ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં કોણે અમિત શાહને પણ ન ગણ્યા

    • લેેખક, રાધિકા રામશેષણ
    • પદ, રાજનૈતિક વિશ્લેષક

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ચતુરાઈથી જોડ-તોડ કરી નવમી સીટ જીતી લીધી.

ભાજપના મતદારોની સંખ્યા જોઇએ તો દસમાંથી આઠ સીટો એ સરળતાથી જીતી જવાની જ હતી.

સમાજવાદી પાર્ટીને એક સીટ મળી જતી અને બસપાને કદાચ કંઈ જ ના મળતું.

કારણ કે ભાજપના 324 અને સમાજવાદી પાર્ટીના 47 સીટોની ધારાસભ્યોની તુલનામાં બસપા પાસે માત્ર 19 ધારાસભ્યો છે.

સાત ધારાસભ્યો વાળી કોંગ્રેસ અસ્તિત્વહીન હતી. તેની પાસે ભાજપ વિરોધી 'ધર્મનિરપેક્ષ' ગઠબંધનનું સમર્થન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

તમને આ પણ વાંચવું ગમશે

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની દમદાર સંખ્યા હોવાના કારણે ભાજપ સરપ્લસ મતોથી એક બેઠક વધારે આરામથી જીતી શકતી હતી.

નવમી બેઠકમાં પ્રથમ ઉમેદવાર અનિલ અગ્રવાલને 12 મત મળ્યા હતા. પરંતુ બીજી પસંદગી સાથે તેમણે 100થી વધુ મત મેળવ્યા હતાં. જેથી તેમણે આરામથી 37 મતોનો આંકડો પાર કરી લીધો.

ભાજપ માટે એ સમયે સમસ્યા ઉભી થઈ હતી જ્યારે સપા-બસપાએ એક થઈને ફૂલપુર અને ગોરખપુરમાં થયેલી લોકસભાની પેટાચૂંટણી જીતીને ચર્ચાની દિશા બદલી હતી.

પેટા ચૂંટણીનો બદલો?

ગયા વર્ષે ગુજરાતમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર રહેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલની વિરુદ્ધ એમણે ઉમેદવાર ઊભો કર્યો હતો.

એની પાછળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું મનોબળ તોડવાની મનછા હતી. પરંતુ તમામ કોશિશો પછી પણ શાહ અહેમદ પટેલને હરાવી શક્યા નહોતા.

અમિત શાહે ઉત્તર પ્રદેશમાં નવમી સીટ માટે આજ પ્રકારનો રસ્તો અપનાવ્યો. આ સીટ સપા-બસપાના ગઠબંધન પાસેથી છીનવી લેવાની રણનીતિ ખુદ શાહે રચી હતી.

આ વધારાની સીટ જીતવાથી ભાજપને તો ફાયદો થયો જ સાથે એક જરૂરી સંદેશ પણ પહોંચી ગયો.

સપાએ એક જ સીટ પર ચૂંટણી લડી અને એના પર જયા બચ્ચનને ઉમેદવારી કરાવી. પરંતુ બસપા પ્રમુખ માયાવતીએ દસમી સીટ પર તેમના પક્ષનો ઉમેદવાર ઉતાર્યો.

તેમને વિશ્વાસ હતો કે એમના ઉમેદવાર ભીમરાવ આંબેડકર માટે સપા તેના વધારાના મત ટ્રાન્સફર કરી દેશે અને થોડાક મત એ પોતે મેળવી લેશે.

રાજનીતિક સગાઈ પર સંકટ

જ્યારે માયાવતીએ ગોરખપુર અને ફૂલપુરમાં સપાના ઉમેદવારોનું સમર્થન કર્યું હતું ત્યારે એમણે સપા પ્રમુખ અખિલેશને સીધો સંદેશ આપ્યો હતો કે એ એમની મદદથી એક રાજ્યસભા સીટ ઇચ્છે છે. અખિલેશે તરત જ આવું કરવા માટે હામી ભણી હતી.

સપા-બસપાનું ગઠબંધન થઈ જવાના કારણે શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધી રહી હતી.

કારણ કે આ બન્ને દળોમાં જાતિનાં આધારે મળતા સમર્થન અને વિખરાયેલા મુસ્લિમોને એક કરીને ઉત્તર પ્રદેશમાંથી ભાજપને હટાવવાની ક્ષમતા છે.

ભાજપનું ગણિત હતું કે અગર જો માયાવતીના ઉમેદવાર રાજ્યસભાની સીટ જીતી ન શકે તો એ સપાને સાથ ન આપવા બદલ જવાબદાર માનશે.

ખાસ કરીને ત્યારે જ્યારે ફૂલપુર અને ગોરખપુરમાં માયાવતીએ દલિતોની વોટ બેંકને એખિલેશના ઉમેદવારો માટે ટ્રાન્સફર કરી દીધી હતી.

માયાવતીના મનમાં સપાના ઇરાદાને લઈને શક પેદા થતો અને દોસ્તી વધે એ પહેલાં જ એમાં તિરાડ પડી જતી.

ગઠબંધન પર ભારે જાતિ

અખિલેશ અને માયાવતીની સામે એક કે બે રાજ્યસભા સીટો જીતવાથી પણ વધારે પડકારો છે.

અગર એ આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં અલગ અલગ ચૂંટણી લડે છે તો એનાથી ભાજપને ફાયદો થશે.

અને બન્ને માટે ગઠબંધનમાં ટકી રહેવું આમ પણ મુશ્કેલ હશે.

સમાજવાદી પાર્ટી અને બસપાના સૂત્ર કહે છે કે એમના પર બન્નેના સંબંધો વધારે ગાઢ બનાવવા માટે દબાવ એટલો બધો હતો કે નેતાઓ નજીવી વાતો અને અંદરો અંદરની શંકાના કારણે એને તોડવા નહોતા ઇચ્છતા.

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે તેની રણનીતિ દ્વારા સપા અને બસપાની અંદરની સમજને નબળી કરવાની કોશિશ કરી છે.

એની સાથે જ અમિત શાહે પ્રદેશમાં પાર્ટીના મનોબળને વધારવાનું બળ પ્રદાન કર્યું છે.

ભાજપે યૂપીમાં રાજ્યસભાની નવ સીટો જીતવાનો ઉત્સવ લખનઉમાં પરિણામ આવતા પહેલા જ શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પક્ષના પ્રદેશ કાર્યાલયે પહોંચીને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

જીત છતાં ભાજપને ઝટકો

મોદી અને શાહ માટે રાજ્યસભામાં દરેક સીટને જીતવી અને હારવી મહત્ત્વપૂર્ણ છે. કારણ કે રાજ્યસભામાં ભાજપ 126ના આંકડાથી દૂર છે.

આ કારણે રાજ્યસભાની સ્થિતિ લોકસભા જેવી મજબૂત નથી હોતી. જો કે આ ચૂંટણીમાં ભાજપને યુપીમાં તેમના જ સાથી 'સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી'એ ઝટકો આપ્યો હતો.

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ઓમ પ્રકાશ રાજભરની છે અને એ યોગી મંત્રીમંડળમાં રાજ્યમંત્રીનો હોદ્દો ભોગવે છે. આ પાર્ટીના બે ધારાસભ્યોએ સપા અને બસપાના ઉમેદવારોને મત આપ્યા હતા.

ગયા અઠવાડિયે જ રાજભરે યોગી સરકાર પર તેમની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે રાજભરને દિલ્હી બોલાવ્યા હતાં. બન્ને વચ્ચે લાંબી બેઠક પણ થઈ હતી.

આ બેઠક પછી રાજભરે ભાજપના પક્ષમાં મત આપવાની વાત કરી હતી. જો કે રાજભરે શાહની વાત ન સાંભળી અને ભાજપની વિરુદ્ધ મતદાન કર્યું.

રાજભરની પાર્ટી કેટલા દિવસ ભાજપ સાથે જોડાયેલી રહેશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

બસપા વિધાયક અનિલ સિંહ અને સમાજવાદી પાર્ટી છોડનારા નરેશ અગ્રવાલના દીકરા નિતિન અગ્રવાલે પણ ક્રોસ વોટિંગ કરી અને તેમણે એની જાહેરાત પણ કરી.

અનિલ સિંહ ઠાકુરે યોગી પ્રત્યે તેમની નિષ્ઠા પ્રદર્શિત કરી.

તેમનો 'વિદ્રોહ' માયાવતી માટે એક સંદેશ છે કે આજે નહીં તો કાલે એમણે ઉત્તર પ્રદેશમાં પ્રાસંગિક બની રહેવા બદલ બધી જાતિઓ અને સમુદાયોને એક કરીને એક છત નીચે લાવવા જ પડશે.

કુંડાથી અપક્ષ વિધાયક રાધાપ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયાએ ગુપ્તચાલ ચાલી.

એમણે કહ્યું કે એમણે સપાને વોટ કર્યો. પરંતુ મતદાન પછી તરત જ તેમણે યોગી સાથે મુલાકાત કરી.

એટલે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે રાજપૂત હોવાના નાતે તેમણે ભાજપને વોટ કર્યો હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો