નાની કાર પરનો GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો, નાની કારમાં શેનો સમાવેશ થશે?

કાર, જીએસટી, ટૅક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સંદીપ રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

બુધવારે નાણામંત્રી નિર્મલા સિતારમણે ગૂડ્સ ઍન્ડ સર્વિસટૅક્સ એટલે કે જીએસટીના દરોમાં બદલાવની ઘોષણા કરી છે. નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે.

જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં જે નવા દરો મંજૂર થયા છે એ પ્રમાણે હવે 12 ટકા અને 28 ટકા સ્લૅબને હટાવીને 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યો છે.

એક તરફ જીએસટી દરોમાં સામાન્ય વપરાશની વસ્તુઓમાં રાહત આપવામાં આવી છે જ્યારે કેટલીક વસ્તુઓ પર જીએસટીને 40 ટકા સુધી વધારો કરવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી સાથે સમજો

સિગારેટ, તંબાકુ, પ્રોસેસ્ડ ન થયેલી તંબાકુ અને બીડી પર હાલના જીએસટી દરો અને કંપન્સેશન સેસ પહેલાં જેટલા લાગુ થશે. નવા દરો પછી અધિસૂચિત કરવામાં આવશે.

CGST કાયદા 2017 હેઠળ GST નોંધણી મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવા દરોની જાહેરાત પછી, કેટલાક પ્રશ્નો ઊભા થયા છે, ચાલો જાણીએ કે અધિકારીઓએ આ પ્રશ્નોના શું જવાબો આપ્યા છે.

નાની કાર પર સુધારેલ GST દર શું છે?

બધી નાની કાર પરનો GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

અહીં નાની કાર 1200 સીસી સુધીની એન્જિન ક્ષમતા અને 4000 મીમી સુધીની લંબાઈ ધરાવતી પેટ્રોલ, એલપીજી અથવા સીએનજી કાર થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમાં 1500 સીસી સુધીની એન્જિન ક્ષમતા અને 4000 મીમી સુધીની લંબાઈ ધરાવતી ડીઝલ કારનો પણ સમાવેશ થાય છે.

હાલમાં, મધ્યમ કદની અને મોટી કાર પર 28 ટકા GST અને 17-22 ટકા કંપન્સેશન સેસ લાગે છે, જેના પર કુલ ટૅક્સ 45-50 ટકા સુધી છે.

હવે 1500 સીસીથી વધુ એન્જિન ક્ષમતા અથવા 4000 મીમીથી વધુ લંબાઈ ધરાવતી તમામ મધ્યમ કદની અને મોટી કાર પર 40 ટકા જીએસટી દર લાગુ થશે.

વધુમાં, યુટિલિટી વાહનોની શ્રેણીમાં આવતાં તમામ મોટર વાહનો - જેમ કે સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો (SUV), મલ્ટી યુટિલિટી વાહનો (MUV), મલ્ટી-પર્પઝ વાહનો (MPV) અથવા ક્રૉસ-ઓવર યુટિલિટી વાહનો (XUV), જેમાં 1500 સીસીથી વધુ એન્જિન ક્ષમતા, 4000 મિમી થી વધુ લંબાઈ અને 170 મિમી કે તેથી વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ હોય, તેના પર પણ સેસ વિના 40 ટકા જીએસટી દર લાગુ પડશે.

ડીકે મિશ્રા કહે છે, "નાની અને મોટી કાર માટેના ટૅક્સ સ્લૅબમાં ફેરફાર રેશનલાઇઝેશનના ભાગ રૂપે કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે, નાની કાર મધ્યમ વર્ગ માટે જરૂરિયાત બની ગઈ છે અને તેમાં બચતનો અર્થ એ છે કે લોકો પાસે અન્ય ગ્રાહક ચીજવસ્તુઓ પર ખર્ચ કરવા માટે વધુ બચત થશે."

તેમના મતે, "સરકાર માને છે કે જે લોકો દેશની માથાદીઠ આવક મુજબ મોંઘાં વાહનો ખરીદી શકે છે તેમણે કોઈ અન્ય રીતે ટૅક્સ ચૂકવવો જોઈએ."

બધી દવાઓને જીએસટીમાંથી છૂટ કેમ નહીં?

દવા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બધી દવાઓ પર 5 ટકા જીએસટી દર નક્કી કરવામાં આવ્યો છે જ્યારે કેટલીક જીવનરક્ષક દવાઓ પર જીએસટી દર શૂન્ય કરી નાખવામાં આવ્યો છે.

જો દવાઓને સંપૂર્ણ રીતે જીએસટી મુક્ત કરવામાં આવે તો નિર્માતા/ ડીલર ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો દાવો ન કરી શકે.

આ કારણે એમનો ટૅક્સ અને ઉત્પાદન વધી જાય. આ બોજ ઉપભોક્તાઓ-દર્દીઓ પર ઊંચી કિંમતના રૂપે પડી શકે છે. જેના કારણે આ પગલું બિનઅસરકારક બની શકે છે.

અર્થશાસ્ત્રી અને દિલ્હીમાં 35 વર્ષથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ડીકે મિશ્રાએ બીબીસી હિન્દીને કહ્યું કે, "નવા દરોમાં કેટલાંક મેડિકલ ઉપકરણો, સર્જિકલ ઉપકરણો, ચશ્મા વગેરેને કિફાયતી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. રોજબરોજની જરૂરિયાત બની ચૂકેલી મેડિકલ સુવિધાઓમાં લોકોને રાહત મળશે."

નાની કાર, જીએસટી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, નાની કારો પર જીએટી દર ઓછો કરવામાં આવ્યો છે જ્યારે મોટી કારો પર
મોટરસાઇકલ પર જીએસટી દર શું છે?
મોટરસાયકલ, જીએસટી, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, AFP via Getty Images

350 સીસી સુધીની એન્જિન ક્ષમતાવાળી મોટરસાઇકલો પર 18 ટકા જીએસટી દર લાગુ થશે.

જેમાં વધારે એન્જિન ક્ષમતાવાળી મોટરસાઇકલો પર જીએસટી દરને 28 ટકાથી વધારીને 40 ટકા કરી દેવામાં આવ્યો છે.

સાઇકલો અને તેના સ્પેરપાર્ટસ પર જીએસટી દર કેટલો ઘટ્યો છે?

સાઇકલ અને તેના સ્પેરપાર્ટસ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

ડીકે મિશ્રા કહે છે, "પહેલા સાઇકલ દરેક વ્યક્તિની જરૂરિયાત હતી. હવે સાઇકલનું સ્થાન મોટરસાઇકલે લીધું છે. પણ એક એવો વર્ગ છે કે જે મોંઘી બાઇક ખરીદી શકે છે અને એના માટે ટૅક્સ આપી શકે છે એમ સરકારનું માનવું છે."

40 ટકા સ્લૅબને 'ખાસ દર' કેમ કહેવામાં આવે છે?

આ ખાસ દર ફક્ત કેટલાક માલ પર જ લાગુ પડે છે, જેમાં વ્યસન (સિન ગૂડ્સ) અને કેટલીક લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેથી, તેને ખાસ દર કહેવામાં આવે છે.

જીએસટી ઉપરાંત, આમાંની મોટાભાગની વસ્તુઓ પર કંપન્સેશન સેસ પણ વસૂલવામાં આવતો હતો. હવે એને જીએસટી સાથે મર્જ કરવામાં આવ્યો છે, જેથી મોટાભાગની વસ્તુઓ પર કરનો બોજ એ જ રહે છે.

અમુક અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓ પર ખાસ દરો લાદવામાં આવ્યા છે કારણ કે તેમના પર પહેલાંથી જ 28 ટકાનો સૌથી વધુ જીએસટી દર લાગુ પડી રહ્યો હતો.

ડીકે મિશ્રા કહે છે, "વ્યસન તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર ખાસ દર લાદવામાં આવ્યા છે અને સરકાર ઇચ્છતી નથી કે તમાકુ વગેરે જેવી વસ્તુઓનો પ્રચાર થાય. આને સિન ગૂડ્સ પણ કહેવામાં આવે છે. મોંઘા માલ સામાન કે જેના પર શ્રીમંત વર્ગ કર ચૂકવી શકે છે, તેને પણ ખાસ દર હેઠળ લાવવામાં આવ્યા છે."

ઇનપુટ ટૅક્સ ક્રેડિટ

જો જીએસટી પહેલાંના દરે ચૂકવવામાં આવ્યો હોય, તો તેનો ઇનપુટ ટૅક્સ ક્રેડિટ તરીકે દાવો કરી શકાય છે.

જો કર દરમાં ફેરફાર પછી ચુકવણી પ્રાપ્ત થાય છે, તો સપ્લાયનો સમય ચુકવણી પ્રાપ્ત થયાની તારીખ અથવા ઇન્વૉઇસ જાહેર કર્યાની તારીખ માનવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ માલ અથવા સેવાઓનો પુરવઠો મેળવે છે અને તેના પર તે સમયે લાગુ પડતો જીએસટી લાગુ પડે છે, તો તે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ માટે હકદાર રહેશે.

શું આલ્કોહૉલિક પીણાં 40 ટકાના સ્લૅબમાં મૂકવામાં આવ્યાં છે?

તાજેતરમાં જીએસટીને વધુ તાર્કિક બનાવવામાં આવ્યું છે. એટલે કે, સમાન માલને સમાન દરે રાખવો જોઈએ જેથી ખોટા વર્ગીકરણ અને વિવાદની કોઈ પરિસ્થિતિ ન બને.

આ જ સિદ્ધાંત 'અન્ય બિન-આલ્કોહૉલિક પીણાં' પર લાગુ કરવામાં આવ્યો છે.

પરંતુ ફળોનાં પીણાં અથવા ફળોના રસ ધરાવતા કાર્બોરેટેડ પીણાં પર GST દરમાં વધારો કરવામાં આવ્યો છે.

જીએસટી ઉપરાંત, આ વસ્તુઓ પર કંપન્સેશન સેસ પણ વસૂલવામાં આવ્યો હતો, જેને નાબૂદ કરવામાં આવ્યો હતો અને કરનો દર વધારવામાં આવ્યો હતો જેથી કરનો બોજ એ જ રહે.

ડીકે મિશ્રા કહે છે, "જીએસટીના સમગ્ર માળખાને તર્કસંગત બનાવવા માટે સેસ નાબૂદ કરવાનું કામ કરવામાં આવ્યું છે. ખાસ દરો લાગુ કરીને નવા દરોને કારણે રૂ. 48 હજાર કરોડના અંદાજિત આવકના નુકસાનની ભરપાઈ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે."

શા માટે ફક્ત કેટલીક ભારતીય બ્રેડ પર જ જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો?
ઘરેલુ ઉદ્યોગ, જીએસટી,બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઘરેલુ ઉદ્યોગને વેગ આપવા માટે પનીર પર જીએસટી ઓછો કરવામાં આવ્યો હતો

સામાન્ય બ્રેડને પહેલાંથી જ મુક્તિ આપવામાં આવી હતી, જ્યારે પિઝા બ્રેડ, રોટલી, પરાઠા વગેરે પર અલગ અલગ દર લાગુ હતા.

હવે બધી ભારતીય બ્રેડ, ગમે તે નામથી બોલાવવામાં આવે, તેને મુક્તિ આપવામાં આવી છે.

પનીર અને અન્ય ચીઝ પર અલગ કર વ્યવસ્થા કેમ છે?

દરોને તર્કસંગત બનાવતા પહેલાં, પૅક વગરના અને લેબલ વગરનાં પનીર પર પહેલાંથી જ શૂન્ય ટૅક્સ દર લાગતો હતો.

તેથી, આ ફેરફાર ફક્ત પૅકેજ્ડ અને લેબલવાળા પનીર પર જ કરવામાં આવ્યો છે. પનીર ભારતીય સ્થાનિક ચીઝ ઉદ્યોગનો એક ભાગ છે, જે મોટાભાગે નાના પાયે બનાવવામાં આવે છે.

ભારતીય સ્થાનિક ચીઝ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

શું કૃષિ મશિનરી/ઉપકરણો પરનો જીએસટી ઘટાડવામાં આવ્યો છે?
કૃષિ ઉપકરણો, જીએસટી, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, કૃષિ ઉપકરણો પર જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે

કૃષિ મશીનરી/ઉપકરણો પરનો ટૅક્સ પહેલાંની સરખામણીમાં ઘટાડવામાં આવ્યો છે.

ખેતી, બાગાયત વગેરેમાં સ્પ્રિંકલર્સ, ટપક સિંચાઈ પ્રણાલીઓ, માટી તૈયાર કરવા અથવા ખેતીનાં મશીનો, લોન અથવા રમતનાં મેદાનનાં રોલર્સ, લણણી અથવા થ્રેસિંગ મશીનો, ઘાસ કાપવા પરના મશીન પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા છે.

અન્ય કૃષિ, બાગાયત, વનસંવર્ધન, મરઘાં અથવા મધમાખી ઉછેર મશીનરી, ખાતર બનાવવાનાં મશીનો વગેરે પરના જીએસટી દર અગાઉના 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા છે.

ખેડૂતોને રાહત આપવાની સાથે, એ પણ મહત્ત્વપૂર્ણ છે કે સ્થાનિક ઉત્પાદન પર નકારાત્મક અસર ન પડે.

તેમને જીએસટીમાંથી મુક્તિ આપીને, આ વસ્તુઓના ઉત્પાદકો/ડીલરો કાચા માલ પર ચૂકવવામાં આવતા જીએસટી પર ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં, જેનો બોજ આખરે ગ્રાહકો પર પડે છે.

ડીકે મિશ્રાએ જણાવ્યું હતું કે, "ખેડૂતો માટે વર્તમાન દર લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ, દર 18 ટકા જેટલા ઊંચા હતા. આની સમગ્ર કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર પડશે."

ફેસ પાઉડર અને શૅમ્પૂ પર જીએસટી ઘટાડવાનું કારણ શું છે?

લિક્વિડ સોપ અને બાર સોપ વચ્ચે તફાવત કરવામાં આવ્યો છે. ટૉઇલેટ સોપ બાર પરનો નવો જીએસટી દર 5 ટકા નક્કી કરવામાં આવ્યો છે.

તેનો ઉદ્દેશ્ય નીચલા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના માસિક ખર્ચમાં ઘટાડો કરવાનો છે.

આ વસ્તુઓ લગભગ તમામ વર્ગના લોકો માટે રોજિંદા ઉપયોગની છે.

મોંઘા ફેસ પાઉડર અને શૅમ્પૂ વેચતી બહુરાષ્ટ્રીય કંપનીઓ અથવા લક્ઝરી બ્રાન્ડ્સને પણ ફાયદો થશે, પરંતુ દરોના તર્કસંગત બનાવવાનો હેતુ ટૅક્સ માળખાને વધુ સરળ બનાવવાનો છે.

કૉસ્મેટિક્સના બ્રાન્ડ અથવા કૉસ્મેટિકના મૂલ્યના આધારે ટૅક્સ લાદવાથી ટૅક્સના માળખાને જટિલ બનાવશે.

ડીકે મિશ્રા કહે છે કે, "સરકારે રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર ટૅક્સ ઘટાડ્યો છે. પછી ભલે તે પાઉડર હોય, ટૂથપેસ્ટ હોય, નૅપકિન્સ હોય, ડાયપર હોય, બ્રેડ, જામ હોય, પાસ્તા હોય, ડાયાબિટીસનાં ઉત્પાદનો હોય, ચૉકલેટ, પેસ્ટ્રી, કૉર્નફ્લેક્સ, આઇસ્ક્રીમ વગેરે હોય."

શું કોલસા પરના જીએસટી દરમાં વધારાથી વીજળીના ભાવ પર અસર થશે?

અગાઉ, કોલસા પર 5 ટકા જીએસટી સાથે પ્રતિ ટન 400 રૂપિયાનો કંપન્સેશન સેસ વસૂલવામાં આવતો હતો.

જીએસટી કાઉન્સિલે સેસ નાબૂદ કરવાની ભલામણ કરી છે અને તેથી આ દરને જીએસટીમાં મર્જ કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ નાખવામાં આવ્યો નથી.

આરોગ્ય અને જીવન વીમા પૉલિસી પર કેટલો ટૅક્સ લાગે છે?

જીવન વીમા પર સૂચિત થયેલી છૂટ બધી વ્યક્તિગત જીવન વીમા પૉલિસીઓને આવરી લે છે.

આમાં ટર્મ, યુએલઆઈપી, એન્ડોમેન્ટ યોજનાઓ અને રિઇન્શ્યૉરન્સ સેવાઓનો સમાવેશ થાય છે.

આરોગ્ય વીમા પર પર છૂટના દાયરામાં બધી વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓ આવે છે, જેમાં ફેમિલી ફ્લોટર પ્લાન અને સિનિયર સિટિઝન પૉલિસી સહિતની પૉલિસીઓ સામેલ છે.

તેમની રિઇન્શ્યૉરન્સ સેવાઓ પણ આમાં સામેલ છે.

ડીકે મિશ્રા કહે છે, "લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે જીવન વીમા અને આરોગ્ય વીમા પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા અથવા શૂન્ય કરવામાં આવે. સરકારે તેને શૂન્ય કરીને મોટી રાહત આપી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન