'હું તમારી સાથે છું...' – હિંસાના અઢી વર્ષ બાદ મણિપુર પહોંચેલા પીએમ મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈશાન ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા છે, જેમાં તેઓ મણિપુર અને મિઝોરમની મુલાકાત લઈ રહ્યા છે.
મણિપુરમાં મે 2023માં હિંસા ફાટી નીકળ્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે.
તેમણે મણિપુરમાં કહ્યું કે એક સમયે દિલ્હીથી નિર્ણયો લેવાતા, જેને અહીં પહોંચવામાં દાયકા લાગી જતા હતા. હવે મણિપુર રાષ્ટ્રની સાથે પ્રગતિ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, "કેન્દ્રના સતત પ્રયાસોના કારણે ખીણમાં અલગ અલગ જૂથો વચ્ચે શાંતિમંત્રણા શરૂ થઈ છે. અમે મણિપુરને શાંતિ સમૃદ્ધિનું પ્રતીક બનાવવા માંગીએ છીએ. હું રાજ્યના લોકો સાથે છું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને સંબોધતાં જણાવ્યું કે વોટ બૅન્કના રાજકારણના કારણે ઈશાન ભારતે ઘણું સહન કરવું પડ્યું છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્રમાં પાછલાં 11 વર્ષથી ભાજપની આગેવાની હેઠળની સરકારના પ્રયાસોના કારણે આ પ્રદેશ હવે દેશનું 'ગ્રોથ એન્જિન' બની ગયું છે.
મોદીએ મિઝોરમમાં નવ હજાર કરોડના પ્રોજેક્ટ લૉન્ચ કર્યા હતા. એ પ્રસંગે તેમણે વર્ચ્યુઅલ રેલીને સંબોધી હતી, કારણ કે ભારે વરસાદના કારણે તેઓ રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.

ઇમેજ સ્રોત, ANI
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ઍક્ટ ઇસ્ટ પૉલિસીમાં મિઝોરમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કલાનાદ મલ્ટિમૉડલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ અને રેલવે લાઇનથી પશ્ચિમપૂર્વ એશિયાને જોડવામાં આવશે.
વડા પ્રધાને કહ્યું કે રાજ્ય માટે આ ઐતિહાસિક દિવસ છે, કારણ કે તે ઐઝવાલને મહત્ત્વનાં શહેરો સાથે જોડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી સોમવાર દરમિયાન પાંચ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ મણિપુર, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળ તથા બિહારનો પણ પ્રવાસ ખેડશે.
તેમાં વડા પ્રધાનની મણિપુર મુલાકાતને ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહી છે. અઢી વર્ષ અગાઉ મણિપુરમાં હિંસા ફાટી નીકળી એ પછી પૂર્વોત્તર રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે.
દેશમાં વિપક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર મુલાકાત માટે આટલા વિલંબ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
મણિપુરમાં ભાજપની પૂર્ણ બુહમતીવાળી સરકાર હતી, જેના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહે ફેબ્રુઆરી-2025માં રાજીનામું આપી દીધું હતું. એ પછી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. ભાજપે અહીં સરકાર રચવાનો દાવો પણ નથી કર્યો.
નોંધનીય છે કે માર્ચ-2023માં હાઇકોર્ટના એક ચુકાદા બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. એ પછી બે મહિલાઓનો એક વીડિયો વાઇરલ થવાને કારણે હિંસા વકરી જવા પામી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોની વિજ્ઞપ્તી પ્રમાણે, વડા પ્રધાન ચુરાચાંદપુરમાં રૂ. આઠ હજાર 500 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અથવા ખાતમૂહુર્ત કરશે.
છેલ્લા અનેક દિવસોથી અટકળો વહેતી થઈ હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાત લેશે, પરંતુ આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર પાડવામાં નહોતું આવ્યું.
મણિપુરમાં જ્યારે હિંસા ફાટી નીકળી હતી, ત્યારે ચુરાચાંદપુરને સૌથી વધુ અસર થઈ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા 250 લોકોનાં મૃત્યુ થયા હતા. તથા હજારો લોકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનની મણિપુર યાત્રા ઉપર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, મણિપુર લાંબા સમયથી મુશ્કેલીઓ વેઠી રહ્યું છે.
હિંસાની શરૂઆત કઈ રીતે થઈ?

ઇમેજ સ્રોત, ANI
માર્ચ-2023માં મણિપુર હાઇકોર્ટે એક ચુકાદામાં રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા અંગે ઝડપભેર વિચારણા કરવામાં આવે છે.
મૈતેઈ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેનો વિરોધ પહાડી વિસ્તારોમાં રહેતા કુકી જનજાતિના લોકો કરે છે.
ચુકાદાના લગભગ સવા મહિના બાદ ત્રીજી મે, 2023ના રોજ રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાયના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી.
જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં તથા લગભગ 20 હજાર લોકો પોતાના જ ગૃહરાજ્યમાં વિસ્થાપિત બની ગયા. કેટલાક લોકોએ પાડોશી રાજ્ય મિઝોરમમાં પણ આશરો લેવો પડ્યો.
હિંસા વકરતાં મે-2023 ના અંત ભાગમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી અને રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી એન. બિરેનસિંહ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી.
આ દરમિયાન રાજ્યની પોલીસની સાથે ભારતીય સેના તથા આસામ રાયફલ્સે સુરક્ષાની જવાબદારી સંભાળી. પરિસ્થિતિ એટલી હદે વકરી ગઈ હતી કે એક તબક્કે 'દેખો ત્યાં ઠાર મારો'ના આદેશ આપવામાં આવ્યા હતા.
બે મહિલાઓના વીડિયોથી વકરી હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
19 જુલાઈ 2023ના રોજ મણિપુરમાં જે હિંસા થઈ, તે મણિપુર કે ભારત જ નહીં, વિશ્વભરના અખબારોની હેડલાઇન બની. બે કુકી મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો.
મણિપુરની પોલીસે વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી અને કહ્યું કે તે ચોથી મેના રોજનો હતો. એટલે કે નવેસરથી હિંસા ફાટી નીકળી.
ચોમાસુ સત્ર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી, ત્યારે તેમણે મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
મણિપુરની હિંસા અંગે પહેલી વખત પ્રતિક્રિયા આપતા મોદીએ કહ્યું કે તેમનું હૃદય પીડાથી ભરેલું છે. વડા પ્રધાને કહ્યું હતું કે દેશની નાલેશી થઈ રહી છે અને જવાબદારોને છોડવામાં નહીં આવે.
આ પહેલાં વિપક્ષે મણિપુર મુદ્દે મોદીનાં મૌન અંગે ભારે સવાલ ઉઠાવ્યા હતા.
જુલાઈ મહિનાના અંતભાગમાં એક જાહેરકાર્યક્રમમાં બોલતી વેળાએ તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ મનોજ નરવણેએ કહ્યું હતું કે 'મણિપુરમાં જે કંઈ થઈ રહ્યું છે, તેમાં વિદેશી એજન્સીઓની સંડોવણીને નકારી ન શકાય.'
રાહુલ ગાંધીની મણિપુર યાત્રા

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી-2024ના શરૂઆતમાં જ અલગ-અલગ સ્થળોએ હિંસા ફાટી નીકળી. જેમાં પાંચ નાગરિક અને બે સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યા.
આ અરસામાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઈ સુધીની લગભગ છ હજાર 700 કિલોમીટર લાંબી 'ભારત જોડો ન્યાયયાત્રા' શરૂ કરી હતી. મણિપુરમાં ઇમ્ફાલ પાસે થૌબલમાં તેમણે જંગી રેલીને પણ સંબોધી હતી.
ફેબ્રુઆરી-2024માં મણિપુર હાઇકોર્ટે તેના અગાઉના ચુકાદામાંથી એક અંશ હઠાવી દીધો. તેમાં મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની ભલામણનો ઉલ્લેખ હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના એપ્રિલ-2024ના અંકમાં મણિપુરની હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચૂંટણી જાહેર થઈ એ પછી, પહેલી વખત મણિપુરની હિંસાનો ઉલ્લેખ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સપ્ટેમ્બર-2024 ના બીજા અઠવાડિયામાં ચાર ઉગ્રવાદીઓ અને એક નાગરિકનાં મૃત્યુ થયાં.
નવેમ્બર-2024માં સીઆરપીએફ સાથેની અથડામણમાં 10 હથિયારબંધ ઉગ્રવાદી માર્યા ગયા. મિઝોરમમાં રહેતા મૈતેઈ સમાજના ઝો રિયુનિફિકેશન ઑર્ગેનાઇઝેશન નામના સંગઠનની ધમકી પછી ત્યાંનો માહોલ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગયો.
તેણી સીઆરપીએફ ઉપર આદિવાસી યુવાનોની હત્યા કરવાનો આરોપ મૂક્યો તથા તેના કારણે મણિપુરમાં જાતીય સંઘર્ષ ફરી શરૂ થઈ ગયો હવાની વાત પણ કરી.
નવેમ્બર-2024માં નૅશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. એનપીપીના વડા મેઘાલયના મુખ્ય મંત્રી કૉનરાડ સંગમા છે.
ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાને ટેકો પાછો ખેંચવાના પત્રમાં મુખ્ય મંત્રી એન. બિરેનસિંહની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને નિર્દોષ લોકોનાં મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી.
60 ધારાસભ્યોવાળી મણિપુર વિધાનસભામાં એનપીપીના સાત ધારાસભ્ય હતા.
ડિસેમ્બર-2024માં સનદી અધિકારી અજયકુમાર ભલ્લાને હિંસાગ્રસ્ત મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. એ પહેલાં આસામના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય મણિપુરનો અધિક પ્રભાર સંભાળી રહ્યા હતા.
આસામ-મેઘાલય કૅડરના આઈએએસ ઓફિસર ભલ્લા કેન્દ્ર સરકારમાં ગૃહસચિવ પદે રહ્યા હતા અને તેમને અમિત શાહની નજીક માનવામાં આવે છે.
ભાજપ સરકારનું પતન અને રાષ્ટ્રપતિ શાસન

ઇમેજ સ્રોત, ANI
3 જાન્યુઆરી 2025ના રોજ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એસપી ઓફિસ ખાતે ભીડે હુમલો કર્યો. જેમાં એસપી સહિત અનેક લોકો ઘાયલ થયા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ ભીડ સરહદી વિસ્તારના સાંઈબોલ ગામમાંથી કેન્દ્રીય સુરક્ષાબળોને નહીં હઠાવવાને કારણે નારાજ હતી. તા. 31 ડિસેમ્બર 2024ના3 રોજ મહિલાઓ ઉપરના કથિત લાઠીચાર્જ પછી કુકી સંગઠનો સતત પ્રદર્શન કરી રહ્યા હતા.
આ ભીડને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ કાર્યવાહીમાં 15 પ્રદર્શનકારી પણ ઘાયલ થયા.
ફેબ્રુઆરી-2025ના બીજા સપ્તાહમાં ભાજપના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. એ પછી ગણતરીના દિવસોમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું.
સંસદમાં અંગેની ચર્ચા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જવાને કારણે નહીં, પરંતુ ત્યાં કોઈએ સરકાર રચવાનો દાવો ન કર્યો હોવાથી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે.
મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક સરકારી બસ ઉપર 'મણિપુર' શબ્દ ઢાંકી દેવાને કારણે હિંસા થઈ, તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પરિસ્થિતિ એટલી વકરી ગઈ કે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટની સેવાઓ બંધ કરી દેવામાં આવી, તથા અનેક જિલ્લામાં નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી.
છેલ્લા અઢી વર્ષથી મણિપુરમાં હિંસાની મોટી અને છૂટક ઘટનાઓ ઘટતી રહી છે. આમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રાજ્યની મુલાકાત લીધી ન હતી. ત્યારે હવે તેમની મુલાકાત પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં શું ફેરફાર આવે છે, તેના ઉપર વિશ્લેષકોની નજર રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












