ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ, શું સત્તાથી બરતરફ કરાશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાઅભિયોગનો ડૅમોક્રેટનો ઠરાવ કૉંગ્રેસમાં રજૂ થયો છે.

આ ઠરાવ સામે રિપબ્લિકન સૅનેટરે વાંધો ઉઠાવ્યો અને ગૃહની કાર્યવાહી મોકૂફ રહી છે. હવે તેના પર કાલે ચર્ચા થઈ શકે છે.

ડૅમોક્રેટ્સની માગણી છે કે ઉપ રાષ્ટ્રપતિ આર્ટિકલ 25નો ઉપયોગ કરીને ટ્રમ્પને પદ પરથી હઠાવે.

અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાંથી દૂર કરવા માટે સંસદસભ્યો સાથે એક યોજના શૅર કરી હતી. તેઓ ટ્રમ્પ સામે મહાઅભિયોગ લાવવા માટે તૈયારી કરી રહ્યાં છે.

ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ ટ્રમ્પના રાષ્ટ્રપતિપદના પાવર્સ દૂર કરે તે માટે હાઉસ ઑફ રેપ્રિઝેન્ટટિવ્સ એક ઠરાવ પર મતદાન કરશે.

પછી ડેમૉક્રેટ્સ ટ્રમ્પ સામે કૅપિટલ હિંસા મામલે રાજદ્રોહ ભડકાવવા માટેના આરોપોને રજૂ કરશે.

રવિવારે નેન્સી પેલોસીએ સંસદસભ્ય સાથે બંધારણનો 25મો સુધારો લાગુ કરવા માટેના ઠરાવ મામલેનો એક પ્લાન શૅર કર્યો હતો.

આનાથી માઇક પેન્સ કાર્યકારી રાષ્ટ્રપતિ થઈ જશે અને ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાંથી બેદખલ કરી દેવામાં આવશે.

નેન્સી પેલોસીએ કહ્યું કે ટ્રમ્પને દૂર કરવા માટે આ પહેલું પગલું હશે અને ત્યાર બાદ ગૃહમાં તેમની સામે મહાઅભિયોગ લાવવામાં આવશે.

તેમણે કહ્યું, "આપણી લોકશાહી અને બંધારણની રક્ષા માટે આપણે તત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી પડશે કેમ કે રાષ્ટ્રપતિ આ બંને માટે ખતરો બની રહ્યા છે."

અગાઉ ગૃહના વ્હિપ જેમ્સ ક્લૅબર્ને સીએનએનને કહ્યું હતું કે ટ્રમ્પ સામે મહાઅભિયોગના આર્ટિકલ પર આ સપ્તાહમાં મતદાન થઈ શકે છે પરંતુ તેને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનના 100 દિવસ ઑફિસમાં પૂરા ન થાય ત્યાં સુધી નહીં મોકલાશે.

જેથી બાઇડનને તેમના એજન્ડા લાગુ કરવા અને કૅબિનેટ રચવા માટે સમય ઉપલબ્ધ રહી શકે. કેમ કે તેમણે કોરોના વાઇરસ મામલે મહત્ત્વપૂર્ણ નીતિઓ લાગુ કરવાની છે.

ટ્રમ્પને વિવિધ સોશિયલ મીડિયા પર બ્લૉક કરી દેવાયા છે ત્યારથી ટ્રમ્પે કોઈ જાહેર નિવેદન નથી આપ્યું.

જોકે રવિવારે વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ મંગળવારે ટૅક્સાસ જઈને મૅક્સિકો સાથેની સરહદી દીવાલની મુલાકાત લેશે અને તેમની સરકારે આ મામલે કરેલા કામને હાઇલાઇટ કરશે.

અત્રે ઉલ્લેખીય છે કે ટ્ર્મ્પ પર અમેરિકી સંસદ પર હુમલાની ઘટનાને ઉશ્કેરવાનો આરોપ છે. ડેમૉક્રેટ્સની સાથે સાથે હવે રિપબ્લિકન નેતાઓનું આ આરોપને સમર્થન પણ મળવા લાગ્યું છે.

પરંતુ હજુ સુધી એક પણ સૅનેટર્સે પુષ્ટિ નથી કરી કે તેઓ મહાઅભિયોગ મામલે વિરોધમાં મતદાન કરશે.

એક રિપબ્લિક સૅનેટર પેટ ટૂમેએ ટ્રમ્પને રાજીનામું આપવા કહ્યું છે.

વળી અગાઉ અલાસ્કાથી રિપલ્બિકન સૅનેટર લીસા મૂર્કોસ્કીએ પણ ટ્રમ્પને રાજીનામું આપવા અપીલ કરી ચૂક્યા છે.

દરમિયાન કૅલિફૉર્નિયાના રિપબ્લિકન પાર્ટીના પૂર્વ ગર્વનર આર્નોલ્ડ સ્ક્વૉર્ઝનેગરે ટ્રમ્પને અત્યાર સુધીના ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા છે.

દરમિયાન ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ બાઇડનના શપથગ્રહણ સમારોહમાં હાજરી નહીં આપે.

25મું સંશોધન શું છે?

25માં સંશોધનની મદદથી રાષ્ટ્રપતિને હઠાવવા માટે મંત્રીમંડળે બહુમતીથી અને ઉપરાષ્ટ્રતિની સાથે મળીને આ ઉદ્દેશના પત્ર પર સહી કરવાની હોય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે અસમર્થ છે.

અધિકૃત શબ્દોમાં કહીએ તો કૅબિનેટ અને ઉપરાષ્ટ્રપતિએ ઘોષણા કરવાની રહે છે કે રાષ્ટ્રપતિ પોતાના પદની બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને અને પોતાના બંધારણીય કર્તવ્યોનું પાલન કરવામાં અસર્મથ છે.

25માં સંશોધનની કલમ -4 એ સ્થિતિઓ વિશે છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પોતાનો કાર્યભાર ચલાવવામાં અસર્મથ બની જાય, પરંતુ પદ છોડવા માટે સ્વેચ્છાએ પગલાં ના ભરે.

રાષ્ટ્રપતિને હઠાવવાની પૂરી પ્રક્રિયા શું છે?

કૅબિનેટની બહુમતી અને ઉપરાષ્ટ્રપતિની મંજૂરી સાથેના પત્ર પર હસ્તાક્ષર થયા બાદ ઉપરાષ્ટ્રપતિ જ કાર્યકારી રાષ્ટ્રપતિ બની જાય છે.

આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિને પણ એક તક આપવામાં આવે છે કે તે પોતાનો લેખિતમાં બચાવ કરી શકે.

જોકે, રાષ્ટ્રપતિ પોતાના બચાવમાં આ નિર્ણયને પડકારે તો પણ તેના અંગે જોડાયેલો અંતિમ ફેંસલો કૅબિનેટ જ કરે છે.

સતા હસ્તાંતરણ પહેલાં આગળ વધતા પહેલાં સૅનેટ અને પ્રતિનિધિ સભામાં બે તૃતિયાંશ બહુમત વોટિંગની ફૉર્મ્યૂલા અપનાવવામાં આવે છે. પરંતુ આ તમામ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પોતાની કામગીરી ચાલુ રાખે છે.

રાષ્ટ્રપતિના મહાભિયોગ માટે હાઉસમાં બહુમતી જોઈએ. ઉલ્લેખનીય છે કે હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે.

એવું પણ બની શકે કે ટ્રમ્પની રિપલ્બિકન પાર્ટીના અમુક સભ્યો પ્રક્રિયા તરફી મત આપે.

અગાઉ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોની પ્રક્રિયા થઈ હતી તેમાં મહિનાઓનો સમય લાગ્યો હતો.

પરંતુ આ વખતે આગામી અઠવાડિયે જ પ્રક્રિયા થશે.

ટ્રમ્પ માટે શું ઇશારો?

શિકાગો યુનિવર્સિટીમાં અમેરીકન કાયદો અને સંવિધાનના નિષ્ણાત ડૉક્ટર ઇબ્રાહિમ ગિંસબર્ગ બીબીસી સાથની વાતચીતમાં જણાવે છે કે આ મહાભિયોગ ગત પ્રક્રિયાની જેમ નિર્રથક સાબિત થઈ શકે છે.

તેઓ કહે છે, "અગાઉ કરતાં આ વખતે અમુક રિપબ્લિકન સેનેટર્સ ખુલીને ટ્રમ્પની સામે આવ્યા છે. પરંત મોટા ભાગના લોકો હજુ પણ તેમની વિરુદ્ધ જવા નથી માગતા."

પ્રોફેસર ગિંસબર્ગના જણાવ્યા મુજબ સંવિધાન પ્રમાણે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હઠાવ્યા બાદ પણ મહાભિયોગ માટે દોષી ઠેરવી શકાય છે. જ્યારે બાઇડન શપથ લેશે ત્યારે હાઉસમાં ડેમોક્રેટ્સની સંખ્યા વધુ હશે. તે સમયે આ કામ થોડું સરળ થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો