ગર્ભમાં ઊછરી રહેલા બાળક સુધી પ્રદૂષણ પહોંચી ગયું

ઇમેજ સ્રોત, Science Photo Library
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
એક સમય હતો જ્યારે એવી માન્યતા હતી કે બાળકો ઘરની બહાર નીકળીને ખેલકૂદમાંમાં ભાગ લે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બાળકોનો શારીરિક વિકાસ થાય છે. પરંતુ હવે ખુલ્લી હવામાં ફરવું જોખમી સાબિત થઈ શકે છે.
પ્રદૂષણની વધતી જતી માત્રાના લીધે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. બાળકોના શારિરીક માનસિક વિકાસમાં પ્રદૂષણ અડચણ બની રહ્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના અહેવાલ મુજબ, પ્રદૂષણની બાળકો પર વિપરીત અસર થઈ રહી છે. આ અહેવાલ મુજબ, વર્ષ 21016મા પ્રદૂષણના કારણે એક લાખથી વધુ (1,01, 788.2) બાળકોના મોત થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

'ઍર પૉલ્યૂશન ઍન્ડ ચાઇલ્ડ હેલ્થ: પ્રિસ્ક્રાઈબિંગ ક્લિન ઍર' નામે તૈયાર થયેલા અહેવાલમાં પ્રદૂષણના કારણે વધી રહેલી બીમારીઓ અંગે ચેતવણી આપવામાં આવી છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, બહારની હવામાં રહેલા પર્ટિક્યૂલેટ મેટર (પીએમ) 2.5ના કારણે પાંચ વર્ષની ઉંમરના સૌથી વધુ બાળકોના ભારતમાં મોત થયા છે.
પર્ટિક્યૂલેટ મેટર ધૂળ અને ગંદકીના સુક્ષ્મ કણ છે, જે શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે.

પ્રદૂષણ બાળકો માટે જોખમી

પ્રદૂષણના કારણે ભારતમાં 60,987, નાઇજીરિયામાં 47,674, પાકિસ્તાનમાં 21,136 અને કોંગોમાં 12.890 બાળકોના મોત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાળકોમાં સૌથી વધુ સંખ્યા દીકરીઓની છે. મૃત્યુ પામેલા બાળકોમાં 32,899 દીકરીઓ અને 28,097 દીકરાઓનો સમાવેશ થાય છે.
પ્રદૂષણની અસર જન્મેલા બાળકો પર જ નહીં, પરંતુ ગર્ભમાં ઉછરી રહેલાં બાળકો પર પણ થાય છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, પ્રદૂષણના કારણે સમય પહેલાં ડિલિવરી, જન્મથી ખોડ, ઓછું વજન, અને મોત પણ થઈ શકે છે.
આમ તો પ્રદૂષણની અસર તમામ વ્યક્તિઓ પર થાય છે, પરંતુ અહેવાલ મુજબ, પ્રદૂષણનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે.
પ્રદૂષણ જોખમી સાબિત થઈ શકે છે અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકો પર પણ તેની અસર થાય છે.

નવજાત અને મોટા બાળકો

ઇમેજ સ્રોત, EPA
ડૉક્ટરના મતે નવજાત બાળકો અને મોટા બાળકો (જે બહાર જઈને ખેલકુદ કરી શકે) તેના પર પ્રદૂષણની જુદી જુદી અસર થાય છે.
નવજાત બાળકમાં રોગપ્રતિકારક શક્તિઓ ઓછી હોય છે. બાળકનો વિકાસ થતા તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
નવજાત બાળકોના ફેફસાના રોગની બિમારીના પ્રાઇમસ હૉસ્ટિપલના નિષ્ણાત ડૉક્ટર એસ. કે. છાબડા કહે છે:
"નવજાત બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેમના ફેફસા યોગ્ય રીતે વિકસેલા નથી હોતા."
"જેના લીધે પ્રદૂષણની વધારે અસર થાય છે. આ બાળકોને શરદી, ઉધરસ, ઍલર્જી થઈ શકે છે."
"આ બાળકો શ્વાસ લેવાની સમસ્યા અને અસ્થમાનો ભોગ પણ બની શકે છે. આ બિમારીઓ આગળ જતા મૃત્યુનું કારણ બની શકે છે."
"બાળકોના વિકાસ દરમિયાન પ્રદૂષણના કણ તેમના માનસિક વિકાસમાં અવરોધ સર્જે છે."
"નવજાત બાળકો ઘરમાં સર્જાતા પ્રદૂષણનો ભોગ બને છે. ઘરમાં રસોઈ, એસી, પરફ્યૂમ, અને ધૂપ તેમજ અગરબત્તી પ્રગટાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો પ્રદૂષણ સર્જે છે."
"ગ્રામીણ વિસ્તારોમાં ખોરાક રાંધવા માટે લાકડા અથવા કોલસા વપરાય છે જેના ધુમાડાની ફેફસા પર ગંભીર અસર થાય છે. "


અહેવાલમાં ઘરના અને બહારના પ્રદૂષણને અલગ અલગ રીતે ટાંકવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, ઘરમાં ઉત્પન્ન થતું પ્રદૂષણને ઘાતકી ગણાવાયું છે. વર્ષ 2016માં ઘરગથ્થુ પ્રદૂષણના કારણે પાચ વર્ષથી ઓછી ઉંમરના 66,890.5 બાળકોનાં મોત થયાં હતાં.
આ ઘટનાનું કારણ રજૂ કરતા છાબડા કહે છે " નવજાત બાળકો સૌથી વધુ ઘરમાં રહે છે. તેમનો સંપર્ક જમીન સાથે વધારે હોય છે. આ બાળકો ચાલતા શીખે ત્યારે માતા સાથે વધુ સમય રહે છે."
"બાળકો માતા સાથે રસોડામાં પણ ખાસ્સો સમય પસાર કરે છે. આ કારણોસર ઘરમાં થતા પ્રદૂષણની નવજાત બાળકો પર ખૂબ જ અસર થાય છે."
"કેટલીક વાર આ પ્રદૂષણ બહારના પ્રદૂષણ કરતા વધુ ઘાતક હોય છે. "

મોટા બાળકો પર અસર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
મોટા બાળકો વિશે ગંગારામ હૉસ્પિટલમાં બાળરોગ વિભાગમાં કાર્યરત ડૉ. ધીરેન ગુપ્તા કહે છે કે બાળકો મોટા થાય એટલે બહાર રમવા જાય છે. આ બાળકોનો ઘરમાં ઓછો સમય વીતે છે."
"બાળકો સવારે શાળાએ જાય છે, જ્યારે પ્રદૂષણની માત્રા વઘુ હોય છે, જેના લીધે આ ઉંમરમાં જ તેઓ બહારના પ્રદૂષણનો ભોગ બને છે."
"આજકાલ બાળકોને નાની ઉંમરે ચશ્મા આવી જાય છે જેનું કારણ પણ પ્રદૂષણ જ છે. "


ઇમેજ સ્રોત, EPA
ડૉ. ગુપ્તા કહે છે કે બાળકો મોટા થાય એટલે તેમની રોગપ્રતિકારત શક્તિમાં વધારો થાય છે, પરંતુ પ્રદૂષણની અસર દરેક ઉંમરે થાય છે.
જે બાળકોને પહેલાંથી જ શ્વાસને લગતી તકલીફ હોય તેમની સ્થિતિ વધુ કથળી જાય છે.
રસ્તામાં પ્રદૂષણના કણ નીચેની તરફે વધારે એકઠા થયેલા હોય છે. બાળકોની ઊંચાઈ ઓછી હોવાના કારણે તેની વધુ અસર બાળકો પર થાય છે.
ડૉ. ગુપ્તાએ જણાવ્યું, "પ્રદૂષણનું હાલનું સ્તર અને ભવિષ્યમાં સર્જાનારું સ્તર ઘાતકી છે. મારી પાસે ઇલાજ માટે આવતા બાળકોની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે."
"બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યું છે. તેમની દવાની માત્રામાં વધારો કરવાની ફરજ પડી છે."

ગર્ભમાં ઉછરતા બાળક પર અસર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અહેવાલમાં જણાવ્યા મુજબ, ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ પ્રદૂષણથી બચી શકતું નથી.
પ્રદૂષણના કારણે સમય પહેલા ડિલિવરી અને જન્મથી બીમારીની સમસ્યા સર્જાય છે.
મેક્સ હૉસ્પિટલમાં સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર અનિતા ચાંદના પણ સ્વીકારે છે કે પ્રદૂષણ માતાની વાટે બાળકો સુધી પહોંચી જાય છે.


ડૉ. ચાંદના કહે છે, "ગર્ભ રહે તેના પહેલાં અને બાદના મહીને પ્રદૂષણની સૌથી વધુ અસર થાય છે."
"જ્યારે માતા શ્વાસ લે છે ત્યારે હવામાં ઉપસ્થિત પર્ટિક્યૂલેટ મેટર તેમના શરીરમાં પ્રવેશે છે."
"શરીરમાં પ્રવેશ્યા બાદ તેમાના કેટલાક કણ ફેફસામાં ચોંટી જાય છે. કેટલાંક કણ લોહીમાં પણ ભળી જાય છે."
"જ્યારે કેટલાક કણ પ્લેસેન્ટા સુધી પહોંચી જાય છે. પ્લેસેન્ટા ગર્ભની નજીક હોય છે જેમાંથી બાળકને પોષણ મળે છે."
"પ્રદૂષણના કણ પ્લેસેન્ટામાં એકત્રિત થઈ જવાના લીધે સોજો આવી જાય છે. આ પ્રકારની કૃત્રિમ ચીજો પ્લેસેન્ટા સુધી પહોંચે, ત્યારે તે ભાગમાં સફેદ રક્તકણો વધી જાય છે."
"આ સ્થાને સફેદ રક્તકણોનો ભરાવો થવાના લીધે બાળક સુધી પહોંચતા રક્તના પ્રવાહમાં અડચણ ઉભી થાય છે. "
"આ રક્ત દ્વારા બાળકને પોષણ મળે છે. આ રક્તની ઓછી માત્રા બાળક સુધી પહોંચવાના કારણે બાળકનો વિકાસ રૂંધાય છે. "
"આ સ્થિતિમાં બાળકો માનસિક કે શારીરિક રીતે અપંગ થઈ શકે છે. બાળકના મગજનો વિકાસ રૂંધાય છે. "
"પ્લેસેન્ટા યોગ્ય રીતે રક્તનું વહન કરી ન શકે તેવી સ્થિતિમાં સમય પહેલાં જ ડિલીવરી થઈ જાય છે. "


ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર ચંદાનાના જણાવ્યા મુજબ, આ સમસ્યાના કારણે બાળકનું વજન ઘટી શકે છે. બાળક કોઈ પણ પ્રકારના માનસિક વિકારનો ભોગ બની શકે છે. બાળકને અસ્થમા, અથવા ફેફસાને લગતી બીમારી થઈ શકે છે. કેટલાક સંજોગોમાં બાળકનું મોત પણ થઈ શકે છે.
જોકે, આ બીમારીઓ અંગે ડૉ. છાબડા કહે છે કે દરેક સમસ્યા પ્રદૂષણના કારણે સર્જાતી નથી.
પ્રદૂષણ અન્ય કારણોમાનું એક છે પરંતુ ફક્ત એક જ કારણ નથી, જેમ કે બાળકનું વજન ઓછું હોય તો તેનું કારણ કૂપોષણ હોઈ શકે છે.
અનેક કારણો ભેગા થઈ બીમારીને જન્મ આપી શકે છે. પ્રદૂષણ બીમારી સર્જાવાનું એક કારણ છે.

અહેવાલના અન્ય મુદ્દા

ઇમેજ સ્રોત, AFP
- પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્રદૂષણથી રક્ષણ કરવું પણ જરૂરી છે. અહેવાલ મુજબ, વર્ષ 2016માં પાંચ વર્ષથી 14 વર્ષની ઉંમરના 4,360 બાળકોના પ્રદૂષણના કારણે મોત થયા છે.
- ઓછી અને મધ્યમ આવક ધરવાતા દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 98 ટકા બાળકો પર પીએમ 2.5ની અસર થઈ છે. જ્યારે વધારે આવક ધરાવતા દેશોમાં આ સંખ્યા 52 ટકા છે.
- હવા પ્રદૂષણ હવા માટે જોખમી છે. બહારના અને ઘરગથ્થુ હવામાં હાજર પ્રદૂષણના કણોના લીધે વિશ્વમાં દર વર્ષે 70 લાખ મોત સમય પહેલાં થાય છે.

બચાવ

ઇમેજ સ્રોત, Getty Images
- ઘરનું પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવો
- નવજાત બાળકને માતાનું દૂધ પીવરાવવું તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- બાળકોને વિટામિન સી મળે તેવો ખોરાક આપો જેનાથી રોગપ્રતિકાર શક્તિ વધે. જેમ કે,સંતરા, મોસંબી, લિંબુ વગેરે.
- દિવાળી દરમિયાન ઘરમાં આખી રાત દિવો પ્રગટાવી રાખવો નહીં
- ફટાકડા ઓછા ફોડવા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














