You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભામાં સવર્ણોને 10 અનામત બિલ પસાર; હવે મોદી સરકાર સામે રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આ અંગે લોકસભામાં બિલ રજૂ કર્યું અને ચર્ચા બાદ મતદાન થયું.
બંધારણમાં સુધાર પ્રસ્તાવિત કરતું હોવાથી બિલને ધ્વનિમતને બદલે વોટિંગથી પસાર કરવામાં આવ્યું હતું.
બિલના સમર્થનમાં 323, જ્યારે વિરોધમાં ત્રણ મત પડ્યા હતા.
ગેહલોતે કહ્યું હતું કે અગાઉ અનામતની જોગવાઈઓને સુપ્રીમ કોર્ટે નાબુદ કરી હતી, કારણ કે પૂરતી બંધારણીય જોગવાઈ કર્યાં વગર આપવામાં આવી હતી.
આથી, મોદી સરકારે 124મું બંધારણીય સુધાર બિલને ટેબલ કર્યું હતું.
નાણાપ્રધાન અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતના કાયદા અનામતને બંધારણીય ટેકો ન હોવાથી તે નિરસ્ત થયો હતો.
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગી લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને બિલનું સમર્થન કર્યું, સાથે માગ કરી હતી કે 60 ટકા અનામતને બંધારણની નવમી સૂચિ હેઠળ મૂકવામાં આવે.
પાસવાને ન્યાયતંત્ર તથા ખાનગી ક્ષેત્રમાં 60 ટકા અનામત આપવાની માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીએના સાથી પક્ષ અપના દળના અનુપ્રિયા પટેલ તથા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહાએ પણ સમાન પ્રકારની માગ કરી હતી.
અસદુદ્દીન ઔવેસીની એઆઈએમઆઈએમની પાર્ટીએ ખરડાનો વિરોધ કરી તેને 'બંધારણ સાથે ઠગાઈ' જણાવી હતી.
હવે મોદી સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર હશે, જ્યાં એનડીએ લઘુમતીમાં છે.
ગુજરાતનું બિલ નાબુદ થયું
નાણાપ્રધાન અરૂણ જેટલીએ ચર્ચામાં દરમિયાનગીરી કરતા કહ્યું હતું કે આ બિલને 50 ટકા કરતાં વધુ રાજ્ય સરકારોની મંજૂરીની જરૂર નહીં રહે.
જેટલીએ કહ્યું હતું કે ગરીબ સવર્ણોને અનામત આપવાનો કથિત જુમલો અહીંની તમામ રાજકીય પાર્ટીઓએ તેમના ચૂંટણી ઢંઢેરામાં સમાવ્યો હતો.
અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતની ભાજપ સરકારે બંધારણના અનુચ્છેદ 15-16 હેઠળ મળેલી સત્તાના આધારે અનામતની જોગવાઈ કરી હતી.
પરંતુ એ અનુચ્છેદમાં જ જોગવાઈઓ ન હોવાને કારણે આ બિલને ન્યાય પાલિકાએ રદ્દ કર્યું હતું.
જેટલીના કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે તેના કમ સે કમ ત્રણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે નવી અનામતની જોગવાઈથી પછાત વર્ગની વર્તમાન અનામતને અસર ન થવી જોઈએ.
કૉંગ્રેસના નેતા દીપેન્દરસિંહ હુડ્ડાએ કહ્યું હતું કે પાર્ટી સરકારની 'નીતિ'નું સમર્થન કરે છે, પરંતુ તેમની 'નિયત'માં ખોટ છે એટલે સરકારના કાર્યકાળના અંતિમ તબક્કામાં આ બિલ લાવ્યા છે.
લોકસભામાં ચર્ચા
થાવરચંદ ગેહલોતે સાંજે બિલ ઉપર ચર્ચા શરૂ કરાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે 'સબકા સાથ, સબકા વિકાસ'ની વિભાવના ઉપર કામ કરે છે.
એટલે ગરીબ સવર્ણોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે દિશા-નિર્દેશ બહાર પાડશે.
ગેહલોતે ઉમેર્યું હતું કે વર્તમાન ક્વોટા વ્યવસ્થા સાથે કોઈ ચેડાં નહીં થાય.
સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત નિરસ્ત ન થાય તે માટે જ બંધારણીય સુધાર બિલને રજૂ કરવામા આવ્યું છે.
કૉંગ્રેસના નેતા કે. વી. થૉમસે ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે આ ખરડો જોઇન્ટ પાર્લામૅન્ટ્રી કમિટીને મોકલવો જોઈએ.
જે સમયે જરૂરી બિલો ઉપર ચર્ચા થવી જોઈએ, એવા તબક્કે આ બિલ પર ચર્ચા થઈ રહી છે, જે સરકારની દાનત ઉપર શંકા ઊભી કરે છે.
ઑલ ઇંડિયા અન્ના દ્રમુકના નેતા થમ્બીદુરાઈના કહેવા પ્રમાણે, 'સરકારે પહેલાં આર્થિક-સામાજિક પછાતને મળતી અનામતને 69 ટકા કરવાને મંજૂર કરવી જોઈએ, પછી સવર્ણોને અનામતની વાત કરવી જોઈએ.'
શિવસેનાના સાંસદ આનંદરાવ અડસૂલે ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે સરકારના કાર્યકાળના આ તબક્કે ખરડો રજૂ કરવામાં આવે એટલે ટાઇમિંગ અંગે ચોક્કસથી સવાલ ઉઠશે.
અડસૂલે ઉમેર્યું હતું કે 'વર્ષે બે કરોડ રોજગાર સર્જન કરવાના વચનને સરકાર પૂર્ણ નથી કરી શકી, ઊલટું નોટબંધીને કારણે જે લોકોને રોજગાર મળેલો હતો તેમની રોજી છિનવાઈ ગઈ હતી.
બિજુ જનતા દળના સાંસદ ભર્તૂહરિ મહાતાબે ચર્ચામાં ભાગ લેતા કહ્યું:"અમે આ બિલનું સમર્થન કરીએ છીએ. સાથે સવાલ ઉઠાવ્યો હતો કે આર્થિક રીતે ગરીબની વ્યાખ્યા કેવી રીતે થશે?"
"કારણ કે, આજે અમીર છે એ આવતીકાલે ગરીબ બની શકે છે અને ગઈકાલનો ગરીબ આજે ધનવાન થઈ શકે છે."
ભાજપના સાંસદ નિશિકાંત દુબેના કહેવા પ્રમાણે : "આજે ગરીબ સવર્ણો માટે હોળી-દિવાળી જેવો તહેવાર દિવસ છે."
"ભાજપે અન્ય પછાત વર્ગ માટે પંચ બનાવ્યું, ઍટ્રોસિટી ઍક્ટમાં સુધાર કર્યો અને હવે ગરીબ સવર્ણો માટે આ જોગવાઈ કરીને મોદીએ 'સબકા સાથ, સબકા વિકાસ'ના વિચારને સાર્થક કર્યો છે."
તેલંગણા રાષ્ટ્ર સમિતિએ અને તૃણમુલ કૉંગ્રેસે બિલને સમર્થન આપ્યું હતું.
બપોરે બિલ રજૂ
અગાઉ સાંસદો આ બિલનો અભ્યાસ કરી શકે તે માટે બપોરે બિલ રજૂ કરી દેવાયું હતું.
આમાં વાર્ષિક આઠ લાખ રુપિયાથી ઓછી આવકવાળા લોકોને અનામત આપવાની વાત કરવામાં આવે છે.
પ્રસ્તાવિત અનામતનો ક્વોટા વર્તમાન સમયમાં આપવામાં આવતી અનામત કરતાં અલગ હશે.
આ માટે સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સંશોધન કરવું પડશે.
સોમવારે એવા અહેવાલો સામે આવ્યાં કે કેંદ્ર સરકારે આર્થિક રૂપે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં અનામત આપવાનો નિર્ણય કર્યો છે.
અત્યારે દેશમાં 49.5 ટકા અનામત છે જેમાં 27 ટકા પછાત વર્ગ, અનુસૂચિત જાતીઓને 15 ટકા તથા અનુસૂચિત જનજાતીઓને 7.5 ટકા અનામત આપવામાં આવે છે.
સવર્ણ અનામત અંગેના નિર્ણયના અહેવાલો સાથે જ રાજકીય હલચલ મચી ગઈ હતી.
આપને આ પણ વાચવું ગમશે
અનામતએ ચૂંટણી 'જુમલો'
ગુજરાતની વડગામની બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સવર્ણોને અનામત આપવાની જાહેરાતએ ભાજપનો ચૂંટણી 'જુમલો' છે, કારણ કે વ્યવહારુ કે બંધારણીય રીતે આ અનામત દેશની સર્વોચ્ચ અદાલતમાં ટકી શકે તેમ નથી.
બીબીસી ગુજરાતીના જય મકવાણા સાથે ફેસબુક લાઇવ દરમિયાન મેવાણીએ કહ્યું, "ગુજરાત મોડલનો ઢોલ ફાટી ગયો છે, એટલે જેમજેમ ચૂંટણી નજીક આવશે તેમતેમ વિકાસની વાતો દૂર થશે."
મેવાણીએ ઉમેર્યું હતું કે, ગત લોકસભા ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પડખે ઊભો રહેનારો વર્ગ જીએસટી, નોટબંધી, નોકરીના અભાવ વગેરે બાબતોને કારણે મોદી સરકારથી નારાજ છે.
આ વર્ગની નારાજગી દૂર કરવા તથા ચૂંટણી ચર્ચાને મૂળ મુદ્દા પરથી ખસેડવા માટે અશક્ય એવી 'સ્કિમ' રજૂ કરવામાં આવી છે.
આ જાહેરાતથી શિડ્યૂલ્ડ કાસ્ટ, શિડ્યૂલ્ડ ટ્રાઇબ્સ તથા અન્ય પછાત જ્ઞાતિઓને મળતી અનામતને અસર ન થતી હોવાથી તેઓ આ જાહેરાતથી વ્યક્તિગત રીતે 'વિચલિત કે આકર્ષિત' નથી.
મેવાણીના મતે, ખરી વિભાવના સાથે હાલની અનામત વ્યવસ્થાનો અમલ નથી થયો, જેથી લોકોને લાભ નથી મળ્યો, ત્યારે નવી જાહેરાત બાદ સવર્ણોને પણ તેનો લાભ મળશે કે કેમ તે સવાલ છે.
રાજકીય હલચલ
વિપક્ષનું કહેવું છે કે મોદી સરકારનું કાર્યકાળ પૂરૂં થવા આવ્યું છે, ત્યારે સરકારને આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાનું કેમ યાદ આવ્યું?
2019ની ચૂંટણી પહેલાં જ મોદી સરકારનો આ નિર્ણયને કૉંગ્રેસ સહિતના પક્ષો લૉલીપોપ ગણાવી રહ્યા છે.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું હતું, "કૉંગ્રેસે કોઈ પણ વર્ણ, જાતિ કે ધર્મના આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામત માટેનું હમેશા જ સમર્થન કર્યું હતું."
"આ અનામત દલિતો, આદિવાસી તથા પછાત વર્ગને મળતા અનામતમાં કોઈ બાધારૂપ ન થવું જોઈએ."
"અમે હંમેશા કહ્યું છે કે જે લોકો આ વર્ગોમાં ન આવતા હોય અને પ્રામાણિકપણે ગરીબ હોય તેમને નોકરીઓ અને શિક્ષણમાં આનો લાભ મળવો જોઈએ."
તેમણે ઉમેર્યું કે મોદી સરકાર છેલ્લાં ચાર વર્ષ અને આઠ મહિના પછી મોદી સરકાર અચાનક જાગી છે.
જ્યારે સમાજવાદી પાર્ટીએ સવર્ણ અનામતને ટેકો આપવાનું નિવેદન કર્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું કે પક્ષ આ બિલ અંગે સરકારનું સમર્થન કરશે.
'ચૂંટણીલક્ષી ગતકડું'
બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ નરેન્દ્ર મોદી સરકારના ગરીબ સવર્ણને દસ ટકા આરક્ષણ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
માયાવતીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલાં લેવામાં આવેલો આ નિર્ણયની પાછળ દાનત બરાબર નથી લાગતી, 'ચૂંટણીલક્ષી સ્ટંટ' લાગે છે, 'રાજકીય છળ' લાગે છે.
માયાવતી કહે છે કે સારૂં થાત જો ભાજપ પોતાનું કાર્યકાળ ખતમ થવાના ઠીક પહેલાં નહીં બલ્કિ શરૂઆતમાં આ નિર્ણય લેત.
એ સિવાય માયાવતીએ એક પ્રેસ કૉન્ફ્રૅંસમાં કહ્યું કે દેશમાં હવે એસસી-એસટી તથા ઓબીસી વર્ગોને મળવા વાળી અનામતની લગભગ 50 ટકાવારીની પણ સમીક્ષા ઉચિત પ્રકારે કરવાની જરૂર છે.
બીએસપી સુપ્રીમોએ કહ્યું કે તેમની વધેલી જનસંખ્યાના ગુણોત્તરમાં અનામતના પ્રમાણને પણ વધારવાની બંધારણીય વ્યવસ્થામાં લાગુ કરવાની જરૂર છે.
10 વાતો જે જાણવી જરૂરી
1. આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આ 10 ટકા અનામતનો લાભ મળશે.
2. સામાન્ય વર્ગમાં આવતા અને વાર્ષિક આઠ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને અનામતનો લાભ મળશે, જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હોવી જોઈએ.
3. કેન્દ્રીય મંત્રી વિજય સાંપલાના કહેવા મુજબ બ્રાહ્મણ, વાણિયા, ખ્રિસ્તી, મુસ્લિમ તમામને આ અનામતનો લાભ મળશે.
4. આ અનામત હાલની 50 ટકા અનામતમાંથી નહીં, પરંતુ તેનાથી અલગ જોગવાઈ હેઠળ આપવામાં આવશે.
5. હાલ દેશમાં કુલ 49.5 ટકા અનામત છે, જેમાં પછાત વર્ગને 27 ટકા અને અનુસુચિત જાતિઓને 15 ટકા તથા અનુસૂચિત જનજાતિઓને 7.5 ટકા અનામત આપવામાં આવી છે.
6. આ મંજૂરી બાદ આર્થિક રીતે પછાત એવા સામાન્ય વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં તેનો લાભ મળશે.
7. આ અનામત આપવા માટે સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સંશોધન કરવું પડશે.
8. સંશોધન કરવા માટે લોકસભા અને રાજ્યસભા બંનેની મંજૂરી જરૂરી રહેશે. એટલા માટે સરકારે સંસદમાં બિલ લાવવું પડશે. બંધારણમાં આ સંશોધન થયા બાદ જ સામાન્ય વર્ગના લોકોને તેનો લાભ મળી શકશે તે પહેલાં લાભ મળી શકશે નહીં.
9. 1992માં સુપ્રીમ કોર્ટે નોકરીઓ અને શિક્ષણમાં અનામતને 50 ટકા સુધી મર્યાદિત કરી હતી.
10. જોકે, જુલાઈ 2010માં સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે જો રાજ્ય પાસે 50 ટકા સીમાથી વધારે અનામત આપવા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા હોય તો તેમાં વધારો કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો