You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં બેરોજગારી : દેશમાં બેરોજગારી દેખાય છે તેનાથી વધારે ગંભીર મુદ્દો છે
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ગયા અઠવાડિયે કાયદામાં સ્નાતક થયેલા યુવાને ડ્રાઇવર માટેની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી.
જિતેન્દ્ર મયૂર, એ મધ્ય પ્રદેશનાં એવા 10 હજારથી વધુ બેરોજગાર યુવાનોમાંના એક હતા જેમણે પોતાની શૈક્ષણિક લાયકાત કરતાં ઓછી લાયકાતની સરકારી નોકરી માટે ઉમેદવારી નોંધાવી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઉમેદવારી નોંધાવનારા મોટાભાગના યુવાનો વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા.
જેમાં સ્નાતકો, ઍન્જિનિયરો, એમબીએ સહિતની અનુસ્નાતક ડિગ્રી ધરાવતા લોકો હતા. જિતેન્દ્ર મૌર્ય ખુદ જજની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે.
જિતેન્દ્ર એક ન્યૂઝ ચૅનલને જણાવે છે કે, "કેટલીક વખત પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે પુસ્તકો ખરીદવાના પણ પૈસા નથી રહેતા. એટલે વિચાર આવ્યો કે (અહીં) થોડું કામ મળી જશે."
જિતેન્દ્રનો આ કિસ્સો ભારતમાં બેરોજગારીની સ્થિતિનો અરીસો બતાવતો કિસ્સો છે. કોરોના મહામારીએ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ફટકો માર્યો હતો. તે અગાઉથી જ મંદીમાં સપડાયેલી હતી.
કોરોના મહામારીની બીજી લહેર બાદ માગમાં વધારો અને સરકાર દ્વારા કરાતા ખર્ચમાં વધારો જોવા મળતાં અર્થવ્યવસ્થા પાટે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.
જોકે, નોકરીઓ સતત ઘટી રહી છે. ભારતમાં બેરોજગારીનો દર ડિસેમ્બર મહિનામાં વધીને 8 ટકા સુધી પહોંચ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં બેરોજગારીની માપણી કરતી સ્વતંત્ર સંસ્થા સૅન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ) મુજબ વર્ષ 2020 અને 2021ના મોટાભાગના સમય દરમિયાન તે સાત ટકા હતો.
વિશ્વ બૅન્કના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએ જણાવ્યું,"ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી નથી. વર્ષ 1991માં સર્જાયેલા આર્થિક સંકટ (જ્યારે ભારત પાસે આયાતી વસ્તુઓ માટે ચૂકવણી કરવા પૂરતા ડૉલર પણ ન હતા) દરમિયાન પણ આવું નહોતું."
પ્રોફેસર બસુ મુજબ વર્ષ 2020માં ઘણા દેશોમાં બેરોજગારી વધી હતી, પરંતુ ભારતે બેરોજગારીમાં વિકસિત અર્થવ્યવસ્થાઓ જેવી કે બાંગ્લાદેશ (5.3 ટકા), મૅક્સિકો (4.7 ટકા) અને વિયેતનામ (2.3 ટકા)ને પણ પાછળ છોડી દીધી છે.
ભારતમાં રોજગારીની સંખ્યમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સીએમઆઈઈ મુજબ, તેની પાછળનાં કારણોમાં આ કારણ પણ જવાબદાર છે કે કેટલીક કંપનીઓએ કૉસ્ટ કટિંગ કરવા પોતાના કર્મચારીઓની છટણી કરવાથી લઈને પગારકાપ સુધીનાં પગલાં લીધાં છે.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં કરાયેલા એક સંશોધન મુજબ, લૉકડાઉનનાં સમયગાળા દરમિયાન સૌથી વધારે અસર 15થી 23 વર્ષીય યુવાઓ પર પડી છે.
યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી અમિત બસોલેએ કહ્યું હતું કે,"અમને જાણવા મળ્યું કે, લૉકડાઉન પહેલાં યોગ્ય નોકરી ધરાવતા અડધોઅડધ લોકોને લૉકડાઉન બાદ રોજગારી મેળવવામાં મુશકેલી પડી રહી હતી."
માત્ર મહામારી જ બેરોજગારીનું કારણ નથી
અર્થશાસ્ત્રીઓના મતે બેરોજગારી પાછળ મહામારી જ એક માત્ર કારણ નથી.
પ્રો. બસુ કહે છે કે,"2020માં લૉકડાઉનમાં આપણે જોયું તે રીતે ભારતમાં નીતિઓ કામદારો અને નાના ઉદ્યોગોનું ખૂબ ઓછું ધ્યાન રાખીને બનાવવામાં આવી છે."
પણ આ નિરાશ કરતા આંકડા આપણને ભારતમાં સતત ચાલતી આવતી બેરોજગારીનું વિશાળ ચિત્ર નથી દર્શાવતા.
ભારતમાં નોકરી કરવાની ઉંમર ધરાવતા હોય અને શોધી રહ્યા હોય તેવા લોકોની સંખ્યા ઘટી છે. તેમાં પણ મહિલાઓ અને 15 કે તેથી વધુની વયજૂથનો ફાળો ખૂબ ઓછો છે.
જોકે, ભારતમાં બેરોજગારી મુખ્યત્વે ઔપચારિક અર્થતંત્રમાં નોકરી શોધી રહેલા યુવાનોનો સંદર્ભ આપે છે. જોકે, અનૌપચારિક અર્થતંત્ર 90 ટકા લોકોને રોજગારી આપે છે અને દેશના અડધા આર્થિક ઉત્પાદનનું સર્જન કરે છે.
કામદારોના અર્થતંત્રનાં જાણકાર રાધિકા કપૂર કહે છે કે,"બેરોજગારી એ એક એવો વૈભવ છે, જે ભણેલા ગણેલા લોકો જ રાખી શકે છે. ગરીબ, બિનકુશળ તેમજ અર્ધકુશળ લોકો માટે આ કંઈ છે જ નહીં."
વ્યક્તિ જેટલી વધુ શિક્ષિત હશે, તેટલી જ વધારે શક્યતા છે કે તે બેરોજગાર રહેશે અને ઓછા પગારવાળી અનૌપચારિક નોકરી નહીં લે. જ્યારે ગરીબો પાસે અપૂરતું શિક્ષણ હોવાને કારણે તેમને કોઈ પણ કામ કરવાની ફરજ પડે છે.
તેથી જ બેરોજગારીના આંકડા સમગ્ર અર્થતંત્રમાં કામદારોની કુલ સંખ્યા વિશે વધુ જણાવતા નથી.
સામાજિક સુરક્ષાના લાભ ભારતમાં ઉપલબ્ધ નથી
ભારતમાં ત્રણ ચતુર્થાંશ લોકો સૅલ્ફ-ઍમ્પ્લૉય્ડ છે. જેમાં તેમને કોઈ સામાજિક સુરક્ષા લાભો મળતા નથી.
દેશમાં માત્ર બે ટકાથી વધુ કર્મચારીઓ પાસે સામાજિક સુરક્ષા, નિવૃત્તિ બચત યોજના, ેસહિતની ઔપચારિક નોકરી છે. જ્યારે જ ટકાથી વધુ એવા કર્મચારીઓ છે જેમની પાસે માત્ર એક જ સમાજિક સુરક્ષા સ્રોતની ઉપલબ્ધિ સાથે ઔપચારિક નોકરી છે.
ડૉ. કપૂરના જણાવ્યા પ્રમાણે,"ભારતમાં બહુમતી કામદારો નિર્બળ છે અને તે રામભરોસે જીવન જીવી રહ્યા છે."
તેમની આવક પણ ખૂબ ઓછી છે. સરવે પ્રમાણે, પગાર પર કામ કરતા 45 ટકા કર્મચારીઓ મહિને 9,750 રૂપિયાથી પણ ઓછું કમાય છે. જે દિવસદીઠ રૂપિયા 375 થાય છે.
વર્ષ 2019માં ન્યૂનતમ પગાર આપવાનું વિચારાધીન હતું. જે પાછળથી પડતું મૂકી દેવાયું હતું.
ઉચ્ચ વૃદ્ધિ હોવા છતાં ભારતની સ્થાનિક બેરોજગારી પાછળનું કારણ એ છે કે પ્રાથમિક રીતે કૃષિ પર નભતા અર્થતમત્રમાંથી ઝડપથી સેવાકીય અર્થતત્ર તરફ આગળ વધવું.
ભારતનાં કદનું કોઈ પણ રાષ્ટ્ર સેવાકીય અર્થવ્યવસ્થાના જોરે વિકાસ કરી રહ્યું નથી.
ભારતનો વિકાસ સૉફ્ટવૅર અને ફાઇનાન્સ ડેવી સેવાઓ પર આધારિત છે. ઓછા કુશળ કામદારોને મોટી સંખ્યામાં રાખી શકે તેવા ઉત્પાદન એકમો અથવા કારખાનાઓમાં ઓછી નોકરી છે.
પ્રો. બસુ કહે છે કે, "ભારતની બેરોજગારી ચિંતાજનક છે. કારણ કે દેશનો વિકાસ ફરી શરૂ થઈ રહ્યો હોવા છતાં ભારતમાં તળિયાનો વર્ગ અન્ય દેશોની તુલનામાં વધુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે."
તેમનું માનવું છે કે, "સરકારે ફુગાવાને અંકુશમાં લેવાની, રોજગારી ઉત્પન્ન કરવાની અને કામદારોને ટેકો આપવાની જરૂર છે."
આ ઉપરાંત મોદીના શાસન દરમિયાન "ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ" ભરોસાને નુક્સાન પહોંચાડે છે. જે આર્થિક વિકાસ માટેના અત્યંત મહત્વના માપદંડોમાંનું એક છે.
ઓછી માગ પણ જવાબદાર
નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં નોકરીઓનું વચન આપ્યું હતું.
તેઓ મુખ્યત્વે ઉદ્યોગોને નાણાકીય પ્રોત્સાહનો આપી રહ્યા છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા મહત્વાકાંક્ષી "મેક ઈન ઇન્ડિયા" અભિયાન ચલાવી રહ્યાં છે.
ઓછી માગના કારણે આમાંથી કોઈ પણ પ્રોત્સાહનોએ ઉત્પાદન તેમજ નોકરીઓ બાબતે સારું પ્રદર્શન આપ્યું નથી.
ટૂંકમાં, ડૉ. બસોલેને લાગે છે કે, ભારતને તાકીદે રોકડ નાણાં આપવાની કે પછી શહેરોમાં તળિયાના 20 ટકા લોકો માટે રોજગાર ગૅરન્ટી લાવવાની જરૂર છે. જેથી તેમને દેવું ચૂકવવામાં અને ખરીદી કરવા માટે પૈસા મળે.
લાંબા ગાળે, પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે, તમામ કામદારોને મૂળભૂત લઘુત્તમ વેતન અને સમાજિક સુરક્ષા મળે.
ડૉ. કપૂર કહે છે કે, "ત્યાં સુધી રોજગારીની બાબતમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફારો નહીં આવે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો