You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જયંતી વિશેષ : લાલા લાજપત રાયે સ્થાપેલી બૅન્કના આરોપીઓ છેતરપિંડી કરી વિદેશમાં
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ દેશની નાગરિકતા છોડી દેનાર ભાગેડુ મેહુલ ચોકસીને પરત લાવવાની વાતો થઈ રહી છે ત્યારે આજે જે બૅન્ક સાથે છેતરપિંડી થઈ તે પંજાબ નેશનલ બૅન્કની સ્થાપનામાં પાયાનો વૈચારિક પત્થર મૂકનારા લાલ-બાલ-પાલ ત્રિપુટી પૈકી એક લાલા લાજપત રાયની જયંતી છે.
મેહુલ ચોકસી અને નીરવ મોદી એ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે. પંજાબ નેશનલ બૅન્ક સાથે 13,500 કરોડની છેતરપિંડી કરવાનો એમના પર આરોપ છે. બૅન્કનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બૅન્કના અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બૅન્ક સાથે આ છેતરપિંડી કરી છે.
આજે લગભગ 7 હજાર બ્રાન્ચ, આશરે દસેક હજાર એટીએમ અને 70 હજાર કર્મચારીઓ ધરાવતી પંજાબ નેશનલ બૅન્કની સ્થાપના 19 મે 1894માં 14 શૅરધારકો સાથે થઈ હતી.
સ્થાપના સ્વદેશી હેતુસર થઈ હતી અને આજે સ્થિતિ એ છે કે બૅન્કનું 13,500 કરોડનું ફૂલેકું ફેરવી દેનાર આરોપીઓ દેશની નાગરિકતા છોડીને વિદેશ જતાં રહ્યાં છે.
28 જાન્યુઆરી 1865 પંજાબમાં જન્મેલા લાલા લાજપત રાયે કેવી રીતે પંજાબ નેશનલ બૅન્કની સ્થાપનામાં ભૂમિકા ભજવી હતી આવો જાણીએ.
લાજપત રાયનો વિચાર
લાલ લાજપત રાય બ્રિટિશ બૅન્કો અને કંપનીઓને ચલાવવા માટે ભારતીય પૈસાનો ઉપયોગ થઈ રહ્યો પણ એનો નફો અંગ્રેજોને રળી રહ્યા છે અને ભારતીયોને ફકત વ્યાજ મળે છે એ વાતથી ઘણા ચિંતિત હતા.
એમણે આર્ય સમાજના રાય બહાદુર મૂલ રાજ સાથે એક લેખમાં પોતાની આ ભાવનાને પ્રગટ કરી હતી.
મૂલ રાજ પોતે પણ લાંબા સમયથી ભારતીયોની પોતાની રાષ્ટ્રીય બૅન્ક હોવી જોઈએ એવો વિચાર ધરાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
PNBની સ્થાપના
રાય મૂલ રાજના કહેવા પર લાલા લાજપત રાયે પોતાના કેટલાક ખાસ દોસ્તોને એક ચિઠ્ઠી લખી હતી, જે સ્વદેશી ભારતીય જોઇન્ટ સ્ટોક બૅન્કની સ્થાપનામાં પ્રથમ પગલું હતું. તેમની આ ચિઠ્ઠીને મિત્રોની સંતોષજનક પ્રતિક્રિયા મળી.
ત્યારબાદ તરત જ કાગળકામ શરું કરવામાં આવ્યું અને ઇસ્ટ ઇન્ડિયા કંપની ઍક્ટ 1882ના અધિનિયમ 6 મુજબ 19 મે 1894ના રોજ પીએનબીની સ્થાપના થઈ. બૅન્ક પ્રોસ્પેક્ટસને 'ટ્રિબ્યૂન' અખબાર ઉપરાંત ઉર્દૂના 'અખબાર-એ-આમ' અને 'પૈસા અખબાર'માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
23 મેના રોજ સંસ્થાપકોએ પીએનબીના પ્રથમ અધ્યક્ષ સરદાર દયાલ સિંહ મજીઠિયાના લાહોર સ્થિતિ નિવાસસ્થાને બેઠક કરી અને આ યોજનામાં આગળ વધવાનો નિર્ણય કર્યો. એમણે લાહોરમાં અનારકલી બજારમાં પોસ્ટ ઑફિસની સામે અને પ્રસિદ્ધ રામા સ્ટોર્સની પાસે એક ઘર ભાડે લેવાનું નક્કી કર્યુ.
તમે આ વાંચ્યું કે નહીં?
લાલા લાજપત રાય મેનેજમેન્ટમાં સક્રિય
12 એપ્રિલ 1985માં પંજાબના વૈશાખીના તહેવારના એક દિવસ અગાઉ બૅન્કે એનું કામકાજ શરું કર્યુ હતું. પ્રથમ બેઠકમાં જ બૅન્કના મૂળ આશયો સ્પષ્ટ કરી દેવામાં આવ્યા હતા. 14 શૅરધારકો અને સાત નિર્દેશકોએ શૅરનો ખૂબ જ ઓછો હિસ્સો લીધો હતો.
લાલા લાજપત રાય પીએનબીના મૅનેજમૅન્ટમાં સક્રિય હતા. એમની સાથે દયાલ સિંહ મજીઠિયા, લાલા હરકિશન લાલ, લાલા લલચંદ, કાલી પ્રોસન્ના, પ્રભુ દયાલ અને લાલા ઢોલના દાસ બૅન્કની શરુઆતના દિવસોમાં સક્રિય હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો