિટીનો દાવો છે કે આ વિસ્તારના તમામ લોકોને રૅશનની કીટ પહોંચાડવામાં આવી રહી છે. જો કે અહીંના અનેક લોકોની ફરીયાદ છે કે લોકોને આ વિસ્તારમાં દૂધ, શાકભાજી આપવામાં નિયમિતતા નથી.

સિજીદ કુરેશી નામના અહીંના જ એક રહીશે બીબીસી સાથેની વાત દરમિયાન કહ્યું કે હાલમાં જે લોકો પાસે વધારાનું રૅશન છે, તે લોકો ગરીબ પરિવારોને સંભાળી રહ્યા છે. આગળના દિવસોમાં જો અમને રૅશન નહીં મળે તો શું થશે તેની ચિંતા અમને સતાવે છે.

જો કે બધા જ વિસ્તારોની હાલત મસ્જિદ ગલી જેવી નથી. મસ્જિદ ગલીની બાજુમાં માતાવાળી પોળ અને ધુપેલની પોળ આવેલી છે, જ્યાંથી કોરોનાના પૉઝિટિવ કેસો મળ્યા છે. આ વિસ્તારને પણ ક્લસ્ટર ક્વોરૅન્ટીન જાહેર કરવામાં આવ્યો છે.

અહીં રહેતા મોઇન ખાને બીબીસી ગુજરાતી સાથેની ફોન પરની વાતચીત દરમિયાન કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમોએ દરેક ઘર દીઠ રૅશનની કિટ આપી છે, જેમાં રાંધવાના મસાલાઓથી માંડીને ચાની ભૂકી જેવી સામગ્રીઓ છે.

તેઓ કહે છે, "પાંચ માણસના એક પરિવાર માટે 10 દિવસ સુધી પૂરતો થઈ જાય તેટલું છે."

આવી જ રીતે સરસપુરના 16 પરિવારોને દરરોજ તૈયાર ગુજરાતી થાળી આપવામાં આવી રહી છે.

આ વિશે વાત કરતા અહીંના રહેવાસી ઝુનૈદ ખાને બીબીસીને ફોન પર જણાવ્યું કે અમે છેલ્લા ઘણા દિવસોથી બહાર નીકળ્યા જ નથી અને સરકારની વાત કરીએ તો તમામ સહકાર આપી રહ્યા છીએ. અમને તેઓ દરરોજ સવાર સાંજ ગુજરાતી થાળીનું ભોજન આપી જાય છે.

અસમંજસમાં લોકો

જોકે આ લૉકડાઉનની સ્થિતિને કારણે ઘણા લોકો અસમંજસમાં છે અને તેમને ખબર નથી કે આગળ શું થશે.

આ વિશે જ્યારે સુરતના રાંદેર ટાઉનના રહેવાસી ડૉક્ટર રફીક મલિક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે રાંદેર ટાઉનમાં 50 હજારથી વધુ લોકો રહે છે અને તેવામાં અવર-જવર બંધ થઈ જવાથી તેમના માટે મોટી તકલીફ સર્જાઈ છે.

તેઓ કહે છે, "લોકડાઉનને કારણે તેઓ પહેલેથી જ પરેશાન હતા, અને આ સંપૂર્ણ કિલ્લાબંદીને કારણે હવે તેમને જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે."

ડૉ. મલિકે વધુમાં જણાવ્યું કે હાલમાં તો સમાજના અગ્રણીઓ આગળ આવીને બીજા ગરીબ વર્ગના લોકોને મદદ કરે છે.

આવી જ રીતે સુરતના જ એક બીજા વિસ્તાર બેગમબજારમાં રહેતા સૈફુદ્દીન કાછવાલાનું કહેવું છે કે તેમના વિસ્તારમાં બધા લોકો હાલમાં તો ઘરમાં જે વસ્તુઓ છે, તેનાથી ગુજરાન ચલાવે છે.

તેઓ કહે છે, "સરકારની દરેક વાતને સહકાર આપી, અમારા વિસ્તારના ઘણા લોકો ઘરમાં જ રહે છે. જો કે તેઓ માને છે કે તેમને કંઈ જ ખબર નથી કે આ કિલ્લેબંધી ક્યાં સુધી રહેશે."

શું કહે છે સરકાર?

પત્રકારો સાથેની તેમની વાતચીત દરમિયાન જયંતી રવિએ કહ્યું હતું કે સરકારે નક્કી કર્યુ છે કે જે કોઈ વિસ્તારમાં એક પણ પૉઝિટિવ કેસ આવે તો તે વિસ્તારને હૉટસ્પૉટ તરીકે જ ગણવો.

હાલમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાના અમુક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સિદ્ધપુર, છોટા ઉદેપુર જેવા વિસ્તારો જ્યાં હજી સુધી એક-એક કેસો જ સામે આવ્યા છે, તેવા વિસ્તારોને પણ ક્લસ્ટર ક્વોરૅન્ટીન તરીકે જ ગણવામાં આવી રહ્યા છે.

સરકારનું આ ઑપરેશન હૉટસ્પૉટ છે, જેમાં આશરે 1,45,000થી વધુ લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

અમવાદાવાદ મહાનગર પાલિકાએ ક્લસ્ટર ક્વોરૅન્ટીન વિસ્તારોમાં ટેસ્ટ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચોથી માર્ચે જ્યાં શહેરમાં માત્ર 86 ટેસ્ટ થયા હતા, ત્યાં ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે અને 8મી માર્ચે તે સંખ્યા 886એ પહોંચી છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકારો સાથેની તેમની વાત દરમિયાન કહ્યું હતું કે હવે AMCએ - ચેઝિંગ ધ વાઇરસ - કૅમ્પેનની શરુઆત કરી છે જેમાં સરકાર સામે ચાલીને દરેક શંકાસ્પદ વિસ્તારમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કરશે.

તેમણે કહ્યું કે આને કારણે જ ગુરુવારના રોજ 50 કેસો માત્ર અમદાવાદમાં જ સામે આવ્યા, કારણ કે ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી હતી.

તેમણે પત્રકારોને કહ્યું કે ક્લસ્ટર ક્વોરૅન્ટીન વિસ્તારોમાં 1900 કર્મચારીઓ સૅમ્પલ લેવા માટે કાર્યરત્ છે અને આવનારા સમયમાં તેમનાં પરિણામો આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો