નિર્ભયા ગૅંગરેપ કેસ : સગીર હોવાની ગુનેગાર પવન ગુપ્તાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

નિર્ભયા ગૅંગરેપ કેસના ગુનેગાર પવન ગુપ્તાની સગીર હોવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ગુનેગાર પવન ગુપ્તાના વકીલ એ. પી. સિંહે દલીલ આપી હતી કે તેમના અસીલ વર્ષ 2012માં સગીર હતા, આથી જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ કેસ ચલાવવો જોઈએ.

પહેલાં હાઈકોર્ટે તેમની અરજી 24મી જાન્યુઆરી ઉપર મોકૂફ રાખી હતી, જોકે બાદમાં ગુરુવારે જ સુનાવણી કરી હતી.

આ પહેલાં સર્વોચ્ચ અદાલતે દોષી અક્ષય કુમારસિંહની અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમમાં સુનાવણી

આ પહેલાં નિર્ભયા ગૅંગરેપના કેસમાં દોષી અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજી પર જસ્ટિસ આર. ભાનુમતી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની ખંડપીઠ સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે દોષી અક્ષયકુમાર સિંહની અરજી ફગાવી દીધી છે.

આ કેસમાં ચીફ જસ્ટિસે પોતાને અલગ કરી દીધા હતા અને કેસની સુનાવણી જસ્ટિસ આર. ભાનુમતીનાં વડપણ હેઠળ જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાએ કરી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસમાં તપાસ અને ન્યાય પ્રક્રિયા યોગ્ય રીતે થઈ છે.

આ મામલે નિર્ભયાનાં માતાએ એમને આજે ચોક્ક્સ ન્યાય મળશે એવું મીડિયાને કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પટિયાલા હાઉસ કૉર્ટમાં ડૅથ વૉરંટ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પહેલાં આ મામલે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

દોષી અક્ષય કુમાર સિંહની તરફેણમાં વકીલ ડૉ. એ. પી. સિંહે દલીલો કરી હતી.

ડૉ. સિંઘે ઍપેક્સ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે નવા ફૅક્ટ્સ હોવાનો દાવો પણ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પટિયાલા હાઉસ કૉર્ટમાં ડૅથ વૉરંટ અંગે સુનાવણીનો માર્ગ મોકળો થશે.

શું હતો મામલો?

2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.

ભારતમાં અનેક દિવસોની સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અહીં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.

દોષિતોને ફાંસીની સજા

નિર્ભયા કેસમાં મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા, અને અક્ષયકુમાર સિંહને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

2018માં દોષીઓમાંથી અક્ષયકુમાર સિંહ સિવાયના દોષિતોએ ફાંસીની સજા પર પુનર્વિચારની અરજી કરી હતી પરંતુ એક દોષી અક્ષયકુમાર સિંહે અરજી નહોતી કરી.

એ સુપ્રીમે જણાવ્યું હતું કે દોષિતો ચુકાદામાં ભૂલ દર્શાવવામાં નિષ્ફળ ગયા હતા. સુપ્રીમ કોર્ટે જુલાઈ 2018માં આ અરજી પર સુનાવણી કરતા ફાંસીની સજાને યથાવત્ રાખી હતી.

એ પછી એક દોષી અક્ષયકુમાર સિંહે ફાંસીની સજા રદ કરવા અરજી કરી હતી.

એક સગીર આરોપી ત્રણ વર્ષની સજા ભોગવીને બહાર આવી ગયો છે, કથિત રીતે આ ગુનેગારે જ નિર્ભયા સાથે સૌથી વધુ બર્બરતા આચરી હતી.

જ્યારે રામસિંહ નામના મુખ્ય આરોપીએ નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હીની હાઈસિક્યૉરિટીવાળી તિહાડ જેલમાં ખુદને ફાંસી લગાડીને આત્મહત્યા કરી લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો