સિંધવ મીઠું હૃદય અને મગજ પર કેવી અસર કરે છે, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આનંદ મણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
સિંધવ મીઠું એક કુદરતી ખનિજ છે, જે દરિયાઈ મીઠાની જેમ સમુદ્રમાંથી નહીં, પરંતુ ખડકો (ખનિજ ખાણો)માંથી કાઢવામાં આવે છે.
ભારતમાં ખાસ કરીને ઉપવાસ દરમિયાન તેનો ઉપયોગ થાય છે, કારણ કે તેને "શુદ્ધ" માનવામાં આવે છે.
તેનો રંગ સફેદથી આછો ગુલાબી અથવા તો વાદળી પણ હોઈ શકે છે.
સોડિયમ ક્લોરાઇડ ઉપરાંત, તેમાં કૅલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવાં ખનિજો પણ હોય છે.
આ મીઠું હિમાલય પ્રદેશ (ભારત, નેપાળ, પાકિસ્તાન)માં જોવા મળે છે, તેથી તેને ઘણી વાર હિમાલયન પિંક સૉલ્ટ પણ કહેવામાં આવે છે.
ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પણ સિંધવ મીઠાની ખાણો છે.
અમેરિકન મૅગેઝિન 'ફૂડ ઍન્ડ વાઇન' અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ખેવરા સૉલ્ટ માઇન સિંધવ મીઠાનો મુખ્ય સ્રોત છે.

બજારમાં સિંધવ મીઠા પિંક સૉલ્ટ, હિમાલયન સૉલ્ટ, લાઇટ સૉલ્ટ અથવા લૉ સોડિયમ સૉલ્ટ તરીકે વેચાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેમને વધુ પડતું મીઠું ખાવાની આદત છે તેમના માટે આ મીઠું ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.
હિમાલયમાંથી કાઢવામાં આવેલા આ મીઠામાં સોડિયમ ઓછું અને મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજ ક્ષાર વધુ હોય છે.
એઇમ્સનાં ભૂતપૂર્વ ડાયેટિશિયન અને વનડાયેટ ટુડેનાં સ્થાપક ડૉ. અનુ અગ્રવાલ કહે છે, "જો મધ્યમ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે સારું હોઈ શકે છે. તેમાં કૅલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં આવશ્યક ખનિજો હોય છે, જે પાચનમાં મદદ કરી શકે છે, હાઇડ્રેશન સુધારી શકે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે."
નિષ્ણાતોના મતે, મીઠા વિશેનું સરળ સત્ય એ છે કે તેનો ઉપયોગ સંયમિત રીતે કરવો શ્રેષ્ઠ છે. સારા સ્વાસ્થ્ય માટે, અથાણાં, પાપડ અને જામ જેવી પ્રિઝર્વડ વસ્તુઓ અને ખાસ તો ટેબલ સૉલ્ટનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ.
સિનિયર કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને SAP ડાયેટ ક્લિનિકનાં સ્થાપક ડૉ. અદિતિ શર્મા કહે છે, "જેમ આપણે આપણાં કપડાં બદલીએ છીએ અને અલગ-અલગ ખોરાક ખાઈએ છીએ, તેમ આપણે આપણાં મીઠાના સેવનમાં પણ ફેરફાર કરવો જોઈએ. લૉ સોડિયમ સૉલ્ટના નામે સિંધવ મીઠાનો આડેધડ ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે."

કોઈ પણ મીઠામાં સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વ સોડિયમ છે. તે આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
સોડિયમ શરીરમાં પાણીનું યોગ્ય સ્તર જાળવવામાં અને બધાં અવયવો સુધી ઑક્સિજન અને અન્ય પોષકતત્ત્વો પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
સોડિયમ આપણી ચેતાઓને વીજળી જેવી સ્ફૂર્તિ આપે છે, પરંતુ હંમેશાં મીઠાનું સેવન મર્યાદિત કરવાની ભલામણ કરવામાં આવે છે.
ડૉ. અનુ અગ્રવાલ કહે છે કે સંયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનું વધુ પડતું સેવન ઘણાં અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

તેઓ સમજાવે છે, "સિંધવ મીઠામાં બિલકુલ આયોડિન હોતું નથી. આ મીઠાનો સૌથી મોટો ગેરલાભ છે. આયોડિનની ઊણપથી ગોઇટર થઈ શકે છે. એટલું જ નહીં, હાઈ બ્લડપ્રેશર, વૉટર રિટેન્શન અને થાઇરોઇડ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તે મેટાબૉલિઝમને પણ અસર કરે છે."
હૃદય: આ મીઠામાં સફેદ મીઠા કરતાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે. તેના વધારે પડતા સેવનથી બ્લડપ્રેશર વધી શકે છે, જેનાથી હાર્ટ ઍટેક અને હૃદયની અન્ય બીમારીનું જોખમ વધી શકે છે.
કિડની: વધુ પડતું સિંધવ મીઠું ખાવાથી શરીરમાં પાણી જમા થઈ શકે છે અને કિડની પર દબાણ આવી શકે છે. આ પાણી દૂર કરવા માટે તેમને વધુ મહેનત કરવી પડે છે. આનાથી સોજો અથવા એડિમાની સમસ્યા થઈ શકે છે.
મગજ: આયોડિનની ઊણપથી નર્વ સિગ્નલ ખરાબ થઈ શકે છે, જેના કારણે યાદશક્તિ અને શીખવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
હોર્મોન્સ: લાંબા સમય સુધી સિંધવ મીઠાનું સેવન કરવાથી T3 અને T4 હોર્મોન્સમાં ઘટાડો થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા સ્વસ્થ લોકોને દરરોજ પાંચ ગ્રામથી ઓછું મીઠું ખાવાની ભલામણ કરે છે, જે લગભગ એક ચમચી છે.
ઑસ્ટ્રેલિયામાં જ્યૉર્જ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્લોબલ હેલ્થ અનુસાર, સરેરાશ ભારતીય દરરોજ લગભગ 11 ગ્રામ મીઠું ખાય છે, જે WHOની ભલામણ કરતાં લગભગ બમણું છે.
ICMRના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજીના વૈજ્ઞાનિકોના મતે , ભારતમાં વધુ પડતા મીઠાના વપરાશથી 'છુપાયેલી મહામારી'ને વેગ આપે છે.
અભ્યાસ પ્રમાણે શહેરી વિસ્તારોમાં રહેતા ભારતીયો દરરોજ સરેરાશ 9.2 ગ્રામ મીઠું વાપરે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ દરરોજ લગભગ 5.6 ગ્રામ છે.
ડાયેટિશિયન ડૉ. અનુ અગ્રવાલ કહે છે, "શરીરમાં વધુ કે ઓછું કંઈ પણ હાનિકારક છે. મીઠું તેમાંથી એક છે."
તેઓ કહે છે, "આજકાલ પૅકેજ્ડ ફૂડ અને વધુ સ્વાદની ઇચ્છાને કારણે મીઠાનો ઉપયોગ વધ્યો છે. આવી સ્થિતિમાં ખોરાકમાં આયોડિનની યોગ્ય માત્રા જાળવવા માટે ઘરે રાંધેલા ખોરાકમાં સામાન્ય મીઠું વાપરો અને પાપડ, અથાણાં, ચટણી અથવા દહીંમાં આપણે અલગથી જે મીઠું ઉમેરીએ છીએ તેના બદલે સિંધવ મીઠું વાપરીએ તો સંતુલન જળવાઈ રહેશે."
તેઓ સમજાવે છે કે સિંધવ મીઠું નિયમિતપણે ન ખાવું જોઈએ અને ફક્ત તબીબી સલાહ મુજબ જ ખાવું જોઈએ. જો તમને કોઈ વિશેષ બીમારી હોય તો જ તેનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી તમારા ડાયેટમાં પોટેશિયમનું પ્રમાણ વધી શકે છે.

સિંધવ મીઠું, જેને હેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફક્ત રસોડામાં જ નહીં, તેનો ઉપયોગ ડિટોક્સિફાયર તરીકે પણ થાય છે.
પાચનમાં સુધારો કરવા અને ગળાના દુખાવામાં રાહત આપવાથી લઈને ત્વચા સુધારવા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપવા સુધી સિંધવ મીઠું એક બહુમુખી કુદરતી ઉપાય છે.
મલેશિયન ન્યુટ્રીશનિસ્ટ સોંગ યિન વા કહે છે, "સિંધવ મીઠું ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. જો ગરમ પાણી સાથે મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો તે પાચનપ્રક્રિયામાં સુધારો કરે છે અને આંતરડામાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે. જો કોઈ તેને પાણીમાં ભેળવીને સ્નાન કરે છે, તો તે ત્વચાનાં છિદ્રો ખોલે છે, ઝેરી તત્ત્વો દૂર કરે છે અને રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરે છે."
તેઓ સમજાવે છે કે સિંધવ મીઠામાં રહેલા ટ્રેસ મિનરલ્સ, જેમ કે મેગ્નેશિયમ અને સલ્ફર, શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓને ટેકો આપે છે અને પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. ખાવામાં આવે કે સ્થાનિક રીતે લગાવવામાં આવે, સિંધવ મીઠું ડિટોક્સિફિકેશનમાં સુધારો કરી શકે છે.
સિંધવ મીઠાને મધ, નાળિયેર તેલ અથવા દહીં સાથે ભેળવીને કુદરતી ફેસ પૅક અથવા બૉડી સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકાય છે. તે મૃત ત્વચાના કોષોને દૂર કરે છે.
સિંધવ મીઠાની વરાળ ઍલર્જી, શરદી અથવા જૂની શ્વસન સંબંધિત સમસ્યાઓમાં સુધારો કરી શકે છે. તે ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












