પશ્ચિમ બંગાળમાં આજે અંતિમ મતદારયાદી જાહેર થશે - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Imran Qureshi
અનેક વિવાદ અને કોર્ટ કેસ પછી પશ્ચિમ બંગાળમાં આજે અંતિમ મતદારયાદી જાહેર થવાની છે. આ મતદારયાદીમાંથી લાખો લોકોનાં નામ નીકળી ગયાં હોવાનું માનવામાં આવે છે.
આગામી મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે ચૂંટણીપંચ દ્વારા લગભગ સાત કરોડ મતદારોની યાદીને અપડેટ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા કોર્ટ કેસ થયા છે. પશ્ચિમ બંગાળમાં આ મામલે જાહેરમાં વિરોધ પ્રદર્શનો પણ થયાં છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ કરવામાં આવેલી આ પ્રક્રિયા 2002 પછી પહેલી વખત આટલા મોટા પાયે થઈ રહી છે.
બોલીવિયામાં કાર્ગો વિમાન ક્રૅશ, ઓછામાં ઓછા 11નાં મોત

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
બોલીવિયામાં સેનાનું એક કાર્ગો વિમાન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. બોલીવિયાના બીજા સૌથી મોટા શહેર એલ આન્ટોમાં થયેલી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.
બોલીવિયાની ઍર ટ્રાફિક કન્ટ્રોલ ઑથોરિટીએ જણાવ્યું કે શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6.20 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. સાન્તા ક્રૂજ શહેરથી આવેલું વિમાન એલ આલ્ટો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઊતરતું હતું ત્યારે અકસ્માત થયો હતો.
દુર્ઘટના પછી ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
એવું જાણવા મળ્યું છે કે રનવે પરથી લપસીને વિમાન નજીકના હાઇવે પર પહોંચી ગયું હતું અને ત્યાં વાહનો સાથે ટકરાયું હતું.
પરમાણુ કાર્યક્રમ વિશે વાતચીત પછી ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી 'નાખુશ'

ઇમેજ સ્રોત, Celal Gunes/Anadolu via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે તાજેતરમાં થયેલી વાતચીત પછી તેઓ ઈરાનથી ખુશ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તેમણે કહ્યું કે ઈરાન પર હુમલો કરવો કે નહીં તેના વિશે તેમણે હજુ નિર્ણય નથી લીધો.
ટ્રમ્પે કહ્યું કે "અમને જે જોઈએ છે તે તેઓ આપવા તૈયાર નથી તે વાત મને પસંદ નથી પડી. તેથી હું ખુશ નથી."
અમેરિકાના રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈરાન વચ્ચે જીનિવામાં થયેલી વાતચીત પછી આ પ્રથમ ટિપ્પણી કરી છે. ગુરુવારે થયેલી વાતચીત કોઈ પણ સમજૂતી વગર પૂરી થઈ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે ઈરાન સામે તેઓ સૈન્યબળનો ઉપયોગ કરવા નથી માંગતા, પરંતુ તેમણે કહ્યું કે "ક્યારેક તમારે તે કરવું પડે છે."
ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાની આશંકાના કારણે શુક્રવારે ઘણા દેશોએ આ વિસ્તારમાં રહેતા પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી. બ્રિટને તહેરાનસ્થિત પોતાના દૂતાવાસમાંથી અનિશ્ચિત મુદ્દત માટે પોતાના કર્મચારીઓને હટાવી લીધા છે.
ભારત, ચીન, કૅનેડા સહિત ઘણા દેશોએ સંભવિત ઘર્ષણને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અપીલ કરી છે.
પાકિસ્તાન પર ફરી હુમલા શરૂ કર્યાનો અફઘાન તાલિબાનનો દાવો

ઇમેજ સ્રોત, Aimal Zahir / AFP via Getty Images
તાલિબાન શાસનના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમના લડાયકોએ પાકિસ્તાન પર શુક્રવાર સાંજથી ફરી હુમલા શરૂ કરી દીધા છે. તેમણે દાવો કર્યો કે ખોસ્ત પ્રાંતથી આ હુમલા કરવામાં આવી રહ્યા છે.
બીબીસી પશ્તો મુજબ અગાઉ ખોસ્તના ગવર્નરના પ્રવક્તા મુસ્તગફર ગુરબાજે પણ મીડિયાને સંદેશ મોકલ્યા હતા.
તેમણે લખ્યું કે, "ફરી એક વખત અફઘાન દળોએ પાકિસ્તાની સેનાના ઠેકાણા પર જવાબી હુમલા શરૂ કર્યા છે. આ હુમલા ખોસ્ત પ્રાંતના ઝઝઈ મેદાન, અલીશેર અને તેરેઝ વિસ્તારમાં 'કાલ્પનિક રેખા' (ડુરંડ લાઇન) નજીક થઈ રહ્યા છે."
પાકિસ્તાને હજુ સુધી આના પર કોઈ ટિપ્પણી નથી કરી. અગાઉ તાલિબાનના સૈન્ય વડા મોહમ્મદ ફસીહુદ્દીન ફિતરકે એક વીડિયોમાં પાકિસ્તાનને ધમકી આપતા કહ્યું કે તેઓ પાકિસ્તાનને "ઈંટનો જવાબ પથ્થરથી આપશે."
બીબીસી પશ્તો મુજબ મોહમ્મદ ફસીહુદ્દીન ફિતરતે કહ્યું કે "તાલિબાન શાસન પાસે એટલી મિલિટરી શક્તિ છે કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાનને અસુરક્ષિત કરશે, તો પાકિસ્તાનના અધિકારીઓ ઇસ્લામાબાદમાં પણ શાંતિથી નહીં રહી શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












