You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ અમેરિકનો જે ‘શ્રદ્ધા અને આઝાદી’ને નામે ફરજિયાત કોરોના રસીકરણનો વિરોધ કરે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દેશમાં નોકરીદાતાઓને તેમના સ્ટાફનું રસીકરણ કરાવવા માટે અનેક અલ્ટીમેટમ આપી ચૂક્યા છે.
બાઇડન રસીકરણ પર એટલી હદે ભાર મૂકી રહ્યા છે કે 'રસી મૂકાવો અથવા નોકરી ગુમાવો'ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે તેઓ આરોગ્યકર્મીઓને ફરજિયાત રસીકરણ કરાવવાનો કાયદેસર આદેશ લાવવા જઈ રહ્યા છે. અને રાજ્યોને તેમણે શિક્ષકો માટે પણ એવો જ આદેશ આપવાનું કહ્યું છે.
એક તરફ બાઇડન રસીકરણ માટે કમર કસી રહ્યા છે ત્યારે અમેરિકાના કૉનકોર્ડના ન્યૂ હૅમ્પશાયરમાં મોટા પ્રમાણમાં વિરોધપ્રદર્શન થયાં જેમાં કેટલાક લોકો વૅક્સિન ફરજિયાત કરવાની વિરુદ્ધ હૉસ્પિટલના યુનિફૉર્મ (સ્ક્રબ્સ) પહેરેલા દેખાયા.
લી કશમૅનનું કહેવું છે કે ભલે નર્સિંગની નોકરી ગુમાવવી પડે પણ તેઓ રસી લેવા માટે તૈયાર નથી.
તેઓ કહે છે કે, હું ધાર્મિક કારણોસર રસી નથી લઈ રહ્યો. મને લાગે છે કે મારું સર્જન કરનારે મને એ રોગ પ્રતિકારકક્ષમતા આપી છે જે મારું રક્ષણ કરે છે, અને જો હું બીમાર પડું તો તે ઈશ્વરની ઇચ્છા હશે. હું એવી દવા નહીં લઉં જે મારી રોગ પ્રતિકારકક્ષમતાને અસર કરે."
તેઓ એ નથી માનતા કે તેમના ધાર્મિક વિશ્વાસ અને નર્સ તરીકેની તેમની ફરજમાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ છે.
લી કશમૅનનું કહેવું છે કે કોવિડ વૅક્સિન પ્રયોગાત્મક છે. ફાઇઝરની રસીને યુએસના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મળેલી છે જેનો અર્થ છે કે એફડીએ માને છે કે રસીની અસરકારકતા અને તે સુરક્ષિત છે એની પુષ્ટિ કરતા ડેટાને ધ્યાનમાં લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે હૉસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે રસીકરણ ફરજિયાત કરવું એ પ્રાથમિક રૂપે દર્દીઓ સુરક્ષિત અનુભવે તે માટે છે.
પરંતુ અપર કનેક્ટિકટ વૅલી હૉસ્પિટલના સીઈઓ સ્કૉટ કૉલ્બી કહે છે કે તેમને રસીકરણ ફરજિયાત કરવાને કારણે અનેક મેડિકલ સ્ટાફસભ્યોને ગુમાવવા પડ્યા, એ પણ ત્યારે જ્યારે હૉસ્પિટલ ડેલ્ટા વૅરિયન્ટ સામે લડી રહી છે અને નૉન-કોવિડ દર્દીઓની સારવાર માટેની પ્રક્રિયાઓમાં વ્યસ્ત છે.
હૉસ્પિટલના મૅનેજરનું કહેવું છે કે રસીકરણને ફરજિયાત કરવું એ યોગ્ય નિર્ણય છે, કેટલીક હદે આનું એક કારણ છે કે હૉસ્પિટલનો સ્ટાફ કોરોનાને કારણે ગંભીર રીતે બીમાર પડે એવી શક્યતા હોય છે. આવામાં રસી ન લેનાર લોકોને કારણે તેનાથી હૉસ્પિટલને કામમાં નુકસાન વેઠવું પડી શકે છે.
જોકે કૉલ્બીનું કહેવું છે કે રસીનો વિરોધની પાછળ માત્ર ધાર્મિક અથવા આરોગ્યસંબંધી કારણો જ નથી હોતા, રાજનૈતિક પણ હોય છે.
ફરજિયાત રસીકરણ સામેના પ્રદર્શનમાં ભાગ લઈ રહેલાં લી કશમૅન નર્સ હોવાની સાથેસાથે રિપબ્લિકન પાર્ટીના સભ્ય પણ છે, તેઓ કહે છે કે આ સ્વતંત્રતાનો સવાલ છે.
તેઓ કહે છે, બાઇડન પ્રશાસન સ્વતંત્રતાના અધિકારને નિશાન બનાવી રહ્યું છે. અમે મેડિકલ કર્મચારીઓ છીએ પરંતુ અમારા શરીર અંગે પસંદગી કરવાનો અમને અધિકાર છે. "
વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલ કેટલીક નર્સીઝનું કહેવું છે કે હૉસ્પિટલો રાજકારણ રમી રહી છે અને જો આ માત્ર દર્દીઓને ભરોસો અપાવવા માટે હોત તો ધ્યાન સાપ્તાહિક ટેસ્ટિંગ પર હોત. તેઓ કહે છે કે રસી મૂકાવેલા લોકો પણ વાઇરસનું સંક્રમણ ફેલાવી શકે છે.
જો કે અમેરિકામાં રસીનો વિરોધ કરી રહેલા લોકો નિયમિતપણે ટેસ્ટિંગ માટે પણ તૈયાર નથી.
શિક્ષકો માટે ફરજિયાત રસીકરણનો વિરોધ
કાહસેમ આઉટલૉએ આ કારણોસર જ કનેક્ટિકટમાં વૉલિંગફૉર્ડમાં હાલમાં પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે.
ગત વષે તેઓ હાઇસ્કૂલમાં ટીચર ઑફ ધ યર બન્યા હતા પરંતુ તેઓ શિક્ષકો માટે ફરજિયાત રસીકરણના નિર્ણયથી સહમત નથી.
તેઓ કહે છે કે," હું કોઈ પણ સિન્થેટિક સામગ્રી મારા જીવનમાં ઉપયોગ નથી કરતો, ભલે પછી તે મેડિકલ ઉપયોગની વસ્તુ હોય કે પછી ખાવાપીવાની કોઈ સામગ્રી. એટલે રસીકરણ મારા જીવવાની રીતની વિરુદ્ધ છે."
અન્ય શિક્ષકોની જેમ આઉટલૉને વિકલ્પના રૂપમાં સાપ્તાહિક ટેસ્ટિંગ કરાવવાનું કહેવાયું હતું પરંતુ તેમનું કહેવું છે કે આ "બિનજરૂરી મેડિકલ પ્રક્રિયા" છે જે તેમના માટે અગવડભરેલું હતું.
"આત્મા જે રીતે આપણી સાથે વાત કરે છે, એ અવાજ આપણને કહે છે કે આપણે શું કરવું અને શું ન કરવું, એ અવાજ મને કહે છે કે મારે હાલ આ નિર્ણય જ લેવો છે."
કાહસેમ કહે છે કે તેઓ ઍન્ટીબૉડી ટેસ્ટ કરાવવા તૈયાર હતા જેથી એ બતાવી શકાય કે તેમને ભૂતકાળમાં કોરોના સંક્રમણ થયું હતું. તેમનું માનવું છે કે તેમને કોરોના સંક્રમણ થયું હતું એટલે તેમના શરીરમાં કુદરતી રોગપ્રતિકારકશક્તિ ઉત્પન્ન થઈ હશે. જોકે તેઓ માને છે કે આ રીતે ઉત્પન્ન થયેલી રોગ પ્રતિકારકશક્તિ કેટલો સમય ટકી રહેશે.
પરંતુ તેમના નોકરીદાતા ઍન્ટીબૉડી ટેસ્ટનો વિકલ્પ આપતા નહોતા.
શિક્ષકો શાળામાં બાળકોનાં સંપર્કમાં આવતા હોય છે એટલે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ એ કર્મીઓ જે ઘરમાં રહીને કામ કરે છે તેઓ કેમ વિરોધ કરી રહ્યા છે? શું તેમના નોકરીદાતાઓને અધિકાર છે કે તેઓ રસીકરણ ફરજિયાત કરી શકે?
ન્યૂ હૅમ્પશાયરમાં રહેતા રૉબ સેગરિન જે આઈટી ક્ષેત્રમાં કામ કરે છે તેમને પણ કહેવાયું છે કે જો રસી નહીં મૂકાવે તો તેમની નોકરી જતી રહેશે.
અંગત સ્વતંત્રતા અને રોજીરોટી પર હુમલો
રૉબ કહે છે કે, "મારી નોકરી 100 ટકા રિમોટ એટલે કે ઘરે એકાંતમાં થાય એવી છે, સંઘીય કૉન્ટ્રૅક્ટર તરીકે હું વર્ક ફ્રૉમ હોમ કરું છું. હું કદી ઑફિસ જતો નથી. હું લોકોને મળતો નથી. હું રસીકરણ ફરજિયાત કરવાનો વિરોધ કરું છું કારણ કે મારા મતે જેટલી જરૂર હોય છે એટલા વર્ષોનો અભ્યાસ નથી થયો પરંતુ હું જેટલું બને તે રીતે મારા પરિવારને સુરક્ષિત રાખું છું."
"આ તો એવું લાગે છે કે' આ કરો નહીં તો નોકરી ગુમાવો' આ આદેશ મારા અને મારા પરિવાર પર અંગત હુમલો છે. મારી રોજીરોટી પર હુમલો છે."
સેગરિન કહે છે કે નોકરીદાતાઓ સાથેની વાટાઘાટો અત્યાર સુધી નિષ્ફળ છે. અને જો વાતચીત સફળ ન થઈ તેની સાથે તેઓ નોકરીની સાથે પોતાનો અને પરિવારનો આરોગ્ય વીમો પણ ગુમાવી દેશે.
અમેરિકામાં રસીને લઈને સરકારીની નીતિમાં અનેક વિસંગતતાઓ છે. કહેવામાં આવે છે કે કોરોના મહામારી દરિયમાન આવી વિસંગતતાઓ જોવા મળી અને રિપબ્લિકન રાજ્યો રસીકરણને ફરજિયાત કરવાની વિરુદ્ધ છે.
પરંતુ હાલ અમેરિકામાં કોરોના રસીકરણ ફરજિયાત કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, લોકો તેને અંગત સ્વતંત્રતા અને આરોગ્ય તંત્ર પર હુમલો ગણાવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકામાં હજી કોરોનાની મહામારી અટકી નથી.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ મુજબ અત્યાર સુધી કોરોના મહામારીમાં અમેરિકામાં 7,13,350 લોકો મૃત્યુ પામ્યાં છે. છેલ્લા 28 દિવસમાં અમેરિકામાં 52,438 લોકો મૃત્યુ પામ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો