'દેશની દરેક સમસ્યા-મુદ્દા પર બોલવા તૈયાર'

શશિ થરુર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાજેશ જોશી
    • પદ, રેડિયો એડિટર, બીબીસી હિંદી

કોઈ ભાષાનું વધું પડતું જ્ઞાન હોવું પણ મુશ્કેલી ઉભી કરી શકે છે અને આ વાતને શશિ થરુર કરતાં વધારે સારી રીતે કોઈ સમજી શકતું નથી.

અંગ્રેજીના નિપુણ લેખક અને રાજનેતા શશિ થરુર પોતાની કૉન્વેન્ટ અંગ્રેજીના કારણે ઘણી વખત મુશ્કેલીમાં પડી ચૂક્યા છે.

ક્યારેક 'ફારાગો' અને 'ઇંટરલોક્યૂટર' જેવા દુર્ગમ અંગ્રેજી શબ્દોના ઉપયોગના કારણે તો ક્યારેક 'કેટલ ક્લાસ' જેવા જુમલાના કારણે તેમણે આ સામનો કર્યું છે.

બીબીસી હિંદી સાથે ખાસ વાતચીતમાં શશિ થરુરે લગભગ બાળકો જેવી માસૂમિયતથી કહ્યું, "હું કોઈ ડિક્શનરી જોઈને શબ્દોનો ઉપયોગ કરતો નથી.

મારી ભાવનાઓને વ્યક્ત કરવા માટે હું સૌથી મજબૂત શબ્દનો ઉપયોગ કરું છું."

"પણ જો કોઈ તે શબ્દનો અર્થ સમજી શકતું નથી તો તેમણે ડિક્શનરી જોવી જોઈએ."

તમને આ પણ વાંચવું ગમશે

શશિ થરુર ભલે ત્રીસ વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્રમાં ઉંચા હોદ્દા પર કામ કરી ચૂક્યા હોય અને પશ્ચિમી સભ્યતાના મુરીદ હોય, પણ તેમને ખબર છે કે કઈ ભાષા ક્યાં અને કેવી રીતે વાપરવી જોઈએ.

line

ભારતીય યથાર્થ

રાહુલ ગાંધી સાથે શશિ થરુર

ઇમેજ સ્રોત, @SHASHITHAROOR

જયપુર લિટરેચર ફેસ્ટિવલના ઘોંઘાટ વચ્ચે શશિ થરુરને ઇન્ટરવ્યૂ માટે પકડી લેવા તે એક સૌથી અઘરું કામ કરવા જેવું હતું.

જોકે, ભલે થોડી વાર માટે પણ તેઓ ઇન્ટરવ્યૂ માટે મળ્યા.

તેમણે કહ્યું, "ભારતીય યથાર્થ અલગ અલગ છે. જો ગામડાંની વાત લખવી હોય તો અંગ્રેજીમાં લખી શકાતી નથી.

જો તમે કોઈ IAS ઑફિસરની વાત લખવા માગતા હોવ જે ઉપમન્યુ ચેટર્જીએ 'ઇંગ્લિશ ઓગસ્ટ'માં લખ્યું છે તેને અંગ્રેજીમાં જ લખવી જોઈએ."

"કેમ કે તેમના વિચાર અંગ્રેજીમાં જ છે. જો હું રિક્ષાચાલક સાથે અંગ્રેજીમાં વાત કરીશ તો તે મને થપ્પડ મારશે."

આ જમાનામાં અંગ્રેજીમાં વાર્તાઓ અને નવલકથા લખનારા ભારતીય લેખકોની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય છે.

અને તેમને જોઈને દરેક અધ્યાપક, પત્રકાર, એનજીઓકર્મી કે કમ્પ્યૂટર પ્રોગ્રામર અંગ્રેજીમાં નવલકથા લખીને રાતોરાત લાખો ડોલર એડવાન્સ મેળવવા અને સેલિબ્રિટી બનવાના સપનાં જોવા લાગે છે.

તેમાં શશિ થરુર ભારતીય ભાષાઓમાં લખવામાં આવતા સાહિત્યને દુનિયાની સામે લાવવાના કામમાં લાગેલા છે.

line

ભારતીય ભાષાઓમાં....

શશિ થરુર

ઇમેજ સ્રોત, @SHASHITHAROOR

લંડનથી પ્રકાશિત સાહિત્યિક પત્રિકા 'લિટ્રો'ના નવા અંક 'ટ્રાન્સલેટિંગ ઇન્ડિયા'ના મહેમાન તંત્રી તરીકે શશિ થરુરે ભારતીય ભાષાઓમાં લખનારા 11 લેખકોનાં લેખનને પસંદગી આપી હતી.

તેમનો દાવો છે કે દુનિયામાં જે 20-25 ભારતીય લેખકોનું નામ પ્રખ્યાત છે તેમાંથી સાત કે આઠ આ યાદીમાં સામેલ છે.

લિટ્રોના આ અંકમાં બંગાળી લેખિકા સંગીતા બંદ્યોપાધ્યાય, તમિલના પેરુમાલ મુરુગન, મલયાલમ લેખિકા કે આર મીરા, મલયાલમના બેન્યામિન, હિંદીના મનીષા કુલશ્રેષ્ઠ, કન્નડના વિવેક શાનબાગ, મલયાલમના પૉલ ઝકારિયા અને માનસી અને સાથે અંગ્રેજીના સુષ્મિતા ભટ્ટાચાર્ય તેમજ અનિતા ગોવિયાસની વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવી છે.

પત્રિકાના સંપાદકીયમાં શશિ થરુરે સ્વીકાર કર્યો છે કે ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલા સાહિત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવું સહેલું નથી.

line

અનુવાદની સમસ્યાઓ

શશિ થરુર

બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "ભારતીય ભાષાઓના લેખકોને જેટલી માન્યતા મળવી જોઈએ એટલી મળી શકતી નથી.

કેમ કે લોકો તેમના વિશે અજ્ઞાનતાવશ જાણતા નથી અને એવું એટલા માટે થાય છે કેમ કે તેમના લેખનને સારા અનુવાદ મળતા નથી."

અનુવાદની સમસ્યાઓ પર ધ્યાન અપાવતા શશિ થરુર કહે છે, "દરેક શબ્દ પાછળ એક સાંસ્કૃતિક વિચાર હોય છે. તેને ડિક્શનરીમાં જોઈને સમજી શકાતા નથી."

"જે રીતે હિંદી શબ્દો 'તુમ' અને 'આપ'ને અંગ્રેજીમાં સમજવા મુશ્કેલ છે અને દરેક શબ્દને સમજાવવા માટે ફુટનોટ લખશો તો કોઈ વાંચશે નહીં.

તો જ્યારે ભારતીય ભાષાઓથી અનુવાદ કરવામાં આવે છે તો ઘણી વસ્તુઓ ખોવાઈ જાય છે."

"એ જ કારણ છે કે આપણા સાહિત્યને સમજવામાં ક્યારેક ક્યારેક વિદેશીઓએ મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે."

પરંતુ તેઓ લિટ્રો પત્રિકાના મુખ્ય તંત્રી એરિક અકોટોની વાતથી સહમત નથી કે ભારતમાં અંગ્રેજીને કારણ વગર ઉંચો દરજ્જો આપવામાં આવે છે.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં એરિક પણ હાજર હતા.

તેમણે બીબીસીને કહ્યું, "ક્વિન્સ ઇંગ્લિશમાં અમને કોઈ રસ નથી. આ પત્રિકાના માધ્યમથી અમે ભારતથી ઉભરી રહેલા અવાજોને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવા માગીએ છીએ."

line

શ્રેષ્ઠ લેખન શું હોય છે...

એરિક અકોટો

એરિક કહે છે, "ભારતમાં અંગ્રેજી ભાષાને જરૂર કરતા વધારે મહત્ત્વ આપવામાં આવે છે.

