You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેમ સંબંધ તૂટવા કે બ્રેક-અપનું દુ:ખ તમારા માટે ફાયદાકારક હોઈ શકે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સંબંધ વિચ્છેદ કે બ્રેક-અપનું દુ:ખ આપણને ફાયદો પણ થઈ શકે છે?
તમે વિચારતા હશો કે આ કેવો સવાલ છે? સંબંધ વિચ્છેદ કોને ગમે? કોઈને નહીં, ખરું ને? એમાંય વળી એનાથી ફાયદો થવાનો વિચાર તો કદાચ જ આવે.
‘ધ બ્રેક-અપ મોનોલૉગ્સ’ નામનું પુસ્તક લખવાવાળા રોઝી વિલ્બીનું માનવું છે કે સંબંધ તૂટવાથી ઘણા ફાયદા થાય છે.
રોઝી વિલ્બી આ નામથી પહેલાં એક પૉડકાસ્ટ ચલાવતાં હતાં, પછી તેમણે આ જ નામથી એક પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં તેમણે તેમના વ્યક્તિગત જીવનની વાત કરી છે.
આ ઉપરાંત પૉડકાસ્ટમાં આવતા મહેમાનો સાથે વાતચીત દરમ્યાન માનવીય સંબંધો વિશે તેમણે જે જાણ્યું એ બધી વાતોને તેમણે તેમના પુસ્તકમાં સમાવી લીધી છે.
તેમણે પુસ્તક લખવા માટે કેટલાય થૅરાપિસ્ટ, સમાજ શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે. પોતાના આ પુસ્તક વિશે તેમણે બીબીસી રીલ્સમાં વાત કરી.
બીબીસી રીલ્સમાં રોઝી વિલ્બી કહે છે કે પ્રણયભંગથી તમે ઘણુ બધું શીખી શકો છો. બીબીસી સાથે પોતાના અનુભવો વિશે વાત કરતા તેઓ કહે છે કે બ્રેક-અપને ક્યારેય સારું નથી મનાતું પણ એ પણ શક્ય છે કે આનાથી તમારું ભલું થાય.
સ્વને સમજવાની તક
રોઝી વિલ્બી મુજબ, બ્રેક-અપ આપણને એ વાતની તક આપે છે કે આપણે એ વાત પર ફરી વિચાર કરીએ કે આપણા સંબંધોમાં આપણે કઈ પ્રકારના વ્યક્તિ હોવું જોઈએ અથવા આપણે કઈ પ્રકારના વ્યક્તિ સાથે સંબંધ વિકસાવવો જોઈએ. ઘણીવાર આપણને પ્રણયભંગથી જ પોતાના વિશે સાચી જાણકારી મળ છે અને આપણે વધારા સારા નિર્ણય લેવા માટે સક્ષમ બનીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનસિક સ્વાસ્થ્ય અને વર્તન વિજ્ઞાનના નિષ્ણાત ડૉ. સમીર મલ્હોત્રા પણ માને છે કે ઘણીવાર સંબંધ વિચ્છેદથી તમારી આંખો ખુલે છે.
બીબીસી સહયોગી ફાતિમ ફરહીન સાથ વાતચીત કરતા ડૉ. મલ્હોત્રા કહે છે, "ઘણીવાર બ્રેક-અપ તમને તમારામાં રહેલી ખામીઓથી અવગત કરાવે છે. પછી તમે પોતાને સુધારો છો."
"એ તમારા પર નિર્ભર કરે છે કે તમે બ્રેક-અપને કેવી રીતે જુઓ છો. જો તમે અન્યોની જેમ જ ભૂલો શોધતાં રહેશો તો તમે ક્યારેય પણ પોતાને સુધારવાનો પ્રયાસ નહીં કરો."
દરેકનો અનુભવ નોખો
દિલ્હી સ્થિત મનોવૈજ્ઞાનિક અને મૅરેજ કાઉન્સેલર શિવાની મિશ્રી સાધુ કહે છે કે બ્રેક-અપ બધા માટે મુશ્કેલ હોય છે અને તેમાંથી બહાર નીકળવાનો દરેકનો અનુભવ અલગ-અલગ હોય છે.
ફાતિમા ફરહીન સાથે વાત કરતા શિવાની મિશ્રી સાધુ કહે છે કે સંબંધોનું તૂટવું ઘણીવાર આપણા માટે એક શીખ પણ હોય છે.
તેઓ કહે છે, "તમારું જ્યારે બ્રેક-અપ થાય છે તો તમને પોતાને સમજવાની અને પોતાને વધારે સારી વ્યક્તિ બનાવવાની તક મળે છે. આપણે એ વાતની સ્વીકરવી પણ જોઈએ કે આ સંબંધમાં આપણે શું ભૂલ કરી છે."
પ્રણય ભંગ અને નશાની લત
રોઝી વિલ્બી દિલ તૂટવાની સરખામણી નશાની લત સાથ કરે છે.
તેમના અનુસાર સંબંધ વિચ્છેદ પછી માણસનો વ્યવહાર એવો હોય છે જ્યારે નશાની લત ધરાવતી વ્યક્તિને નશો કરવાથી રોકી દેવાય.
ડૉ. સમીર મલ્હોત્રાનું પણ કહેવું છે કે લવ કેમિકલ એટલે કે ઑક્સિટોસિન હૉર્મોન જ્યારે મગજની અંદર વધી જાય છે ત્યારે બીજા પ્રત્યે આકર્ષણ વધે છે. કોઈ પણ પ્રકારના પ્રેમમાં તે દેખાય છે.
તેઓ કહે છે, "મગજમાં ઘણીવાર ડોપામિન રિવૉર્ડ પાથવે સક્રિય થાય છે. આ કારણે તેમને એ માણસને વારંવાર મળવાનું મન થયા કરે છે. પણ જો એ વ્યક્તિ તેમને ના મળે અને સંબંધ તૂટી જાય તો તમારી હાલત એવી થઈ જાય છે જે નશાના લત ધરાવતા વ્યક્તિને ડ્રગ્સ ના મળવાથી થાય છે."
ડૉ. સમીર મલ્હોત્રા મુજબ નશાની લતમાં પણ ડોપામિન રિવૉર્ડ પાથવે સક્રિય થાય છે.
તરત જ નવા સંબંધમાં જોડાઈ જવું જોઈએ?
રોઝી વિલ્બી કહે છે કે સંબંધોને જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. આ એક મુશ્કેલ કામ છે કારણ કે સંબંધોને કારણે તમારા જીવનમાં જીવનમાં ઘણી ઊથલપાથલ થાય છે. તમારે માત્ર અન્ય વ્યક્તિ સાથે નહીં પણ તેના સારા અને ખરાબ પાસાઓ મુજબ વર્તવાનું હોય છે.
બીબીસી રીલ્સમાં રોઝી વિલ્બી કહે છે, "એક સંબંધ તૂટ્યા પછી બીજો સંબંધમાં જોડાતાં પહેલાં એ ખૂબ જરૂરી છે કે તમે થોડો સમય લો અને પોતાના વિશે વિચારો."
પણ તેનો ક્યારેય એ અર્થ નથી કે તમે વૈરાગી બની જાવ અને સેક્સથી દૂર થઈ જાવ.
પોતાની સાથેનો સંબંધ જરૂરી
ડૉ. સમીર મલ્હોત્રા પણ રોઝી વિલ્બીની વાતને આગળ વધારે છે.
તેઓ કહે છે, "ઘણીવાર લોકોને લાગે છે કે એક સંબંધ તૂટી ગયો તો જલદી જ બીજા સંબંધ બનાવી લેવો જોઈએ."
"આ ખોટું છે. આપણો સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ તો પોતાની જાત સાથે હોય છે. તેમાં થોડા નિયમ, થોડું સંતુલન અને થોડું અનુસાસન હોવું જોઈએ."
ડૉ. મલ્હોત્રા મુજબ કેટલાક રચનાત્મક શોખમાં પોતાનામાં રહેલી ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ.
તેઓ કહે છે કે પોતાની જાત સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ અને પોતાનામાં રહેલી ખામીઓને સમજતા તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ડૉ. મલ્હોત્રા કહે છે કે ના આપણે કોઈનો પીછો કરવો જોઈએ અને ના આપણે બહુ માયુસ થઈ કોઈ માણસ સાથે જોડાઈ જવું જોઈએ કે સંબંધ બતાવવા માટે આપણે કોઈને કોઈ વ્યક્તિની જરૂર છે.
તેઓ કહે છે, "સંબંધોની જ્યારે પણ વાત થાય તો તેમાં બે વાતો મહત્ત્વની છે. એક છે બંને વચ્ચે હેલ્થી કનેક્શન (સ્વસ્થ જોડાણ) અ હેલ્થી ડિસટન્સ (સ્વસ્થ અંતર)."
"જો આ વાતને સરળ ભાષામાં સમજીએ તો સંબંધો રહે એ માટે એ ખૂબ જરૂરી છે કે લોકો એકબીજા સાથે જોડાયેલા પણ રહે પણ સાથે તેમનામાં કેટલુંક અંતર પણ રહેવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને તેનો વ્યક્તિગત સમય મળે."
લોકોનો બદલાતો અભિપ્રાય
શિવાની મિશ્રી સાધુ માને છે કે ભારતમાં પણ બ્રેક-અપ બાબતે લોકોનો અભિપ્રાય બદલાવા લાગ્યો છે.
જાણકારો કહે છે કે હવે લોકોને સમજાવા લાગ્યું છે કે એક ટૉક્સિક સંબંધમાં રહેવાથી તેમનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય બગડવા લાગે છે. જોકે ભારતની સ્થિતિ હજી પણ એવી છે કે એમાંથી નીકળવું થોડું મુશ્કેલ હોય છે.
બ્રેક-અપ પછીની સ્થિતિનો ઉલ્લેખ કરતા પૂજા શિવમ જેટલી કહે છે કે તમે વિવિધ લોકો સાથે મુલાકાત કરી શકો છો. સ્વસ્થ આદતો વિકસાવી શકો છો.
પોતાના જીવનને નવેસરથી જીવવાનું શરૂ કરવાનું શીખી શકો છો. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે તમને તમારું પોતાનું મહત્ત્વ સમજમાં આવવા લાગે છે.
પોતાની વાતને વિરામ આપતા શિવાની મિશ્રી સાધુ કહે છે, "બ્રેક-અપ પછી તમે ખુશ રહી શકો છો."