જાપાનમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, સુનામી પર ઍલર્ટ જાહેર- ન્યૂઝ અપડેટ

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે એટલે કે યુએસજીએસના જણાવ્યા પ્રમાણે દક્ષિણ જાપાનમાં ભૂકંપ આવ્યો છે.

ભૂકંપની તીવ્રતા 7.1 જણાવાઈ રહી છે.

જાપાની મીડિયા એનએચકે વર્લ્ડ અનુસાર ભૂકંપ બાદ મિયાજાકી, કોચી, ઓઇતા, કગોશિમા જેવા વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

વીનેશ ફોગાટ મામલે સંસદમાં હંગામો, વિપક્ષે કર્યું વોકઆઉટ

વીનેશ ફોગાટના ઑલિમ્પિક ફાઇનલ પહેલાં અયોગ્ય જાહેર કરવાનો મુદ્દો સંસદમાં આજે પણ ઉઠ્યો. વિપક્ષે રાજ્યસભામાં આ મામલે ચર્ચાની માગ કરી.

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ મુદ્દો કાલે ઉઠાવ્યો હતો અને આ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.

તેમણે કહ્યું કે આ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો મુદ્દો નથી અને તેથી અમે તેના પર ચર્ચા કરવા માગીએ છીએ.

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આ વિષય પર ચર્ચા કરવા માટે ઇન્કાર કર્યો.

વીનેશ ફોગાટના વિષયને લઈને રાજ્યસભામાં વિપક્ષે હંગામો કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

રાજ્યસભાના સભાપતિએ કહ્યું કે વિપક્ષને લાગે છે કે માત્ર તેમને જ દુ:ખ થયું છે, આખા રાષ્ટ્રને દુ:ખ થયું છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનથી લઈને સૌ દુ:ખી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું કે વીનેશ ફોગાટનો સવાલ પક્ષ-વિપક્ષનો નહીં પરંતુ રાષ્ટ્રનો સવાલછે. વિપક્ષ પાસે ચર્ચાનો અન્ય કોઈ વિષય નથી.

તેમણે કહ્યું કે ભારત સરકાર, ખેલ મંત્રાલય અને ઑલિમ્પિક સંઘના લોકોએ આ વિષયને યોગ્ય મંચ પર ઉઠાવ્યો છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે 80 વર્ષની ઉંમરમાં તેમના અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા.

બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વર્ષ 2000થી 2011 સુધી 11 વર્ષ મુખ્ય મંત્રીપદ પર રહ્યા હતા.

મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નિધન પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે.

ભારતીય મહિલા પહેલવાન અંતિમ પંઘાલને ઑલિમ્પિકમાંથી પરત મોકલાશે, શું છે કારણ?

ભારતીય મહિલા પહેલવાન અંતિમ પંઘાલ અને તેમના સપોર્ટ સ્ટાફને પેરિસ ઑલિમ્પિકમાંથી પરત મોકલાશે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર અંતિમ પંઘાલ સામે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણકે તેમણે તેમનું ઑલિમ્પિક વિલેજ ઍક્રિડેશન પોતાની બહેનને આપ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ પણ જણાવ્યું છે કે ભારતીય ઑલિમ્પિક સંઘના મારફતે જણાવાયું છે કે અંતિમ પંઘાલ અને તેમના સ્ટાફને શિસ્તભંગનાં પગલાંના ભાગરૂપે પરત મોકલવાનો નિર્મણ લેવાયો છે.

આ પહેલાં અંતિમ પંઘાલ પેરિસ મહિલા કુસ્તી ઇવેન્ટના 53 કિલો ગ્રામ ભાર વર્ગમાં હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.