આ ભાષાને થોડા લોકો અહીં લઈને આવ્યા હતા અને વર્ષો પહેલા ભારત છોડીને તેઓ જતા પણ રહ્યા છે. બીજી તરફ ભારતની ભાષાઓ છેલ્લા 2 હજાર વર્ષોથી બોલાતી આવી છે."

જોકે, શશિ થરુર માને છે કે ભારતમાં લખાતા અંગ્રેજી લેખનને ફગાવી શકાતા નથી. કેમ કે, લેખનની ક્વૉલિટીની તપાસ કરનારા લોકોને ખબર છે કે શ્રેષ્ઠ લેખન શું છે.

તેઓ કહે છે, "ભારતીય ભાષાઓમાં લખનારા લેખકમાંથી ઘણા લેખક સારી રીતે અંગ્રેજી ભાષા જાણે છે. પરંતુ તેમણે પોતાની ભાષામાં લખવાનો નિર્ણય લીધો છે."

"તેનો મતલબ એવો નથી કે દુનિયાભરમાં અંગ્રેજી અને બીજી ભાષાઓમાં લખાતા સાહિત્ય વિશે તેમને જાણકારી નથી."

"ઓછામાં ઓછા 60-70 ટકા લેખક આધુનિક આંતરરાષ્ટ્રીય સાહિત્ય ભણ્યા છે.

તે છતાં તેઓ ઇચ્છે છે કે તેમની ભાષા જાણતા લોકો તેમના વિચારોને પોતાની ભાષામાં જ વાંચે અને સમજે."

line

14 વર્ષ બાદ મલયાલમ ભાષા શીખી

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઉદાહરણ તરીકે તેઓ હિંદી લેખક નિર્મલ વર્મા અને કન્નડ લેખક યૂઆર અનંતમૂર્તિનો ઉલ્લેખ કરે છે.

અથવા તો ઓવી વિજયન કે જેઓ અંગ્રેજીમાં પત્રકારત્વ કરતા રહ્યા અને અંગ્રેજીમાં કાર્ટૂન બનાવતા રહ્યા.

પણ તેમણે 14 વર્ષ બાદ મલયાલમ શીખી અને પછી સંપૂર્ણ સાહિત્ય એ જ ભાષામાં લખ્યું.

અંગ્રેજીને શશિ થરુર એક ભારતીય ભાષા જ માને છે. મજાક ઉડાવવાના ભાવથી નહીં, પણ ગંભીરતાથી તેઓ કહે છે કે જે રીતે ચેતન ભગત અંગ્રેજી લખે છે, તેને વિદેશોમાં કોઈ સમજશે નહીં.

અથવા તો જેવી અંગ્રેજી દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બોલવામાં આવે છે, તેને ઑક્સફોર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોઈ સમજશે નહીં.

શશિ થરુરને સીધા સવાલ કરો, મુશ્કેલ સવાલ કરો કે હલકા ફૂલકા- તેઓ પોતાના ચહેરા પર સ્મિત અને આંખોની પારદર્શી ચમકને ક્યારેય છૂપાવા દેતા નથી.

કેવું લાગે છે કે જ્યારે એક ટીવી એન્કર લલકારવાના અંદાજમાં બોલે છે- યૂ કાવર્ડ શશિ થરુર, વ્હેઅર આર યૂ હાઇડિંગ?

આ સવાલનો જવાબ દેતા પહેલા શશિ થરુર ખૂબ હસે છે અને પછી કહે છે, "અસભ્ય લોકો જે કહે છે તે જવાબ દેવા લાયક નથી.

હું શા માટે જવાબ આપું. આ દેશમાં કોઈ મુદ્દો કે કોઈ સમસ્યા એવી નથી જેના પર બોલવા માટે હું તૈયાર નથી. પરંતુ લોકોએ સમજવું જોઈએ કે તેઓ સભ્યતા સાથે વાત કરે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો