PNB કૌભાંડ: છેતરપીંડીથી પણ વધારે શેરધારકોને નુકસાન

દેશની બીજા ક્રમાંકની સૌથી મોટી સરકારી બૅંક પંજાબ નેશનલ બૅંક એટલે કે પીએનબીમાં 11,400 કરોડ રૂપિયાના કૌભાંડના સમાચાર સામે આવ્યા બાદ બૅંકને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે.

આ કૌભાંડ મુંબઈની એક શાખામાં થયું હતું. આ કૌભાંડને બૅંકિંગના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ હોવાનું અંદાજવામાં આવે છે.

બૅંકે 14 ફેબ્રુઆરીના રોજ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ એટલે કે બીએસઈને આ છેતરપીંડી અંગે માહિતી આપી હતી અને ત્યારબાદથી બૅંકના શેર સતત ઘટ્યો છે.

14 ફેબ્રુઆરીના રોજ બૅંકનો શેર 161 રૂપિયા પર હતો, ત્યારે બૅંકની માર્કેટ કેપિટલ રૂ. 39,436 કરોડ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ત્યારબાદ રોકાણકારોનો બૅંક પરથી એ રીતે ભરોસો તૂટ્યો કે પાંચ કારોબારી સત્રોમાં શેર સાડા 28 ટકા તૂટ્યો છે.

મંગળવારના કારોબારી સત્ર દરમિયાન, જ્યારે શેર 115ના ભાવ પર કામ કરી રહ્યો હતો, ત્યારે તેની માર્કેટ કેપિટલ 27,918 કરોડ રૂપિયા હતી.

એટલે કે કૌભાંડની વાત સામે આવ્યા બાદ બૅંકની માર્કેટ કેપિટલ 11,436 કરોડ રૂપિયા ઘટી છે.

મતલબ સ્પષ્ટ છે કે, હીરા વેપારી નીરવ મોદીએ બૅંકને જેટલો ચૂનો લગાડ્યો, તેનાથી વધારે નુકસાન બૅંકના રોકાણકારોને થયું છે.

ફિચે રેટિંગ ઘટાડ્યું

આ સિવાય રેટિંગ એજન્સી ફિચે મંગળવારના રોજ પીએનબીની વાઇબલ્ટિ રેટિંગ 'બીબી'ને રેટિંગ વૉચ નેગેટિવ પર રાખ્યું છે.

ફિચે બૅંક સાથે થયેલી 11,400 કરોડની છેતરપીંડી બાદ પગલું ભર્યું છે.

આ નિર્ણય બાદ પીએનબીની રેટિંગમાં ઘટાડો નોંધાઈ શકે છે.

રેટિંગ એજન્સીએ કહ્યું, "બૅંકિંગ વ્યવસ્થા પર નિયંત્રણની નિષ્ફળતા વિશે સ્પષ્ટતા મળવા તેમજ પીએનબીની નાણાંકીય સ્થિતિ પર તેની અસરને જોયા બાદ ફિચ ફરી એક વખત રેટિંગ વોચનું વિશ્લેષણ કરશે."

ફિચે કહ્યું છે કે આ કૌભાંડથી બૅંકની છબીને ધક્કો પહોંચ્યો છે અને તેની પૂંજી બજાર પર પણ અસર જોવા મળી છે.

ફિચે કહ્યું કે તે પીએનબીની જવાબદારીઓ, સંભવિત વસૂલીના આંતરિક તેમજ બાહ્ય સ્ત્રોતોથી નવી અતિરિક્ત પૂંજીના પ્રબંધની દેખરેખ કરશે જેથી તેઓ નક્કી કરી શકે કે બૅંકની નાણાંકીય સ્થિતિ વર્તમાન રેટિંગના સ્તરની છે કે નહીં.

એજન્સી તરફથી AAA અને F સુધી રેટિંગ આપવામાં આવે છે. હાલ પીએનબી પાસે BBBની રેટિંગ છે, જેનો મતલબ છે કે પીએનબીને મધ્યમ શ્રેણીની બૅંકોમાં રાખવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો