અફઘાનિસ્તાનમાં આવેલા પૂરમાં આવી તારાજી કેમ સર્જાઈ?

    • લેેખક, અહેમેન ખ્વાજા
    • પદ, બીબીસી પશ્તો

ઉત્તર અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે ગામડાં તબાહ થઈ ગયા છે. સત્તાવાર માહિતી મુજબ, આ પૂરમાં અત્યાર સુધીમાં 315 લોકો મૃત્યુ પામ્યાં છે અને 1,600થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘરમાં પાણી ઘૂસ્યું

હજારો ઘરોને નુકસાન થયું છે, પશુઓ ગુમ થયાં છે અને શહેરની શેરીઓમાં કાદવ કિચડ ફેલાઈ ગયો છે.

તાલિબાન સંચાલિત શરણાર્થી (રેફયુજી) મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સહાય જૂથોએ આરોગ્યસંભાળ સુવિધાઓ અને પાણીના પુરવઠા જેવા મહત્ત્વપૂર્ણ માળખાને નુકસાન થવાની ચેતવણી આપી હતી.

ઘણા સમયથી ભારે વરસાદ પડી રહ્યો હતો

છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં બગલાન પ્રાંતના ઓછામાં ઓછા પાંચ જિલ્લામાં અસામાન્ય રીતે ભારે વરસાદ પડ્યો હતો. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાંથી ઘણા લોકો બોરકા પ્રાંતના છે.

આ પ્રાંતમાં 200થી વધુ લોકો તેમનાં ઘરોમાં ફસાયેલા હતા.

બદખ્શાન, ઘોર અને હેરાત પ્રાંતોમાં પણ ભારે નુકસાનના અહેવાલ છે.

જળવાયું પરિવર્તનની અસર

માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયના એક રિપોર્ટ પ્રમાણે એશિયાનો આ દેશ આબોહવા પરિવર્તન માટે વિશ્વના સૌથી સંવેદનશીલ દેશોમાંથી એક છે અને તેની જળવાયું પરિવર્તન સામે લડવાની તૈયારી સૌથી ઓછી છે.

નોંધનીય છે કે, ઑગસ્ટ 2021માં તાલિબાન દ્વારા સત્તા કબજે કર્યા પછી અફઘાનિસ્તાન માટે મોટાભાગની આંતરરાષ્ટ્રીય સહાય અને ભંડોળ અટકી ગયું હતું.

સંયુક્ત રાષ્ટ્ર પાસે સહાય માંગી

તાલિબાનના નાણાં મંત્રી, દીન મોહમ્મદ હનીફે સંયુક્ત રાષ્ટ્ર, માનવતાવાદી એજન્સીઓ અને ખાનગી વ્યવસાયોને પૂરથી અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા વિનંતી કરી છે.

બાળકો માટે કામ કરતી સંસ્થા 'સેવ ધ ચિલ્ડ્રન'નો અંદાજ છે કે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં 3 લાખ 10 હજાર બાળકો રહે છે અને તે ઉમેરે છે કે, "બાળકોએ બધું જ ગુમાવી દીધું છે."