You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાનિયા મિર્ઝા 2022ના અંતમાં ટેનિસમાંથી સંન્યાસ લેશે TOP NEWS
ભારતીય મહિલા ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
બુધવારે ઑસ્ટ્રેલિયન ઓપનમાં વીમૅન ડબલ્સના પ્રથમ રાઉન્ડની મૅચમાં હારનો સામનો કર્યા બાદ તેમણે કહ્યું છે કે 2022માં WTAનો પ્રવાસ તેમની આખરી સિઝન હશે. તે બાદ તેઓ ટેનિસમાંથી સંન્યાસ લેશે.
સમાચારે એજન્સી PTI પ્રમાણે મિર્ઝાએ કહ્યું, "મેં નક્કી કર્યું છે કે આ મારી ટેનિસની અંતિમ સિઝન હશે. હું આ અઠવાડિયે દરેક અઠવાડિયા હિસાબે રમી રહી છું. મને નથી ખબર કે હું સંપૂર્ણ સિઝન રમી શકીશ કે કેમ, પરંતુ હું સમગ્ર સિઝન રમવા માગું છું."
બુધવારે સાનિયા મિર્ઝા અને તેમનાં યુક્રેનનાં જોડીદાર નાદિયા કિચેનોકને સ્લોવેનિયાનાં ખેલાડી તમારા જિદાનસેક અને કાજા જુવાનથી 4-6, 6-7(5) સાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
35 વર્ષીય મિર્ઝા ડબલ્સ કૅટેગરીમાં વિશ્વનાં નંબર 1 ખેલાડી રહી ચૂક્યાં છે, તેમજ સિંગલ્સમાં 27મી રૅન્ક પર રહી ચૂક્યાં છે.
તેઓ હાલ વિશ્વમાં 68મા નંબરનાં ખેલાડી છે. સાનિયા મિર્ઝા ગ્રાન્ડ સ્લેમ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.
તેમણે અંતિમ ગ્રાન્ડ સ્લેમ 2016માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યું હતું, જ્યારે તેઓ માર્ટિના હિંગિસ સાથે ડબલ્સ રમી રહ્યાં હતાં.
અમેરિકા સામેની સ્પર્ધા માટે ઈરાનની રશિયા સાથે શું છે રણનીતિ?
બીબીસી મૉનિટરિંગ અનુસાર, ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલના અધ્યક્ષ અલી શમખાનીએ કહ્યું છે કે ઈરાન સાથે રશિયાના મજબૂત થઈ રહેલા સંબંધોથી અમેરિકાના એકતરફી વલણ પર રોક લાગશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીની મૉસ્કોની મુલાકાતને લઈને અલી શમખાનીએ એક ટ્વીટ કર્યું હતું કે, "ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર રશિયા સાથે ઈરાનના સહયોગથી અમેરિકા પોતાની એકતરફી નીતિઓને કમજોર થતી જોશે. ઈરાન અને રશિયા વચ્ચે લાંબા સમયનો આર્થિક સહયોગ આવનારા સમયમાં સફળ અનુભવનો પાયો તૈયાર કરી શકે છે."
ઇબ્રાહીમ રઈસી બે દિવસની યાત્રા પર બુધવારે રશિયા જઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન જારી કરી કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 19 જાન્યુઆરીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બન્ને નેતાઓ વચ્ચે વ્યાપાર અને આર્થિક પરિયોજનાઓ સહિત દ્વિપક્ષીય સહયોગના મુદ્દા પર ચર્ચા થશે. મુલાકાત દરમિયાન 2015માં થયેલી ઈરાન પરમાણુ સમજૂતી પ્રત્યે ઈરાનની પ્રતિબદ્ધતા પર પણ વાત થશે.
ઇબ્રાહીમ રઈસી સત્તામાં આવ્યા ત્યાર બાદથી પૂર્વનાં રાષ્ટ્રો તરફ તેમના ઝુકાવને લઈને ઈરાનની નિંદા થતી રહે છે.
ઈરાને ગત વર્ષે માર્ચમાં ચીન સાથે ઊર્જા, સુરક્ષા, માળખાગત વિકાસ અને કૉમ્યુનિકેશન્સ સૅક્ટર માટે સમજૂતી કરી હતી
આ સોદો 20 વર્ષથી વધુ સમય માટે હતો. અમેરિકાએ તેની આકરી ટીકા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે ઈરાન રશિયા સાથે પણ આ રીતે જ સોદો કરવા માગે છે.
યુરોપ ઉપર યુદ્ધનાં વાદળો? યુક્રેન પર રશિયા હુમલો કરશે એવી અમેરિકાની ચેતવણી
રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે એમ છે, એવી ચેતવણી અમેરિકાના વ્હાઇટ હાઉસે ઉચ્ચારી છે.
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે રશિયાએ યુક્રેનની સીમા પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે. વ્હાઇટ હાઉસ પ્રવક્તા જેન સાકીએ કહ્યું છે કે યુક્રેન માટે પરિસ્થિતિ ભયાવહ બની રહી છે.
તેમણે કહ્યું કે વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને મંગળવારે આ મુદ્દે પોતાના રશિયન સમકક્ષ સર્ગેઈ લેવરૉવ સાથે ચર્ચા કરી અને બન્ને નેતાઓ વચ્ચે જલદી જ જિનિવામાં મુલાકાત માટે સહમતિ બની છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર આ મુલાકાત શુક્રવારે યોજાશે. આ પહેલાં બ્લિંકન યુક્રેન અને યુરોપીયન દેશોના પ્રતિનિધિઓને મળી રહ્યા છે.
જેન સાકીએ કહ્યું કે, "અમારું માનવું છે કે સ્થિતિ ભારે ખતરનાક છે. હવે એવી પરિસ્થિતિ સુધી પહોંચી ગયા છે કે રશિયા ક્યારેય પણ યુક્રેન પર હુમલો કરી શકે છે."
"પોતાના સમકક્ષ સાથે ચર્ચામાં વિદેશમંત્રી એ વાત પર ધ્યાન મૂકશે કે આ મામલાનો વાટાઘાટ દ્વારા ઉકેલ લાવી શકાય. હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયન નાગરિકોએ નક્કી કરવાનું છે કે તેઓ આર્થિક પ્રતિબંધ ઈચ્છે કે કેમ?"
બીજી બાજુ નેટોએ ચેતવણી આપી છે કે જો રશિયાએ યુક્રેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે.
નેટોનાં મહાસચિવ જૅન્સ સ્ટોલ્ટનબર્ગે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે સૈન્ય ગઠબંધન યુક્રેનનો સાથ આપશે અને આત્મરક્ષાના તેમના હકને સમર્થન આપશે.
ગુજરાતમાં કોરોના મૃત્યુ સહાય માટે કુલ સત્તાવાર મૃત્યુ કરતા નવ ગણા વધારે અરજીઓ
ગુજરાતમાં કોરોનાની મૃત્યુસહાય માટે સત્તાવાર મૃત્યુ કરતાં નવ ગણી વધારે અરજીઓ
સુપ્રીમ કોર્ટમાં રાજ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જોવા મળી રહ્યું છે કે રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાથી થયેલાં મૃત્યુનાં આંકડા અને કોરોના મૃત્યુસહાય માટે આવતી અરજીઓની સંખ્યામાં ભારે તફાવત છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે ગુજરાત અને તેલંગણા એવાં રાજ્યો છે, જ્યાં આ બન્ને આંક વચ્ચે નવ અને સાત ગણો ફરક જોવા મળ્યો છે. જ્યારે સૌથી વધારે અરજીઓ મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર અરજીઓમાં થઈ રહેલા વધારા પાછળ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પણ આંશિક રીતે જવાબદાર હોઈ શકે છે.
આ માર્ગદર્શિકા અનુસાર કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના 30 દિવસમાં આત્મહત્યા કરનારા લોકોની પણ કોરોનાથી થયેલાં મૃત્યુના આંકમાં ગણતરી કરવાની રહે છે.
તેમ છતાં કેટલાંક રાજ્યોમાં સત્તાવાર મૃત્યુ અને સહાય માટેની અરજીઓની સંખ્યા વચ્ચેનું અંતર ખૂબ વધારે જોવા મળી રહ્યું છે.
અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો સત્તાવાર આંકડો 10,094 છે. તેની સામે કોરોના મૃત્યુ સહાય માટે 89,633 અરજીઓ આવી છે. જે પૈકી 68,370 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 58,840 પરિવારોને વળતરની રકમ ચૂકવવામાં આવી છે.
જ્યારે, તેલંગણામાં સત્તાવાર 3,993 મૃત્યુ સામે 29,000 અરજીઓ આવી છે. જે પૈકી 15,270 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 1.41 લાખ સત્તાવાર મૃત્યુ સામે સહાય માટે 2.13 લાખ અરજીઓ આવી છે.
અમદાવાદમાં 351 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત
રવિવારે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ શહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા પોલીસકર્મીઓની કુલ સંખ્યા 351 પર પહોંચી છે.
ઇન્ડિયન એક્સપ્રેસે અમદાવાદનાં કંટ્રોલ રૂમ ડીસીપી હર્ષદ પટેલને ટાંકીને જણાવ્યું છે કે આ પૈકી મોટા ભાગના પોલીસકર્મીઓ હળવાં લક્ષણો ધરાવે છે અને હાલમાં હોમ આઇસોલેશનમાં છે.
વધુમાં જણાવાયું છે કે અમદાવાદમાં મહાનગરપાલિકા સાથે મળીને સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) અને હોમ ગાર્ડના જવાનોને બૂસ્ટર ડોઝ આપવાની કામગીરીમાં જોતરાયા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ રાજ્યનાંપોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો