You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની હાલત જ્યારે શ્રીલંકા જેવી કંગાળ થઈ અને મનમોહનસિંહે દેશને ડૂબતો બચાવ્યો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભીષણ આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકામાં ભારે ઊથલપાથલ થઈ રહી છે. રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે અને વડા પ્રધાનના રાજીનામા માટે પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ બધી જ ઘટનાઓના બૅકગ્રાઉન્ડમાં શ્રીલંકાની કથળી ગયેલી આર્થિક સ્થિતિ જવાબદાર છે. 1948માં બ્રિટનથી સ્વતંત્રતા બાદ શ્રીલંકા તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી મુદ્રાકોષના ગંભીર સંકટમાંથી નીકળવા માટે તેને જલદી કમસે કમ ચાર અબજ ડૉલરની જરૂર છે.
શ્રીલંકાના આર્થિક અખબાર ડેલી ફાયનાન્સિયલ ટાઇમ્સે એક લેખમાં લખ્યું છે કે 'વિદેશી દેવાની ચુકવણીને નિલંબિત કરવી એ નાદાર થવાના સંકેત છે.'
શ્રીલંકાની કેન્દ્રીય બૅંકના ગવર્નરે કહી ચૂક્યા છે કે, "અમે વિદેશી દેવાંની ચૂકવણીનું સામર્થ્ય ગુમાવી ચૂક્યા છીએ. અમારા માટે હાલ તમામ દેવાંની ચુકવણી પડકારરૂપ અને અસંભવ છે."
શ્રીલંકામાં હાલ અફરાતફરીનો માહોલ છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમત એટલી વધી ગઈ છે કે તે સામાન્ય લોકોની પહોંચથી બહાર થઈ ચૂકી છે. જરૂરી દવા પણ નથી મળી શકી રહી.
હજારો લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનું રાજીનામું માગી રહ્યા છે. દેશ પર હાલ વિદેશી દેવાનો બોજો 50 અબજ ડૉલર છે.
શ્રીલંકાના ચલણ રૂપિયામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારત સાથે સરખામણી
હવે શ્રીલંકામાં જેવી પરિસ્થિતિ છે, તેની સરખામણી ભારતમાં 1991ની સ્થિતિ સાથે થઈ રહી છે. ત્યારે ભારત વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ચૂક્યો હતો. એક અબજ ડૉલરથી ઓછું ભંડોળ બાકી હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડૉલર માત્ર 20 દિવસના ઑઇલ અને ફૂડ બિલની ચુકવણીમાં ખતમ થવાના હતા.
ભારત પાસે એટલી પણ વિદેશી મુદ્રા પણ નહોતી કે દુનિયા સાથે કારોબાર કરી શકે. ભારતનું વિદેશી દેવું 72 અબજ ડૉલર સુધી પહોંચી ચૂક્યું હતું.
બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ત્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેવાદાર હતું. દેશનાં અર્થતંત્ર અને સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઊઠતો જઈ રહ્યો હતો. મોંઘવારી, રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાનું નુકસાન બે અંકમાં પહોંચી ગયાં હતાં.
આંતરરાષ્ટ્રીય કારણો
1990માં ભારતના આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો તેનાં કેટલાંક આંતરરાષ્ટ્રીય કારણો પણ હતાં.
1990માં ગલ્ફ વૉરની શરૂઆત થઈ અને તેની સીધી અસર ભારત પર પડી. વૈશ્વિક સ્તરે ઑઇલની કિંમત વધી અને તેની પકડમાં ભારત પણ આવી ગયું.
1990-91માં પેટ્રોલિયમ આયાત બિલ બે અબજ ડૉલરથી વધીને 5.7 અબજ ડૉલર થઈ ગયું. આવું ઑઇલની કિંમતોમાં વધારો અને આયાતના જથ્થામાં વધારાના કારણે થયું.
આની સીધી અસર ભારતના વેપારસંતુલન પર પડી. આ સિવાય ખાડી દેશોમાં કામ કરનાર ભારતીયોની કમાણી પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ અને તેનાથી વિદેશો પાસેથી આવનાર રેમિટેન્સ પ્રભાવિત થયું.
ભારતમાં એ સમયે રાજકીય અનિશ્ચિતતા વધી ગઈ હતી. 1990થી 91 વચ્ચે રાજકીય અસ્થિરતા ચરમ પર રહી.
1989ની સામાન્ય ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસે ગઠબંધનવાળી સરકાર બનાવવાથી ઇનકાર કરી દીધો હતો. આનું પરિણા એ થયું કે કૉંગ્રેસ બાદ બીજી સૌથી મોટી પાર્ટી જનતાદળે વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં સરકાર બનાવી.
પરંતુ આ ગઠબંધન સરકાર જાતિ અને ધર્મની લડાઈમાં ફસાઈ ગઈ. સમગ્ર દેશમાં રમખાણ થયાં. ડિસેમ્બર, 1990માં વીપી સિંહે રાજીનામું આપવું પડ્યું. મે 1991માં સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી કૅરટેકર સરકાર રહી. આ રાજકીય અસ્થિરતા વચ્ચે 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા કરી દેવાઈ.
આવી સ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થા ઘૂંટણ ટેકવી ચૂકી હતી. NRI પોતાનાં નાણાં કાઢવા લાગ્યા હતા અને નિકાસકારોને લાગવા માંડ્યું કે ભારત તેમનાં નાણાં નહીં ચૂકવી શકે અને ડિફૉલ્ટર જાહેર થઈ જશે. પરંતુ પી. વી. નરસિમ્હા રાવે નાણામંત્રી મનમોહનસિંહ દ્વારા ઘણા સુધારાને અંજામ અપાયો અને ભારતીય અર્થતંત્રમાં માળખાકીય પરિવર્તનને કારણે બધું નિયંત્રિત થઈ શક્યું.
ડૉ. મનમોહનસિંહની ભૂમિકા
મે 1991માં લોકસભાની ચૂંટણી યોજાઈ. રાજીવ ગાંધીએ નરસિંહ રાવને લોકસભાની ટિકિટ પણ આપી નહોતી અને તેઓ રાજકીય નિવૃત્તિ ભણી જઈ રહ્યા હતા.
જોકે નિયતિને આ મંજૂર નહોતું. ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ. કૉંગ્રેસના નેતા તરીકે નરસિંહ રાવની પસંદગી થઈ. બહુમતી માટે જરૂરી સાંસદોનો ટેકો તેમણે મેળવ્યો અને સરકાર બનાવી.
નાણામંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી અર્થશાસ્ત્રી આઈજી પટેલ હતા, પરંતુ તેમણે પ્રધાનપદું સ્વીકારવા ના પાડી હતી. તે પછી વડા પ્રધાન રાવની નજર ચંદ્રશેખર સરકારના આર્થિક સલાહકાર મનમોહન સિંહ પર પડી. બાદમાં તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચૅરમૅન બન્યા હતા.
વરિષ્ઠ પત્રકાર શંકર ઐયરના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓમાં મનમોહન સિંહની પ્રતિષ્ઠા હતી અને વડા પ્રધાન રાવ તેમને નાણામંત્રી બનાવીને આંતરરાષ્ટ્રીય બૅન્કો પાસેથી સરળતાથી ધિરાણ લેવા માગતા હતા.
મનમોહનસિંહ નાણામંત્રી બનવા તૈયાર થયા અને નરસિંહ રાવે તેમને સતત સાથ આપ્યો.
સૂર્યપ્રકાશ કહે છે, "અર્થતંત્રને મુક્ત કરવાના પ્રયાસો સામે ડાબેરી સાંસદો મનમોહન સિંહ પર પ્રહારો કરતા હતા. નરસિંહ રાવ તેમની પાછળ મજબૂતીથી ઊભા રહ્યા. તેમણે કહ્યું કે અમે તમારી સાથે છીએ, તમે મક્કમ રહેજો. પાંચ વર્ષ નાણામંત્રી તરીકે રહ્યા અને નરસિંહ રાવ તેમને સમર્થન આપતા રહ્યા."
વર્ષો પછી નરસિંહ રાવે પત્રકાર શેખર ગુપ્તાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "ડૉક્ટર મનમોહનસિંહે તેને (આર્થિક સુધારાને) આગળ વધાર્યા અને હું તેમની પાછળ મજબૂત ખડકની જેમ ઊભો રહ્યો."
નરસિંહ રાવની સરકાર જૂનમાં સત્તામાં આવી અને એક મહિના પછી બજેટ રજૂ થયું તે ઐતિહાસિક સાબિત થયું અને દેશનું નસીબ પલટાયું. તે દિવસ હતો 24 જુલાઈ, વર્ષ 1991નો.
સામાન્ય રીતે બજેટ તૈયાર કરવામાં ત્રણેક મહિના લાગી જતા હોય છે, પરંતુ મનમોહનસિંહ પાસે માત્ર એક જ મહિનાનો સમય હતો.
આટલા ટૂંકા ગાળામાં તૈયાર કરીને તેમણે બજેટ રજૂ કર્યું, જેનાથી લાઇસન્સ પરમિટ રાજના યુગનો અંત આવી ગયો. નિયંત્રિત અર્થતંત્રના દરવાજા ખોલી દેવાયા, ખાનગી કંપનીઓ આવી, વિદેશી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો.
આ ફેરફારોનાં પરિણામો ઝડપથી દેખાવાં લાગ્યાં. પૈસો પૈસાને ખેંચીને લાવવા લાગ્યો. કેટલીક સરકારી કંપનીઓનું ખાનગીકરણ થયું. વિદેશી મૂડીરોકાણ આવ્યું.
વિદેશી કંપનીઓ આવવાથી ભારતીય કંપનીઓ મુશ્કેલીમાં મુકાશે અને વિદેશી કંપનીઓ માટે માત્ર લોકલ સપ્લાયર બનીને રહી જશે એવો ભય વ્યક્ત થયો હતો. તેવું ના થયું અને ભારતીય કંપનીઓનો પણ વિકાસ થવા લાગ્યો.
કરોડો નવી રોજગારી ઊભી થઈ અને પહેલી વાર કરોડો લોકો ગરીબીરેખાની ઉપર આવી શક્યા. અને એ વખતે ભારતીય અખબારોમાં મનમોહનસિંહ હીરો બની ગયા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો