તાલિબાન સામે અફઘાનિસ્તાનના સૈનિક આટલા લાચાર કેમ છે?

અફઘાનિસ્તાનના રણનીતિક રીતે મહત્ત્વના સમાંગન પ્રાંતની રાજધાનીને પણ તાલિબાનોએ સોમવારે પોતાના કબજામાં લઈ લીધી.

આ દરમિયાન અફઘાનિસ્તાન સરકાર સમર્થિત એક કમાન્ડરે પણ તાલિબાનના પક્ષમાં જવાનો નિર્ણય લીધો.

ઉત્તર અફઘાનિસ્તાનમાં તાલિબાન ઝડપથી આગળ વધી રહ્યું છે. કહેવાય છે કે અશરફ ગની સરકાર પર રાજીનામાનું દબાણ સતત વધી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી 31 ઑગસ્ટ સુધી પોતાના સૈનિકોને પરત બોલાવી લેવાની જાહેરાત કરી છે. ત્યારથી તાલિબાનનો અફઘાનિસ્તાનમાં પ્રભાવ સતત વધી રહ્યો છે.

અત્યાર સુધીમાં 90 ટકાથી વધારે અમેરિકન સૈનિકો પાછા જતા રહ્યા છે.

સૈનિકોને પાછા બોલાવી લેવાની જાહેરાતની વિશ્વભરમાં રાષ્ટ્રપતિ બાઇડનની ટીકા થઈ રહી છે. કહેવાય છે કે અમેરિકાએ 20 વર્ષ સુધી લડાઈ લડી, જેનો કોઈ ઉકેલ ન આવ્યો અને અફઘાનોને મધદરિયે છોડીને નીકળી ગયું.

મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોની વાપસીનો બચાવ કર્યો અને કહ્યું કે તેમને આ માટે કોઈ પ્રસ્તાવો નથી.

વ્હાઇટહાઉસમાં મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં બાઇડને કહ્યું, "હું અફઘાનનેતાઓને આગ્રહ કરું છું કે તેઓ એક થઈને પોતાના મુલ્ક માટે લડે. અમેરિકા તેની પ્રતિબદ્ધતા માટે આજે પણ અડગ છે. અમે હવાઈ મદદ કરી રહ્યા છીએ, સેનાને વેતન આપી રહ્યા છીએ અને સૈનિકોને ઉપકરણો સહિત ખાદ્યસામગ્રી પણ પહોંચાડી રહ્યા છીએ. તેમણે પોતાના માટે લડવું પડશે."

ગત ત્રણ દિવસમાં તાલિબાને અફઘાનિસ્તાનની અન્ય ચાર પ્રાંતીય રાજધાની પર કબજો કર્યો છે. કહેવાય છે કે ઉત્તર અફઘાનિસ્તાનમાં તાલિબાન જે રીતે આગળ વધે છે એ જોતાં મઝાર-એ-શરીફ પર કબજો પણ મુશ્કેલ નથી.

ઘણાં મહત્ત્વનાં શહેરોમાં તાલિબાન અને અફઘાનદળો વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે.

તાલિબાન સામેના સંઘર્ષમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની હાર બાદ તેમના પર દબાણ વધી રહ્યું છે. ગની સરકારમાં મંત્રી અને સૈન્ય કમાન્ડર બદલાઈ રહ્યા છે અને તેને ઊથલપાથલના રૂપમાં જોવાય છે.

કહેવાય છે કે જો અફઘાનિસ્તાનમાં બધી રાજકીય તાકતો એકજૂથ થઈને યુદ્ધયોજના સાથે નહીં આવે તો અશરફ ગનીની સરકાર થોડાં જ અઠવાડિયાંમાં બદલાઈ શકે છે.

ટોલો ન્યૂઝ અનુસાર, અફઘાનિસ્તાનમાં કાર્યકારી નાણામંત્રી ખાલિદ પયિંદાએ દેશ છોડી દીધો છે.

આ વર્ષે એપ્રિલમાં અમેરિકન સૈનિકોની વાપસીની જાહેરાત બાદ તાલિબાન દેશભરમાં અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર અને સેના પર હુમલા કરી રહ્યું છે.

જોકે ટ્રમ્પ પ્રશાસને કતારના દોહામાં ફેબ્રુઆરી 2020માં તાલિબાનની શાંતિપૂર્ણ સમાધાનની વાત માની હતી. અમેરિકાની સેના દ્વારા પ્રશિક્ષિત અફઘાન સૈનિકો તાલિબાન સામે નબળા સાબિત થઈ રહ્યા છે.

સરકાર સમર્થકો તાલિબાનના પક્ષમાં કેમ જઈ રહ્યા છે?

અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયનના હુમલા વિરુદ્ધ મોરચો ખોલનારા જાણીતા કમાન્ડર અને રાજનીતિજ્ઞ અહમદશાહ મસૂદના ભાઈ અહમદ વલી મસૂલ બ્રિટનમાં અફઘાનિસ્તાનના રાજદૂત રહ્યા છે.

તેમણે વૉલ સ્ટ્રીટ જર્નલને કહ્યું, "ભ્રષ્ટ નેતાઓ અને સરકાર માટે લડનારા સૈનિકો વચ્ચે કોઈ પ્રેરણા નથી. આ ગની માટે લડતા નથી. તેમને સારું ખાવાનું પણ મળતું નથી. તેમણે શા માટે લડવું જોઈએ? કોના માટે લડવું જોઈએ? એ તાલિબાન સાથે સારા છે. માટે તેમનો પક્ષ બદલી રહ્યા છે."

વૉલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં લખ્યું કે હાલનાં અઠવાડિયાંમાં સરકારી નિયંત્રણ ખરાબ રીતે ધ્વસ્ત થયું છે, પરંતુ રાષ્ટ્રપતિ ગની ખોટાં આશાવાદી નિવેદન આપી રહ્યા છે.

આ રિપોર્ટમાં કહેવાયું કે તાલિબાને શનિવારે પ્રાંતીય રાજધાનીઓ પર કબજો શરૂ કર્યો ત્યારથી ગની સરકાર બેઠકોમાં વ્યસ્ત છે.

વૉલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં લખ્યું, "નીચલા સ્તરના કમાન્ડરો તાલિબાન સામે સરેન્ડર કરી રહ્યા છે. સોમવારે સમાંગનના પૂર્વ સૅનેટર અને તાજિક જમિયત-એ-ઇસ્લામી પાર્ટીના પ્રમુખ આસિક અઝિમી પક્ષ બદલીને તાલિબાન સાથે જતા રહ્યા."

અઝિમીનું તાલિબાન સાથે જવું ગની સરકાર માટે એક ઝટકા સમાન જોવાઈ રહ્યું છે.

કહેવાય છે કે અઝિમીનો પક્ષપલટો અન્ય પર પણ અસર કરશે. તેનાથી એ તર્કને પ્રબલન મળશે કે તાલિબાનની જીતને હવે રોકવી મુશ્કેલ છે.

અહમદશાહ મસૂદના નેતૃત્વમાં જમિયત-એ-ઇસ્લામી 2001માં અમેરિકાના હુમલા પહેલાં તાલિબાનની વિરુદ્ધ એક મહત્ત્વનું ગઠબંધન હતું.

અઝિમીએ વૉલ સ્ટ્રીટ જર્નલને ફોન પર કહ્યું, "જમિયત-એ-ઇસ્લામીની સ્થાપના 1980ના દાયકામાં સોવિયત સમર્થિત શાસનની વિરુદ્ધ ઇસ્લામિક શાસન લાગુ કરવા માટે થઈ હતી. પણ 2001માં અમેરિકા સાથે ગઠબંધન બાદ અમે રસ્તો ભટકી ગયા હતા. અમે એક ઇસ્લામિક સરકાર ઇચ્છીએ છીએ. આ સરકાર અમેરિકાની કઠપૂતળી છે. જે પણ આ સરકાર સામે ઊભા થશે, અમે તેમની સાથે છીએ. મારું બધું સમર્થન હવે એ જ રસ્તે આગળ વધશે."

તાલિબાન દિવસેદિવસે પોતાની લડાઈ તેજ કરી રહ્યું છે. પશ્ચિમી અફઘાનિસ્તાના હેરાત શહેર પર નિયંત્રણ માટે તાલિબાને હુમલા મજબૂત કરી દીધા છે. તાલિબાને અહીં ત્રણ તરફથી હુમલા શરૂ કર્યા છે.

ટોલો ન્યૂઝ અનુસાર, તાલિબાને ફરાહ શહેરના મોટા ભાગના વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. હેરાતમાં અફઘાનદળોના એક કમાન્ડર અબ્દુલ રઝાક અહમદીએ કહ્યું કે અહીં યુદ્ધ જેવી સ્થિતિ છે.

તેમણે કહ્યું કે તાલિબાને તેમના લડાયકો મોટી સંખ્યામાં ભેગા કર્યા છે, તેમાં વિદેશી પણ સામેલ છે.

અફઘાન સૈનિકો આટલા લાચાર કેમ?

અફઘાનિસ્તાનમાં કાગળ પર 350,000 સૈનિક છે. આટલી મોટી સંખ્યા તાલિબાનોને હરાવવા માટે પૂરતી છે, પણ એવું દેખાઈ રહ્યું નથી. કહેવાય છે કે કે તાલિબાન સાથે સંઘર્ષ શરૂ થયા બાદ 250,000 અફઘાન સૈનિકો સેવામાં છે.

મોટાભાગના લોકોએ ગોળા-બારૂદ અને ખાવાપીવાનો સામાન ખતમ થયા બાદ સરેન્ડર કરી દીધું છે. અનેક રિપોર્ટ અનુસાર સૈનિકો મહિનાઓથી પગાર વિના કામ કરી રહ્યા છે.

બાઇડને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પોતાના નિર્ણયનો બચાવ કરતા અફઘાન સૈનિકોની સંખ્યાનો હવાલો આપ્યો હતો.

તેમણે કહ્યું હતું, "અફઘાનિસ્તાનમાં વધુ એક વર્ષની લડાઈનો કોઈ અર્થ નથી. પણ ત્યાં અનંતકાળ સુધી લડતા રહેવાનું એક બહાનું છે."

બાઇડને એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનને આવવાથી રોકી નહીં શકાય.

તેમણે કહ્યું હતું કે ત્રણ લાખ અફઘાન સુરક્ષાદળો સામે 75 હજાર તાલિબાન લડાયકો કોઈ હિસાબે ટકી નહીં શકે.

અમેરિકાએ નેટા સહયોગીઓની સાથે અફઘાનિસ્તાનમાં છેલ્લાં 20 વર્ષથી જે સેનાને તૈયાર કરી હતી, એ અપૂરતી અને નિષ્પ્રભાવી સાબિત થઈ રહી છે. અફઘાનની સેના અને ઍર સપોર્ટ બહારના કૉન્ટ્રક્ટરો પર નિર્ભર છે.

કહેવાઈ રહ્યું છે કે અફઘાનિસ્તાન જેવા દેશમાં આ વ્યવસ્થા ક્યારેય ટકાઉ સાબિત ન થઈ શકે, જ્યાં ચીજવસ્તુઓ સીમિત છે અને સ્કીલની કમી છે.

અફઘાનિસ્તાનની વાયુસેના પાસે તાલિબાનનો મુકાબલો કરવા માટે યોગ્ય હથિયારો પણ નથી.

કેટલાંક અફઘાન લડાવૈયા વિમાન અને હેલિકૉપ્ટર ઉડાન માટે સક્ષમ છે, પરંતુ પશ્ચિમી કૉન્ટ્રક્ટરો અહીંથી ચાલ્યા ગયા છે. આવા મુશ્કેલ સમયમાં અફઘાન સૈનિકો એકલા પડી ગયા છે.

જુલાઈમાં અફઘાનિસ્તાનના એક હજારથી વધારે સૈનિકો પડોશી દેશ તાજિકિસ્તાન ભાગી ગયા હતા. સૈનિકોમાં કોઈ ઉત્સાહ નથી, કેમ કે ઘણી બાબતોમાં જરૂરી ચીજોની કમી છે.

કૉપી : રજનીશકુમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો