જેતપુર : 'ખેતરની જમીનો-પાક બગાડે છે, ન્હાવાથી ખંજવાળ આવે છે', ભાદર નદીના પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન- ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જેતપુરમાં રહેતા રામદેવ સાંજવા નામની એક વ્યક્તિએ 2018માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી મારફતે ફરિયાદ કરી કે જેતપુરમાં સાડીઓનાં રંગકામ (ડાઇંગ) અને છાપકામ (પ્રિન્ટિંગ) કરતાં કારખાનાં દ્વારા છોડતા રસાયણોયુક્ત પાણીથી ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
મામલો પર્યાવરણને લગતો હોવાથી કેસ નૅશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ (એન.જી.ટી)માં પહોંચ્યો.
17 નવેમ્બર 2025ના રોજ એનજીટીએ ચુકાદો આપતા હુકમ કર્યો કે ડાઇંગ-પ્રિન્ટિંગના પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા સિવાય ક્યાંય પણ છોડી નહીં શકાય અને શુદ્ધ કર્યા પછી પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર નદી કે અન્ય કોઈ નદી-નાળાઓમાં છોડી નહીં શકાય.
એનજીટીએ તેના ચુકાદામાં નોંધ્યું છે કે જેતપુર શહેરના 30 ટકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર નથી અને તે વિસ્તારમાંથી ગટરનું પાણી શુદ્ધ થયા વગર જ ભાદરમાં ઠલવાય છે.
એનજીટીએ જેતપુર નગરપાલિકાને પણ હુકમ કર્યો છે કે ગટરનું કામ 2026ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવે અને ત્યાર બાદ શુદ્ધ કર્યા સિવાય ગટરનું પાણી ભાદરમાં છોડવામાં ન આવે.
કારખાનાંના માલિકોના સંગઠન જેતપુર ડાઇંગ ઍન્ડ પ્રિન્ટિંગ ઍસોસિયેશન (જે.ડી.પી.એ.) અનુસાર ભાદરમાં પ્રદૂષણ રોકવા તે વર્ષે કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે અને ઉમેરે છે કે આશરે 70 હજાર લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગના શુદ્ધ કરાયેલા પાણીને પાઇપલાઇનથી દરિયામાં છોડવું તે જ કાયમી ઉકેલ છે.
પરંતુ પાઇપલાઇનનું કામ હજુ પ્રારંભિક તબક્કે છે અને એનજીટીના હુકમના બે મહિના બાદ પણ જેતપુર શહેરમાં ભાદર નદીના કાંઠાનાં ગામોના લોકો ફરિયાદ કરે છે કે પ્રદૂષણની સમસ્યા યથાવત છે જે તેમના સ્વાસ્થ્ય અને ખેતીૉ જોખમમાં છે.
આવી જ સ્થિતિ જેતપુરની દક્ષિણે જૂનાગઢમાંથી વહેતી ઉબેણ નદીમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદૂષિત પાણીની ખેતીને કારણે જેતપુરમાં લોકોના આરોગ્ય પર શું અસર થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
10 જાન્યુઆરી, 2026ના રોજ બીબીસીએ જેતપુર શહેરથી પંદરેક કિલોમીટર દૂર લુણાગરા ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાં ભાદરનું પાણી ચળકતા લીલા કલરનું દેખાતું.
નદીના કાંઠે જ આવેલી જમીનમાં ખેતી કરતા ભૂપતપરી ગોસ્વામી નદીના પાણીથી પોતાના ઘઉંના પાકને પિયત આપી રહ્યા હતા કારણ કે તેમની વાડીમાં કૂવો નથી.
ભૂપતપરીએ બીબીસીને જણાવ્યું,"મારી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં એટલે આ પાણી મારે ફરજિયાત લેવું પડે છે... જો આ સરકારને કંઈ એવું સૂઝે કે કંઈક મારે ખેડૂતનું સારું કરવું છે..."
"ખેડૂત પર દયા આવે તો આ પાણીને સુધારે અને જેતપુરનું જે પાણી આવે છે, કેમિકલ, એનો ગમે ત્યાં નિકાલ કરે."
"અત્યારે આ પાણી એક નંબરનું ડેન્જર પાણી કહો તો ડેન્જર કહેવાય. કેમિકલ જ સમજી લ્યો, કેમિકલ જ... અમારી જમીનો બગાડી નાખી છે આ પાણીએ. આ મોલાત (પાકો)ને વધ કરવા ન દે."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કાંઠાથી થોડે દૂર આવેલી વાડીમાં ખેડૂત ધીરજભાઈ ભુવા પોતાના ઘઉંના પાકને પિયત આપતી વખતે નદીમાંથી આવી રહેલા પાણી સાથે કૂવાનું પાણી મિશ્રિત કરે છે.
તેઓ આક્ષેપ કરે છે કે નદીના પાણીમાં રહેલું સોડિયમ સિલિકેટ નામનું કેમિકલ (રસાયણ) જમીન પર પ્લાસ્ટિક જેવું એક સ્તર જમાવી દે છે જે પાણીને જમીનમાં ઊતરતું રોકે છે અને પાકને ઊગવામાં પણ નડે છે.
તેઓ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
હે છે, "આ પાણી બહુ ખરાબ છે. જમીનને પાવામાં બહુ નુકસાનકારક છે. તેમાં સિલિકેટનો ભાગ હોય એટલે જમીન ટીપણી જેવી થઈ જાય છે આખેઆખી. પછી આવતે વર્ષે મોલ વાવીએ એટલે ઊગે નહીં સરખી."
"ઊગી ઊગીને સુકાઈ જાય (કારણ) કે પાણી રડી જાય ચોમાસાનું...મારે આ વાવેતર થઈ ગયા પછી હમણાં દસેક દિવસથી પાણી બહુ ખરાબ થઈ ગયું છે એટલા માટે આ કૂવાનું ભેગું હાંકીએ. પરંતુ પાણી નથી કૂવામાં એટલું બધું, એટલે (નદીનું) લેવું પડે."
ધીરજભાઈ ઉમેરે છે કે તેઓ ભાદરનું પાણી પાંત્રીસેક વર્ષથી વાપરે છે પરંતુ છેલ્લાં દસેક વર્ષથી પાણી વધારે પ્રદૂષિત થઈ ગયું છે.
નદીમાં ન્હાતા-કપડાં ધોતા મહિલાઓની શું દશા થાય છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લુણાગરાના પાદરમાં ભાદરના કાંઠે બેસી ગોદડાં ધોઈ રહેલાં દક્ષાબહેન મોરી પોતાના હાથ બતાવતા કહે છે કે ભાદરના પાણીથી હાથમાં ચાઠાં પડી જાય છે અને ખંજવાળ આવે છે.
તેઓ કહે છે કે, "આ પાણી સારું છે? સિલિકેટ છે, મારા ભાઈ! હજી તો આ ગોદડાંય ગંધાશે સુકાશે એટલે. સિલિકેટની વાસ આવે. તોય પછી શું કરવું? બાયુંને તો સામટું હોય એટલે ધોવા તો આવવું પડે..."
"મારાં લગ્ન વીસ વર્ષ પહેલાં થયાં ત્યારથી આ પ્રશ્ન છે અને દસ વર્ષથી તે વધી ગયું છે. નહીંતર સાવ નદી ચોખ્ખી હતી. તેમાં મોતી પડ્યું હોય ને તો તેય દેખો તેવું હતું."
જેમના ઘરના પછવાડેથી ભાદર નદી વહે છે તેવાં સરોજબહેન ચાણસ્મા કહે છે કે લુણાગરા ગ્રામ પંચાયત તેમના ઘરે પીવાનું પાણી ચાર કિલોમીટર દૂર આવેલા ફોફળ ડૅમમાંથી એકાંતરા પેહોંચાડે છે.
તેઓ ઉમેરે છે, "ભાદરનું પાણી લીલું અને કાળું છે સાવ. બાયું કપડાં ધોવે બધાય, અમે બધા નાહીએ એટલે ખંજવાળ આવે આખા શરીરે..."
સરોજબહેન આક્ષેપ કરે છે કે પાણીમાં પ્રદૂષણ જેતપુરના ડાઇંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગના કારણે ફેલાય છે.
તેઓ કહે છે કે, "જેતપુરવાળા બંધ કરે તો જ અમારે મેળ આવે. પણ આદમી જાય છે તેનું તો માનતા જ નથી જેતપુરવાળા કોઈ."
પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સાડી ઉદ્યોગના 1,341 કારખાનાં જેડીપીએના સભ્યો છે.
સુતરાઉ સાડીઓ તેમ જ મહિલાઓ માટેના ડ્રેસ મટિરિયલમાં ડાઇંગ-પ્રિન્ટિંગ માટે રાસાયણિક રંગો તેમ જ કૌસ્ટિક સોડા અને સોડિયમ સિલિકેટ નામનાં રસાયણોનો બહોળો ઉપયોગ થાય છે.
પરંતુ આ રસાયણો પાણીમાં ભળી જાય તો તેને પ્રદૂષિત કરી શકે છે તેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જેતપુરમાં આવેલી ઑફિસના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા કહે છે.
જેડીપીએ તેના સભ્યોનાં કારખાનાંમાં ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા માટે જેતપુર શહેરમાં અને જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટગામમાં આવેલા ઉબેણ ડૅમના હેઠવાસમાં કૉમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીઈટીપી) ચલાવે છે.
જેતપુર પ્લાન્ટ દૈનિક ધોરણે એક કરોડ લીટર અને ભાટગામના સીઈટીપી ત્રણ કરોડ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જેતપુરમાં હેઠવાસમાં ભાદરના કાંઠે આવેલા કેરાળી ગામના સરપંચ કલ્પેશ ભાડેલીયાએ બીબીસી સાથે વાત કરતા આક્ષેપ કરે છે કે અમુક કારખાનાં તેમનું પાણી સીધું નદીમાં છોડી દે છે.
તેમણે કહ્યું, "ઍસોસિયેશન કહે છે કે તેનાં કારખાનાં તો નથી છોડતાં પણ જે એમનેમ ચાલે છે તે ભાદરમાં પાણી છોડી દે છે... અમુક યુનિટ્સ છે તે ગેરકાયદેસર રીતે કાયમી ધોરણે છોડે છે. આ લોકો પર ઍક્શન પણ લેવાય છે પણ છતાંય ક્યાંથી શું કરે છે તેની માહિતી આપણી પાસે નથી."
ઉબેણ નદી પર આવેલા જૂનાગઢ તાલકાના ધંધુસર ગામના લોકો પણ ફરિયાદ કરે છે.
બીબીસી સાથે વાત કરતા ધંધુસરના ખેડૂત કારાભાઈ સિંધલ કહે છે, "ઍસોસિયેશનના 1341 સભ્યોની સામે અંદાજે 1000 જેટલા ગેરકયેદાર ચાલતાં કારખાનાં છે અને તે નદીઓને કાંઠે આવેલા ખેડૂતોની વાડીઓમાં કુંડીઓ મૂકી, તેમાં પાણી ભરી, તેમાં સાડીઓ ધોઈ પાણીને ઉબેણમાં છોડે છે."
જેતપુરના કારખાનેદારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જેડીપીએના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા દાવો કરે છે કે જેડીપીના સભ્યો ભાદર, ઉબેણ કે અન્ય કોઈ વહેણ-નાળામાં પાણી છોડતા નથી.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "પહેલાં અમારે લાલ નદી ચાલી જતી હતી અને કોઈને ખબર ન હતી. પરંતુ હવે જાગૃતિ આવી છે."
"1982માં પાણી પુરવઠા બોર્ડે જગ્યા આપી અને અમે (કારખાનાનું પાણી શુદ્ધ કરવાનો) પ્રથમ પ્લાન્ટ નાખ્યો. કારખાનાનું પાણી પ્લાન્ટ સુધી પહોંચાડવા 36 કિલોમીટરની લંબાઈ ધરાવતી ખુલ્લી ગટરો બનાવી હતી."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
"પરંતુ તે ગટરમાં જેતપુર નગરપાલિકાની ગટરનું પાણી ભળી જતું હતું. બેય પાણી ભેગા થતા તેને સમાવવાની ક્ષમતા ગટરમાં ન હતી અને તેથી ટ્રીટમેન્ટ પ્લાન્ટે પહોંચતા પહેલાં કેટલુંક પાણી નદીમાં વહી જતું અને નદીનું પાણી લાલ થઇ જતું."
"તેથી, એનજીટીએ અમને હુકમ કર્યો કે તમે નદીમાં પાણી છોડવાનું બંધ કરો. ઑર્ડર મુજબ અમે તે ગટર તોડી નાખી અને અત્યારે ટૅન્કર દ્વારા પાણી પ્લાન્ટ સુધી પહોંચાડવાનું ચાલુ કર્યું છે. અત્યારે ભાદરમાં એકેય ટીપું નથી જતું."
તેમણે ઉમેર્યું, "અમે (પાણી) ટ્રીટ કરી 1200 વીઘા જમીન વાવવા રાખી છે તેમાં નીલગીરી વાવી છે તેને આપીએ છીએ."
ઉબેણમાં પ્રદૂષની ફરિયાદો વિષે જયંતીભાઈ કહે છે, "ભાટગામમાં પણ પાણી નદીમાં છોડાતું નથી. ત્યાં પણ અમે જમીન રાખી છે અને નીલગીરીનું ત્યાં પણ વન છે."
"ક્યારેક પાણી વધી ગયું હોય અને ગયું હોય તો તે ટ્રીટેડ પાણી છે અને તે કોઈને નુકસાન કરતું નથી..."
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વિજય રાખોલિયા કહે છે કે કારખાનામાં સાડી માટેના કાપડને સફેદ કરવા અને તેમાં રંગ બરાબર બેસે તે માટે સુતરના તાંતણાઓ ફુલાવવા માટે મર્સરાઇઝેશન તરીકે ઓળખાતી પ્રક્રિયા દરમિયાન પાણીમાં કોસ્ટિક સોડા ભળે છે.
ત્યાર બાદ સાડીમાં છાપકામ કરતા પાણીમાં રંગો ભળે છે. ત્યાર બાદ રંગો કાપડના તાંતણામાં કાયમ ટકી રહે તે માટે સાડી પર સોડિયમ સિલિકેટ લગાડવામાં આવે છે.
આ પ્રક્રિયા બાદ સાડીમાંથી મેલ અને વધારાના રંગ કાઢવા માટે સાડીને ધોવામાં આવે છે ત્યારે પાણીમાં રંગો એને સોડિયમ સિલિકેટ ભળી જાય છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી સાથે વાત કરતા વિજય રાખોલિયાએ કહ્યું, "આ રસાયણો હેઝાર્ડસ (બહુ જોખમી) તો ના કહેવાય પણ જળપ્રદૂષણ ફેલાવી શકે તેવાં છે."
"કારખાનામાંથી નીકળતા પાણીમાં રંગ હોવાથી તે લાલ દેખાય છે જો કે આ રંગો ઑર્ગેનિક (જૈવિક) રસાયણો હોવાથી ગંભીર પ્રદૂષણ ફેલાવે તેવા ન કહી શકાય."
"પરંતુ ટ્રીટમેન્ટ પછી પણ તેના કેટલાક અંશો પાણીમાં રહી જતા હોય છે."
સાડીના કારખાનનું પાણી નદી-નાળામાં છોડવાની મનાઈ હોવા છતાં ભાદર અને ઉબેણના પાણી કથિત રીતે પ્રદૂષિત હોવાની ફરિયાદો કેમ છે તેવા બીબીસીના પ્રશ્નનો જવાબ આપતા વિજય રાખોલિયાએ કહ્યું, "જેડીપીએ કહે છે કે તે કોઈ પાણી નદીઓમાં છોડતું નથી. પરંતુ (નીલગીરીના) પ્લાન્ટેશનમાંથી નીકળીને નદીમાં જતું હોઈ શકે છે."
પાઇપલાઇનનું કામ છ વર્ષે પણ કેમ અધૂરું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જયંતિભાઈ કહે છે, "ટ્રીટ કરીને અમે પાણીને લાલમાંથી વ્હાઇટ તો કરી દઈએ છીએ પણ તેમાં પહેલેથી જ 6000 ટીડીએસ (ટોટલ ડિઝૉલ્વડ સૉલિડ્સ એટલે કે કુલ ઓગળેલા ઘન પદાર્થો) હોય છે જે અમે ઘટાડી ન શકીએ."
"ઊંચા ટીડીએસવાળું પાણી ખેતીમાં ન ચાલે અને અમે પણ બીજી વાર ન વાપરી શકીએ. તેથી તેનો દરિયામાં નિકાલ કરવો એ જ ઉપાય છે..."
જેતપુરના ડાઇંગ-પ્રિન્ટિંગ કારખાનાંના શુદ્ધ કરેલા પાણીને દરિયામાં છોડવા માટે રાજ્ય સરકારે 2020માં રૂપિયા 700 કરોડના ખર્ચે જેતપુરથી પોરબંદર સુધી 120 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાની જાહેરાત કરી હતી.
સરકારે 2021માં એક ખાનગી કંપનીને આ કામનું ટેન્ડર આપ્યું હતું.

ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાજ્ય સરકારની ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (જીડબ્લ્યુઆઈએલ) નામની કંપની આ પ્રોજેક્ટનું અમલીકરણ કરાવી રહી છે.
જેતપુરમાં જીડબ્લ્યુઆઈએલના કાર્યપાલક ઇજનેર આર.એમ પરમારે જણાવ્યું, "આ પાઇપલાઇન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળની મંજૂરી 24 જાન્યુઆરી, 2024ના રોજ મળી હતી."
"ટેન્ડરની શરતો અનુસાર આ મંજૂરી મળ્યા બાદ કૉન્ટ્રૅક્ટરે બે વર્ષમાં પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરી દેવાનું હતું. પરંતુ આ મંજૂરી બાદ પાઇપલાઇનને હાઇવે અને રેલવે લાઇન નીચેથી પસાર કરવાની મંજૂરી મેળવવામાં ટાઇમ ગયો."
"તેથી હાલ વીસેક કિલોમીટર જેટલી પાઇપલાઇન નંખાઈ છે. વળી, માણાવદર તાલુકાનાં કેટલાંક ગામોના ખેડૂતો પાઇપલાઇન તેમની જમીનમાંથી પસાર થાય તે બાબતનો વિરોધ કરી રહ્યા છે."
"જાન્યુઆરી 2026 સુધીમાં આ કામ પૂરું કરવાની સમયમર્યાદા છે પરંતુ તેમાં એકાદ વર્ષનો વિલંબ થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












