લોંગ કોવિડ શું છે અને પાંચ વર્ષ પછી પણ લોકોને કેમ નડી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
2019માં દુનિયાભરમાં કોવિડ ત્રાટક્યો અને તેના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોવિડના આગમનને હવે પાંચ વર્ષ પૂરા થયા છે ત્યારે હજુ પણ તેની કેટલીક અસરો જોવા મળે છે. તેમાંથી એક અસલ લોન્ગ કોવિડની છે.
ભારતમાં કોવિડની ત્રીજી લહેરની વાતો ચાલતી હતી ત્યારે લોંગ કોવિડે લોકોને પરેશાન કર્યા હતા.
ખાસ કરીને લોંગ કોવિડની શારીરિક અને આર્થિક અસર ચિંતાજનક છે. ઘણા લોકો લોંગ કોવિડ બાદ દાદરાં ચઢવામાં મુશ્કેલી અનુભવે છે અને થોડો શ્રમ કરવાથી પણ હાંફી જાય છે.
ડૉક્ટરોના મતે જેમણે રસીના બંને ડોઝ નથી લીધા તેવા લોકોને લોંગ કોવિડ થવાનો ખતરો વધારે રહ્યો છે.
કોવિડ વખતે જેમને લોંગ કોવિડ થયો હોય એટલે કે કેટલાક મહિના સુધી તબિયત સુધરી ન હોય તેમને સામાન્ય કસરત કરવામાં પણ તકલીફ પડી રહી છે. સખત થાક લાગવો એ લોંગ કોવિડનું સામાન્ય લક્ષણ હતું.

તંદુરસ્ત યુવાનોને પણ હાંફ ચઢે છે

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોએ જણાવ્યું કે યુવાનો અને સશક્ત લોકોમાં પણ લોંગ કોવિડ જોવા મળ્યો છે.
યુકેમાં યુસીએચ લોંગ કોવિડ ક્લિનિકના સ્પૅશિયાલિસ્ટ ડૉ. અમિતવ બેનરજીએ બીબીસીને જણાવ્યું, "વાઇરલ પછી પણ ઘણી સિન્ડ્રોમ રહેતા હોય છે. ખાસ કરીને ઇનફ્લુએન્ઝા. તેની લાંબા ગાળાની અસર ચોક્કસ લોકો પર જોવા મળે છે. ગંભીર બીમારી હોય, ડાયાબિટીસ હોય ત્યારે હૉસ્પિટલમાં ભરતી અને મોર્ટાલિટી વધી જાય છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "પરંતુ લોંગ કોવિડના કારણે જેઓ હૉસ્પિટલમાં દાખલ નથી કરવા પડ્યા, ગંભીર બીમારી નથી તેવા લોકો યુવાનોને પણ અસર થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમને ગંભીર બીમારી ન હોય તેમની પણ ઇમ્યુનિટી (રોગપ્રતિકારક ક્ષમતા) ઘટી ગઈ છે. અગાઉ જેઓ ઍથ્લીટ હતા તેઓ પણ દાદરા ચઢવામાં થાકી જાય છે.
લોંગ કોવિડનાં લક્ષણો શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ દ્વારા દર્શાવવામાં આવેલા લોંગ કોવિડનાં લક્ષણોમાં ભારે થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ધબકારા વધી જવા અથવા ઘટી જવા, છાતીમાં દુખાવો થવો, યાદશક્તિને અસર થવી વગેરે સામેલ છે.
આ ઉપરાંત સ્વાદ અને સુંગંધની ઓળખ કરવામાં તકલીફ, સાંધાનો દુખાવ, ચાલવા, દોડવાથી કે તરવાથી થાક લાગવો, ન્યુરોલોજિકલ લક્ષણો, ઊંઘ ન આવવી, સાંભળવામાં કે જોવામાં તકલીફ, શોર્ટ ટર્મ મેમરી લૉસ, બોલવામાં કે ઉચ્ચારણમાં તકલીફો જેવી ફરિયાદ જોવા મળી છે.
સંશોધન કહે છે કે સંપૂર્ણ રસીકરણ થયું હોય ત્યારે લોંગ કોવિડની શક્યતા ઘટી જાય છે.
લોંગ કોવિડની અસર માત્ર આરોગ્ય પર જ નહીં, પરંતુ દેશની ઈકોનોમી પર પણ પડે છે તેમ ડૉ. અમિતવ બેનરજીએ બીબીસીને જણાવ્યું હતું.
કોવિડ કેટલો વિનાશક રહ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડને હવે પાંચ વર્ષ થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 11 માર્ચ 2020ના રોજ તેને રોગચાળો જાહેર કર્યો હતો. ત્યાર પછી સરકારોએ લગભગ 260 કરોડો લોકોને લોકડાઉનમાં રાખ્યા. લોકોએ ઘણા મહિના સુધી ક્વૉરન્ટાઈનમાં રહેવું પડ્યું.
વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે કોવિડ દરમિયાન 77 કરોડ 70 લાખથી વધારો લોકોને ચેપ લાગ્યો હતો અને 70 લાખ લોકોનાં મોત થયાં હતાં. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી પ્રમાણે મૃત્યુઆંક દોઢ કરોડ કરતાં વધુ હતો.
કોવિડ દરમિયાન વૅક્સિનના વિકાસમાં ક્રાંતિ આવી અને અત્યાર સુધીનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત કરોડો બાળકો શાળાએ જઈ ન શક્યાં અને ઘેર બેઠાં જ ઓનલાઈન શિક્ષણ લેવું પડ્યું હતું. રોજગારીને અસર થઈ, રોજગારીની તકો ઘટી અને ગરીબીમાં વધારો થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












