અમેરિકા જવા માગતા લોકો મૅક્સિકો રૂટ કેમ પસંદ કરે છે? હાલમાં યુએસ-મૅક્સિકો બૉર્ડર પર કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિલ ગ્રાન્ટ
- પદ, બીબીસી મૅક્સિકો સંવાદદાતા
મૅક્સિકોની સરહદે આવેલા સીઉદાદ વારેઝ શહેરમાં મજૂરો અને બાંધકામ કામદારો પોતાની એક નાની ટેન્ટ સિટી જેવી વસાહત ઊભી કરી રહ્યા છે.
મૅક્સિકોની સરકાર આગામી અઠવાડિયામાં યુનાઇટેડ સ્ટેટ્સથી આવનારા હજારો નિર્વાસિત લોકો માટે તૈયારી કરી રહી છે.
3,000 કિલોમીટર(1,900 માઇલ) લાંબી સરહદ પરથી નિર્વાસિતોનો ધસારો અપેક્ષિત હોય તેવા મુખ્ય આઠ સરહદી વિસ્તારો પર મૅક્સિકો તૈયારીમાં લાગી ગયું છે, તેમાંનો વારેઝ એક સરહદી વિસ્તાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસની દક્ષિણ સરહદ પર આશરે 2,500 સૈનિક તહેનાત કર્યા છે, જ્યાં તેમને કડક કાર્યવાહી માટે સુસજ્જ કરવામાં આવી રહ્યા છે.
તિખુઆનામાં, મૅક્સિકન સૈનિકો ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહીનાં પરિણામો માટે તૈયારી કરવામાં લાગી ગયા છે.
અધિકારીઓએ નિર્વાસિતો માટે 1,800 પથારીઓ સાથે 'ફ્લૅમિંગોસ' નામનું એક ઇવેન્ટ સેન્ટર તૈયાર કર્યું છે.
જેમાં સૈનિકો જરૂરી માલસામાન ઠાલવી રહ્યા છે, તેમ જ રસોડા સહિતની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.
સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી રહ્યા હતા, ત્યારે સાન ડિએગો અને તિખુઆના વચ્ચેની ચેપરલ બૉર્ડર ક્રૉસિંગ પર એક મિનિ બસ કેટલાક નિર્વાસિતો સાથે પસાર થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાં થોડા પત્રકારો ટ્રમ્પ સરકારના પ્રથમ નિર્વાસિતો સાથે વાત કરવા માટે એકઠા થયા હતા.
જોકે, તે ફક્ત નિયમિત ડિપૉર્ટેશન હતું, જેની કાર્યવાહી કદાચ અઠવાડિયાંથી ચાલી રહી હતી અને વૉશિંગ્ટન ડીસીમાં ઉત્સાહિત ભીડ સામે ટ્રમ્પે જે દસ્તાવેજો પર સહી કરી હતી, તેની સાથે આ નિર્વાસિતોનો કોઈ સંબંધ નહોતો.
અલબત્ત, પ્રતીકાત્મક રીતે, જ્યારે આ મિનિ બસ રાહ જોઈ રહેલા મીડિયાને પાર કરીને સરકાર દ્વારા સંચાલિત આશ્રયસ્થાન તરફ આગળ વધી, ત્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે અસંખ્ય નિર્વાસિતોનાં જૂથોમાંનું આ પ્રથમ જૂથ હતું.
અમેરિકા અડગ, મૅક્સિકો સજ્જ

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅક્સિકોએ આ નિર્વાસિતોને સ્વીકારવા, તેમને રાખવા માટે દેશમાં સ્થાન શોધવાનું કામ કરવું પડશે, એવો દેશ જેને કેટલાક લોકોએ બાળપણમાં છોડ્યા પછી ક્યારેય જોયો નથી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આને "અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી દેશનિકાલ કાર્યવાહી" કહે છે.
આ કાર્યવાહી શરૂ થયા પછી, ટૂંક સમયમાં સરહદ પાર મોકલવામાં આવનારા આ નિર્વાસિતોમાં સામાન્ય મજૂરો, ઘરકામ કરનારા કામદારો, રસોઈકામ કરનારા અને ખેતરના કામદારો વગેરેનો સમાવેશ થઈ શકે છે.
'ડિપૉર્ટી-સપૉર્ટ પ્રોગ્રામ' હેઠળ નિર્વાસિત લોકોને અસામાજિક તત્ત્વોથી રક્ષણ ઉપરાંત, ખોરાક, તબીબી સારવાર અને મૅક્સિકોની ઓળખ માટેના પુરાવા-દસ્તાવેજો મેળવવા માટે સહાય આપવામાં આવશે.
આ પ્રોગ્રામને રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબાઉમના વહીવટી તંત્રે "મૅક્સિકો તમને સ્વીકારે છે" કહીને વધાવ્યું છે.
મૅક્સિકન ગૃહમંત્રી રોઝા ઇસ્લા રોડ્રિગ્ઝે ટ્રમ્પના શપથગ્રહણના દિવસે કહ્યું હતું:
"મૅક્સિકો તેના દેશબાંધવોનું ધ્યાન રાખવા માટે ઘટતું બધું જ કરશે અને પરત ફરેલા લોકો માટે જરૂરી બધું જ ફાળવશે."
રાષ્ટ્રપતિ શેનબાઉમે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર સૌથી પહેલા તો પરત ફરનારાઓને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા પર ધ્યાન આપશે.
નિર્વાસિતો તેમની સરકારનાં સામાજિક કાર્યક્રમો અને પેન્શન માટે લાયક બનશે તથા ત્વરિત અસરથી કામ કરવા માટે પણ લાયક ગણાશે, એવું તેમણે જાહેર કર્યું છે.
તેમણે મૅક્સિકોના નાગરિકોને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાની નવી સરકાર સાથેના સંબંધો વિશે, દેશનિકાલથી લઈને ટેરિફના ભય સુધીની બાબતો વિશે "શાંત રહેવા અને મન શાંત રાખવા" આહ્વાન કર્યું છે.

1,500 ઍક્ટિવ-ડ્યૂટી સૈનિક યુએસ-મૅક્સિકો સરહદ તરફ રવાના
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ સરહદે ગેરકાયદેસર માઇગ્રન્ટસના ધસારાને "અતિક્રમણ" ગણાવ્યો છે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પ આ પગલાં દ્વારા વિશ્વભરના લોકોને એક "મજબૂત સંદેશ" મોકલી રહ્યા છે.
ટ્રમ્પે આદેશ પર સહી કરી એ પછી પત્રકારો સાથે વાત કરતાં મિસ લેવિટે કહ્યું કે, દેશની સરહદ એ રાષ્ટ્રપતિ માટે "ટોચની પ્રાથમિકતા" છે.
ટ્રમ્પના સંદેશ વિશે સ્પષ્ટતા કરતાં લેવિટે કહ્યું કે, "જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કાયદાને તોડવાનો વિચાર કરી રહ્યા છો, તો તમને ઘરે પરત મોકલી દેવાશે. તમારી ધરપકડ કરવામાં આવશે. તમારા પર કાર્યવાહી કરવામાં આવશે."
લેવિટે એ વાતની પણ પુષ્ટિ કરી કે યુએસ-મૅક્સિકો સરહદ પર વધારાના 1,500 સૈનિક મોકલવામાં આવશે.
યુએસ-મૅક્સિકો બૉર્ડરને કેમ પસંદ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્યત્વે સમૂહ હિંસા, ગરીબી, રાજકીય દમન અને કુદરતી આફતો સહિતના જટિલ કટોકટીના સંજોગોમાંથી ભાગી રહેલા મધ્ય અમેરિકાના કેટલાક દેશોના નાગરિકોને કારણે 2018માં મૅક્સિકોથી અમેરિકામાં પ્રવેશતા લોકોની સંખ્યા વધવા લાગી હતી.
