બ્લૉગ : 2018ના યુવા ભારત પર એક નજર

    • લેેખક, દિવ્યા આર્યા
    • પદ, બીબીસી સંવાદદાતા

આપણા દેશમાં મહિલાઓને ભલે હંમેશા સેકન્ડ ક્લાસ નાગરિક ગણવામાં આવે છે, પણ જ્યારે દેશને માનવ સ્વરૂપે જોવામાં આવે છે ત્યારે તેનાં નામ સાથે 'માતા' જોડવામાં આવે છે.

આ સંબોધન ઉંમર અને સન્માનમાં ઊંચું સ્થાન આપનારું, કર્તવ્ય અને જવાબદારીની ભાવના પેદા કરનારું અને દેશને પૂજનીય બનાવી દે છે.

2018ની પહેલી સવારે મને આ સંબોધન વિષે કેટલાક પ્રશ્નો ઊભા થયા.

જેનું સૌથી મોટું કારણ 2018માં '18'નો જે અંક છે તે પુખ્ત થવાના, મતદાન કરવાના, છોકરીઓને લગ્ન કરવાનાં, ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા અને દારૂ પીવા જેવી તમામ યુવાની સાથે સંકળાયેલી બાબતો તરફ ધ્યાન દોરે છે.

બીજી વાત એ પણ છે કે ભારતનો દર ત્રીજો વ્યક્તિ આજે યુવાન છે.

તમને આ પણ વાંચવું ગમશે

2017માં સરકારના 'યુથ ઇન ઇન્ડિયા' નામના રિપોર્ટ મુજબ, કુલ વસતીના 34.8 ટકા લોકોની ઉંમર 15થી 29ની વચ્ચેની છે.

આથી માની તુલનામાં જવાન વ્યક્તિની છાપ થોડી અલગ ઊભી થાય છે.

કેવા છે જવાન ભારતના યુવાનો

યુવાનો ઉતાવળા હોય છે. તરત નારાજ થઈ જાય, તરત ખુશ થઈ જાય, ફટાફટ મિત્રતા, સટાસટ પ્રેમ, ધનાધન નોકરી વગેરે વગેરે.

શ્વાસ લેવાનો પણ જાણે સમય નથી હોતો. સમય મળે, ત્યારે સોશિયલ મીડિયા પર ફટાફટ વાંચી લે છે અને તેને જ સત્ય માની બેસે છે.

હંમેશા મગજ પર મન ભારે પડે છે. દિલના દરવાજા ખુલ્લા હોય છે એટલે તરત પ્રેમ થઈ જાય છે અને જો બંધનું એલાન હોય તો નફરત પણ થઈ જાય છે.

'ઍન્ટિ રોમિયો સ્ક્વૉડ', 'બેરોજગારી','સ્કિલ ઇન્ડિયા', 'ફેક ન્યૂઝ' અને 'ભીડતંત્ર'ની વચ્ચે આપણો આ યુવાન ગૂંચવાયેલો છે.

આપણા આ જવાન ભારતમાં છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી છે અને આવનારા દસકાઓમાં હજુ પણ ઘટશે.

આ માટે મારા મનમાં જ્યારે માતાની છાપ બદલાઈ ત્યારે તે છોકરી નહીં પણ છોકરાની હતી.

છોકરીઓનો સાક્ષરતા દર

જોકે, છોકરીઓમાં સાક્ષરતા દર વધ્યો છે અને વધારે છોકરીઓ પગભર થઈ છે, પણ જ્યારે આ આંકડાઓ છોકરાઓની તુલનામાં જોઈએ તો નિરાશાજનક છે.

2011ની વસતી ગણતરી મુજબ, છોકરીઓનો સાક્ષરતા દર 64.6 ટકા છે, જ્યારે છોકરાઓનો 80.9 ટકા. ભણેલી છોકરીઓમાંથી એક તૃતીયાંશ છોકરીઓ નોકરી નથી કરી શકતી.

2011-12ના સરકારી આંકડાઓ અનુસાર, 55 ટકા પુરુષો અને 18 ટકા મહિલાઓ લેબર ફોર્સ એટલે કે શ્રમિક વર્ગનો ભાગ બને છે.

આ આંકડો ગ્રામીણ વિસ્તારનો છે. વધારે ભણેલા-ગણેલા, વિકસિત શહેરી વિસ્તારોમાં મહિલાઓનો દર ઘટીને 13 ટકા થયો છે.

લગ્નની ઉંમર

મહિલાઓ પોતે કમાઈ ભલે ન શકતી હોય, પણ નાની ઉંમરે લગ્નમાંથી મુક્ત થઈ રહી છે. નાની ઉંમરે લગ્ન કરનાર મહિલાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આઝાદી સમયે ભારતની કુલ પરિણીત મહિલાઓમાંથી લગભગ 70 ટકાની ઉંમર 15થી 19 વર્ષની વચ્ચેની હતી.

જ્યારે 2011ની વસતી ગણતરી થઈ, ત્યારે નાની ઉંમરે લગ્ન કરનારી મહિલાઓનો દર ઘટીને 20 ટકા રહ્યો હતો.

છોકરીઓની લગ્ન કરવાની સરેરાશ ઉંમર 22.3 વર્ષ થઈ ગઈ છે.

1970નું જનસંખ્યા નિયંત્રણ અભિયાન

બાળકને જન્મ આપતી મહિલાઓ સરેરાશ કેટલા બાળકને જન્મ આપશે એટલે કે ટોટલ ફર્ટિલીટી રેટ (ટીએફઆર) પણ ઓછો થયો છે.

1971માં આ દર 5.2 ટકા હતો. સાધારણ શબ્દોમાં એક મહિલા પાંચ બાળકો ઉછેરતી.

1970ના દસકામાં પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની સરકારે જનસંખ્યા નિયંત્રણ પર વિશેષ ભાર મૂક્યો. દેશભરમાં સ્ટરિલાઇઝેશન એટલે કે વસતી નિયંત્રણની વિવાદાસ્પદ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

પછી ઇમરજન્સી દરમિયાન એક વર્ષમાં 60 લાખ પુરુષોની નસબંધી થઈ હતી, નાના પરિવારનું ચલણ વધ્યું અને વર્ષ 2014માં ટીએફઆર ઘટીને 2.3 ટકા થયો.

વિશ્વ બેંકનું અનુમાન

આ દરના ઘટવાથી અને સ્વાસ્થ્યની સારી સેવાઓને કારણે મૃત્યુદર પણ ઘટ્યો છે, જેનાં કારણે યુવાન ભારતનું રૂપ આવનારા સમયમાં બદલાશે.

વિશ્વ બેંકના અનુમાન અનુસાર, આવનારા દસકાઓમાં ભારતની આબાદીનું મોટું પ્રમાણ યુવાન નહીં હોય અને તેમાં ઘટાડો થશે.

એક ખૂબ લોકપ્રિય અંગ્રેજી ગીત છે, '18 ટીલ આઈ ડાઈ...', એટલે કે 'હું મૃત્યુ સુધી 18 વર્ષનો જ રહીશ...'

બ્રાયન એડમ્સે પોતાના આ ગીતમાં કહ્યું છે કે, તે ઇતિહાસમાં નહીં વર્તમાનમાં જીવવા માગે છે.

55 વર્ષના થઈ જઈએ અને વૃદ્ધ દેખાવા લાગીએ પણ મનથી અઢાર વર્ષ જેવી લાગણી થવી જોઈએ.

2018ની પહેલી સવારે કરેલા આ ચિંતનનું કારણ એ નથી કે ભારતની આબાદીનો મોટો હિસ્સો ઉંમર કે મનથી જવાન નહીં રહે.

પણ ઇચ્છા તો દુષ્યંત કુમારની પંક્તિની જેમ છે, '...સુરત સચમુચ બદલની ચાહિયે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો