10 હજાર સ્ટેપ્સ દરરોજ ચાલવું જરૂરી છે? માત્ર આટલાં પગલાંથી પણ બીમારીઓ દૂર રહેશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જોશ એલ્ગિન
- પદ, બીબીસી ન્યૂઝ
વ્યક્તિ સ્વસ્થ રહેવા અને બીમારીઓને દૂર રાખવા માટે દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાનું 'ટાર્ગેટ' રાખે છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ, દરરોજ માત્ર સાત હજાર પગલાં ચાલવાને કારણે શરીર તંદુરસ્ત રહે છે તથા અનેક બીમારીઓથી બચી શકાય છે.
સામાન્ય રીતે દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાની વાત કહેવામાં આવે છે, પરંતુ આ સંશોધનના તારણ મુજબ, દરરોજ સાત હજાર પગલાં ચાલવાનું લક્ષ્યાંક વધુ સરળ અને વાસ્તવિકતાની નજીક છે.

લૅન્સેન્ટ પબ્લિક હેલ્થમાં છપાયેલા સંશોધન મુજબ, દરરોજ સાત હજાર પગલાં ચાલવાને કારણે કૅન્સર, ડિમેન્શિયા (ચિત્તભ્રંશ) તથા હૃદયસંબંધિત ગંભીર બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે આ પ્રકારનાં તારણો લોકોને દરરોજ પોતાનાં પગલાં ગણવાં અને આરોગ્ય સુધારવા માટે પ્રેરિત કરી શકે છે.
અભ્યાસનું નેતૃત્વ કરનારાં ડૉ. મેલૉડી ડિંગનાં કહેવા પ્રમાણે, "આપણાં મનમાં એવી ધારણા છે કે દરરોજ 10 હજાર પગલાં ચાલવાં જોઈએ, પરંતુ તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી."

10 હજાર સ્ટેપ્સ એટલે લગભગ આઠ કિલોમીટર જેટલું અંતર થાય. દરેક વ્યક્તિ માટે આ અંતર અલગ-અલગ હોય શકે છે.
તે વ્યક્તિનાં પગલાંની લંબાઈ ઉપર આધાર રાખે છે, જે વ્યક્તિની ઊંચાઈ, લિંગ તથા ચાલવાની ગતિના આધારે અલગ-અલગ હોય શકે છે. સામાન્ય રીતે ઝડપભેર ચાલતા લોકો લાંબા ડગ માંડે છે.
વર્ષ 1960માં જાપાનમાં એક માર્કેટિંગ કૅમ્પેઇન થયું હતું અને 10 હજાર પગલાંનો આંકડો ત્યાંથી આવ્યો હતો. વર્ષ 1964માં જાપાનમાં ટોકિયો ઑલિમ્પિકનું આયોજન થયું હતું. આ પહેલાં એક પેડોમીટર લૉન્ચ થયું હતું, જેનું નામ હતું 'મૅનપો-કે' જેનો મતલબ 10 હજાર પગલાં એવો થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ડિંગ કહે છે કે આ આંકડો 'સંદર્ભથી હઠીને' અનૌપચારિક માર્ગદર્શિકા જેવો બની ગયો, જેના આજે પણ અનેક ફિટનેસ ટ્રેઇનર તથા ઍપ્સ સૂચવે છે.
લૅન્સેન્ટમાં પ્રકાશિત અભ્યાસપત્રમાં વિશ્વભરના એક લાખ 60 હજાર કરતાં વધુ લોકોનાં આરોગ્ય તથા તેમની પ્રવૃત્તિઓનાં આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

જે લોકો દરરોજ બે હજાર પગલાં ચાલતા હતા, તેમની સરખામણીમાં સાત હજાર પગલાં ચાલનારા લોકોમાં બીમારીઓનું જોખમ ઓછું જણાયું હતું, જેમ કે :
હૃદયસંબંધિત બીમારીઓ: 25 ટકા ઓછી
કૅન્સર: છ ટકા ઓછું
ડિમેન્શિયા: 38 ટકા ઓછું
ડિપ્રેશન: 22 ટકા ઓછું
જોકે, સંશોધનકર્તાઓનું કહેવું છે કે અમુક આંકડાની ચોક્કસાઈ ઓછી હોય શકે છે, કારણ કે તે મર્યાદિત અભ્યાસોમાંથી લેવામાં આવ્યા છે.
સર્વાંગી રીતે જોતાં રિસર્ચનું તારણ છે કે દરરોજ બે હજાર પગલાં ચાલતાં લોકોની સરખામણીમાં દરરોજ ચાર હજાર પગલાં ચાલનારા લોકોને પણ સારા આરોગ્યલક્ષી લાભો થાય છે.
મોટાભાગની બીમારીઓમાં થનારા લાભો સાત હજાર ડગલાં પછી સ્થિર થઈ જાય છે, જોકે, હૃદયના સ્વાસ્થ્ય માટે વધુ ચાલવું, વધુ ફાયદાકારક છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોટાભાગની ઍક્સરસાઇઝ ગાઇડલાઇન વ્યક્તિ કેટલી મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ કરે છે, એની ઉપર ભાર આપે છે, નહીં કે કેટલાં પગલાં ચાલ્યા એની ઉપર.
દાખલા તરીકે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું (ડબલ્યૂએચઓ) કહેવું છે કે પુખ્ત વયના લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ સુધી મધ્યમ સ્તરની એકસરસાઇઝ કરવી જોઈએ. અથવા તો 75 મિનિટ સુધી ઝડપભેર કસરત કરવી જોઈએ.
ડૉ. ડિંગનું કહેવું છે કે સામાન્ય લોકોને આ સલાહ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. આમ છતાં વર્તમાન માર્ગદર્શિકાઓની જરૂર છે જ.
ડૉ. ડિંગ કહે છે, "કેટલાક લોકો સ્વિમિંગ કરે છે, સાઇકલ ચલાવે છે અથવા તો તેમની અમુક શારીરિક મર્યાદાઓ હોય શકે છે, જેના કારણે તેઓ વધુ ચાલી શકતા ન હોય."
આમ છતાં ડૉ. ડિંગનું માનવું છે કે વ્યક્તિએ દરરોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ, તેના વિશે સલાહ આપવી જોઈએ, જેથી કરીને આખો દિવસ અલગ-અલગ રીતે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિચારે.
લંડનસ્થિત બ્રૂનેલ યુનિવર્સિટીના ડૉ. ડેનિયલ બેલીનું છે કે આ અભ્યાસ 'રોજના 10 હજાર સ્ટેપ્સ'ના મિથકને પડકારે છે.
તેમના કહેવા પ્રમાણે, પ્રમાણમાં સક્રિય જીવન જીવતા લોકો માટે દરરોજના 10 હજાર સ્ટેપ્સનું ટાર્ગેટ યોગ્ય હોય શકે છે, પરંતુ બાકીના લોકો માટે દરરોજના પાંચથી સાત હજાર પગલાં વધુ સરળ અને હાંસલ કરી શકાય એવું લક્ષ્યાંક છે.
યુનિવર્સિટી ઑફ પૉર્ટ્સમાઉથના ડૉ. ઍન્ડ્રુ સ્કૉટ માને છે કે પગલાંની પાક્કી ગણતરી જરૂરી નથી.
તેમનું કહેવું છે, "વધારે ચાલવું હંમેશાં સારું જ છે, છતાં લોકોએ ટાર્ગેટની ચિંતા ન કરવી જોઈએ. વિશેષ કરીને જે દિવસો દરમિયાન શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