2019ના ઉનાળામાં અટકાયતમાં ફરી ઘટાડો થયો, જેનું શ્રેય ત્યારે યુએસ અધિકારીઓએ મૅક્સિકો અને ગ્વાટેમાલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને આપ્યો હતો.
અલબત્ત, સૌથી મોટો ઘટાડો 2020ની શરૂઆતમાં થયો હતો. એ સમયે કોવિડ મહામારીના પ્રતિબંધોને કારણે માર્ચ અને એપ્રિલ વચ્ચે 53%થી વધુ ઘટાડો નોંધાયો હતો.
2021ની શરૂઆતમાં જ્યારે આ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા ત્યારથી સંખ્યામાં સતત વધારો થયો છે.
ડિસેમ્બર 2023માં આ સંખ્યા ત્રણ લાખ બે હજારનો આંક વટાવી જઈને અત્યાર સુધીના સર્વોચ્ચ આંકડા પર પહોંચી હતી.
વૉશિંગ્ટન ડીસીમાં મુખ્ય મથક ધરાવતા એક માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના પૉલિસી ઍનાલિસ્ટ ઍરિયલ રુઇઝ સોટોએ જણાવ્યું હતું :
"મુખ્યત્વે મધ્ય અમેરિકા અને સમગ્ર પ્રદેશમાં અવરજવર માટેના પ્રતિબંધો હળવા થયા પછી અમે સરહદ પર ફરીથી સંખ્યામાં વધારો નોંધ્યો હતો."
"તે સમયે અનેક મોટા ફેરફાર થયા. વેનેઝુએલા, કોલંબિયા, ઍક્વાડોર અને તેનાથી દૂરનાં સ્થળો પરથી પણ વિવિધ લોકોનો પ્રવાહ અહીં જોવા મળ્યો."
છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુએસ-મૅક્સિકો સરહદ પરથી સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ, વૈશ્વિક સ્તરે વિકસિત અને સમૃદ્ધ દેશોમાં સ્થળાંતર કરનારા લોકોનો આંકડો અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે છે.
ગયા વર્ષના અંતમાં જાહેર કરાયેલા ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉ-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)ના આંકડા દર્શાવે છે કે 2022માં 61 લાખ નવા કાયમી સ્થળાંતર કરનારા લોકો OECDના 38 સભ્ય દેશોમાં ગયા હતા.
આ આંકડો 2021 કરતાં 26% વધુ અને 2019 કરતાં 14% વધુ છે.

ઇમેજ સ્રોત, Getty Images
2022માં યુએસમાં આશ્રય મેળવનારા લોકોની સંખ્યા બમણી થઈ છે, જેમાંથી મોટા ગે વેનેઝુએલા, નિકારાગુઆ અને ક્યૂબાના શરણાર્થીઓ હતા.
હ્યુમનિટેરિયન માઇગ્રેશન(માનવતાવાદી સ્થળાંતર)ની બાબતે હવે યુએસ જર્મની પછી બીજા ક્રમે છે.
રાષ્ટ્રપતિ જો બાઇડનના શાસનકાળમાં સરકારનાં વલણ અને નીતિમાં પરિવર્તન આવ્યું. દેશનિકાલમાં ઘટાડો થયો અને મૅક્સિકોમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકોને ઝડપથી પાછા મોકલવા અને સરહદ પર દીવાલ બનાવવા જેવી "અવરોધક" નીતિઓ સમાપ્ત થઈ.
ઇમિગ્રેશન કોર્ટની તારીખોની રાહ જોવા માટે સ્થળાંતર કરનારા લોકોને અમેરિકામાં પેરોલ પર મુક્ત કરવામાં આવતા હતા, જે પ્રક્રિયાને ઘણી વાર વર્ષો લાગી જતાં.
આ સમય દરમિયાન સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા લોકોએ બીબીસીને જણાવ્યું કે તેમને લાગે છે કે હવે અમેરિકામાં પ્રવેશવું અને રહેવું સરળ બનશે.
માનવતસ્કરોએ રાષ્ટ્રપતિપદના પરિવર્તનનો લાભ ઉઠાવીને સ્થળાંતર કરનારા લોકોમાં ભય પેદા કર્યો કે તેઓ સરહદ પહોંચવા માટે ઉતાવળ કરે.
આ મુદ્દે ઓહાયોમાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના ઇમિગ્રેશન વકીલ અને પ્રોફેસર એલેક્સ કુઈકે જણાવ્યું કે, "અત્યારની પરિસ્થિતિનો એક મહત્ત્વનો હિસ્સો એ છે કે લોકો વિચારે છે કે તેઓ બસ, સરળતાથી અહીં પ્રવેશી શકે છે. મને લાગે છે કે તેમને કહેવામાં પણ આ જ આવી રહ્યું છે."
"તેમને એવું લાગે છે કે અહીં આવવાનો આ રસ્તો છે."
તેમણે ઉમેર્યું, "જે લગભગ આમંત્રણ જેવું છે."
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ કોને ગણવામાં આવે છે?
ગેરકાયદે અથવા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એ એવા લોકો છે જેઓ સત્તાવાર દસ્તાવેજો વગર અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકામાં રોકાયા હતા, અથવા જેમને કોઈ કારણસર અમેરિકામાંથી ડિપૉર્ટ કરવા સામે રક્ષણ મળ્યું છે.
અમેરિકામાં અલગ-અલગ કામ માટે અલગ વિઝા લઈને આવવું પડે છે:
શિક્ષણ માટે - F1 વિઝા લેવા પડે છે.
રિસર્ચ માટે, રોજગાર માટે - H1B વિઝા જોઈએ (જે કામચલાઉ વર્ક પરમિટ છે)
અમેરિકામાં વસતા લોકોનાં પતિ/પત્ની, પાર્ટનર અથવા બાળકો માટે - H4 વિઝા
જેઓ સ્ટુડન્ટ તરીકે ગયા હોય, તેઓને ત્યાં જૉબ મળે તો તેમણે H1B વિઝા માટે અરજી કરવી પડશે. H1B વિઝા મેળવ્યા પછી કર્મચારી કેટલીક અન્ય શરતો અને પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.
ગ્રીન કાર્ડ મેળવવા માટે અગાઉ પાંચથી સાત વર્ષ લાગતાં હતાં. પરંતુ હવે તેમાં ઘણી રાહ જોવી પડે છે. આનાં કેટલાંક કારણો છે.
પરંતુ ઘણા લોકોને અમેરિકાના વિઝા મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ પાર કરીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરે છે.
નવેમ્બર 2024ના આઇસીઇના ડેટા અનુસાર અમેરિકામાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પડોશી દેશો હોન્ડુરાસ અને ગ્વાટેમાલાથી આવ્યા હતા.
અમેરિકામાં ગેરકાયદે માઇગ્રન્ટની સંખ્યા
- હોન્ડુરાસ 261,000
- ગ્વાટેમાલા 253,000
- ચીન 37,908
- ભારત 17,940
અમેરિકન એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને પાછા મોકલવામાં આવે તે નવી વાત નથી.
રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન 15 લાખથી વધુ લોકોને દેશમાંથી ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન અન્ય દસ લાખ લોકોને સરહદ પાર પાછા મોકલવામાં આવ્યા હતા.
બરાક ઓબામાનાં આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને ઘણી વાર "ડિપૉર્ટર-ઇન-ચીફ" કહેવામાં આવતા હતા, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન 30 લાખ લોકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પરંતુ ટ્રમ્પનું વહીવટી તંત્ર વધુ વ્યાપક અને આક્રમક પગલાં લેવા તૈયાર છે. એટલે કે સરહદ પર ચુસ્ત પગલાં તો લેવાશે, સાથે સાથે અમેરિકાના અન્ય ભાગોમાં લોકોની અટકાયત કરવા અથવા ડિપૉર્ટ કરવા માટે નૅશનલ ગાર્ડ અને સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













