રાહુલ ગાંધીએ લંડનમાં મોદી અને ભારત વિશે શું કહ્યું કે લોકો ભડકી ઊઠ્યા?

"ભાજપે દેશમાં ચોતરફ કેરોસીન છાંટ્યું છે, માત્ર એક તણખલાથી અમે બધા મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. ભારતમાં ધ્રુવીકરણ વધી રહ્યું છે, બેરોજગારી અને મોંઘવારી ચરમસીમા પર છે.' આ શબ્દો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના છે.

લંડનમાં થયેલી 'કૉન્ફરન્સ આઇડિયા ફૉર ઇન્ડિયા'માં રાહુલ ગાંધીએ આ વાત કરી.

સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની આ વાતની ખૂબ ટીકા થઈ રહી છે. અમુકે તો તેમને 'જયચંદ' કહી નાખ્યા.

જયચંદ એ વ્યક્તિ હતા જેમણે યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ વિરુદ્ધ મહમદ ઘોરીનો સાથ આપ્યો હતો.

રાહુલ ગાંધીએ આ કૉન્ફરન્સમાં સંવિધાન, અર્થવ્યવસ્થા, કૉંગ્રેસનની ચિંતન શિબિર, ચીન, અમેરિકા સહિતના મુદ્દાઓ પર વાત કરી.

'ભાજપે દેશમાં કેરોસીન છાંટ્યું'

બેરોજગારી અને મોંઘવારી ચરમ પર છે તો પણ ભાજપ ચૂંટણી જીતે છે અને કૉંગ્રેસ હારે છે, એવું કેમ?

આ સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું, "ભારતમાં વધી રહેલા ધ્રુવીકરણ અને મીડિયા પર કબજાને લીધે આવું થઈ રહ્યું છે. ભારતની ન્યૂઝ ચેનલમાં મોદી સિવાય બીજા કોઈ નહીં દેખાય."

"અમારે એ માનવું પડશે કે RSSએ એવું માળખું બનાવ્યું છે જે વસતી વચ્ચે ફેલાઈ ગયું છે. અમારે પણ એક માળખું બનાવવું પડશે અને એ 60 ટકા લોકો વચ્ચે જવું પડશે, જેઓ ભાજપને મત નથી આપતા. બધી વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને આ કરવું પડશે."

રાહુલે ઉમેર્યું, "હાલમાં ભારતની સ્થિતિ સારી નથી. ભાજપે સમગ્ર દેશમાં કેરોસીન છાંટી દીધું છે. માત્ર એક તણખલું અમને બધાને મોટા સંકટ તરફ લઈ જશે. કૉંગ્રેસની જવાબદારી એ છે કે તે લોકોને સાથે લાવે અને લોકોના ક્રોધ અને આગને ફેલાતી અટકાવે."

RSSથી 'ખતરો'

રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદથી રાજ્યોની શક્તિ ઘટાડી રહી છે.

રાહુલે કહ્યું, "ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. દરેક રાજ્ય પાસે પોતાની ઓળખ, ધર્મ અને સંસ્કૃતિ છે. દરેક રાજ્યને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા પણ છે. પરંતુ અત્યારે ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓની મદદથી રાજ્યો અને સંસ્થાનોને નબળા પડાઈ રહ્યાં છે. હાલમાં રાજ્યો વાત કરવાની હાલતમાં નથી રહ્યાં."

રાહુલે ઉમેર્યું કે વિપક્ષ હોવાને લીધે અમારી જવાબદારી એ છે કે આ સંસ્થાનો આરએસએસ અને માત્ર એક જ વિચારના કબજામાં ના રહે.

રાહુલે આગળ કહ્યું, "અમે માનીએ છીએ કે દેશમાં દરેક જાતિ અને ધર્મના લોકોને સુવિધા મળે. પરંતુ ભાજપ ઇચ્છે કે આ સુવિધા લોકોને કર્મ (જાતિ)ના આધારે મળે."

"જેમને એવું લાગી રહ્યું હોય કે અમે ભાજપથી લડી રહ્યા છે તો તેમને સમજવું પડશે કે અમે ભાજપથી નહીં પરંતુ સંસ્થાઓના માળખાથી લડી રહ્યા છે. આ માળખા પર એક સંગઠન, ભાજપની વિચારધારાનો કબજો છે."

ભારતને ચીનથી 'ખતરો'

રશિયા જેવી રીતે યુક્રેનમાં કરી રહ્યું છે બિલકુલ તેવી જ રીતે ચીન ભારતના ડોકલામ અને લદ્દાખમાં કરી રહ્યું છે એવું રાહુલનું કહેવું છે.

રાહુલે કહ્યું, "ડોકલામ અને લદ્દાખમાં ચીનની સેના તહેનાત છે. તેમજ ચીન અરુણાચલ પ્રદેશ અને લદ્દાખને ભારતનો હિસ્સો નથી માનતું. પરંતુ ભારત સરકાર આ મુદ્દે વાત નથી રહી."

"અમારી પાસે વિદેશનીતિના જાણકારો અને અધિકારીઓ છે જે મદદ કરી શકે પરંતુ અમારા વડા પ્રધાન વાત સાંભળવા તૈયાર જ નથી."

લોકો શું કહે છે?

સોશિયલ મીડિયામાં લોકો આ મુદ્દે રાહુલની ગાંધીની ટીકા કરી રહ્યા છે.

ગુરિંદર સંધુએ લખ્યું, "મને યાદ નથી કે કોઈ વિદેશી નેતાએ ભારત આવીને ખુદના દેશની આંતરિક વાતોની ચર્ચા કરી હોય. પરંતુ રાહુલ દેશ હોય કે વિદેશ- ભારતને નબળો બતાવવાના પ્રયાસ કર્યા છે. "

સ્વાસ્તિક નામના યૂઝરે લખ્યું કે 'રાહુલ ગાંધીને કોઈ ગંભીરતાથી નથી લેતું. ખુદ તેમની પાર્ટી પણ નહીં.'

વિકાસ નામના યૂઝરે લખ્યું કે 'રાહુલ ગાંધી તમે ભારત અને ભારતીયોને વિદેશી મંચ પર બેઆબરૂ કરી રહ્યા છો. તમારો ભાજપવિરોધી એજન્ડા ભારતમાં હોવો જોઈએ.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો